CIA ALERT

Alert Archives - Page 9 of 513 - CIA Live

April 24, 2026
image-13.png
1min86

આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ ગયા છે. સાતેય સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની ગઈ છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે (24 એપ્રિલ) પ્રેસ કોન્ફરન્સ કરીને અન્ય બે સાંસદો સાથે AAP છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ પાર્ટી છોડી દીધી છે અને ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ છે.

રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 113 થઈ

તાજેતરના આંકડા મુજબ, ભાજપ પાસે રાજ્યસભામાં 106 સભ્યો છે. જેમાં AAPના 7 પક્ષપલટુ સાંસદો ઉમેરાયા બાદ ભાજપની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં ભાજપ મજબૂત થઈ છે, સાથે જ આગામી કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભાજપને પક્ષપલટુઓનો સાથ મળતા મજબૂત તો થયું જ છે, સાથે તેમના સાથી પક્ષોના સહયોગના કારણે પણ આ સંખ્યાને મજબૂતી આપી છે. હાલ ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં સાથી પક્ષોના સાંસદો સહિત કુલ 136 સાંસદો છે અને હવે સાત સાંસદોના પક્ષપલટા બાદ આ સંખ્યાબળ 143 પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ સભ્યો અનેક મહત્વના ખરડાઓ દરમિયાન સરકારનું સમર્થન કરતા રહ્યા છે, જેનાથી સત્તા પક્ષને વ્યૂહાત્મક સરસાઈ મળે છે.

રાજ્યસભામાં NDAના સાથી પક્ષોની સ્થિતિ

તમિલનાડુની AIADMKના 5 સભ્યો
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 2 સભ્યો
શિવસેનાના 2 સભ્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથના 4 સભ્યો
રામદાસ અઠાવલેની RPIના 1 સભ્ય
બિહારમાં નીતીશ કુમારની JDUના 4 સભ્યો
કર્ણાટકમાં JDSનો 1 સભ્ય
ઉત્તર પ્રદેશમાં પ્રભાવ ધરાવતી RLDના 1 સભ્ય
આસામની AGPના 1 સભ્યો
UPPLના 2 સભ્યો

રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર કરવો NDA માટે હંમેશા પડકાર રહ્યો છે. લોકસભામાં મજબૂત બહુમતી હોવા છતાં, ઉપલા ગૃહમાં સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત સરકારે વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પડતો હતો, પરંતુ હવે 113ના આંકડા સુધી પહોંચવાથી સરકાર માટે બિલ પાસ કરાવવું સરળ બની શકે છે.

April 24, 2026
voting.jpg
1min78

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તા.24મી એપ્રિલને શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.

રાજ્યની મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની હજારો બેઠકો માટે આગામી ૨૬મી એ્પ્રિલને રવિવારે મતદાન યોજાશે. ૪૮ કલાક પહેલા જાહેર અને સાઉન્ડ સિસ્ટમ સાથેની ચૂંટણી પ્રચાર ઉપર પાબંધી લાગી જતી હોવાથી શુક્રવારે પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

April 23, 2026
sensex_down.jpg
1min91

ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ થયું છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેર વાળા સેન્સેક્સ 852 અંકથી બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ 205 અંકે ક્લોઝ થયો છે. શેરબજારમાં ભૂકંપ આવતા ટાટાના ટ્રેન્ટ લિમિટેડના શેર સહિત ઇન્ફોસિસ, M&M, ટેક મહિન્દ્રા, HDFC બૅંક, વગેરે શેરમાં ઘટાડો નોંધાતા રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે! ચાલો જાણીએ સેન્સેક્સ-નિફ્ટીના ઘટાડા પાછળના કારણો.

શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, જેમાં તેમની ₹3 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા છે. આ સતત બીજા દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું છે.

BSE સેન્સેક્સે ગુરુવારે(23 એપ્રિલ) શેરબજારમાં ટ્રેડિંગ સ્ટાર્ટ હોવાના કારણે અગાઉ 78,516 બંધ થયાની તુલનાએ સેન્સેક્સ 77,983 સ્તરે રહ્યો અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 30 શેર વાળો ઇન્ડેક્સ 852.49થી 77,664 સ્તરે ક્લોઝ થયો છે.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીમાં પણ ઘટાડો થવાની સાથે રેડ ઝોનમાં ખુલ્યો. 50 શેર વાળા ઇન્ડેક્સ બુધવાર(22 એપ્રિલ) 24,378 બંધ રહ્યો હતો, જેમાં ઘટાડો થતાં તે હવે 24,202 પર ખુલ્યો અને સતત ઘટાડો નોંધાતા અંતે 24,173.05 પર ક્લોઝ થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા વચ્ચે અનેક હેવીવેઇટ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BSEના માર્કેટ કેપમાં ઘટાડો થતાં ₹4,66,35,326 કરોડ પર પહોંચ્યું, જે પાછલા કાર્યકારી દિવસે ક્લોઝિંગના સમયે ₹4,69,36,824 કરોડ નોંધાયું. આ સંદર્ભમાં જોઈએ તો શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં ₹3,01,498 કરોડનો ફટકો પડ્યો છે.

