CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 3 of 142 - CIA Live

March 25, 2026
image-10.png
1min78

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 23/03/2026 સોમવારે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ અપેક્ષા મુજબ બજાર પર મોટી અસર જોવા મળી. શેરબજારમાં જંગી તેજી અને ક્રૂડમાં ભારે કડાકો બોલાયો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત પહેલાં જ બજારમાં ખેલ ખેલાઈ ગયો. સટ્ટાબાજો સક્રિય થઈ ગયા અને તેમણે મિનિટોમાં જ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવી કરોડોની કમાણી કરી લીધી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા મુદ્દે ઈરાનને આપેલું 48 કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા પછી યુદ્ધ વધુ ભયાનક બનશે તેવી દુનિયાને આશંકા હતી, જેને પગલે સોમવારે શેરબજારથી લઈને સોના-ચાંદી, કરન્સી સહિતના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ક્રૂડના ભાવ પણ 117 ડોલરે પહોંચી ગયા હતા. જોકે, દુનિયા અને બજારની અપેક્ષાથી વિપરિત ટ્રમ્પે અચાનક જ ઈરાન સામે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે અપેક્ષા મુજબ જ શેરબજારમાં જંગી ઊછાળો આવ્યો અને ક્રૂડના ભાવ તૂટીને 100 ડોલર નીચે જતા રહ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પ યુદ્ધવિરામની જાહેરાત કરે તેની 15 મિનિટ પહેલાં જ સટ્ટાબાજો સક્રિય થયા હતા. તેમણે ક્રૂડના ભાવ અંગે 580 મિલિયન અંદાજે રૂ. 5,440 કરોડથી વધુ દાવ પર લગાવી દીધા. સટ્ટાબાજોએ ઈક્વિટી અને ઓઈલમાં સોદા કર્યા અને કરોડોની કમાણી કરી હતી. ઈરાન પર હુમલા ટાળવાની ટ્રમ્પની જાહેરાતની 15 મિનિટ પહેલા જ શેરબજારમાં તેજી અને ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહીમાં સટ્ટાબાજોએ મોટો દાવ લગાવ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું કે, આ સમયમાં થયેલા અનેક સોદાઓમાં ચોક્કસ સમય પર કરાયેલા સોદાઓથી સટ્ટાબાજોએ માત્ર 20 મિનિટની અંદર લગભગ 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 840 કરોડ)ની કમાણી કરી લીધી હતી. ટ્રેડિંગ પ્લેટફોર્મ અનયુઝ્યુઅલ વ્હેલ્સ મુજબ સટ્ટાબાજોએ બજારમાં બે તરફ એક સાથે દાવ લગાવ્યો હતો. યુદ્ધવિરામની સંભાવનાથી શેરબજારમાં તેજીની આશાથી લગભગ 1.5 અબજ ડોલર (અંદાજે રૂ. 12,600 કરોડ)ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. બીજીબાજુ યુદ્ધની આશંકા ખતમ થવા અને ક્રૂડના ભાવમાં ઘટાડાની આશાએ 192 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,615 કરોડ)ના ફ્યુચર્સ વેચાયા.

સૂત્રો મુજબ ન્યૂયોર્કના સમય મુજબ સવારે 6.50 કલાકે સીએમઈ પર એસએન્ડપી 500 ઈ-મિની ફ્યુચર્સમાં અચાનક ભારે ટ્રેડિંગ જોવા મળ્યું. આ સાથે જ ક્રૂડ ઓઈલના બજારમાં પણ હલચલ જોવા મળી હતી. આ સમય ઘણો જ અસામાન્ય હતો, કારણ કે બજાર ખૂલવાના પહેલાના કલાકોમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં સોદા થતા નથી. જોકે, બરાબર 15 મિનિટ પછી સવારે 7.05 કલાકે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

