CIA ALERT

ગુજરાત Archives - Page 41 of 158 - CIA Live

May 3, 2021
guj_corona.jpg
1min415

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.

May 3, 2021
GSPC.jpg
1min409

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 1, 2021
bharuch_welfare.jpg
1min492

ભરૂચ શહેરમાં આવેલી કોવીડ ડેઝિગ્નેટેડ વેલફેર હોસ્પિટલના ICU માં તા.30 એપ્રિલને શુક્રવારની મધરાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા 12 દર્દીઓ સમેત કુલ 18 લોકોના મોત નિપજ્યા હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું.

વેલફેર હોસ્પિટલ ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી સ્થિત છે. વેલફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. આ કારણથી ભરૂચના કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. તા.30 એફ્રિલની મધરાતે હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU -1 માં અચાનક આગ લાગતા 18 જેટલા દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા.

હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 જેટલા દર્દીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 25 થી વધુ એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનોઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગયા હતા.

April 30, 2021
home_isolation.jpg
1min600

કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં હોમ આઇસોલેશનમાં રહેલા સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને રેમડેસિવિયર ઇન્જેક્શન ખરીદવા કે લગાવવાના પ્રયત્નથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિયર માત્ર દવાખાનોમાં જ લગાવવામાં આવશે.

આ સિવાય નવી ગાઇડલાઇન મુજબ સામાન્ય લક્ષણોાવાળા દર્દીઓને સ્ટિરોઇડ ન આપવું જોઇએ અને સાત દિવસ પછી લક્ષણો જોવા મળે તો સારવાર માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઓરલ સ્ટિરોઇડ લેવું જોઇએ.નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 60 વર્ષથી વધુ વયના રોગી કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ફેફસાં કે લીવરની બીમારીઓથી પીડિત લોકોએ તબીબની સલાહ લીધા પછી જે હોમ આઇસોલેશનમાં જવુ જોઇએ. જ્યારે ઓક્સિજન લેવલમાં ઘટાડો કે શ્વાસ લેવામાં તકલીપ પડે ત્યારે જે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ અને તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય દર્દી દિવસ દરમિયાન ગરમ પાણના કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વાર નાસ લઇ શકે છે.

તાવ જેવુ લક્ષણ પેરાસીટામોલ 650 mg દિવસમાં ચાર વાર લેવાથી પણ કાબૂમાં નથી આવતું તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ. અન્ય દવાઓમાં દિવસમાં બે વાર નેપ્રોક્સેન 250 mg લેવાની સલાહ આપે છે.

દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનને લઇને ઉભા થયેલા પડકારો સામે કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, રેમડેસિવિયર ઇન્જેક્શન કે અન્ય સારવાર થેરાપી તબીબની સલાહ પર જ હોસ્પિટલની અંદર જ થવી જોઇએ. કેન્દ્રનું ગાઇડલાઇન દ્વારા કહેવુ છે કે ઘરમાં રેમડેસિવિયર ખરીદવા કે લગાવવાની જરુર નથી.

April 30, 2021
indiavseng.jpg
1min963

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટોડિયાને આઇબી કર્મીએ સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘુસાડ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટોડિયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખસોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી ત્યારે અમદાવાદના આઇબીના પીએસઆઇ સહિત એક શખસની સંડોવણી બહાર આવી છે.

અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી ટી-૨૦ મેચમાં જીસીએ અને પોલીસની મોટી બેદરકારી સામે આવી હતી. બે સટોડિયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા હતા. પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં હરિયાણાના બે સટોડિયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને ટી ૨૦ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં. તપાસ કરતાં બંનેએ અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

આરોપીઓએ એક સપ્લાયર કંપનીના મજૂરના પાસ મેળવી તેમાં તેમના ફોટો ચોંટાડી તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હરિયાણાના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ હોવાનું જાણવા મળ્યું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.

બંને આરોપીઓની પૂછપરછમાં આઇબીના પીએસઆઇ અને ગોતાના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. સરકારી બોલેરામાં બેસાડી સટોડિયાઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ બે વખત સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો.

April 30, 2021
guj_corona.jpg
1min566

ગુજરાતમાં બુધવારે મોડી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોનાનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્ત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજ્યનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે. બીજી તરફ વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી તેમાં હાઈ કોર્ટની ઝાટકણી પછી કોર્પોરેશને બુધવારે જાહેર કર્યું હતું કે કોઈપણ વાહનમાં પહોંચેલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે પરંતુ તે માટે દર્દી તરફથી કોઈએ હોસ્પિટલના ગેટ પર મળતા ફોર્મ ભરી તેની સાથે આરટીપીસીઆર રિપોર્ટની નકલ જોડવાની રહેશે જે બાદ હોસ્પિટલમાં જે પ્રમાણે બેડ ખાલી થશે તે મુજબ તંત્ર તરફથી દર્દીનો સંપર્ક સાધીને તેમને દાખલ કરવામાં આવશે.

