CIA ALERT

ગુજરાત Archives - Page 16 of 157 - CIA Live

August 2, 2024
freezing-account-1280x752.jpg
1min296

તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.

પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

August 2, 2024
fire-safty.jpg
1min336

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game zone fire tragedy) બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટી(Fire Safety)નું ઉલંઘન ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ શિક્ષણ વિભાગે ગુરુવારે 01/08/2024 કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો.

રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે વિભાગે શાળાઓનું નિરીક્ષણ કરવા અને તેમની ફાયર સેફટી સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 3,000 થી વધુ ટીમોની રચના કરી છે.

અહેવાલ મુજબ 55,344 પ્રી-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 11,451ને માન્ય ફાયર NOC મેળવવાનું બાકી છે. વધુમાં, 43,893 શાળાઓએ સેલ્ફ-ડિક્લેરેશન ફાઈલ કર્યું છે, જ્યારે 9,563 શાળાઓ પસે માન્ય ફાયર એનઓસી છે. બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર 183 સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે. જેમાં પાણીની ટાંકીઓ બાંધવી, ફાયર હોસીસ સ્થાપિત કરવા અને ઈલેક્ટ્રીકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે.

એફિડેવિટ મુજબ શિક્ષણ વિભાગ નિરીક્ષણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ડ્રીલ અને શિક્ષકોની તાલીમનું અમલીકરણ ફાયર વિભાગ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી કરી રહી છે.

જે એફિડેવિટ મુજબ ગ્રાન્ટ-ઇન-એઇડ, ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી હતી તેવી 26,195 શાળાઓના શિક્ષકોને તાલીમ આપી છે. 4,768 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ડ્રીલ અને તાલીમ હાથ ધરવામાં આવી છે. 2,924 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી છે અને 2,012 શાળાઓએ તેમના શિક્ષકોને તાલીમ આપી છે.

July 26, 2024
medicine.jpg
1min283

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

July 24, 2024
ausi-flood2.jpg
1min291

ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.

દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

July 24, 2024
reservoir.png
1min279

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

July 19, 2024
heavy-rain-in-saurashtra.png
1min501

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાતાં પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અતિભારે વરસાદને પગલે નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં એક-એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે પોરબંદર બાદ જૂનાગઢમાં જળબંબાકાર થતાં તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં અતિભારે વરસાદને પગલે અનેક ગામોમાં દયનીય પરિસ્થિતિ ઉભી થઈ હતી. જ્યારે આજે (19 જુલાઈ) રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે દ્વારકામાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાલા વિસ્તારમાં ફસાયેલા બે વ્યક્તિને NDRFની ટીમે રેસક્યુ કરીને બચાવ્યાં હતા.

કેસોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વંથલીમાં બે દિવસની અંદર 13 ઈંચ પડ્યો છે. આ સાથે મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવા ત્રણ ઈંચ, માણાવદરમાં પોણા ઈંચ, માળિયા હાટીનામાં ત્રણ ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેવામાં વિસાવદર તાલુકામાં સૌથી ઓછો 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં

રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે. જ્યારે જૂનાગઢના 62 જેટલા ગામડોમાં વરસાદે ધબડાટી બોલાવી છે.

જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને લઈને કલેક્ટરે આપી જાણકારી

હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, જૂનાગઢમાં અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારે વરસાદને કારણે 75થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં 65 જેટલા ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા. આ સાથે 14 રૂટ પર એસટી બસ બંધ કરવામાં આવી છે. જ્યારે નવ ડેમો ઓવરફ્લો થતા નીચાણવાળા 53 જેટલા ગામડામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.’

દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 કલાકના સમયગામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કલ્યાણપુર તાલુકામાં છ ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલી બે વ્યક્તિનું NDRF ની ટીમે રેસક્યુ કર્યું

ધોધમાર વરસાદને લઈને દ્વારકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સ્થિતિમાં ભાટિયા ગામમાં પાણી ફરી વળતા ફસાયેલ બે વ્યક્તિને NDRF ની ટીમે રેસક્યુ કરીને બચાવી લેવામાં આવ્યાં હતા. બીજી તરફ, જિલ્લા કલેક્ટરે વરસાદની ગંભીર પરિસ્થિતિને લઈને સાવચેતી રાખવા સૂચના આપી હતી.

July 18, 2024
guj-ats.jpeg
1min299

 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત ATS એ રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પતરાના શેડમાં છેલ્લા 1 મહિનાથી મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. જેમાં આરોપી દ્વારા એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને મુંબઈમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે ATS એ ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. 

ATS એ 51.409 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પતરાના શેડ ખાતે ગુજરાત ATS ના 2 PI, 5 PSI સહિતની ટીમ રેડ મારી હતી. ATS દ્વારા રેડ મારતાં જાણવા મળ્યું હતું કે, પતરાના શેડમાં આરોપી દ્વારા ડ્રગ્સનું બનાવવામાં આવતું હતું. જેમાં ATS દ્વારા 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો કુલ 51.409 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે મેફેડ્રોનનું ગેરકાયદેસર ઉત્પાદન કરતાં પતરાનો શેડ ભાડે રાખી ડ્રગ્સ બનાવતા સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

મેફેડ્રોન બનાવવા માટે આરોપીએ છેલ્લા એક મહિનાથી પતરાના શેડની જગ્યા 20 હજાર રૂપિયામાં ભાડે રાખી હતી. ત્રણેય આરોપી માંથી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રો- મટીરિયલના આધારે મેફેડ્રોન તૈયાર કરતો હતો. જેમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળાની અંદરમાં જ ચાર કિલો મેફેડ્રોનનો જથ્થો બનાવીને મુંબઈના સલીમ સૈયદને મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ATS ની ટીમ દ્વારા મુંબઈના સલીમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કરોડો રુપિયાના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાવાના કેસમાં ATSના DySP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ભાડે રાખેલા પતરાના શેડમાં મોટાપાયે મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાથી માલિકની પૂછપરછ કરવામાં આવશે.’

July 12, 2024
cypto.jpg
1min321

– ચાઇનીઝ ગેંગ સાથે મળીને છેતરપિંડીના નાણાંની હેરફેર કરતી ગેંગ ઝડપાઇ

– વિદેશી ગેંગ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ સહિત ૧૩ લોકોની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં વિવિધ બેંકોની ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા

વિવિધ કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના ૧૩ લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. જ્યારે તે નાણાંનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે  કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતિ પ્લાઝામાં  કેટલાંક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઇન છેતરપિંડીના નાણાંની મોટાપ્રમાણમાં હેરફેર કરે છે.જે બાતમીને આધારે પોલીસે ગુરૂવારે દરોડો પાડયો હતો. જેમાં મારૂતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી  ક્રિશવ એન્ટરપ્રાઇઝ અને  ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી.  જેમાં પોલીસે  કેટલાંક લોકોને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  દિલીપ જાગાણી (રહે. હરીકૃપા સોસાયટી, નિકોલ) અને દિપક રાદડિયા (રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર) નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઇ પહોંચતી કરતા હતા. તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલ (રહે. શ્યામ શુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર)ને આપતા હતા.

જેના આધારે તે નાણાંને હવાલાથી ચુકવીને ક્રિપ્ટો કરન્સીથી ચાઇનીઝ ગેંગને નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં દિપક અને દિલીપને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતુ હતું. પોલીસે  દિપક અને દિલીપ સાથે પગાર પર નોકરી કરતા આઠ જેટલા અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. જે બેંકમાંથી રોકડ ઉપાડીને ઓફિસમાં જમા કરાવતા હતા. આમ, છેલ્લાં બે મહિનાથી કરોડો રૂપિયાની હેરફેરનું કૌભાંડ સામે આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે પોલીસે અલગ અલગ બકોની ૩૦ પાસબુક, ૩૯ ચેકબુક, ૫૯ એટીએમ કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલવાના ફોર્મ, હિસાબના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલીપ જાગાણી અને દિપક રાદડિયાએ ખુબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને સમગ્ર છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

July 12, 2024
rain-1280x720.jpg
1min346

સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાથી 13 July to 17 July આગામી 5 દિવસ રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદી નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામ અને સુરતના કામરેજમાં સાડા 3 ઈંચ સહિત સુરતના અન્ય વિસ્તારોમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે વાપીમાં 3 ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટા અને નવસારીના જલાલપોરમાં સવા 2 ઈંચ, અમરેલીના ખાંભા, વલસાડના કપરાડા, સાબરકાંઠાના પોશીના વલસાડના પારડી અને અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તેવામાં નવસારીના ખેરગામમાં પોણા 2 ઈંચ, વડોદરાના ડભોઈ, નવસારી તાલુકામાં, અમરેલી તાલુકામાં, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.  

July 4, 2024
monsoon.jpg
1min298

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસની અંદરમાં સૌથી વધુ આજના (4 જુલાઈ) દિવસે વરસાદનું જોર રહેશે.  રાજ્યના બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (4 જુલાઈ)  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણના ભાગોમાં નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ ધબળાટી બોલાવશે. આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.

05 જુલાઈના દિવસે રાજ્યના ઉત્તર ગુજરાત, પૂર્વ-પશ્ચિમ ભાગોના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.

06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

07 જુલાઈમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

08 જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલી રહેશે.