ઇન્ડીયા Archives - Page 43 of 215 - CIA Live

June 17, 2022
india_vs_sa.jpg
1min638

રાજકોટના એસસીએ સ્ટેડિયમની બેટિંગ પેરાડાઇઝ પીચ પર 17/6/22, શુક્રવારે ભારતીય ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મુકાબલો થશે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીવંત રાખી છે. ઋષભ પંતની ટીમની નજર હવે રાજકોટમાં ચોથો મેચ જીતીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી દેવા પર છે. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ પાછલી હાર ભૂલીને શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરવાના ઇરાદે મેદાને પડશે. જો કે આવતીકાલ શુક્રવારે રમાનાર આ મેચમાં વરસાદનું સંકટ ઝળુંબી રહ્યંy છે. પ્રવાસી ટીમ આફ્રિકા માટે સારી વાત એ છે કે તેના અનુભવી વિકેટકીપર કિવંટન ડિ’કોકની રાજકોટના મેચમાં વાપસી થશે. તે ઇજામાંથી બહાર આવી ગયો છે.

બીજી તરફ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેના કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે. ટીકાકારોને જવાબ આપવા પંતે ખંઢેરીનાં મેદાન પર એક આતશી ઇનિંગ રમવી પડશે. ચોથા મેચમાં તેની પાસે મોકો બની રહેશે, કારણ કે રાજકોટની પીચે હંમેશાં બેટધરોનો સાથ આપ્યો છે. આથી રાજકોટના મેચમાં પહેલો દાવ લેનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે. જો વરસાદ ન પડે અને શુક્રવારે બપોર બાદ ઉઘાડ હશે તો રાજકોટના મેચમાં રમઝટ બોલશે તે નિશ્ચિત છે. રાજકોટની પીચ આક્રમક બેટધરો માટે વધુ અનુકુળ છે. આથી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક પાસેથી સ્થાનિક ચાહકોને ધૂંઆધાર ઇનિંગની આશા રહેશે જ્યારે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. રાજકોટના મેચમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂની તક મળશે તેવી શકયતા છે, કારણ કે આવશે ખાન વિકેટ લઈ રહ્યો નથી.

આફ્રિકાએ ત્રીજા મેચની ખરાબ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ભૂલીને હલ્લાબોલ કરવું પડશે. જેનો સામનો કરવા ટીમ ઇન્ડિયાએ પણ કમર કસી લીધી છે. શ્રેણીમાં હજુ સુધી બન્ને ટીમના સ્પિનરો સારો દેખાવ કરી શકયા નથી. જો કે રાજકોટની પીચ પ્રમાણમાં ધીમી છે. આથી અહીં સ્પિનરોને સફળતા મળવાની સંભાવાના છે.

June 17, 2022
agnipath.jpg
1min509

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ગુરુવારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હોવા ઉપરાંત સરકારી વાહનો પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનાર્થીઓએ રેલવેની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત ભાભુઆ અને છાપરા રેલવે સ્ટેશને ઊભેલી ટ્રેનને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી. ઘટનાને પગલે ૩૪ કરતા પણ વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી અને આઠ જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી.

વિરોધપ્રદર્શનને કારણે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)ની પરીક્ષા વિલંબમાં પડી હતી. વિરોધપ્રદર્શનને કારણે વધુ ૭૨ ટ્રેન પણ વિલંબમાં પડી હતી. રાજધાની દિલ્હીમાં નાન્ગ્લોઈ ખાતે પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધપ્રદર્શનના બીજે દિવસે બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હતી, બસની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને ભાજપના વિધાનસભ્ય સહિત વટેમાર્ગુઓએ પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓને વિખેરવા પોલીસને અશ્રુવાયુ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ યોજના અંતર્ગત યુવાનોને સેનાની ત્રણ પાંખ (હવાઈ દળ, નૌકાદળ અને પાયદળ)માં નોકરી માટે ચાર વર્ષના ટૂંકાગાળા માટે કરારબદ્ધ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. જોકે, ચાર વર્ષ બાદ તેઓ નિવૃત્ત થાય તેમને ગ્રેચ્યુઈટી કે પેન્શન આપવાની તેમાં કોઈ જ જોગવાઈ નથી.

