મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની ફરજ પડી છે. તા.૫મી એપ્રિલે મહારાષ્ટ્ર હાઇકોર્ટે ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે પોતાની ખુરશી જતી કરવી પડી હતી.

મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખે વાઝેને દર મહિને 100 કરોડ રુપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો ઘટસ્ફોટ કરતાં સીબીઆઈની તપાસની માગ પણ કરી હતી.
બોમ્બે હાઈકોર્ટે પરમવીર સિંહની અરજી પર સુનાવણી કરતા આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી છે, અને પોતાનો રિપોર્ટ 15 દિવસમાં સોંપવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, દેશમુખ પોતે ગૃહમંત્રી છે ત્યારે તેમની વિરુદ્ધ પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. કોર્ટે પોતાની સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે નૈતિકતાનું કારણ આગળ ધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેઓ એનસીપીના નેતા છે, અને હાલ મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મોરચા સરકારમાં એનસીપીના ક્વોટામાંથી કેબિનેટ મંત્રી હતા.
સમગ્ર ભારતમાં બહુચર્ચિત કેસ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી ગાડી મળ્યા બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની શંકાસ્પદ ભૂમિકા અને તેની સાથે દેશમુખની સાંઠગાંઠના આક્ષેપો થતાં તેઓ ભીંસમાં આવી ગયા હતા.












