દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.
શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.
દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.
કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.
વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.
દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.
અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.
ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’
ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 8મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. હુરૂનના ગ્લોબલ રિચ લિસ્ટ ર0ર1 મુજબ છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની મિલકત ર4 ટકા વધી છે. તેઓ 83 અબજ ડોલરની સંપતિના માલિક છે. જે ભારતીય મુદ્રામાં 6.09 લાખ કરોડ જેટલા થાય છે.
દુનિયાના સૌથી ધનિક તરીકે ટેસ્લા કંપનીના એલન મસ્કે સ્થાન મેળવ્યુ છે જેમની સંપતિ 3ર8 ટકા વધી 197 અબજ ડોલર થઈ છે. એક વર્ષમાં એલન મસ્કની સંપતિમાં 1પ1 અબજ ડોલરનો વધારો થયો છે. ચીનના ઉદ્યોગપતિ અલીબાબા ગ્રુપના જેક મા ચોથા ક્રમે છે. રિચ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ર.34 લાખ કરોડની સંપતિ સાથે 48મા ક્રમે, શિવ નાદર તથા પરિવાર 1.94 લાખ કરોડની સંપતિ સાથે પ8મા ક્રમે, લક્ષ્મી એન મિતલ 1.40 લાખ કરોડની સંપતિ સાથે 104મા ક્રમે તથા સાઈરસ પૂનાવાલા 1.3પ લાખ કરોડની સંપતિ સાથે 113મા ક્રમે સ્થાન મેળવ્યું છે.
નવી યાદી અનુસાર ભારતમાં ર09 અબજપતિ છે જેમાં 177 ભારતમાં રહે છે. અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 689 થઈ છે. ભારતમાં ગત વર્ષ પ0 અબજપતિઓ ઉમેરાયા હતા. સંપતિમાં ર71 ટકાના ઉછાળા સાથે ઝેસ્કાલરના જય ચૌધરીની સંપતિ 96000 કરોડ અને અદાણી ગ્રુપના વિનોદ શાંતિલાલ અદાણીની સંપતિ 1ર8 ટકા વધી 7ર000 કરોડ થઈ હતી.
સતત પાંચમાં મહિને ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક એક લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો. જે અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનાં સંકેત આપે છે, એમ નાણાં ખાતાએ સોમવારે કહ્યું હતું.
ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક રૂ. ૧,૧૩,૧૪૩ કરોડ રહ્યો હતો જેમાં રૂ. ૨૧૦૯૨ કરોડ સીજીએસટી અને રૂ. ૨૭,૨૭૩ કરોડ એસજીએસટી, રૂ. ૫૫,૨૫૩ કરોડ આઈજીએસટી (આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૨૪,૩૮૨ કરોડ અને આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૯,૫૨૫ કરોડના સેસ)નો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
ગયા વરસની સરખામણીએ ફેબ્રુઆરીમાં આયાતી ઉત્પાદનો પરના જીએસટીની આવકમાં ૧૫ ટકાનો અને આયાતી સેવા સહિત ડૉમેસ્ટિક ટ્રાન્ઝેક્શનની આવકમાં પાંચ ચકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
24 & 25 February બે દિવસમાં જોરદાર રિકવરી દર્શાવનારા Sensexમાં આજે 26/2/21 ફરી જોરદાર વેચવાલીને કારણે 1500થી પણ વધુ પોઈન્ટ્સનું ગાબડું પડ્યું છે. ગઈકાલે 25/2 બજાર 51,039 પોઈન્ટ્સ પર બંધ થયું હતું, પરંતુ આજે તે 641 પોઈન્ટ્સના ઘટાડા સાથે 50,400ના લેવલ પર ખૂલ્યું હતું, અને વેચવાલીનું પ્રેશર રહેતા 11.30 કલાકે 1500 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.
આ જ સપ્તાહે શરુઆતના બે દિવસ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જોકે, બુધ અને ગુરુવારે માર્કેટ ખાસ્સું સુધર્યું હતું અને સપ્તાહની શરુઆતમાં 50 હજારની નીચે સરકી ગયેલો સેન્સેક્સ ફરી 51 હજારની સપાટી પર પહોંચી ગયો હતો. જોકે, બજાર ફરી એકવાર 51 હજારની સપાટીને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું, અને આ લખાઈ રહ્યું છે ત્યારે તે 49,500ની આસપાસ સેન્સેક્સ ટ્રેડ થઈર રહ્યો હતો.
