CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 3 of 143 - CIA Live

May 15, 2026
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min111

ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જોવા મળી રહી છે.

આજે એટલે કે 15 મે 2026ના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે રૅકોર્ડબ્રેક નબળો પડીને ₹96.02ના સ્તરે પહોંચી ગયો છે. અગાઉના દિવસે એટલે કે 14 મેના રોજ રૂપિયો ₹95.76 પર બંધ થયો હતો, જેની સરખામણીએ આજે વધુ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022થી અત્યાર સુધીના ગ્રાફ પર નજર કરીએ તો રૂપિયામાં સતત મૂલ્યહ્રાસ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં (YTD Change) રૂપિયામાં 13.2% જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ કડાકા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત ઉપાડ અને અમેરિકન ડૉલરની વૈશ્વિક બજારમાં મજબૂતી માનવામાં આવી રહી છે.

રૂપિયો નબળો પડવાને કારણે વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ જેવી કે ક્રૂડ ઓઇલ, ઈલેક્ટ્રોનિક્સ અને ખાદ્ય તેલ મોંઘા થશે. આનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે, જે આખરે મોંઘવારીમાં વધારો કરશે. આ ઉપરાંત, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસ પર જનારા લોકો માટે પણ ખર્ચમાં મોટો ઉછાળો આવશે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધી: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. યુદ્ધના ડરથી રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ડૉલર તરફ વળ્યા છે.

ક્રૂડ ઓઇલ ₹107 ડૉલરને પાર: ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ આયાત કરે છે. બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલને પાર કરી જતાં ભારતનું આયાત બિલ વધ્યું છે, જેના કારણે ડૉલરની માંગ વધી અને રૂપિયો ઘટ્યો.

મજબૂત ડૉલર ઇન્ડેક્સ: વૈશ્વિક સ્તરે ડૉલર ઇન્ડેક્સ 99.05 પર પહોંચી ગયો છે. જ્યારે પણ ડૉલર આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થાય છે, ત્યારે રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડે છે.

FII દ્વારા આક્રમક વેચવાલી: વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર બુધવારે જ FII એ ₹4,700 કરોડની વેચવાલી કરી હતી.

આયાતી ફુગાવાનો ખતરો: જથ્થાબંધ મોંઘવારી દર (WPI) સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે. તેલ મોંઘું થવાથી દેશમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધવાની ભીતિ છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ: આયાત મોંઘી થવાથી પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ: મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સના આયાતી પાર્ટ્સ મોંઘા થતા તેની કિંમતો વધશે.

વિદેશી શિક્ષણ અને પ્રવાસ: જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણે છે અથવા જે લોકો વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે હવે ડૉલર ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

રોજિંદી વસ્તુઓ: ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી શાકભાજીથી લઈને પ્લાસ્ટિક અને અન્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનો મોંઘા થશે.

May 6, 2026
image-3.png
1min190

કેન્દ્ર સરકારે ગુજરાતને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ વધુ બે મહત્વકાંક્ષી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરત ખાતે સ્થપાવવાના છે, જે દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઈક્રો-LED ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ હશે. આ બંને પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે અને તેનાથી અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની તકો ઊભી થશે.

મળતી વિગતો અનુસાર, ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે. આ એકમમાં ગેલિયમ નાઈટ્રાઈડ ટેકનોલોજી આધારિત મિની/માઈક્રો-LED ડિસ્પ્લે મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વાફર્સની રહેશે. અહીં તૈયાર થનારા ઉત્પાદનોનો ઉપયોગ સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, ઇન-કાર ડિસ્પ્લે તેમજ સ્માર્ટ વોચ અને એક્સટેન્ડેડ રિયાલિટી (XR) ગ્લાસ જેવા આધુનિક ઉપકરણોમાં કરવામાં આવશે.

બીજી તરફ, સુરત ખાતે સુચી સેમીકોન પ્રાઈવેટ લિમિટેડ (SSPL) દ્વારા ‘આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ’ (OSAT) ફેસિલિટી શરૂ કરવામાં આવશે. આ યુનિટ વાર્ષિક 1,033.20 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આ ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ IC અને ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સમાં થશે, જે ખાસ કરીને ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરશે. સુરત અને ધોલેરાના આ પ્રોજેક્ટ્સથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનશે.