June 16, 2022
5g.jpg
1min496

ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ ૫-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે ૫-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં ૫-જી આવવાથી હવે હાલ જે ૪-જી છે તેના કરતા ૧૦ ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી ૫-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૫-જી સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. અને ૭૨ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં ૪-જી નેટવર્ક છે. જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે ૫-જી આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે ૫-જી મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો ૫-જી નેટવર્ક ૧જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ ૪-જીમાં આ સ્પીડ ૫૦એમબીપીએસ સુધીની છે.  ૫-જી સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. જેમાં ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨,૧૦૦ અને ૨૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, ૩૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને ૨૬ ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ ૨૦૧૫ પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે. આજે દેશમાં ૮૦ કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા ે. આ આંકડો વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૦ કરોડ જ હતો. નોંધનીય છે કે ૫-જીની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત ૪.૩૧  લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને ૫-જી તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. ૧૯૮૦ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે ૧-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ ૧૯૯૨-૯૩ સુધી થયો હતો. જ્યારે ૨-જીની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. બાદમાં ૨૦૦૧માં ૩-જી અને ૪-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં ૨૦૧૦માં જ ૫-જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં ૧૧ વર્ષ લાગ્યા.   

5G નેટવર્કના ફાયદા

સ્પીડ : પ-જી ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે ૪-જીની સ્પીડ મળી રહી છે તે ૧૦૦એમબીપીએસ સુધીની હોય છે. ૫-જીમાં તે ૧૦ ગણી વધી જશે. હાલ લો બેંડ ૫-જી ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ ૧થી ૨જીબીપીએસ સુધીની રહેશે. ૧૦થી ૨૦ સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે. 

કવરેજ : ૪-G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, ૫-જીના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.

4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા ૧૦ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને ૪કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.

June 10, 2022
rajya_sabha.jpg
1min437

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
mask_in_flights.jpg
1min479

એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે. 

તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.

ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. 

કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min500

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

June 2, 2022
soniya.jpg
1min497

દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ પોતે આઈસોલેશન થયા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેઓને હળવો તાવ અને કેટલાક અન્ય લક્ષણો છે. તેથી તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.  હાલમાં તે આઈસોલેશનમાં છે પરંતુ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજરી આપવામાં કોઈ અસર નહી પડશે. 

તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીને 8મી જૂનના રોજ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજર થવાના હતા. તેમની સાથે તેમના પુત્ર અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને પણ હાજર કરવામાં આવશે. તેમણે (રાહુલ)ને ગુરૂવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ હાલમાં દેશમાં નથી. આવી સ્થિતિમાં તેણે તપાસ એજન્સીને વિનંતી કરી છે કે, તેમને 5 જૂન બાદ કોઈપણ દિવસે હાજર થવાની તારીખ આપવામાં આવે.

June 1, 2022
kk.jpg
1min551

કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. 

ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેઓ કોલકાતાના નજરૂલ મંચ પર ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. 

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે. 

કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

June 1, 2022
rain_forecast.png
1min471

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.

ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન  વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.

દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.

May 31, 2022
satyendra_jain.jpg
1min584

Enforcement Directorateએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસ મામલે તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં Enforcement Directorateએ મોટી કાર્યવાહી કરતા મની લૉન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને અટેચ કરી હતી. જૈનના નજીકના લોકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો જેની પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ તપાસ ચાલી રહી હતી. અહીં નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, વીજળી, ગૃહ, પીડબ્લ્યુડી, ઉદ્યોગ, શહેર વિકાસ, સિંચાઈ અને જળમંત્રી છે.

લગભગ 4.81 કરોડ રૂપિયાના મૂલ્યની અચળ સંપત્તિઓ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈંડો મેટલ ઈંપેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પર્યાસ ઈંફોસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલયાતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જેજે આઈડિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ, વૈભવ જૈનના પત્ની સ્વાતિ જૈન, અજીત પ્રસાદ જૈનના પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનના પત્ની ઈન્દુ જૈન સંબંધિત છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી એક ખોટો કેસ ચલાવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ED તેઓને ઘણી વખત બોલાવી ચૂકી છે. વચ્ચે ઘણાં વર્ષો EDએ તેઓને બોલાવાનું બંધ કરી દીધું હતું કારણકે તેઓને કશું મળ્યું નહોતું. હવે ફરી શરૂ કર્યું છે કારણકે સત્યેન્દ્ર જૈન હિમાચલ ઈલેક્શનના ઈન્ચાર્જ છે. સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે હિમાચલમાં બીજેપી હારી રહી છે. માટે સત્યેન્દ્ર જૈનની આજે ધરપકડ કરવામાં આવી છે કે જેથી તેઓ હિમાચલ ના જઈ શકે. જૈન થોડા દિવસોમાં છુટી જશે કારણકે કેસ એકદમ ખોટો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે.