અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.
જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.
હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.
જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.