Jayesh Brahmbhatt
પેટ્રોલ પંપ પર રૂ. ૫૦, રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ જેવા રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ પૂરાવતા વાહનચાલકોએ ટૂંક સમયમાં લિટરના હિસાબ અને માપથી જ ઇંધણની ખરીદી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલિયમ કંપનીઓથી લઇને પેટ્રોલ પંપ સંચાલકોને એવી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ ચૂકી છે. ટૂંકસમયમાં આ નિર્ણય અમલમાં મૂકવામાં આવે તેવા સંકેતો મળ્યા છે. જોકે, હાલ ચૂંટણીની આચારસંહિતાના કારણે આ શક્ય બનશે કે કેમ તેના પર સવાલ ઉદભવ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય તોલમાપ ખાતાએ પેટ્રોલિયમ કંપનીને પત્ર મોકલીને લિટર અનુસાર ઇંધણનું વેચાણ કરવાનો આદેશ દીધો હોવાનું જાણવા મળે છે.

તોલમાપ ખાતાના એક અધિકારીએ ઇંધણ પૂરું પાડતી બીપીસીએલ, એપીસીએલ અને આઇઓસીએલ કંપનીને આ મહિનામાં લિટરના હિસાબે ઇંધણ વેચવાનો અને મશીનના રૂપિયા આંકડામાં સેટ કરવા તેમ આદેશ આપતો પત્ર પાઠવ્યો હતો. લીગલ મેટ્રોલોજી નિયમ અનુસાર ડીઝલ પૈસાના હિસાબેથી વેચાય છે, પણ હવે લિટરના હિસાબેથી વેચવું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના વિદર્ભ પેટ્રોલિયમ ડિલર્સ એસોશિયેસને આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોવાની માહિતી મળી હતી.
ઇંધણની સિસ્ટમને લિટરમાં અપગ્રેડ થાય તો છુટ્ટા પૈસા પરત કરવાની સમસ્યા ઉદભવશે
જાણકારો જણાવે છે કે પેટ્રોલ ડિઝલના ભાવો રૂપિયા અને પૈસા એમ બન્નેના પ્રમાણમાં હોય છે. હાલમાં છુટ્ટા પૈસા કે રૂપિયાની મગજમારીને કારણે લોકો રાઉન્ડ ફિગરમાં અને પેટ્રોલ પંપ ધારકો પણ એવો આગ્રહ રાખે છે કે ગ્રાહકો 50, 100, 200, 500 જેવા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ડિઝલ પૂરાવે. પરંતુ, હવે જો લિટરના હિસાબે જ પેટ્રોલ-ડિઝલ પૂરાવવાની સૂચના મળશે તો પેટ્રોલ પંપો પર રોજેરોજ છુટ્ટાની રામાયણ સર્જાશે. વાહન ચાલકો અને પેટ્રોલ પંપ કર્મચારીઓ વચ્ચે રોજેરોજ છુટ્ટા પૈસાના મુદ્દે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે.















