CIA ALERT

ગુજરાત Archives - Page 137 of 158 - CIA Live

February 18, 2019
guvnl1.jpg
1min11940

જાન્યુઆરી 2019માં રૂ.8 કરોડ ખોટી રીતે વસૂલી લીધા, હવે ફેબ્રુઆરીના બિલમાં પણ આવી જ લૂંટ મચે તેવી શક્યતા

ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની દહેશત વર્તાય રહી છે.

‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં મજરે આપવી જોઈએ તેવી રજૂઆત વિવિધ ગ્રાહક હિત રક્ષક મંડળો દ્વારા કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડ્જસ્ટમેન્ટ યુનિટ દીઠ રૂ.૧.૯૦ વસૂલવાનો હતો, પરંતુ ગ્રાહકોને અપાયેલાં બિલોમાં રૂ.૧.૯૯ ચાર્જ થયો હતો, જે ૯ પૈસાનો વધારો વીજગ્રાહકો પાસેથી બીજા ક્વાર્ટરનાં બિલોમાં વસૂલી લેવાયો હતો. આમ યુનિટ દીઠ ૯ પૈસાનું નવું માગણું ૧.૪૦ કરોડ ગ્રાહકો પાસેથી ખોટી રીતે ઊભું કરાયું છે.

સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ ૮૦ હજાર લાખ યુનિટના વપરાશનાં બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ ૯ પૈસા લેખે આશરે રૂ.૨૫ કરોડ ત્રણ મહિનામાં વસૂલાશે જે પૈકી જાન્યુઆરીના ૮ કરોડ વસૂલી લેવાયા હતા. તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસૂલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી હતી.

February 18, 2019
gujarat_assembly-1280x720.jpg
1min8420

ગુજરાતનું વિધાનસભા સત્ર તા. ૧૮ સોમવારથી ૫ાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારે પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતું વચગાળાનું ચાર માસનું બજેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ સત્રના પહેલા જ દિવસે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મુલત્વી રહેશે.

સોમવારે રાજ્યપાલના પ્રવચન સાથે સત્ર પ્રારંભ થયા બાદ બીજા દિવસે નાણાં ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસને સ્પર્શતી અમુક જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવના છે. સત્રને અનુલક્ષીને વિપક્ષ કૉંગ્રેસે સરકારને આક્રમક રીતે ભીડવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિધાનસભાના ટૂંકા સત્રમાં સોમવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલના પ્રવચન બાદ શોકદર્શક ઠરાવો અને સરકારી વિધેયકો રજૂ થશે. બીજા દિવસે રાજ્યપાલના સંબોધન પર ચર્ચા અને લેખાનુદાનની રજૂઆત થશે. આ વખતના સત્રમાં અમુક મહત્ત્વના ખરડા રજૂ થવાના છે જેમાં ૨૪ કલાક હોટલ-દુકાનો ખુલ્લી રાખવા માટેનો ખરડો, હાઉસિંગ બોર્ડના બહુ જૂના મકાનો તોડીને તેના સ્થાને નવા ફલેટ બનાવવાનો ખરડો તેમજ મહાનગરોમાં ડે. કમિશનર કક્ષાના અધિકારીઓની જે-તે મહાનગરને જ ભરતી કરવાની છૂટ આપવાના ખરડાનો સમાવેશ થશે.

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પૂર્વેનું આ રાજ્યનું અંતિમ વિધાનસભા સત્ર છે. બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્ર્નો વગેરેને વાચા આપી સરકારને ઘેરવા પ્રયત્નો કરશે. સત્રને અનુલક્ષીને તા.૧૮થી ૨૨ સુધી વિધાનસભા ભવન આસપાસ પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવશે.

February 17, 2019
b1.jpg
2min7880
  • માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ મેરેથોન દોડમાં ઉમટી પડ્યા
  • સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાયા
  • હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કર્યું
  • બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા

લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ એવું બારડોલી શહેર વહેલી સવારે ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર આયોજિત હાફ મેરેથોનના રંગે રંગાયું હતું. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડને સ્વરાજ આશ્રમથી મેરેથોનને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ દોડવા માટે ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ વિશેષ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કરી મેરેથોનનો નજારો માણ્યો હતો.

૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજીત હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો.

સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડૉ.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શનમાં ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. રનર્સને આવકારવા માટે મેરેથોન રૂટને સુંદર સુશોભિત વેલકેમ ગેટથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગ પૂર્વે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ દોડવીરો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી માટે શપથ લેવડાવ્યા હતા.

February 15, 2019
salute.png
1min11400

કાશ્મીરમાં આતંકી હુમલામાં 44 જવાનોની શહીદીની ઘટના બાદ ભારતવાસીઓ ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. સુરતની વાત કરીએ તો સંવેદનશીલ સુરતીઓના હૈયા આતંકી હુમલાની ઘટનાએ હચમચાવી મૂક્યા છે, એવી દેશદાઝ ઝળહળી ઉઠી છે કે જો તક મળે તો પાકિસ્તાન અને તેના પ્રરીત આતંકીઓનો ખાત્મો બોલાવાના મિશનમાં દરેક નાગરીક મંડી પડે. આખો દેશ એક થઇ ગયો છે. સુરતીઓ પોતપોતાની રીતે શહીદોને અંજલી આપી રહ્યા છે, સુરતીઓ પોતપોતાની રીતે આતંકીઓ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.

સુરતીઓની સંવેદના તા.14મીએ સાંજથી જ હળબળી ઉઠેલી જોવા મળી હતી. આતંકીઓના પૂતળા બાળીને યુવાન હૈયાઓ પોતાની લાગણી પ્રદર્શિત કરી. કેટલાક નાગરીકો એટલા આઘાતમાં છે કે તેમણે શહીદ સૈનિકો માટે પોતાના જીવનમાં પણ સાદગી લાવી દીધી છે.

એક પરિવારે લગ્નનું ગ્રાન્ડ ડિનર કેન્સલ કરી દીધું

શહેરમાં એક સ્થાનિક પરિવારે લગ્નના ભપકાદાર કાર્યક્રમો રદ કરીને લગ્ન પ્રસંગ સાદગીથી ઉજવવા માટે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, આ પરિવાર મિડીયા સમક્ષ આવ્યો નથી એટલે તેના વિશે વધુ વિગતો કહી શકાય તેમ નથી.

એક પરિવાર 13 દિવસ ખીચડી ખાશે, ટીવી પણ નહીં ચાલે ઘરમાં

કામરેજમાં એક નખશીખ દેશભક્ત પરિવારના તમામ સભ્યો કાશ્મીરની આતંકી ઘટનાથી એટલા હચમચી ઉઠ્યા છે કે તેમના 17 જણના બહોળા પરિવાર કે જેમાં 6 વર્ષની બાળા પણ છે આ પરિવારે 13 દિવસ સુધી ઘરમાં શોક રાખ્યો છે. પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ રીતે સૈનિકોની શહીદીને આદર આપી રહ્યા છે. સી.આઇ.એ.એ તેમને સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા માટે કશું લખશો નહીં. આ છતાં અમે લખી રહ્યા છીએ કે આ પરિવાર 13 દિવસ સાદી ખીચડી ખાઇને ગુજારશે. ઘરમાં ટીવી બંધ રહેશે. વડીલો તો સફેદ કપડા ધારણ પણ કરી લીધા છે. આટલી સંવેદનશીલતા જોઇને પ્રતીતી થાય છે કે જવાનોની શહીદીએ સુરતીઓની સંવેદનાને ઢંઢોળીને મૂકી દીધી છે.

સુરતીઓ આઘાતમય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સમૂહ લગ્નોત્સવ શોકાંજલિથી શરૂ થશે

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાઓએ શહીદોને સલામી આપીને મૌન પાળ્યું

સુરતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓએ આજે તા.15મીએ સવાર અને બપોરના સેશનમાં સૌથી પહેલા પ્રાર્થના કર્યા બાદ કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા તેમના માનમાં મૌન પાળ્યું હતું. શાળાઓએ સૈનિકોની શહીદી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમને દેશ માટે કંઇપણ કરી છૂટવાના વિચારો આપ્યા હતા. અનેક સંસ્થાઓએ આજના તેમના જુદા જુદા કાર્યક્રમો રદ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે તા.15મી ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 5.30 કલાકે એક અગત્યની બેઠક યોજી હોવાનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.

