બિઝનેસ Archives - Page 42 of 92 - CIA Live

January 1, 2021
fastag.png
1min411

ફાસ્ટેગની નવી વ્યવસ્થા અંગે સરકારે નાગરીકોને મોટી રાહત આપી છે. વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની સમય મર્યાદા 1 જાન્યુઆરીથી વધારી 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આમ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ જરૂરી નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ધ્યાને લઈ તેને લગાવવાની સમય મર્યાદા વધારી છે. આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થવા માટે ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી, ર0ર1થી તમામ વાહનોમાં ફાસ્ટેગ લાગેલુ હોવું ફરજિયાત રહેશે.

દેશના તમામ એનએચએઆઈ ટોલ પ્લાઝા કેશને બદલે ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવી રહ્યા છે. જો કોઈ ફાસ્ટેગ વિના ટોલ પ્લાઝા પર પહોંચશે તો તેણે બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે નાગરીકોને વાહનમાં ફાસ્ટેગ લગાવવા માટે દોઢ મહિનાની મહેતલ અપાઈ છે. 100 ટકા કેશલેસ વ્યવસ્થા હવે 1પ ફેબ્રુ.થી અમલી બનશે. ફાસ્ટેગ બે પ્રકારના હશે. એક એનએચએઆઈનું ટેગવાળુ અને બીજુ બેંકો પાસેથી લેવામાં આવેલું.

December 28, 2020
car.png
1min435

કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.

અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.

December 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min694

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.

સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.

આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.

December 18, 2020
tollplaza-1280x715.jpg
1min511

દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.

આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.

જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે.
સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.

December 14, 2020
epf.jpg
1min426

દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.

December 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min809

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.

GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી

GJEPC Welcomes Measures Announced by Finance Minister to Boost Exports

GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.

December 9, 2020
serum.jpg
1min523

દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.

December 4, 2020
sugar.jpg
1min468

દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.

રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

December 4, 2020
gst.jpg
1min391

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.

નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.

આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.

December 3, 2020
transporters-strike-072118.jpg
1min461

ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. 

આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.  

AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે.