સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.