Solidarity with the Soldiers and the Nation Trade Industries and Services join their hands together with the SGCCI and extend their deepest condolences to the martyred soldiers at the PULWAMA ATTACK, We pledge our solidarity and oness of the trade industries and services of the entire south Gujarat in all efforts of the brave army in their steps for avenging their loss. Just to stand with solidarity we meet today, 15th February at 5:30 pm at SGCCI, 4th floor, Samruddhi Building, Nr. Makkai Pool, Surat. JAI HIND

 

February 13, 2019
jab-koi-baat-05-1.jpg
1min28160

લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની  જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું  ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.

તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક  સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.

  • સોંગ ટાઇટલ                   જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને
  • સમય                               5 મિનીટ
  • લોકેશન                           જોધપુર, રાજસ્થાન
  • રિલીઝિંગ બાય               વિનસ મ્યુઝિક્સ પ્રા.લિ., મુંબઇ અને વિરલ મોટાણી
  • ડાયરેક્ટર                        અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • પ્રોડ્યુસર                         અજિતા ઇટાલિયા, સુરત
  • સ્ટોરી કન્સેપ્ટ                  અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • વિડીયોગ્રાફી                   50એમએમ મિડીયા પ્રોડક્શન્સ
  • મ્યુઝિક રીઅરેન્જ            હાર્દિક ટેલર –  સુભાષ દુધાત
  • લિરીક્સ                          પ્રેમ દવે, (ગુજરાતી)
  • ફિચરિંગ                          જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • સિંગર                              જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • ઓરિજલ ક્રેડિટ                 જબ કોઇ બાત …..કુમાર સાનું અને સાધના સરગમ, લિરીક્સ ઇન્દીવર, મ્યુઝિક રાજેશ રોશન

                                                    વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર

                                                    પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ

જગદીશ ઇટાલિયા એ ગાયેલું આંખનો અફિણી ગીતના યુ ટ્યુબ પર 40 લાખ વ્યુઅર્સ થઇ ચૂક્યા છે

આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6740

કસ્ટમ ઓફિસમા વિદેશી દારૂની બોટલ મુદ્દે તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા

સુરત અમદાવાદની ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ વિજીલેંસની ટીમે ગયા બુધવારે, તા.6 ફેબ્રુઆરીના રોજ અચાનક સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમા તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી કેટલીક ગેરરીતીઓ મળી આવી હતી. જેમાં ત્રીજા માળે મુકવામા આવેલા એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આ કિસ્સામાં આજે કસ્ટમ વિભાગના ઉચ્ચાધિકારીઓએ એક સાથે 10 અધિકારી કર્મચારીઓની ટ્રાન્સફર કરી દીધી હોવાના સમાચારો ચમક્યા છે. કુલ 4 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દારુની બાટલી મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં હાજર સ્ટાફની પૂછપરછમાં કોઇએ પણ સ્વીકાર કર્યો નથી. જેને પગલે વિજિલેંસના અધિકારીઓ પણ ગુંચવણમા મુકાયા છે જોકે તેઓ પણ આ મુદ્દે કાચું કાપવાના મુડમા નથી.

આગામી દિવસોમાં બુધવારે હાજર રહેલા તમામ કર્મચારી અને અન્ય સ્ટાફનો નિવેદન લેવામા આવે તેવી સંભાવના છે.

કસ્ટમનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિજિલેંસની ટીમે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે શરૂ કરેલી તપાસ ગુરુવારે વહેલી સવાર ત્રણ વાગે સુધી ચાલુ હતી. તપાસ દરમિયાન એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જોકે કબાટની માલિકી કોની છે તેનો કોઇએ સ્વીકાર કર્યો નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ ઓફિસમા ત્રીજા માળે કબાટમાં દારૂની બોટલ કોણે મુકી છે. વિજિલેંસના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે જોકે તેમણે દારૂની બોટલ મળ્યા બાદ તરતજ ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ માહિતી મળી નથી તેથી સંભાવના છે કે કસ્ટમ વિભાગ દ્વારા તે દિવસે હાજર રહેલા તમામ કર્મચારી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય તમામના નિવેદન લેવામા આવી તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગમાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવવાની ઘટનાને લીધે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ છે. વિદેશી દારૂ મળ્યા અંગે ખુદ કસ્ટમ વિભાગ પણ કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ શરૂ કરશે. કસ્ટમ વિભાગમાં આવી ગેરરીતી મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે જોકે હવે તપાસ બાદ કેટલીક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

