CIA ALERT

ગુજરાત Archives - Page 53 of 155 - CIA Live

October 11, 2020
Morari_Bapu.jpg
1min6780

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.

મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’

ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.

October 9, 2020
jalarambapa.jpg
1min4970

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

October 9, 2020
corona_testing1.jpg
1min4730

રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે.

રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને આરટી-પીસીઆર ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.

October 8, 2020
government_gujarat_gandhinagar.jpg
1min4980

ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.

ફળદુએ  જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.

આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

October 7, 2020
gujarat_map-1280x1023.png
1min4300

ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.

પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min6010

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

October 4, 2020
guj.jpg
1min4540

ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.

ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેબસાઈટ પર ઓફિશિયલ અંગ્રેજી ભાષામાં ચુકાદા અને ઓર્ડર મૂકવામાં આવશે. હાઇ કોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.

ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.

September 30, 2020
fee.jpg
1min5680

શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.

રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

September 30, 2020
breaking_CIA-1280x831.jpg
1min10020

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્ચ 2020 કોવીડ-19 પેન્ડેમિક પછી ગુજરાતમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સુરત નજીક તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ડોસવાડા ખાતે સ્થાપવા માટે દેશની જાણિતી કંપની વેદાંતા રિસોર્સિસએ ચક્રો ગતિમાન કરી દીધા છે. વેદાંતા રિસોર્સિસનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ હશે જે સુરત નજીક તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનગઢ ડોસવાડા ખાતે આવી રહેલા આ પ્રોજેક્ટને કારણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે.

મળતી માહિતી મુજબ સોનગઢ નજીક ડોસવાડા ખાતે કુલ રૂ.4700 કરોડનો સ્મેલ્ટર પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં વેદાંતા રિસોર્સિસના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વેદાંતા લિ.ની સબસિડ્યરી કંપની વેદાંતા રિસોર્સિસના નેજા હેઠળ આ પ્રપોઝ્ડ પ્રોજેક્ટ ઝીંક લેડ સિલ્વર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે. કંપનીના ફાઉન્ડર ચેરમેન અનિલ અગ્રવાલ રાજ્ય સરકાર સાથે થોડા દિવસોમાં જ એમ.ઓ.યુ. સાઇન કરશે.

સોનગઢ નજીક ડોસવાડા ખાતે 415 એકરની જમીન પણ પ્રોજેક્ટ સાઇટ માટે ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા રિસોર્સસ સોનગઢ ડોસવાડા ખાતે 24 મહિનામાં જ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

September 30, 2020
voting.jpg
1min6590

કેન્દ્રિય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ,  મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના મતે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Don't delay Gujarat bypolls: BJP, Congress to ECI | Ahmedabad News - Times  of India

ગુજરાતની આઠ અને મધ્ય પ્રદેશની 16 બેઠક મળીને દેશના વિવિધ રાજ્યોમાં 56 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક માટે પણ ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 54 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના મતદાન હાથ ધરાશે. જ્યારે બિહારમાં એક લોકસભા બેઠક અને મણિપુરમાં 2 વિધાનસભા બેઠક ઉપર 7 નવેમ્બરના પેટાચૂંટણી યોજાશે. તમામ પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચની સમિતિ આ સાથે એક અલગ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત સાત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી રાજ્યોની વિનંતીને પગલે હાલના તબક્કે નહીં યોજવામાં આવે.