આજે સૌથી વધુ ઘટાડો બેંક શેર્સમાં જોવા મળ્યો છે. સેન્સેક્સની જ વાત કરીએ તો, 30 શેર્સમાંથી સૌથી વધુ ઘટેલા 10 શેર્સમાંથી નવ શેર્સ તો બેંન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના હતા. જેમાં ICICI સૌથી વધુ 4.93 ટકા ઘટાડા સાથે 597 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એચડીએફસી બેંક 4.72 ટકાના ઘટાડા સાથે 1530, ઈન્ડસિન્ડ બેંક 4.56 ટકાના ઘટાડા સાથે 1059, એક્સિસ 4.56 ટકાના ઘટાડા સાથે 736, એચડીએફસી 4.45 ટકાના ઘટાડા સાથે 2564ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.89 ટકાના ઘટાડા સાથે 825, એસબીઆઈ 3.57 ટકાના ઘટાડા સાથે 392, રિલાયન્સ 2.46 ટકાના ઘટાડા સાથે 2092, એશિયન પેઈન્ટ્સ 2.21 ટકાના ઘટાડા સાથે 2321ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાંથી સનફાર્મા, ડૉ. રેડ્ડી, મારુતિ, નેસ્લે, અલ્ટ્રાટેક જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે તે સિવાયના તમામ 26 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.
ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.
કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.
સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.
ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.
કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.
સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.
પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.
ચાવીરૂપ મુદ્દાઓ:
૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.
૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.
૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.
૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.
૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.
૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.
સરકારે બુધવારે ફાર્માસ્યુટિકલ અને આઈટી હાર્ડવેર ક્ષેત્રને પ્રોડકશન લિન્કડ ઈન્સેટિવ (પીએલઆઈ) સ્કીમ જાહેર કરી હતી. દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઈન્સેન્ટિવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૨૦-૨૧થી ૨૦૨૮-૨૯ના સમયગાળા માટે ફાર્મા ક્ષેત્રને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.ભારતની ઉત્પાદન ક્ષમતા પ્રત્યે દેશી અને વિદેશી ઉત્પાદકોને આકર્ષવા માટે ભારતમાં લૅપટોપ, સર્વર્સ, કમ્પ્યુટર્સ અને ટૅબ્લેટ્સના ઉત્પાદનને વધારવા માટે સરકારે બુધવારે રૂ. ૭૩૫૦ કરોડની યોજના મંજૂર કરી હતી.
નવી યોજના ૧.૮૦ લાખ રોજગારની તક ઊભી કરવા સાથે આવતા ચાર વર્ષમાં રૂ. ૩.૨૬ લાખ કરોડનું ઉત્પાદન અને રૂ. ૨.૪૫ લાખ કરોડની નિકાસ કરવાનો અંદાજ જાહેર કરાયો હતો.
કૅબિનેટની બેઠક બાદ કમ્યુનિકેશન અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આઇટી હાર્ડવૅર ઉત્પાદનો માટે ઉત્પાદનને જોડતા પ્રોત્સાહન (પીએલઆઇ)ની યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને એમાં લૅપટોપ્સ, ટૅબ્લેટ્સ, ઑલ ઇન વન પીસી અને સર્વર્સનો સમાવેશ કરાયો છે.
રૂ. ૭૩૫૦ કરોડની આ યોજના ભારતને હાર્ડવૅરના ઉત્પાદનમાં વૈશ્ર્વિક હબ તરીકે આગળ લાવવા માટેની છે.
હજુ ગત સપ્તાહ દરમિયાન જ રૂ. ૧૨૧૯૫ કરોડની ટેલિકોમના સાધનોના ઉત્પાદનની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
પીએલઆઇ યોજનાનો લાભ આઇટી હાર્ડવૅર ક્ષેત્રની પાંચ મોટી વૈશ્ર્વિક અને ૧૦ સ્થાનિક કંપનીઓને મળશે. ભારતને આત્મનિર્ભર બનાવવાના આ યોજના સિંહફાળો આપશે. આ યોજના ભારતની ઇલેક્ટ્રોનિક્સની ઇકોસિસ્ટમનો વિકાસ કરશે.
આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 1145 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,744ની સપાટી પર બંધ થયો હતો.હજુ ગયા અઠવાડિયે જ 52,516નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર જ ટ્રેડિંગ ડે માં 2500 પોઈન્ટ્સનો જંગી ઘટાડો નોંધાયો છે.
મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ શેર્સ અનુક્રમે 4.85 અને 4.28 ટકાના ઘટાડા સાથે 946 અને 838 રુપિયાના સ્તરે બંધ થયા હતા. જ્યારે ડૉ. રેડ્ડીમાં 4.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર 4487 રુપિયાની સપાટી પર બંધ થયો હતો.