February 11, 2019
k_rajesh-1280x854.jpg
1min14050

પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરીને જમીનોના કોઠા કબાડા કરતા આવેલા મહેસુલી અધિકારીઓને અત્યાર સુધી ભાગ્યે જ કોઇ કુકર્મોની સજા મળી હશે. પરંતુ, સુરેન્દ્રનગરથી એવા સમાચાર આવ્યા છે કે જેમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ક્લાસ વન કક્ષાના અધિકારીઓ સમેત અનેક કૌભાંડીઓ સામે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ કાયદેસરની ફરીયાદ નોંધાવતા ગુજરાતના મહેસુલી વિભાગમાં સન્નાટો મચી ગયો છે. કે. રાજેશએ શરૂ કરેલી આ ગતિવિધિનો રેલો આગામી દિવસોમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં પ્રસરે તો મહેસુલી વિભાગમાં પેસી ગયેલી ભ્રષ્ટાચારની મથરાવટી સાફ થઇ જાય તેમ છે.

સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન પોલિસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ ઈ.પી.કો.ની કલમ ૨૧૯,૪૦૯,૪૬૩,૪૭૧,૩૪,૧૨૦-બી, ભ્ર.ની. અઘિ-૧૯૮૮(સુધારો -૨૦૧૮) કલમ ૧૩(૧)-a, ૧૩(૨),૧૨ મુજબ ફરીયાદ નોંધાવી છે. રાજ્યમાં કોઇ કલેક્ટરએ પહેલી વખત ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ફરીયાદ નોંધાવી હોય તેવા આ કિસ્સામાં સુરેન્દ્રનગરના એડિ. કલેક્ટર (૧) સી.જી.પંડયા, (નિવાસી અધિક કલેક્ટર વર્ગ-૧  (૨) વી. ઝેડ. ચૌહાણ, (નાયબ જીલ્લા વિકાસ અધિ , વર્ગ-૧,) તત્કાલીન પ્રાંત અધિકારી ચોટીલા (૩) જે.એલ. ઘાડવી, (નાયબ મામલતદાર વર્ગ -૩ ) તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર ચોટીલા (૪) જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓને આરોપી બનાવતી ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં નિર્દેશ કરાયો છે કે સુરેન્દ્રનગર કલેક્ટરેટના ઉચ્ચાધિકારીઓએ પોતાની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદા ની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન પોતાના હોદ્દાઓ, પોતાને મળેલી સત્તાઓનો દૂરુપયોગ કરી બીનપીયતની જમીનો ખાનગી લોકોના નામે કરી આપવા માટે સેટીંગ કર્યા હતા. મહેસુલી અધિકારીઓએ એક ગુનાહીત કાવતરુ રચી કાયદા વિરુદ્ધ ના હુકમો કરી, સરકારી મિલકત નો દુર્વય્ય કરી જીવાપર તથા બામણબોર ગામ ની જમીન ૩૨૦ એકર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી તેઓ ને ગેરકાયદે લાભ પહોંચાડી અધિક કલેક્ટર, તત્કાલિન ડીડીઓ સમેતના અધિકારીઓ, કર્મચારીઓએ હોદ્દા નો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તન આચરી એકબીજા ને મદદગારી કરી સરકારની તિજોરીને રુ ૩,૨૩,૦૩,૫૫૬નો ચૂનો ચોપડ્યો છે.

કે. રાજેશ એ ચાતરેલો ચીલો આગળ વધે તેવી શક્યતાઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુદ જાહેરમાં ખરખરો કરી ચૂક્યા છે કે રાજયમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલી વિભાગમાં છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ આજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના બે ક્લાસવન અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવાની હિંમત કરીને નવો ચીલો ચાતર્યો છે. મહેસુલી વિભાગમાં એવું નથી કે બધા જ ભ્રષ્ટ છે, કેટલાક પ્રમાણિક, બાહોશ અને હિંમતવાન અધિકારીઓ પણ છે, કે. રાજેશએ આજે ભ્રષ્ટ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીથી પ્રમાણિક અને બાહોશ અધિકારીઓને એવી હિંમત મળશે કે તેઓ પણ તેમના તાબા હેઠળના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ સામે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરશે એમ મનાય છે.

