ઇન્ડીયા Archives - Page 42 of 215 - CIA Live

July 13, 2022
Free-vaccinee-1280x720.jpg
1min553

કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તા.13મી જુલાઇ 2022ના રોજ દિલ્હી ખાતેથી એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

ફુલ્લી વેક્સીનેટેડ એટલે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના 6 મહિના પછી જ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઓછું થવા લાગે છે. ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધી ગયો ચે. જેથી બૂસ્ટર ડોઝ જરૂરી હોય છે. પરંતુ આ ખતરા છતાં લોકો બૂસ્ટર ડોઝ નહોંતા લઈ રહ્યા, જેનું મોટું કારણ કદાચ એ હતું કે, મોટાભાગના રાજ્યોમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. હવે સરકારે બૂસ્ટર ડોઝને મફત કરવા ઉપરાંત તેના માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

અહેવાલો મુજબ, હાલમાં 18થી 59 વર્ષના 77 કરોડ પાત્ર લોકોમાંથી એક ટકા કરતા પણ ઓછાને બૂસ્ટર ડોઝ અપાયો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ હરોળના કર્મીઓમાંથી લગભગ 26 ટકા લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે બધા માટે કોરોનાની રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડી 6 મહિના કરી દેવાયું હતું. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પછી આવું કરવામાં આવ્યું હતું.

July 12, 2022
cia_edu-1280x925.jpg
1min788

દેશભરમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સની કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ ) યુજી-અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એડમિટ કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ લઇને તેની દરેક ડિટેલ ચેક કરી લેવી હિતાવહ છે.

નીટ યુજી પરીક્ષા આગામી તા.17મી જુલાઇએ દેશભરમાં 497 શહેરોમાં પેન એન્ડ પેપર બેઝ (ઓફલાઇન) યોજાઇ રહી છે.

ગુજરાતમાંથી અંદાજે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા ગુજરાત સહિતના તમામ બોર્ડના મળીને 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે.

July 11, 2022
1min517

ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે 11 જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે 79.43 પર પહોંચ્યો છે.

ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજારમાં આજે મંદીના કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં 1 વાગ્યે શુક્રવારના બંધ ભાવ 79.25ની સરખામણીએ 79.43 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.3750ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.

વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેકસ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે. 

ગત સપ્તાહે 100 ડોલરની નીચે સર્કયા બાદ આજે ફરી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.63 ટકા ઘટીને 106.35 ડોલર પ્રતિ બેરલ થયું હતું.

July 7, 2022
pt_usha.jpg
1min417

દેશની મહાન એથ્લીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. પીટી ઉષાની સાથે ફિલ્મ કમ્પોઝર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને આ જાણકારી આપી હતી. 

પીએમ મોદીએ પીટી ઉષા અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે પીટી ઉષા રમતગમતની સિદ્ધિઓ માટે જાણીતી છે. ફક્ત એટલું જ નહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવોદિત એથ્લીટોનું માર્ગદર્શન કરવાનું શાનદાર કામ કર્યુ છે. 

ઇલૈયારાજા અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે તેમણે દરેક પેઢીના લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની રચનાઓ અનેક પ્રકારની ભાવનાઓની સુંદરતા દર્શાવે છે. તે એક વિનમ્ર પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે સામુદાયિક સેવામાં આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા, આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે નિશ્ચિત રીતે સંસદીય કાર્યવાહીને વધારે સમૃદ્ધ બનાવશે. 

આ ત્રણેય ઉપરાંત વી વિજયેન્દ્રપ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ દર્શાવે છે અને તે વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 

July 6, 2022
supremecourt.jpg
1min419

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો અને સૈન્ય અધિકારીઓના એક જૂથે ભાજપમાંથી હાંકી કઢાયેલાં પ્રવક્તા નુપુર શર્માની સુપ્રીમ કોર્ટના જજોએ કરેલી આકરી ટીપ્પણીને ‘લક્ષ્મણ રેખા’ ઓળંગવા સમાન ગણાવી હતી અને આ ટીપ્પણીઓએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ન્યાયિક વ્યવસ્થા પર દૂર ન થઈ શકે તેવો ડાઘ પાડયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જૂથે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને આ સંદર્ભમાં ખુલ્લો પત્ર લખીને આ ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે અપીલ પણ કરી હતી.

નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીઓ અંગે અનેક રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સાથે જોડવા સંબંધી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે શર્માએ મોહમ્મદ પયગંબર અંગે કરેલી ટીપ્પણી સસ્તો પ્રચાર અથવા કોઈ રાજકીય એજન્ડા હેઠળ અથવા કોઈ ધૃણાસ્પદ પ્રવૃત્તિ હેઠળ કરાઈ હતી. જોકે, હવે નુપુર શર્માના સમર્થનમાં ૧૫ ભૂતપૂર્વ જજ, ૭૭ પૂર્વ અમલદારો અને ૨૫ પૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત ૧૧૭ હસ્તીઓએ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટીપ્પણીએ લક્ષ્મણ રેખા ઓળંગવાનું કામ કર્યું છે. અમે જાગૃત નાગરિક તરીકે માનીએ છીએ કે દેશનું લોકતંત્ર ત્યારે જ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે જ્યારે દેશની બધી સંસ્થાઓ બંધારણના દાયરામાં રહીને કામ કરે. પત્રમાં ન્યાયાધીશ સૂર્યકાંતને સેવાનિવૃત્ત થવા સુધી સુપ્રીમ કોર્ટના રોસ્ટરથી હટાવવા અને નુપુર શર્મા કેસની સુનાવણી વખતે કરાયેલી ટીપ્પણીઓ પાછી ખેંચવા માગણી કરાઈ છે.

પત્રમાં કહેવાયું છે કે જે દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ કરાઈ છે, તે ભારતની ન્યાયિક વ્યવસ્થા પર અમિટ ડાઘ સમાન છે. ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓનું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. એટલું જ નહીં તેની લોકતંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર જોવા મળી શકે છે.

પત્રમાં કહેવાયું છે કે, દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છિત ટીપ્પણીઓથી દેશ અને દુનિયામાં અનેક લોકોને આંચકો લાગ્યો છે. નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવા વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમની ટીપ્પણીઓને ન્યાયિક રૂપે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી અને સુપ્રીમના જજોએ ન્યાય વ્યવસ્થાના બધા જ સિદ્ધાંતોનો અસાધારણ રીતે ભંગ કર્યો છે. નુપુરને ન્યાયવ્યવસ્થા સુધી પહોંચવાથી વંચિત કરી દેવી એ ભારતના બંધારણની પ્રસ્તાવના, ભાવના અને સારનો ભંગ છે. આ ટીપ્પણીઓએ ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી નૃશંસ હત્યાને અપ્રત્યક્ષ રીતે છૂટ આપી છે.

પત્રમાં કહેવાયું છે કે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી એફઆઈઆરને એકસાથે જોડવા અને તેની એક સાથે સુનાવણી કરવાની અરજી કરવી એ કોઈપણ નાગરિકનો કાયદકાયી અધિકાર છે. એક ગૂનાની અનેક જગ્યાએ અનેક વખત સજા હોઈ શકે નહીં. સુપ્રીમે કોઈ કારણ વિના જ અરજી સાંભળવાનો ઈનકાર કરી દીધો અને જે ટીપ્પણીઓ કરાઈ તે અરજીના સંદર્ભમાં અર્થહીન હતી. 

આ પત્રમાં ૧૧ મુદ્દાઓ પર કોર્ટની ટીપ્પણીઓની ટીકા કરાઈ છે. આ ટીપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાંતો મુજબ હતી તો આદેશમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો સવાલ કરાયો હતો. આદેશ મુજબ તો લાગે છે કે નુપુર શર્માને ન્યાયિક રાહત મેળવવાના અધિકારનો ઈનકાર કરી દેવાયો છે. કોર્ટે ટ્રાયલ પુરી થયા પહેલા જ ચૂકાદો સંભળાવી દીધો કે નુપુર દોષિત છે. 

સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીઓ પર ખુલ્લો પત્ર લખનારા પૂર્વ જજોમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એસ. એમ. સોની, રાજસ્થાન હાઈકોર્ટના જજ આર.એસ. રાઠોર અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એન. ઢિંગરા પણ પત્ર લખનારા જજોમાં સામેલ છે.

June 24, 2022
agniveer.jpg
1min684

ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે 24 જૂન 2022થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ 24 જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.

19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી. 

– 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જોગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ 2022 માટે ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.

– સાડા ​​સત્તર વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી 25 ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.

– પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે. આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના 25 ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરને 30 દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર નિર્ભર કરશે. 

– અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.

– આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય 25 જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ 21 નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. 

– લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી.

– લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.

June 22, 2022
rahul_ed.jpg
1min460

નેશનલ હેરાલ્ડ કેસમાં Dated 21/6/22, પાંચમીવાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી અને સેનામાં ભર્તી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે 21/6/22, કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન જારી રાખતા આજે કૂચ કાઢી હતી. જેમાં અનેક નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

ચાર દિવસમાં 40 કલાકની પૂછપરછનો સામનો કરી ચૂકેલા રાહુલ ગાંધી આજે 21/6/22, સવારે 11.1પ કલાકના સુમારે પાંચમા દિવસની પૂછપરછ માટે ઈડીનાં વડામથકે પહોંચી ગયા હતા. રાહુલની પૂછપરછ શરૂ થઈ ત્યારથી કોંગ્રેસે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા આજે પણ તપાસ એજન્સીનાં કાર્યાલય આસપાસ પોલીસ અને અર્ધસૈન્ય દળના જવાનોની ભારે તૈનાતી રાખવામાં આવી હતી અને 144 જેવા પ્રતિબંધાત્મક આદેશ પણ આપવામાં આવ્યા હતા.

રાહુલની પૂછપરછ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે, આ કાર્યવાહી માત્રને માત્ર પક્ષનાં પૂર્વ અધ્યક્ષને નીચા દેખાડવા માટે કરવામાં આવી રહી છે, કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં કંઈપણ બંધારણીય કે કાનૂની નથી. આજે સત્યાગ્રહ કૂચ પહેલા કોંગ્રેસે એવો દાવો પણ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે પક્ષનાં વડામથક સામે જ રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દીધી હતી.

આજે 21/6/22 કૂચ પહેલા કોંગ્રેસનાં વડામથકનાં પરિસરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ, સાંસદો એકત્રિત થયા હતા. તેમણે રાહુલ સામે કાર્યવાહી ઉપરાંત અગ્નિપથ યોજનાનો વિરોધ પણ કર્યો હતો.

ગહેલોતે કહ્યું હતું કે, કોંગ્રેસનાં નેતૃત્વ સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. આખો દેશ બધું જોઈ રહ્યો છે. આવું જ ઇન્દિરા ગાંધીનાં સમયમાં થયું હતું. આખા દેશને જાણ છે કે, રાહુલ એકમાત્ર એવા નેતા છે જે મોદીનો મુકાબલો કરી શકે છે. કોંગ્રેસનાં મુખ્યાલયેથી નેતાઓ, સાંસદો અને સમર્થકોએ કૂચ કાઢી હતી. જો કે પોલીસે તેને અટકાવી દીધી હતી.

June 22, 2022
draupadi_murmu.jpg
1min508

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.

June 20, 2022
rajnath.jpg
2min386

કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

– વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

June 20, 2022
ausi-flood8.jpg
1min496

આસામમાં ભીષણ વરસાદનાં કારણે નદીઓ ઉફાણ ઉપર છે અને પૂરનાં કારણે પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 4296 ગામમાં 30,99,762 લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાથી અત્યારસુધીમાં 62 લોકો પૂર અને ભૂસ્ખલનનાં કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે 66455.82 હેક્ટરથી વધારે ખેતીની જમીન પૂરના કારણે પ્રભાવિત થઈ છે.

પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 514 રાહત શિબિર અને 302 રાહત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ રાહત શિબિરમાં 1,56,365 લોકોએ શરણ લીધી છે જ્યારે પાડોશી રાજ્ય મેઘાલયમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં શનિવારના સતત વરસાદનાં કારણે જાનમાલને ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્રિપુરામાં સરકારે બચાવ અને રાહત કાર્યોને તેજ બનાવવા એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા દળની સહાયતા માટે આસામ રાઇફલ્સના જવાનોને જવાબદારી સોંપી છે. અગરતલામાં સેંકડો લોકેએ શરણ લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી અને કેન્દ્રની દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, આસામના હોઝઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જઈ રહેલી એક હોડી પલટી હતી અને ત્રણ બાળક લાપતા થયાં છે જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, તેઓએ આસામના મુખ્યમંત્રી સાથે પૂરને લઈને વાતચીત કરી છે અને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. તેઓ પૂર પ્રભાવિત આસામના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને બચાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સેના સહાયતા આપવા માટે તૈયાર છે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પણ પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે.