ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.
બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.
અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.
નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.
ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.
ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.
અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.
સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.
એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.
સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે.
મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.
વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.
પાનામા પેપર્સ શું છે?
દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.
હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.
પેન્ડોરા પેપર્સ
હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.
આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.
આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.
ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ – લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.
હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.
પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઇ એક્સ્પૉ. ખાતે ભારતના પૅવિલ્યનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત આજે ટૅલન્ટનું પાવરહાઉસ બની ગયું છે. દેશનો આર્થિક વિકાસ ઔદ્યોગિક વારસા અને સ્ટાર્ટ-અપ્સમાંનું કૌશલ્ય સાથે મળીને ઝડપથી કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, સંશોધન અને રોકાણમાં અગ્રણી આકર્ષક દેશ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આર્ટ્સ (કળા)થી લઇને કૉમર્સ (વાણિજ્ય) અને ઉદ્યોગથી લઇને શિક્ષણ ક્ષેત્રે વિપુલ તક ધરાવતો દેશ બની ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શોધ, ભાગીદારી, પ્રગતિ કરવા સહિતની વિવિધ તક રહેલી છે. વિદેશી કંપનીઓએ ભારત આવીને આ તક ઝડપી લેવી જોઇએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.
વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી.
હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.
આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે.
કોવિડને કારણે મરનાર પ્રત્યેક વ્યક્તિના કુટુંબીને રાજ્ય સરકાર રૂ. ૫૦,૦૦૦નું વળતર આપશે તેવુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2021ના રોજ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે આ વળતર કોવિડને કારણે ભૂતકાળમાં થયેલા મોત માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં થનાર મોત માટે પણ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે 22મી સપ્ટેમ્બર 2021ને બુધવારે રજૂ કરેલા શપથપત્રમાં જણાવાયું હતું કે આ વળતર રાજ્ય સરકાર આપશે અને એ માટેના નાણાં તેઓ પોતાના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કાઢીને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા તો જિલ્લા પ્રશાસન મારફત આપવામાં આવશે.
જાન્યુઆરી ૨૦૨૦માં શરૂ થયેલા કોરોનાના રોગચાળા બાદ ભારતમાં ૪.૪૫ લાખથી વધુ વ્યક્તિનાં મોત થયાં હતાં. રાજ્ય સરકારે આપેલા ફોર્મની સાથે સંબંધિત કુટુંબ મૃત્યુનું કારણ દર્શાવતા સર્ટિફિકેટ સહિતના ચોક્કસ દસ્તાવેજ રજૂ કરશે.
જરૂરી દસ્તાવેજ સહિતના દાવાનો નિકાલ દાવો કર્યાના ૩૦ દિવસમાં કરવાનો રહેશે અને વળતર આધાર સાથે જોડેલી ડીબીટી પ્રણાલી હેઠળ આપવાના રહેશે એવી વાત પણ શપથપત્રમાં જણાવવામાં આવી હતી.
જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડને કારણે મરણ પામનાર વ્યક્તિના કુટુંબને નાણાકીય વળતર મળવું જોઇએ અને નેશનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ અને માર્ગદર્શિકા નક્કી કરવા માટે છ સપ્તાહનો સમય આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.
વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે.
Agenda
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.
25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.
નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક dt. 17/9/21 પૂર્ણ થઈ છે.
નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનની ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના જન્મદિનની વિશેષ ઊજવણી માટે ભાજપે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યું છે. આ સાથે ભાજપે સમગ્ર દેશમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૭મી ઑક્ટોબર સુધી ૨૦ દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી લીધી છે. ક્યાંક ભારત માતા મંદિરને ૭૧ હજાર દિવડાઓથી સુશોભિત કરાશે તો ક્યાંક ગંગા નદીને ૭૧ મીટરની ચૂંદડી અર્પણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપે સમગ્ર દેશમાં ૧.૫૦ કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠને તૈયારી કરી છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે ૧૭મી સપ્ટેમ્બરના દિવસને સિમાચિહ્નરૃપ બનાવવા માટે ભાજપે તેના હેલ્થ વોલિન્ટિયર્સને પીએમ મોદીના જન્મદિને વધુમાં વધુ લોકો કોરોના રસી અપાવવાની ખાતરી કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કોરોના વિરોધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હેશટેગ વેક્સિન સેવાને વ્યાપક બનાવી અત્યાર સુધીમાં જેમણે રસી નથી લીધી તેમને રસી અપાવીએ. વડાપ્રધાન માટે આ પહેલ સૌથી સારી ભેટ હશે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૬ કરોડથી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૨૧ દિવસ સુધી ૭૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં પહેલી વખત તેમના મુખ્યમંત્રી બનવાના ૭મી ઑક્ટોબરના દિવ સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવાશે. વધુમાં ભારત માતા મંદિરમાં ૭૧ હજાર દિપક પ્રગટાવાશે, ગંગામાં ૭૧ મીટરની ચૂંદડી ચઢાવાશે અને બધી જ વિધાનસભાઓમાં ૭૧-૭૧ કિલો લાડુનું વિતરણ કરાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરમાં ૭૧ મુખ્ય મંદિરોમાં આરતી અને દીપોત્સવનો કાર્યક્રમ પણ યોજાશે.
જમ્મુ-કાશ્મીર ભાજપે તેના ૨૧ દિવસના કાર્યક્રમમાંજમ્મુના ૫૦૦ બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવા, જળસ્રોતોની સાફ સફાઈ, વૃક્ષારોપણ અભિયાન અને રક્તદાન શિબિરના આયોજન જેવા કાર્યક્રમો યોજશે. આ સિવાય ભાજપ યુવા મોરચા દ્વારા પણ દેશભરમાં ૨૧ દિવસ સુધી વિશેષ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન મોદીના ૭૧મા જન્મદિનની સાથે ભાજપ ૭મી ઑક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાના ૨૦ વર્ષ પૂરા થવાની પણ ઊજવણી કરવાનો નિર્ણય કરાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.