રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ અનેકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે કેગે ડિફેન્સ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે, પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ર્ચિત નથી થઈ શકી. ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી, પરંતુ હજી સુધી વેન્ડરે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.
કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે, જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.
ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યું નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે કેગે પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદના પટલ પર મૂક્યો છે જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેન્ડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. ૨૯મી જુલાઈએ ભારતને પાંચ રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનો માટે ભારતે ૬૦ હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એન્ટિટીને કોન્ટ્રાક્ટનો ૩૦ ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ ૩૦૦ કરોડથી વધારેના દરેક ઇમ્પોર્ટ પર લાગુ થાય છે.
તેના માટે ફ્રીમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતની પ્રોડક્ટને ખરીદવામાં પણ આવી શકે છે. કેગના ઓડિટરે કહ્યું છે કે, વેન્ડર પોતાના ઓફસેટ કમિટમેંટને પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેગે કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલયને પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગે એમ પણ કહ્યું હતું કે ૨૦૦૫થી ૨૦૧૮ સુધી વિદેશી કંપનીઓ સાથે ૪૮ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા જે કુલ ૬૬,૪૨૭ કરોડ રૂપિયાના હતા. ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૯,૨૨૩ કરોડ રૂપિયાના ઓફસેટ ટ્રાન્સફર થવાનું હતું, પરંતુ માત્ર ૧૧,૨૨૩ કરોડ રૂપિયાનું જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે જે નિર્ધારીત વાયદા પ્રમાણે માત્ર ૫૯ ટકા જ છે.






