એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.
નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.
જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”
Please contact for any news, event coverage 98253 44944





