આ બે નવી મંજૂરીઓ સાથે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે, જેમાં કુલ રોકાણ રૂ. 1.64 લાખ કરોડને પાર કરી ગયું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 315 શૈક્ષણિક સંસ્થાઓ અને 104 સ્ટાર્ટ-અપ્સને ચિપ ડિઝાઇન માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાંથી બે એકમોએ ભારતીય બજારમાં કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરી દીધું છે અને અન્ય બે પ્રોજેક્ટ્સ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

ર ફેસિલિટીને મંજૂરી
આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વાડીનાર ખાતે નવી શિપ રિપેર ફેસિલિટી (જહાજ સમારકામ સુવિધા) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દીનદાયલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1,570 કરોડનું મોટું રોકાણ કરવામાં આવશે. આ નવી સુવિધાથી ગુજરાતના દરિયાકાંઠે જહાજોના સમારકામની ક્ષમતામાં વધારો થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

May 1, 2026
image.png
1min164

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. 

April 25, 2026
heat-stroke.jpg
1min216

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.

April 21, 2026
earth-quake.png
1min173

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

April 13, 2026
image-9.png
1min155

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 13, 2026
image-8.png
1min126

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.

April 7, 2026
image-4.png
1min105

Indian Embassy Vietnam Travel Advisory: વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાંની મુલાકાતે જતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વની એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ફૂ ક્વોક(Phu Quoc) ટાપુ માટેના વિઝા નિયમો અને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ઊભા થતા જોખમો. હાલના સમયમાં ફૂ ક્વોક ટાપુ ભારતીય પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે કારણ કે ત્યાં અમુક મર્યાદાઓ સાથે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે, પરંતુ દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે.

દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિઝા વગર માત્ર ફૂ ક્વોક ટાપુ પર જ રહી શકાય છે, ત્યાંથી વિયેતનામના મુખ્ય ભૂભાગ જેવા કે હો ચી મિન્હ સિટી અથવા હનોઈમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન કોઈ તબીબી કટોકટી, ફ્લાઈટમાં વિક્ષેપ કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર ટાપુ છોડવાની ફરજ પડે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાથી તબીબી સારવારમાં વિલંબ, અવરજવર પર નિયંત્રણો અને ઈમિગ્રેશનને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ફૂ ક્વોક ટાપુ પૂરતો જ હોય, તો પણ અગાઉથી યોગ્ય વિયેતનામ વિઝા મેળવી લેવા હિતાવહ છે.

આ ઉપરાંત, બીજી મહત્ત્વની બાબત પાસપોર્ટ ખોવાઈ જવા અંગેની છે. જો કોઈ ભારતીય નાગરિક વિયેતનામમાં પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે, તો તેણે તાત્કાલિક જે-તે વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી પડશે. આ ફરિયાદની નકલ હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાની રહેશે. જોકે ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી સર્ટિફિકેટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રવાસીઓએ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી ‘એક્ઝિટ પરમિટ’ મેળવવા માટે ફરજિયાત રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે અને જ્યાં સુધી આ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ભારતીય નાગરિકોએ વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.

March 31, 2026
image-15.png
1min75
  • પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
  • જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.

વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

March 31, 2026
dolor_vs_rupee.jpg
1min89
  • રૂપિયાને તૂટતો બચાવવા આરબીઆઈના પગલાંની બજાર પર અસર માંડ અડધો કલાક રહી
  • એક જ દિવસમાં રૂપિયા-ડોલર વચ્ચે 167 પૈસાની રેકોર્ડ ઉછળકુદ : શેરબજાર તૂટતાં તથા ક્રૂડ ઉછળતાં રૂપિયા પર દબાણ વધ્યું : 30/03/2026 મોડી સાંજે રૂપિયો તૂટી ૯૪.૭૭ બોલાયો
  • રિઝર્વ બેન્કે કરન્સીમાં સટ્ટાખોરી રોકવા બેન્કો, સટ્ટોડિયાઓ પર 10 કરોડ ડોલરની મર્યાદા બાંધી

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.

આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું

રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.

ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.

મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.