
રાજ્ય સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિને રૂ. 8,000થી 10,000ની રકમ જાહેર થવાની શક્યતા છે. આ સ્કીમ અંતર્ગત પત્રકાર, ફોટોગ્રાફર, એડિટર અને ફ્રી લાન્સર પત્રકારોને ફાયદો મળશે. આ પત્રકારો પાસે ઓછામાં ઓછું દસ વર્ષ માટે અધિસ્વીકૃતિ પત્ર હોવું જોઈએ અને તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પત્રકારિતા હોવી જોઈએ. આ સાથે એવી શરત પણ રાખવામાં આવી છે કે અરજદાર કરવેરો ભરતો હોવો જોઈએ નહીં. એટલે કે તેની આવક કરવેરાની આવકમર્યાદા કરતા ઓછી હોવી જોઈએ. આ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અધિસ્વીકૃતિ પત્ર ન ધરાવતા પત્રકારોને પેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા લેવામાં આવશે. આ સાથે મહાત્મા જ્યોતિબાઈ ફૂલે આરોગ્ય યોજના અંતર્ગત પણ પત્રકારોને સમાવવાનો નિર્ણય સરકારે લીધો હતો.
ગુજરાતમાં પત્રકારો માટેની સ્કીમોથી પત્રકારો જ અજાણ
ગુજરાતમાં પણ પત્રકારો માટે અનેક કલ્યાણકારી સ્કીમ્સ રાજ્ય સરકારે વખતો વખત અમલમાં મૂકી હોવાનું જાણવા મળે છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે આ કલ્યાણકારી યોજનાઓ જેના માટે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી પત્રકારો જ અજાણ છે. પ્રેસ એક્રેડીટેશન કાર્ડની સ્કીમથી પત્રકારો વાકેફ છે પરંતુ, આ કાર્ડથી તેમને કઇ કઇ સુવિધાઓ મળે છે અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેનાથી પત્રકારોને અવગત કરવામાં આવતા નથી.
એસ.ટી.માં વિનામૂલ્યે મુસાફરી પણ કન્ડક્ટરો જ અજાણ
ગુજરાતમાં પ્રેસ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે પરંતુ, જ્યારે પત્રકારો બસમાં મુસાફરી કરવા બેસે છે ત્યારે જે તે બસ કન્ડક્ટરો આવી કોઇ યોજના ન હોવાનું જણાવીને જાહેરમાં અપમાનિત કરે છે, આમેય પત્રકારોની છાપ કેટલાક લોકોને કારણે ખરાબ થઇ હોય બસના અન્ય મુસાફરોમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કન્ડક્ટરનું વર્તન હોવાને કારણે પત્રકારો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.