બીજા પૅસેન્જરે સીટ ક્લેઇમ કરી ત્યારે ભૂલ જાણવા મળી, નહીં તો મુંબઇની જગ્યાએ કોલકાત્તા પહોંચી ગયા હોત મુસાફર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૩ વર્ષના ભરત દવે ગાંધીનગર યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરવા માટે ત્રણ દિવસ માટે મુંબઇથી અમદાવાદ ગયા હતા. રવિવારે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન બાદ તેઓ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મુંબઇ જવા રવાના થયા હતા.
ભરત દવે મુંબઈમાં હતા તેમને પગમાં ઈજા થઈ હતી આમ છતાં, તેઓ વાઇબ્રન્ટ ઇવેન્ટ માટે ત્રણ દિવસ ગાંધીનગર આવ્યા હતા. એ દરમિયાન તેમને પગમાં ભારે દુખાવો શરૂ થયો હતો. દરમિયાન તા.20મીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ રવિવારે સાંજે 6.40 વાગ્યાની અમદાવાદથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ બુક હોઇ ભરત દવે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.
ભરત દવેને પગ ઇજા અને દુખાવો જોઈને ફ્લાઇટ સ્ટાફે વ્હીલચૅર પર ફ્લાઇટ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. ભરત દવેના બોર્ડિંગ પાસની ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી. અને અમદાવાદ એરપોર્ટ પર ૬ નંબરના ગેટ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ અન્ય ફ્લાઇટ સ્ટાફે તેમને ત્યાંથી ફ્લાઇટ સુધી લઇ ગયા. ફ્લાઇટમાં લઇ જઇને તેમને સીટ ૨D પર બેસાડી ફ્લાઇટ સ્ટાફ રવાના થઇ ગયો હતો. બાદમાં ધીરે-ધીરે પૅસેન્જરો ફ્લાઇટમાં પોતાની સીટ્સ પર બેસવા માંડ્યા ત્યારે એક પ્રવાસીએ ૨D સીટ પોતાની હોવાનો દાવો કરી બોર્ડિંગ પાસ બતાવ્યો ત્યારે ક્રૂ-મેમ્બરને અને ભરત દવેને ખબર પડી કે આ મુંબઈની નહીં પણ કલકત્તાની ફ્લાઇટ છે.
અમદાવાદથી મુંબઈ આવી રહેલા ઈજાગ્રસ્ત ગુજરાતી મુંબઈગરાને પ્લેનના સ્ટાફે કલકત્તાની ફ્લાઇટમાં બેસાડી દીધાની ગંભીર ભૂલ થઇ ગયા પછી ફ્લાઇટના સ્ટાફે માફી માગીને તેમને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા. જોકે ફ્લાઇટ સંબંધિત કંપનીએ આ વિશે તપાસ શરૂ કરી હતી.
ભરત દવેને ખોટી ફ્લાઇટમાં બેસાડવાના પગલે તા.20મી જાન્યુઆરી 2019ને રવિવાર સાંજની અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી કલકત્તાની એમ બન્ને ફ્લાઇટ્સ લેટ પણ પડી હતી.
પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ગુજ્જુ ગર્લ ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.
વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.
અહીંથી શરૂ થઇ હતી ઉર્જાની સફર
એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળી કે ‘કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!’ ને ગુજ્જુ ગર્લ ઉર્જાને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારથી અમેરીકામાં ગુજ્જુ ગર્લની સફર શરૂ થઇ હતી.
ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018
ગુજ્જુ ગર્લ ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ’ શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.
આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.
ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.
એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી
આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ ‘દિશા – ધ મલ્ટિફેસેટેડ શી’ની એમ્બેસેડર તરીકે ‘દિશા’ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, ‘She inspires me’ (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.
આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ ‘દિશા’ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી
આ ઇવેન્ટમાં ‘દિશા- ધ મલ્ટિફેસેટેડ શી’ ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.
ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં
21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના
શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516
પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548
મિનરલ સેક્ટરમાં 977
એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197
પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા
નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 28,360 સમજૂતિપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જોકે તેમણે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ આવશે તેનો કોઈ આંકડો આપ્યો ન હતો.
કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516, પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548, મિનરલ સેક્ટરમાં 977, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197, પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા હતા.
સમિટમાં કુલ 135 દેશોના 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કુલ 1,05,000 રજિસ્ટ્રેશન થયા હતા. સમિટમાં 30 દેશોના રાજદૂતો, સાત વડાપ્રધાનોએ ભાગ લીધો હતો. આ વખતે 15 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા હતા. 1,140 બીટુજી અને 2,458 બીટુબી મિટિંગ થઈ હતી. ટ્રેડ શોમાં કુલ 1,200 સ્ટોલ હતા અને તેમાં ₹15,000 કરોડના એમઓયુ થયા હતા.
ત્રણ દિવસની સમિટના સમાપન સત્રમાં બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હોવાથી આ ઇવેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિશ્વ માટે પ્રવેશદ્વાર બન્યું છે અને દરેક માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમિટ માત્ર બિઝનેસ અને ટ્રેડ પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક ઉદ્ધાર માટેનું મંચ બની છે.”