April 28, 2021
rupani-1280x789.jpg
1min399

કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરી અસંતોષજનક હોવાનું હાઈ કૉર્ટે મંગળવારે કહ્યું હતું.

કોરોનાની મહામારી સામે લડવા લૉકડાઉન ઉકેલ નથી એમ જણાવી કૉર્ટે લૉકડાઉન લાગુ ન કરવાની ગુજરાત સરકારને સલાહ આપી હતી. કોરોનાની પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ જ ડૉક્ટરો દરદીઓ પાસે હાજર ન થતા હોવાને કારણે હૉસ્પિટલની બહાર દરદીઓનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાની બાબતની પણ કૉર્ટે નોંધ લીધી હતી.

માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા દરદીઓને જ નહીં, પરંતુ અન્ય વાહનોમાં આવતા કોરોનાના દરદીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપવા હાઈ કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી. ડી. કારિયાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે અમે એમ નથી કહી રહ્યા કે સરકાર કે અમદાવાદ મહાનગરપાલિકા કશું જ નથી કરી રહી, પરંતુ જે રીતે પરિસ્થિતિને હાથ ધરવામાં આવી રહી છે તે સંતોષજનક, પારદર્શક નથી અને તેથી જ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

કોરોનાને કારણે ગુજરાતમાં નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને સૂઓમોટો હાથ ધરતાં ખંડપીઠે ઉપરોક્ નીરિક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં છેલ્લાં થોડાંક અઠવાડયાથી કોરોનાના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે.

જો તમારી પાસે વધુ વ્યવહારુ, વિચારશીલ અને અર્થપૂર્ણ યંત્રણા હોત તો પરિસ્થિતિ કંઈ જુદી જ હોત. આ કટોકટી આટલી ઘેરી ન હોત, એમ ખંડપીઠે કહ્યું હતું.

ડૉક્ટરોની અનુપસ્થિતિને કારણે હૉસ્પિટલની બહાર જે રીતે લોકોનાં કસમયે મૃત્યુ થઈ રહ્યા છે તે ન થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

અમદાવાદમાં માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા કોરોનાના દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ખાનગી વાહનોમાં આવતા કોરોનાના દરદીઓની અવગણના કરવામાં આવતા હોવા અંગે કૉર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.

૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ન આવતા દરદીઓને હૉસ્પિટલમાં સારવાર આપવાનું ડૉક્ટરો ન નકારી શકે અને દરદીઓને મરવા ન દઈ શકે, એમ કૉર્ટે કહ્યું હતું.

કોરોનાનો દરદી ક્યા વાહનમાં આવે છે એ બાબતને અવગણીને દરેક દરદી પર ધ્યાન આપી તેમને સારવાર આપવામાં આવવી જોઈએ, એમ કૉર્ટે કહ્યું હતું.

કોરોનાના દરદીને રેમડેસિવિર ઈન્જેક્શનનો ડૉઝ મળી રહે તેની ખાતરી કરવા કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.

ત્રણ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની આગામી સુનાવણી માટે કૉર્ટે ૪ મે મુકરર કરી હતી.

આ અરજીમાં જરૂરિયાતમંદ દરદીઓ માટે ઑક્સિજનના પુરવઠો તાકીદે પૂરો પાડવાની માગણી કરવામાં આવી હતી.

April 27, 2021
guj_corona.jpg
1min473

હાલ ગુજરાતમાં 8 મહાનગરો તેમજ 20 શહેરોમાં સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે. આજે ગુજરાત સરકારે જાહેર કરેલી સૂચના મુજબ ગુજરાતના વધુ 9 શહેરોમાં આજથી જ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવશે.

રાત્રિ કરફ્યુ, કોરોના કરફ્યુમાં વધારાના સામેલ કરાયેલા 9 શહેરોમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે તા.27મી એપ્રિલ 2021ની સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યના તમામ 29 શહેરોમાં 05 મે સુધી અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ 05 મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ-ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બંધ છે. જોકે, રાજ્યમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કર્યું છે.