IAS K. Rajesh સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બચાવી ચૂક્યા છે

ભ્રષ્ટ ક્લાસ વન મહેસુલી અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ નોંધાવીને તેમને સસ્પેન્ડ કરી દેનારા સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશ સુરત જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. બાહોશ અને હિંમત સાથે કોઇપણ કામ કરતા આ અધિકારી સ્થાનિક સ્તરે બહુ માનીતા બની ગયા હતા. તેમણે તેમના કાર્યકાળમાં અનેક લોકોપયોગી નિર્ણયો લીધા હતા જેના મીઠાં ફળ આજે જિલ્લા પંચાયતના મુલાકાતીઓને મળી રહ્યા છે.

February 11, 2019
miising_mukesh_patel.jpg
1min16400

ભાજપની સ્થાનિક નેતાગીરી જેમને ટિકીટ પણ આપવા માંગતી ન હતી, પરંતુ કેન્દ્રીય મોવડીઓ સાથે સેટીંગ કરીને ભાજપાના ઉમેદવારોની પહેલી જ યાદીમાં પોતાનું નામ મૂકાવવામાં સફળ નિવડેલા ઓલપાડના ધારાસભ્ય લોકોની સેવા કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે

સુરત: BJPના વિધાનસભ્ય મુકેશ પટેલ ખોવાયા છે
BJP વિધાનસભ્ય મુકેશ પટેલ ગુમ થયાનાં બૅનરો સુરતમાં સુદામા ચોકમાં લગાવવામાં આવ્યા છે

સ્થાનિક ભાજપની નેતાગીરી ઓલપાડ વિધાનસભાની સીટ પર રિપીટ કરવા માંગતી ન હતી, જેમની સામે સ્થાનિક નેતાગીરીને ભારે રોષ છે પણ કેન્દ્રીય ભાજપામાં કેટલાક નેતાઓ સાથે ચોક્કસ પ્રકારનો વ્યવહારુ સબંધ ધરાવતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ મતદારોનું સેટિંગ કરવામાં સાવ નિષ્ફળ નિવડી રહ્યા છે. મતદારો કામ માગે છે અને આ સદંતર નિષ્ક્રીય રહેતા નેતાજી મુકેશ પટેલ ફક્ત સંકલનની બેઠકમાં પોતાની સેટિંગવાળી ફાઇલોમાં હોહા મચાવીને પોતે સક્રીય છે એવી હાજરી પૂરાવી લેતા હોય છે, પરંતુ, હવે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના લોકોએ મુકેશ પટેલને પાઠ ભણાવવા માટે મુહિમ શરૂ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તાર ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે, કહેવાય છે કે મુકેશ પટેલ ફક્ત વોટ માંગવા માટે ત્યાં પહોંચ્યા હતા, એ પછી દેખાયા નથી. મુકેશ પટેલને કારણે ત્યાંના સ્થાનિક ભાજપાના નેતાઓ અને કાર્યકરોની પણ હાલત કફોડી થઇ જવા પામી છે.

સુરતના ઓલપાડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મુકેશ પટેલ ગુમ થયાનાં બૅનરો રવિવાર તા.10મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરત શહેરના વરાછા વિસ્તારના સુદામા ચોક અને મોટા વરાછા વિસ્તારના મતદારોએ લગાવ્યાં હતાં. મતદારોનું કહેવું હતું કે ‘૨૦૧૭માં ઇલેક્શન પૂરું થયા પછી મુકેશભાઈ ક્યારેય ક્યાંય જોવા મળ્યા નથી. તેમનો કૉન્ટૅક્ટ કરવામાં આવે તો પણ તેઓ મતવિસ્તાર પર ધ્યાન નથી આપતા અને તેમની મદદ માગવામાં આવે તો પણ તે ટાળી દે છે.

મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા આઠ મહિના દરમ્યાન ઓછામાં ઓછા પાંચ હજાર મોબાઇલ ફોન ચોરાયા છે, જેના માટે પોલીસને રજૂઆત કરવાનું મુકેશભાઈને કહેવામાં આવ્યું તો પણ મુકેશભાઈ ગલ્લાંતલ્લાં કરવા માંડતાં નાછૂટકે આ બૅનરો મતદારોએ લગાવવા પડ્યાં હતાં. બૅનરો લગાવવાની બાબતમાં પહેલ કરનારા નરેશ વીરાણી નામના મતદારે કહ્યું હતું કે ‘મતવિસ્તારના કામ કરવાનો જો સમય તેમની પાસે ન હોય તો અમારી પાસે પણ હવે તેમના માટે સમય નથી.’