સટ્ટાબાજોએ સવારે 6.49થી 6.50 કલાકના માત્ર એક મિનિટના ટૂંકા સમયમાં બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લગભગ 6,200 સોદા કર્યા હતા, જેની કિંમત 580 મિલિયન ડોલર (અંદાજે રૂ. 4,870 કરોડ) હતી, જે તે સમયના સામાન્ય ટ્રેડ કરતા ચારથી છ ગણા વધુ હતા. ટ્રમ્પની જાહેરાત સાથે જ બજારમાં અપેક્ષા મુજબ એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો અને ક્રૂડમાં 6 ટકાનો કડાકો બોલાયો. આ ઉતાર-ચઢાવમાં રહસ્યમય ટ્રેડરે માત્ર 20 મિનિટમાં રૂ. 840 કરોડનો નફો કર્યો. શેરબજારનો નફો ઉમેરવામાં આવે તો કુલ નફો અનેક ગણો વધી જાય. આ સોદાઓ અંગે નિષ્ણાતો ઈનસાઈડર ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિર્ણયની અગાઉથી કોઈને જાણ નહીં હોવાનો દાવો કર્યો હતો.

બજારમાં હેરાફેરી માટે ટ્રમ્પે ખોટા સમાચાર ફેલાવ્યા : ઈરાન

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી. ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.

March 19, 2026
image-7.png
1min53
  • ડીજીસીએ દ્વારા એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા
  • એરલાઇન્સે એક જ પીએનઆર ધરાવતાં પ્રવાસીઓને નજીક બેઠકો ફાળવવી પડશે

દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફલાઇટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન યા બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતાં વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે પણ ડીજીસીએ દ્વારા વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છેે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ચૂક્યુ છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.

ડીજીસીએના માર્ગદર્શક આદેશ અનુસાર વિમાનપ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુક કરાવ્યા પછી અથવા વેબ ચેક ઇન દરમ્યાન પસંદગીની બેઠકો ફાળવવા માટે વધારે ચાર્જ વસૂલ કરતી હતી. નવા નિર્દેશોનો હેતુ આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ તાણવાનો છે.

એરલાઇન્સને જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત એરલાઇન્સને રમતગમતના કે સંગીતના સાધનો લઇ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલાં જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે.

સરકારે ફલાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર્સ પર સ્પષ્ટ દર્શાવવાના રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાયબ્રેરી અને મફત વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના અપાઇ છે.

February 28, 2026
image-35.png
1min91

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે ઈરાન, ઈરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા અપીલ

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમણે હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેમને નીચેની લિંકનો ઉપયોગ કરીને નોંધણી કરાવવા વિનંતી છે:

https://indembassyisrael.gov.in/indian_national_reg

નોંધણી કરવાથી દૂતાવાસ તાત્કાલિક તમારો સંપર્ક કરી શકશે અને પરિસ્થિતિના વિકાસ દરમિયાન જરૂરી અપડેટ્સ અને સહાય પૂરી પાડી શકશે.

ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.

યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ

બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઇટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતાં ઈઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલૅન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.

February 26, 2026
cia_multi-1280x1045.jpg
1min183

આજે 26મી ફેબ્રુઆરી 2026ની સવારે સુરત નજીક હજીરા ખાતે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તર નિપ્પોન સ્ટીલના પરીસરમાં તોફાને ચઢેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારોએ જો ધાંધલ-ધમાલ અને તોડફોડ મચાવી તેના વિડીયો દાવાનળની જેમ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયા હતા. દેશમાં જ નહીં પણ વિદેશોના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર સુરત નજીક હજીરાની કંપનીમાં મચેલી આ તોડફોડના વિડીયો પોસ્ટ થયેલો જોવા મળ્યા હતા.