April 27, 2021
guj_corona.jpg
1min670

સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધાના અભાવે કોરોનાના ગંભીર દર્દીઓનો લોડ હવે સુરત પર વધી રહ્યો છે. સુરતમાં અગાઉથી કોરોના બેકાબૂ બન્યો છે. શહેરીજનોને બેડની સુવિધા મળી રહી નથી તેમજ પાડોશી મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશના ગંભીર દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. એવામાં હવે સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત આવતા ગંભીર દર્દીઓનો ધસારો પાછલા એક સપ્તાહમાં વધ્યો છે.’

પાટીદાર સમાજની સેવા સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાઓના 13થી વધુ આઇસોલેશન સેન્ટરમાં વીસ ટકા બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ઉભરાયા છે. સૌરાષ્ટ્રના ગામડાંઓથી સુરત વચ્ચેનું અંતર દસ થી બાર કલાકનું છે. કોરોના ટ્રીટમેન્ટ માટે સૌરાષ્ટ્રથી’ સુરત એમ્બ્યુલન્સ મારફત આવતા કેટલાક દર્દીઓના મોત ઓક્સિજનના અભાવે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.’
સમાજના આગેવાનો કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર કોઇ કડક પગલાં નહીં લે તો સ્થિતિ હાલ કરતાં પણ વધુ ખરાબ રીતે વણસી શકે છે. સૌરાષ્ટ્રમાં તબીબી સુવિધા ખાડે ગઇ હોવાથી લોકો પોતાની સારવાર કરાવવા માટે સુરત આવી રહ્યા છે. ખાનગી એમ્બ્યુલન્સ અને વાહનોમાં દર્દીઓ સાથે આવતા પરિજનો ઓક્સિજનના બાટલા ભેગા લઇને આવે છે. પરંતુ રસ્તામાં અધવચ્ચે જ ઓક્સિજન બાટલો ખાલી થઇ જવાને કારણે દર્દી ગંભીર કટોકટીમાં મૂકાઇ જાય છે. તેમજ તેના કારણે કેટલાક દર્દીઓએ રસ્તામાં જ દમ તોડી દીધો હોવાના અહેવાલો છે.

સામાજિક આગેવાન અને સેવા સમિતિ આઇસોલેશન સેન્ટરના મહેશભાઇ સવાણી કહે છે કે, આગામી દિવસોમાં વધુ આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે. હાલ તો ગામડાઓમાંથી આવતા દર્દીઓનો ભારે ધસારો છે. 20 ટકાથી વધુ બેડ સૌરાષ્ટ્રના દર્દીઓથી ભરાઇ ગયા છે.’
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી સુરત વચ્ચેનું અંતર વધુ હોવાથી અનેક ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળતી નથી જેના કારણે કેસ બગડી જાય છે. સૌરાષ્ટ્રથી આવતા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સોમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો ન હોવાના કારણે ઓક્સિજનના વાંકે દર્દીની હાલત ગંભીર બની રહે છે. અમે એકાદ દિવસમાં તારાપૂર ચોકડી કે તેની આજુબાજુના વિસ્તારમાં આઇસોલશન સેન્ટર કે પછી ઓક્સિજનના બાટલા એક્સચેન્જ માટેની કોઇ વ્યવસ્થા ઉભી કરવાનું વિચારી રહ્યા છીએ જેથી દર્દીઓની મુશ્કેલી ઓછી થાય.’

સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ અને આગેવાન કાનજીભાઇ ભાલાળા કહે છે કે, સરકારે તાત્કાલિક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબીબી સુવિધાઓ બહેતર બનાવવી જરૂરી છે. ગામડાંઓના દર્દીઓને ત્યાં જ સુવિધા મળી રહે તે અત્યંત આવશ્યક છે. તારાપુર ચોકડી પાસે ઓક્સિજન બોટલ એક્સચેન્જની વ્યવસ્થા ઉભી કરાવવા માટે અમે તંત્રને રજૂઆત કરીશું જેથી કોઇને કોઇ ઉકેલ આવે.’

April 26, 2021
remdesivir.jpg
1min679

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રામબાણ ઈલાજ સમાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાવા પામી હતી. આ આફતને પણ અવસરમાં તબ્દીલ કરનાર સુરત શહેરની વધુ એક ટોળકીને શહેર પોલીસે  રંગે હાથ ઝડપી લીધી છે. પોલીસે ઈન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટર સહિત ચાર જણાને ઝડપી પાડી ત્રણ ઈન્જેક્શનના બોક્ષ જપ્ત કર્યા હતા. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.

    સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ એસ.જે.ભાટિયાએ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી એક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.

    જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક એન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.