આ સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસિન્ડ બેન્કમાં 3.95, એક્સિસમાં 3.54, એચડીએફસીમાં 2.94, એસબીઆઈમાં 2.79 ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે 3.87 ટકા, 2.61 ટકા અને 3.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી જ ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સુરત સ્પાર્કલ– ર૦ર૧’માં ૧૦૦થી વધુ ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરર્સ એકજ પ્લેટફોર્મ પર એકત્રિત થશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી બી ટુ બી ધોરણે એકઝીબીશનનું આયોજન કરવામાં આવી રહયું છે, ત્યારે આ વર્ષે પણ આ અભિગમને જાળવી રાખવામાં આવ્યો છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં ડાયમંડ તથા જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાંં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, તેનાથી સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉન બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમ ફિઝીકલ એકઝીબીશન ‘સીટેક્ષ એક્ષ્પો’ યોજાયું હતું. ત્યારબાદ હવે ચેમ્બર દ્વારા બીજા ફિઝીકલ એકઝીબીશન તરીકે ‘સ્પાર્કલ પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૦/ર/ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા મુખ્ય મહેમાન તરીકે તથા જુનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સહયોગથી ૧૦૦ જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહયા છે. આમ કુલ ૧પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ પછી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉભી નહીં થશે તેવું લાગી રહયું હતું. પરંતુ અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરિત થઇ રહયા છે. જેનો સીધો લાભ સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થઇ રહયો છે. ડાયમંડ જ્વેલરીનું એક્ષ્પોર્ટ પણ સુરતથી વધી રહયું છે.
પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
જયંતિ સાવલીયાએ વધુમાં કહયું કે, માઇન્સમાંથી રફ હીરા નીકળ્યા બાદ તેને કટ એન્ડ પોલીશ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો ડાયમંડ જ્વેલરીમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું લાઇવ બતાવવામાં આવશે, જે સ્પાર્કલ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
*દેશભરમાંથી બાયર્સ સ્પાર્કલની મુલાકાતે આવશે*દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકટ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકોને તથા બાયર્સને રૂબરૂ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામ સ્થળેથી મોટી સંખ્યામાં બાયર્સ તથા વિવિધ એસોસીએશનના પ્રતિનિધી મંડળો સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનાર છે. તદુપરાંત સોશિયલ મિડિયા અને ડિજીટલ માર્કેટીંગના માધ્યમથી પણ દેશ–વિદેશના બાયર્સને સ્પાર્કલ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન સેમિનાર અને પેનલ ડિસ્કશન
સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સેમિનાર હોલમાં ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રી હેતુલક્ષી વકતવ્ય રજૂ કરશે. સેમિનારમાં પેનલ ડિસ્કશન પણ યોજાશે. જેમાં અંકીત જેમ્સના ડાયરેકટર પ્રિયાંશ શાહ, એલ્વી જ્વેલ્સના ડાયરેકટર કલ્પેશ વઘાસિયા, સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા, ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઇઓ ડો. સ્નેહલ પટેલ અને દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગૃપના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા ભાગ લેશે.
સંગિત સંધ્યા અને ફેશન શો
સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે બ્રહમાંડ ગૃપ દ્વારા સંગિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક ભગીરથ ભટ્ટ સહિતના કલાકારો વિવિધ ગીતો રજૂ કરશે. તદુપરાંત રવિવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ડો. હીના મોદી અને મિસિસ એશિયા યુનિવર્સ ર૦૧૯ સ્વાતિ જાની દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ડાયમંડ જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.
સોમવારે શેર બજાર Sensex, Nifty, Bank Nifty રેકોર્ડ ઊંચાઇ સાથે ખુલ્યો હતો. બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સે પ્રથમ વખત ૫૨,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી. જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૪૫૫.૩૮ પોઇન્ટના ઉછાળા સાથે ૫૧,૯૯૯.૬૮ પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે આ પહેલાં કારોબાર દરમિયાન તે ૫૨,૧૧૦.૭૪ સુધી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૧૨૦.૧૫ પોઇન્ટની તેજી સાથે ૧૫,૨૮૩.૪૫ પર કારોબાર કરી રહ્યો હતો.
આજની શરૂઆતમાં કોરોબારમાં લગભગ ૧૦૮૬ શેર વધ્યા, ૩૭૬ શેર ગગડ્યાં અને ૭૫ શેરોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે ઇન્ડસઇંડ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક અને બજાજ ફિનસર્વ જેવા મુખ્ય બેંકિંગ શેરોમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ પર સૌથી વધુ લાભ ઇન્ડસઇંડ બેંકના શેરને થયો, જે ૨.૫૮ ટકા સુધી ઉચકાયો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.