ગુજરાતના સૌરાષ્ટ્રના ખંભાળીયામાં શનિવારથી શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે રવિવારે તો ફક્ત 2 કલાકમાં જ 12 ઇંચ પાણી નાંખી દેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જવા પામી છે. રાજ્ય સરકારે એન.ડી.આર.એફ.ની ટીમોને ખંભાળીયા, દ્વારકામાં ઉતારીને બચાવ રાહતની કામગીરી હાથ ધરી છે.
ખંભાળિયામાં રવિવાર તા.5 જુલાઇના રોજ આભ ફાટવા જેવી સ્થિતિમાં થયેલા ઝીકાયેલા ભારે વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. આવામાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકામાં ઘણાં ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવામાં ભારે વરસાદની સ્થિતિમાં જીવનું જોખમ ઉભું થાય તે પહેલાથી લોકોની મદદ માટે NDRFના જવાનો તૈનાત કરાયા છે.
આ સાથે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેના કારણે ઘણી ટીમોને સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને પોરબંદરમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી જો આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો આ ટીમો મદદમાં જોડાઈ શકે છે. આ ટીમમાં 21 સભ્યો છે. આ ટીમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ગુજરાત પોહોંચી છે. ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ છે જે આપત્તિના સમયમાં લોકોની મદદ કરવામાં મહત્વની સાબિત થતી હોય છે.
ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી એકવાર 24,000ને પાર કરી ગયો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24,248 નવા કેસ નોંધાયા હતા અને 425 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 6,97,413 કેસ નોંધાયા છે. જેમાંથી 2,53,287 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,433 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 19,693 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,555 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. જ્યારે 3,658 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,06,619 થઈ ગયો છે. તેમાંથી 86,057 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 8,822 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,11,740 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 486 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36,123 થઈ ગયો છે. જેમાંથી 8,202 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,945 લોકોના મોત થયા છે અને 25,902 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 5 જુલાઈ સુધીમાં કોરોનાના 99,69,662 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 1,80,596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના પશ્ર્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતી યુવા પીએસઆઇ શ્ર્વેતા જાડેજા બળાત્કારના આરોપી પાસેથી રૂ. ૨૦ લાખનો તોડ કરવા મામલે પોલીસે રિમાન્ડ પર લીધી છે.
જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી ૨૦થી ૩૫ લાખનો તોડ કરનાર મહિલા પીએસઆઇ શ્ર્વેતા જાડેજાને એડિ.સેશન્સ જજ એ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીની હાજરીમાં પોલીસ તપાસ થઇ શકે તેમ છે.
મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઇ શ્ર્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂ.૨૦ લાખની માગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડિયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્ર્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સ એપ ચેટિંગના સ્ક્રીન શોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમ જ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે. આ આખા કેસની વિગત એવી છે કે, પીએસઆઇ શ્ર્વેતા હમીરભાઈ જાડેજાના પોરબંદરના નાના એવા ગામમાંથી આવતી ૨૫ વર્ષીય શ્ર્વેતા જાડેજા અમદાવાદમાં આવીને રાતોરાત રૂપિયા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂપિયાના આ ખેલમાં તેની સાથે તેના કથિત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. શ્ર્વેતા જાડેજા ૨૦૧૮ના સેટેલાઇટના કથિત ગેંગરેપ પ્રકરણમાં સોશિયલ મીડિયા ચેટ શોધવાની મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂકી છે, પરંતુ ઘણા સમયથી રૂપિયાના ખેલમાં તેના પર અલગ અલગ એજન્સી નજર રાખી રહી હતી. શ્ર્વેતા વર્ષ ૨૦૧૭ની બેચમાં પીએસઆઇ બની અને ત્યાર બાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં ૨૦૧૮માં સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં પણ શ્ર્વેતા જાડેજાને મહત્ત્વની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીને શ્ર્વેતા જાડેજા દ્વારા તોડ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા હતી. તપાસ એજન્સી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
તારીખ 5 જુલાઇને રવિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખ્યા વધીને ૧૯,૨૬૮ થઇ છે. દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે.
ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંચો હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જાહેર કરી હતી. આ સાથે એમણે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.
આ સાથે હાલ કોરોનાના સક્રિય દરદીની સંખ્યા રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની માહિતી જાણવા મળી હતી.
પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૪,૮૫૬ દરદી સાજા થયા હતા.
જે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓ સાજા થવાનો દર ઊંચો છે, એમાં
ચંડીગઢ (૮૫.૯ ટકા),
લદ્દાખ (૮૨.૨ ટકા),
ઉત્તરાખંડ (૮૦.૯ ટકા),
છત્તીસગઢ (૮૦.૬ ટકા),
રાજસ્થાન (૮૦.૧ ટકા),
મિઝોરમ (૭૯.૩ ટકા),
ત્રિપુરા (૭૭.૭ ટકા),
મધ્ય પ્રદેશ (૭૬.૯ ટકા),
ઝારખંડ (૭૪.૩ ટકા),
બિહાર (૭૪.૨ ટકા),
હરીયાણા (૭૪.૧ ટકા),
ગુજરાત (૭૧.૯ ટકા),
પંજાબ (૭૦.૫ ટકા),
દિલ્હી (૭૦.૨ ટકા),
મેઘાલય (૬૯.૪ ટકા),
ઓડિસા (૬૯ ટકા),
ઉત્તર પ્રદેશ (૬૮.૪ ટકા),
હિમાચલ પ્રદેશ (૬૭.૩ ટકા),
પશ્ર્ચિમ બંગાળ (૬૬.૭ ટકા),
આસામ તથા જમ્મુ અને કાશ્મીર(૬૨.૪ ટકા)નો સમાવેશ થાય છે.
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.
મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર
ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.
ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.
ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૮૪૮૧ ટેસ્ટ થકી નવા વિક્રમી ૭૧૨ પોઝિટિવ દર્દીઓને શોધવામાં સફળતા મળી હોવાનો રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે અલબત્ત, સારવાર હેઠળ રહેલા ૨૧ દર્દીઓએ જાન ગુમાવ્યો છે.
આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. પરંતુ હકીકત એ છે Fકે જિલ્લાઓ, તાલુકાઓમાં નોંધાતા કેસને ગાંધીનગરના સરકારી ચોપડે ઉમેરવામાં ‘કન્ટ્રોલ્ડ’ પ્રોસીઝર અપનાવાય છે. આને કારણે સુરતમાં રોજેરોજ નોંધાતા કેસ અને મૃત્યુના સ્થાનિક આંકડા તેમજ આરોગ્ય વિભાગના બુલેટીનમાં ઘણો ફેર રહે છે એમ છતાં શનિવારે સુરતે અત્યાર સુધીનો સૌથી વધારે કેસનો વિક્રમ સર્જ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧ કેસ અને ચાર દર્દીના મૃત્યુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવન કેસ જાહેર કરાયા છે. આમ, સુરતનો કુલ કેસનો આંક ૨૫૩ રહ્યો છે. આજ રીતે અમદાવાદ શહેરમાં બે મહિના પછી પોઝિટિવ દર્દીનો આંક ૧૬૫ સુધી સીમિત રહ્યો છે. જ્યારે ગ્રામ્યનો આંક ૭ કેસનો રહ્યો છે. આમ, કુલ કેસ ૧૭૨ થાય છે અને મહાનગરમાંથી સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
સુરતની જેમ સૌથી મોટો આંક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ કેસ મહાનગરના અને ૩૬ કેસ જિલ્લાના નોંધાયા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કેસને અન્યથા લઇ ધીમે ધીમે સરકારી ચોપડે દર્શાવાતા હોવાની ચર્ચા લોકમુખે શરૂ થઇ છે એની પાછળનું કારણ પાંચ દર્દીઓના એક જ દિવસે થયેલા મૃત્યુ છે. આ મૃત્યુને ત્રીજા દિવસે જાહેર કરાયા છે આજે રાજકોટ મહાનગરમાં ચાર દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. આ વાસ્તવમાં ત્રણ દિવસ પૂર્વે જાહેર થયા હતા.
આ જ પ્રમાણે, અન્ય મહાનગરો, જિલ્લાઓમાં પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે જૂનાગઢમાં આઠ કેસ બપોર સુધીમાં જાહેર થયેલા હતા. આ પછી સાંજે વધુ ૨૫ કેસ જાહેર થયા હતા. પરંતુ આજેય સરકારી ચોપડે ૧૦ કેસ જ જાહેર થયા છે. એમાં નવ કેસ મહાનગરના અને એક કેસ ગ્રામ્યનો છે. આવું જ અન્ય જિલ્લાઓમાં જાહેર થતાં પોઝિટિવ કેસ અને રાજ્ય સરકારના ચોપડે દર્શાવાઇ રહ્યું છે.
Gujarat on 4/7 : 689 કેસ : CM-DyCM સુરતમાં
રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 689 દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે વધુ 18 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 204-204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના લીધે 10 અને સુરતમાં 5 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. રાજ્યમાં હાલમાં અઢી લાખ કરતા વધુ લોકો કોરેન્ટાઇન કરવામાં આવેલા છે.
રાજ્યમાં 3 July 2020 કોરોનાના નવા 687 દર્દી નોંધાયા છે અને 340 સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 395873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા નવા 687 કેસોનો નવો વિક્રમ છે. રોજેરોજ કેસોનો આંકડો નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
3 July 2020 નોંધાયેલા નવા 687 કેસો પર નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 195 કેસ અને જિલ્લામાં 9 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 190 કેસ અને જિલ્લામાં 14 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત પછી વડોદરા કોર્પોરેશનમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ મળી કુલ 62 કેસ થયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 26 કેસ, ખેડામાં 14, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, પંચમહાલમાં 13, જામનગરમાં 13, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા છે તો વધુ 563 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 થયો છે.
રાજ્યમાં 2 July તારીખે કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 જેમાથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 7442 સ્ટેબલ દર્દીઓ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 24601 લોકોને ડીસ્ચાર્જ અને 1888 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
2 July : સતત પાંચમા દિવસે કોરોનાના 600+ Cases, કુલ 33318
અનલોક-2 પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે. મહામારીના સમયમાં ભારતમાં સતત 8 દિવસથી રોજ 15000 ઉપર કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં સતત પાંચમા દિવસે 600થી વધુ એટલે કે 675 કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33318 પણ થઈ છે.
રાજ્યમાં 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે તો વધુ 368 દર્દીઓ પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7411 થયો છે અને 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7348 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 3290 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા અને અમરેલીમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અરવલ્લી અને બનાસકાંઠામાં 1-1, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને ભરુચમાં 1-1 તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં પણ 1-1 એમ કુલ 21 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 1869 થયો છે.
ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.
અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.
ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.
વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.
અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.
આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.
ગુજરાતમાં સતત બીજા દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીની ગડગડાટી સાથે જોરદાર ઝાપટાં પડ્યાં હતા જેમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયાં હતા. બોટાદમાં ૫ વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્ર મળીને પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક પાંચ વર્ષની બાળકી અને ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા હતા. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું. જ્યારે બોટાદમાં ઘનશ્યામભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી ચૌહાણ (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા હતા. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૪ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા નવ દિવસથી એટીએસની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ ૫૪ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે.
એટીએસની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવોલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.