બીજા અનેક ધંધાઓ, સેટિંગો કરવા માટે મુકેશ પટેલ પાસે સમય છે પણ પોતાના મતવિસ્તારના મતદારોના પ્રશ્નોને સાંભળવાનો પણ સમય નથી, ચૂંટણી સમયે ફક્ત વોટ માંગવા માટે મોટા વરાછા વિસ્તારમાં ગયા હતા એ પછી ફરક્યા પણ નથી. તેમના માટે પ્રચાર કરનારા સ્થાનિક ભાજપા નેતાઓ અને કાર્યકરોની હાલત કફોડી થઇ જવા પામી છે

નરેશ વીરાણીએ જ અન્ય લોકોને તૈયાર કર્યા અને ઓલપાડમાં પાંચસોથી વધારે બૅનરો લગાવીને મુકેશ પટેલ ગુમ થયા છે એવો પ્રચાર કર્યો. પોતાના માટે લાગેલાં આ બૅનરો માટે વિધાનસભ્ય મુકેશ પટેલે કહ્યું હતું કે ‘રાજકારણમાં આ બધું ચાલ્યા કરે. આવી વાતોને બાંધવાની ન હોય. એક વખત ત્યાં જઈ આવીશ એટલે બધા પાછા હતા એવા રાજી થઈ જશે.’

February 11, 2019
ratnagiri.jpg
1min13740

700 થી 1000 રૂપિયે કિલો: ખર્ચી શકનારા અત્યારથી ખાવા લાગ્યા !

હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે કે લોકો ઉનાળો ક્યારે આવશે, એની રાહ જોઈ રહ્યા છે અને ઉનાળો શરૂ થશે ત્યારે કેરી ક્યારે આવશે, તેની રાહ જોશે પણ દેવગઢ, રત્નાગીરીની જગજાણીતી હાફૂસ કેરી મહારાષ્ટ્રમાં તો વેચાવા માંડી છે અને હવે એ ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ સુધી પહેંચી છે. ગુજરાતના મોટા શહેરોના બજારોમાં હાફૂસ કેરી મળતી થઈ ગઈ છે.

જાણીતા ફળના વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા એક સપ્તાહથી હાફૂસ કેરીનું આગમન રાજકોટની બજારમાં થઈ ગયું છે. હાફૂસમાં પણ અલગ અલગ વેરાયટી આવે છે એટલે એક કિલોનો ભાવ 700 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો છે. જે લોકોને આર્થિક રીતે પરવડે છે, એ લોકો અત્યારથી હાફૂસ ખાવા લાગ્યા છે.

ખાસ કરીને કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો અતિથિઓને પણ હાફૂસનો સ્વાદ મણાવે છે. રાજકોટની ફળ બજારમાં અત્યારે શિયાળાના કારણે અવનવી વેરાયટીના ફળ જોવા મળે છે. ડ્રેગન ફ્રૂટ, ચેરી, સ્ટ્રોબેરી, સંતરા, માલ્ટા, લીલા અંજીર, દ્રાક્ષ, જામફળ, બોર જેવા ફળ તો આવે જ છે પણ હવે આ બધા ફળ વચ્ચે ફળોની રાણી હાફૂસ કેરી પણ જોવા મળી રહી છે.

ફળોની વચ્ચે પડેલી હાફૂસ કેરી જોઈને લોકોને આશ્ચર્ય પણ થાય છે અને મન પણ લલચાય છે. કડકડતી ઠંડીમાં ઉનાળાના આગમનની છડી પોકારતી કેરી બજારમાં આવતાં જ લોકો હરખાવા લાગ્યા છે

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7630

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે એવું જણાવીને કોંગ્રેસે મુખ્ય પ્રધાનને નિષ્ફળ પ્રધાન ગણાવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયાં છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ

રાજયમાં અને દેશમાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અંગે જાહેરહિતની અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજૂ કરવા બે વખત નોટિસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજૂ કરી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલાં બાળકો અંગે જે તે સમયે આંકડા રજૂ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જિલ્લાઓમાં સંકલન, ગુમ થયેલાં બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલાં બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરિયાદ કરવા જાય તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મિસિંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલાં બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો કર્યા છે પણ તે માત્ર કાગળ પર છે. મિસિંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મિસિંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.

રાજયમાં કિડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દીકરીઓને ગુમ કરીને વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન સબ સલામતના દાવાઓ કરે તે કેટલે અંશે વાજબી? એવો સવાલ ઉઠાવીને તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે જવાબ માગ્યો છે.