2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનો નિર્ણય લીધા પછી ગુજરાત રોકાણ માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું છે. 2003ની પ્રથમ સમિટમાં બહુ બિઝનેસ હાઉસે ભાગ નહોતો લીધો. 9મી સમિટમાં વડાપ્રધાનનું વિઝન સંપૂર્ણપણે સાકાર થયું છે.
આ ઇવેન્ટ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે પણ આદર્શ પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટે એમએસએમઇ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મંચ પૂરો પાડ્યો છે.
સમિટની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા.
કોસ્ટલ ટુરિઝમના વિકાસ માટે 1 હજાર કરોડના કરાર : દ્વારકામાં 250 કરોડના ખર્ચે 3 વર્ષમાં કામ પુરૂ કરાશે
ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં ટુરીઝમ ક્ષેત્રે બમ્પર વિકાસની શક્યતા જોતાં મહાત્વાકાંણી પ્રોજેક્ટ સાથે મેગા પ્રોજેક્ટસની જાહેરાતો કરવામાં આવી છે.
જેમાં શીપીંગ ક્ષેત્રે જાણીતી કંપની જે.એમ.બક્ષીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મુખ્ય ટુરીઝમ તેમજ બંદરના વિકાસલક્ષી સ્થળો સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકા, પોરબંદર તેમજ વેરાવળ અને કચ્છમાં માંડવી બંદર મળી કુલ ચાર જગ્યાએ ક્રુલ ટર્મીનલો વિકસાવવા અંગે કરારો કર્યા છે.
ગુજરાત સરકારના અધિકારીઓએ આ ક્રુઝ ટર્મીનલોના નિર્મા અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર બંદર તથા યાત્રાધામો ખાતે ક્રુઝ ટર્મીનલો અંદાજીત રૂપિયા એક હજાર કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સમયગાળામાં દ્વારકા ખાતેનું ક્રુઝ ટર્મીનલ કાર્યરત થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતના યાત્રાધામો તથા બંદરો પર ક્રુઝ ટર્મીનલો બનતાં અહીંના ટુરીઝમ ઉદ્યોગને બમ્પર બુસ્ટઅપ મળે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. અને દ્વારકામાં આગામી ત્રણ વર્ષમાં ક્રુઝ ટર્મીનલના આયોજનથી દ્વારકા સહિતના સ્થળોએ હોટેલ પણ જેટ ગતિએ વિકાસ પામશે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.
2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.
સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.
ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.
ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત
બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.
19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે
શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.
તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી
આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છે
ફાઇલ ફોટો
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.
વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.
હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.
એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે, અને જ્યારે પોલીસે આવા બુટલેગરો પર દરોડા પાડે છે, ત્યારે પોલીસ ઉપર જ બેફામ બનેલા બુટલેગરો અને તેમના માણસો હુમલાઓ કરે છે, ત્યારે સુરતમાં સાંજે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા.
સ્ટેટ મોનીટરિંગ સેલને માહિતી મળી હતી કે, શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનને અડીને આવેલા કતારગામ અને એ કે રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેને આધારે દરોડા પાડવા પોલીસ ટીમ અહીં પહોંચી હતી. ઝૂંપડપટી રેલવે ટ્રેકની બાજુમાં નિરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો જૈના, હનુમાન વગેરે સાથે મળીને આયોજનબદ્ધ રીતે દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે જે નવસારીનો રહેવાસી તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મગાવે છે.
વરાછા પોલીસ મથકની હદમાં આવેલા ઉત્કલ નગરના સામેના ભાગે રેલવે ટ્રેક પાસે સાબુ ફેકટરીની નજીક હનુમાનજીના મંદિરની બાજુમાં પતરાના સેડની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનીટરિંગ સેલની બે કાર અહીં રેડ માટે પહોંચી હતી. રેડ કરી ત્યારે ત્રણ લોકોને પોલીસે પકડી લીધા હતા, અચાન પોલીસની રેડ પડી હોવાનું જાણ થતાં અચાનક 400 જેટલા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ટોળાંએ પકડાયેલા લોકોને છોડાવવા પોલીસની કાર ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં પોલીસની બંને કારના કાચનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનમાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઇ હતી. પોલીસ પર હુમલો થયાનું જણાતા તાત્કાલિક વરાછા અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની 3123 બોટલો જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,60,750 થાય છે. હુમલાની ઘટનામાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો, હનુમાનને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત
14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા
સૌરાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ઠંઠીમાં સ્વાઇન ફલૂનો કેર યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉતરાયણના દિવસે સ્વાઇન ફલૂથી ત્રણ લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા.
સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કેર વતાવ્યો હોય તેમ એક દિવસમાં ત્રણ લોકોના સ્વાઇન ફલૂના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે ત્રણ લોકોનો મોત નીપજ્યા હતા. રાજકોટના મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું તેમ જ ધાગધ્રાના એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન ત્રણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા. તેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગઇ તા.13મી જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું હતું.
મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમ જ અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હૉસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.
રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.
આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.
ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.
સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.