કામદારો દ્વારા તોડફોડ કરવામાં આવી એ સ્થળ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટનું છે, જ્યાં લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો જોબવર્ક કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા બેથી ત્રણ દિવસથી કામદારો અને લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના ઉચ્ચાધિકારીઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. કામદારોની માગણી હતી કે તેમને સરકારી ધારાધોરણો અનુસાર મહેનતાણું તેમજ અન્ય ભથ્થા તથા સવલતો આપવામાં આવતી નથી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે કામદારોએ હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મળતી માહિતી મુજબ લાર્સન એન્ડ ટોબ્રો મેનેજમેન્ટે કામદારોની વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન આજે સવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામ કરવા પહોંચેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો તેમની કંપનીના મેનેજમેન્ટ તેમજ ઉચ્ચાધિકારીઓ પર રોષે ભરાયા હતા અને કંપની મેનેજમેન્ટ દ્વારા લાભો કાયમ માટે નહીં આપવામાં આવે તેવી દહેશતને પગલે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ AMNS કંપનીના પ્લાન્ટમાં જ તોફાને ચઢ્યા હતા.

તોફાને ચઢેલા કામદારોની સમજાવટ થાય તે પહેલા તો મામલો એટલી હદે બિચક્યો હતો કે સેંકડો કામદારોએ તોડફોડ મચાવી મૂકી હતી. AMNS અને લાર્સન એન્ડ ટોબ્રો બન્ને કંપનીની સિક્યુરિટી ફોર્સ અને હજીરા પોલીસ પણ ગણતરીની મિનિટોમાં તોફાનના સ્થળે પહોંચી ચૂકી હતી. પરંતુ, તોફાને ચઢેલા કામદારો કોઇ વાત માનવા તૈયાર ન હતા. આવી સ્થિતિમાં હળવો બળ પ્રયોગ કરવામાં આવતા મામલો વધુ બગડ્યો હતો અને વિફરેલા કામદારોએ કંપનીની ઇમારતોને નુકસાન પહોંચાડવા ઉપરાંત પરીસરમાં પાર્ક કરાયેલી ગાડીઓની પણ ભારે તોડફોડ મચાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ કામદારોએ ઉતાર્યા હતા અને વ્હોટ્સએપ પર પોસ્ટ કર્યા હતા. જોતજોતામાં આ વિડીયો લોકલ સર્કલથી લઇને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર વાઇરલ થઇ ગયા હતા. વિદેશોમાં પણ સુરતની હજીરા સ્થિત AMNS કંપનીના પ્લાન્ટમાં કામદારોએ કરેલી તોડફોડના વિડીયોની ખાસ્સી ચર્ચા જાગી છે.

ઘટના કલાકો પછી સ્થિતિ સ્પષ્ટ થઇ હતી કે સુરત નજીક AMNSના પ્લાન્ટમાં તોડફોડ કરનારા કર્મચારીઓ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના હતા.

તોફાને ચઢેલા કામદારોનો રોષ ઠારવા L&T કંપનીએ લેબર કાયદાનો અમલ કરવાનું સ્ટેટમેન્ટ આપ્યું

હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ભારે તોફાન મચાવનાર પોતાના કામદારોનો રોષ ઠારવા માટે આજે બપોર બાદ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીએ એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. L&Tના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ વિભાગના હેડ એમ સેન્થિલકુમારના સહી સિક્કા સાથે જાહેર કરાયેલા ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે એવી જાહેરાત સાથે એ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શ્રમ સંહિતા સંદર્ભે નવી અધિસૂચનાઓ લાગૂ કરવામાં આવશે, એ તમામ અધિસૂચનાના તમામ નિયમો અને વિનિયમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે.

AMNSમાં તોફાન થયાની અફવા ફેલાતા કંપનીએ સ્પષ્ટીકરણ આપ્યું

આજે સુરત નજીક હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ AMNSના હજીરા પ્લાન્ટમાં કામદારોએ ભારે તોડફોડ કરી હોવાના વિડીયો વાઇરલ થતાં એકલા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં AMNS કંપનીની ભારે બદનામી થઇ હતી. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા AMNS હજીરાના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે AMNS ઇન્ડીયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટ પર લાર્સન એન્ડ ટોબ્રો કંપની દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઇ દેખાવો કર્યા હતા. L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.

February 25, 2026
image-29.png
1min87
  • ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને ‘કેરલમ’ નામ અપાયું છે

દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા.

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.

February 25, 2026
image-28.png
1min199

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-27.png
1min98

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min102

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min149

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 19, 2026
image-20.png
1min67

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.