CIA ALERT

ગુજરાત Archives - Page 140 of 158 - CIA Live

January 18, 2019
agri-1.jpg
1min11720

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.

January 16, 2019
supreme.jpg
1min6760

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છેFRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

January 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6190

એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે, અને જ્યારે પોલીસે આવા બુટલેગરો પર દરોડા પાડે છે, ત્યારે પોલીસ ઉપર જ બેફામ બનેલા બુટલેગરો અને તેમના માણસો હુમલાઓ કરે છે, ત્યારે સુરતમાં સાંજે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા.

સ્ટેટ મોનીટરિંગ સેલને માહિતી મળી હતી કે, શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનને અડીને આવેલા કતારગામ અને એ કે રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેને આધારે દરોડા પાડવા પોલીસ ટીમ અહીં પહોંચી હતી. ઝૂંપડપટી રેલવે ટ્રેકની બાજુમાં નિરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો જૈના, હનુમાન વગેરે સાથે મળીને આયોજનબદ્ધ રીતે દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે જે નવસારીનો રહેવાસી તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મગાવે છે.

વરાછા પોલીસ મથકની હદમાં આવેલા ઉત્કલ નગરના સામેના ભાગે રેલવે ટ્રેક પાસે સાબુ ફેકટરીની નજીક હનુમાનજીના મંદિરની બાજુમાં પતરાના સેડની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનીટરિંગ સેલની બે કાર અહીં રેડ માટે પહોંચી હતી. રેડ કરી ત્યારે ત્રણ લોકોને પોલીસે પકડી લીધા હતા, અચાન પોલીસની રેડ પડી હોવાનું જાણ થતાં અચાનક 400 જેટલા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ટોળાંએ પકડાયેલા લોકોને છોડાવવા પોલીસની કાર ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં પોલીસની બંને કારના કાચનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનમાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઇ હતી. પોલીસ પર હુમલો થયાનું જણાતા તાત્કાલિક વરાછા અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની 3123 બોટલો જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,60,750 થાય છે. હુમલાની ઘટનામાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો, હનુમાનને વોન્ટેડ જાહેર કર્યા હતા.

January 16, 2019
swine-flu_.jpg
1min5780

ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત

14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા

સૌરાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ઠંઠીમાં સ્વાઇન ફલૂનો કેર યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉતરાયણના દિવસે સ્વાઇન ફલૂથી ત્રણ લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કેર વતાવ્યો હોય તેમ એક દિવસમાં ત્રણ લોકોના સ્વાઇન ફલૂના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે ત્રણ લોકોનો મોત નીપજ્યા હતા. રાજકોટના મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું તેમ જ ધાગધ્રાના એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન ત્રણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા. તેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગઇ તા.13મી જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું હતું.

મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમ જ અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હૉસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.

January 15, 2019
kite1.jpg
1min13600

ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.

સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

January 13, 2019
makar.jpg
1min8390

સૂર્યના આ મકર પ્રવેશને મકરસંક્રાંતિ કહે છે. વિક્રમ સંવત-૨૦૭૫માં તા.૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સાંજે ૭.૫૨ મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.  જોકે, મકર-સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરીના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે. મકરસંક્રાંતિએ ગુજરાતમાં પતંગોત્સવ પણ ઉજવાય છે અને ગુજરાતીઓ સાથોસાથ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને ગૌપૂજન પણ કરે છે. પતંગોત્સવ દરમિયાન દિવસભર સૂર્ય સમક્ષ જ રહેવાનું હોવાથી સૂર્ય-સ્નાન પણ આપોઆપ થઈ જતું હોય છે.

ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના દીર્ઘાયુ અપાવે છે. સાથોસાથ ધન-સંતાન-આરોગ્ય પણ અપાવે છે. માટે જ સૂર્ય નારાયણની ઉપાસના માટેનાં અનેક પર્વોમાંનું એક સામ્બ દશમી પણ છે. આ દિવસે સૂર્ય-નારાયણને અર્ઘ્ય અને ઓમ્ સૂર્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રનો યથા શક્તિ જાપ કરવાથી પણ ભગવાન સૂર્ય-નારાયણની કૃપા શ્રદ્ધાળુ ઉપર રહે છે અને તેને ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

ભગવાન સૂર્યનાં સંતાનોમાં સાવર્ણિ મનુ, યમ-યમુના, શનિ, અશ્વિનીકુમારો ઉપરાંત તાપીને પણ તેમની જ પુત્રી માનવામાં આવે છે. સાથોસાથ એવું પણ કહેવાય છે કે જેવી રીતે શાક્ત સંપ્રદાય, શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય છે તેવી જ રીતે એક સમયે ગુજરાતમાં સૌર-સંપ્રદાયનું અસ્તિત્વ હતું અને તે સમયે સૂર્યનાં અનેક પર્વ અને તહેવારો ઉજવવામાં આવતા હતા. જેમકે, રથ સપ્તમી, સૂર્ય-સપ્તમી, મકરસંક્રાંતિ, સામ્બ દશમી વગેરે. આ રીતે સૂર્યનારાયણની કૃપા મેળવવાનું પર્વ એટલે મકરસંક્રાંતિ.

