
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.
મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’
ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.