January 13, 2019
government_gujarat.jpg
1min5340

કેન્દ્ર સરકારે જાહેર કરેલી આર્થિક રીતે પછાત સવર્ણો માટેની 10 ટકા અનામત ઉતરાણના દિવસથી ગુજરાતમાં અમલી બની જશે. લોકસભા, રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. અને ઉતરાણ એટલે કે તા. 14મી જાન્યુઆરી 2019થી ગુજરાત સરકારની નોકરીઓમાં બિન અનામતમાં આવતા અને આર્થિક રીત નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે.

રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા મળશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે.

January 12, 2019
vibmain.jpg
1min5010
  • ૧૨ કન્ટ્રી પાર્ટનર
  • ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે
  • ૨૬૦ થી વધુ બી ટુ જી અને
  • ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ
  • ૨૦ ક્ધટ્રી સેમિનાર અને
  • ૭ સ્ટેટ સેમિનારનું આયોજન
  • સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન
  • નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન
  • રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ

રાજ્યમાં આગામી ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર, ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. ૨૬૦ થી વધુ બી ટુ જી અને ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો અને અન્ય દેશોના મહાનુભાવો આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચાલી રહી છે.

ગુજરાતના મુખ્ય સચિવ જે. એન.સિંહે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.આ સમિટ વેળા આફ્રિકા ડે પણ ઉજવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયાની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન અત્રે પ્રદર્શન પણ યોજાશે.

આ સમિટ અંતર્ગત ૨૦ ક્ધટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન, રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્સ યોજાશે. આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

શોપિંગ ફેસ્ટિવલમાં ૨૦ હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવ સિંહે ઉમેર્યું હતું. મોદી ૧૭મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લોે મૂકશે, તેમજ વી.એસ. હૉસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. ૧૮મી જાન્યુઆરીએ તેઓ ૧૦ વાગ્યે વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે.

January 11, 2019
Swiggy-Zomato-Banner-Opt.jpg
1min9340
  • ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
  • હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.

એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.

 

January 7, 2019
voterlist.jpg
1min10130

રાજ્યભરમાં સપ્ટેમ્બર-૧૮થી શરૂ થયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વધુ ૧૩ દિવસ લંબાવાઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગુજરાતની મતદાર યાદીમાં ૧૦ લાખ મતદારો નવા ઉમેરાયા હતા અને સામે ૩ લાખ મતદારો રદ થતાં કુલ ૭ લાખ જેટલા મતદારો વધ્યા હતા.

સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ સંક્ષિપ્ત સુધારાણા ઝુંબેશ શરૂ થઈ ત્યારે પુરૂષો ૨.૨૯ કરોડ અને સ્ત્રીઓ ૨.૧૧ કરોડ મળીને કુલ મતદારો ૪.૪૦ કરોડ જેટલા હતા અને એમા પણ છેલ્લા એક વર્ષમાં આશરે ૭ લાખ મતદારો નવા ઉમેરાયા હતા. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર-૧૮ની સ્થિતિએ પુરૂષો ૨.૨૫ કરોડ અને સ્ત્રીઓ ૨.૦૭ કરોડ મળીને કુલ મતદારો ૪.૩૩ કરોડ જેટલા હતા. રાજ્યમાં નવી મતદાર યાદી ૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી પરંતુ ટેક્નિકલ કારણોસર જિલ્લાસ્તરેથી ડેટા અપડેટ નહિ થવાથી બે અઠવાડિયા સમય લંબાવાયો છે. ભૂતકાળમાં અનેક વખત સુધારણા કાર્યક્રમને લંબાવાયો છે. રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ રાજ્યમાં જિલ્લાવાર તથા વિધાનસભા ક્ષેત્રવાર નવી મતદારયાદીઓ જાહેર કરવામાં આવશે, જે લોકસભા ચૂંટણી માટે ફાઈનલ મતદાર યાદી ગણાશે અલબત્ત ચૂંટણી સુધી આ યાદીમાં નવા મતદારો તેમના નામ સામેલ કરાવી મતદાન કરી શકશે.

દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશની સાથોસાથ ચૂંટણી માટે ઉપયોગમા લેવાનારા સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી અને મતદાર કેન્દ્રો ખાતે વ્યવસ્થા ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા સહિતની સુધારાની કામગીરી ચાલી રહી છે.