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળતા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જ-કેપ કેટેગરીમાં ટ્રેન્ટ શેર (4.21%), M&M (3.30%), બજાજ ફિનસર્વ (2.93%), ટેક મહિન્દ્રા (2.90%), ઇન્ફોસિસ (2.04%), અને HDFC બૅંક (1.93%) શેર નુકસાન સાથે બંધ થયા. આ સાથે મિડ-કેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ (4.61%), ડિક્સન (3.65%), અને MFSL (2.35%) નીચા સ્તરે બંધ થયા. જ્યારે સ્મોલ-કેપ શેરોમાં IIFLને 10.12% સૌથી વધુ ઘટાડો સહન કર્યો હતો.

શેરબજારમાં આવેલા નોંધપાત્ર ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇઝ 103 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.

આ ઉપરાંત, વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું.

April 23, 2026
image-12.png
1min79

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(23 એપ્રિલ, 2026) પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી. 

સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (VTR) મુજબ, તમિલનાડુમાં અંદાજે 84.41 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે 91.46 ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ DMKની આગેવાની હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

આમ આદમી પાર્ટીના સંયોજનક અરવિંદ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં TMCનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ 26-27 એપ્રિલના રોજ TMC માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.

‘ચૂંટણી પંચ સફળ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થયું છે. મારી જાણકારી મુજબ 90 ટકા મતદાન થયું છે. અમે પ્રથમ તબક્કામાં 125 બેઠકો જીતીશું. મુસ્લિમ મતો તો પહેલાથી જ Consolidate (એકત્રિત) થઈ ગયા હતા, પરંતુ પરિણામો પછી જો જો કે 85 ટકા હિન્દુઓ તમને ભાજપની સાથે જોવા મળશે. બીજો તબક્કો અમારા માટે મુશ્કેલ નથી. બસ ગુંડાગીરી પર કાબૂ મેળવવો પડશે. ચૂંટણી પંચ પ્રથમ તબક્કા પછી 100 ટકા કામગીરી કરી શક્યું છે.’

April 22, 2026
image-11.png
1min256

આજે 22/04/2026 સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું અને આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉદઘાટન સમયે હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પ્રાર્થના કરી હતી. મંદિર 22 એપ્રિલથી શરૂ થતા આગામી છ મહિના સુધી ખુલ્લું રહેશે.

કેદારનાથ ધામમાં ડોલી આવી ત્યારે લગભગ છ થી આઠ હજાર ભક્તો હાજર હતા. આખો વિસ્તાર “હર હર મહાદેવ” ના નારાથી ગુંજી ઉઠ્યો. ભક્તોએ બાબા કેદારનું ભવ્ય સ્વાગત કર્યું, જેનાથી શ્રદ્ધાથી ભરેલું વાતાવરણ સર્જાયું. બુધવારે સવારે મંદિરના દરવાજા ખુલ્યા બાદ, મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ.

ગયા વર્ષે, 23 ઓક્ટોબર, 2025 (ભાઈ બીજ) ના રોજ, શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. હવે, છ મહિનાથી વધુ સમય પછી, મંદિર ભક્તો માટે ફરી ખુલ્યું છે, જે ચારધામ યાત્રાના નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આજે, દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર, શ્રી કેદારનાથ ધામના દરવાજા બધા ભક્તો માટે યોગ્ય વિધિ સાથે ખોલવામાં આવ્યા છે. તેમણે ચારધામ યાત્રાને શ્રદ્ધા, એકતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો દિવ્ય ઉત્સવ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા સનાતન સંસ્કૃતિની ઊંડી ઝલક આપે છે. તેમણે ચારધામ યાત્રાના પ્રારંભ પર ભક્તોને પત્ર લખીને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. અંતે, તેમણે બાબા કેદારને પ્રાર્થના કરી કે તેઓ બધા યાત્રાળુઓને આશીર્વાદ આપે અને યાત્રાને શુભ બનાવે. હર હર મહાદેવ.

બીજી તરફ, બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નરસિંહ મંદિરથી, આદિ ગુરુ શંકરાચાર્યનું સિંહાસન અને ગરુડ ડોલી બદ્રીનાથ ધામ માટે રવાના થયા છે, જે યાત્રાની ધાર્મિક પરંપરાને આગળ ધપાવે છે.

આ વર્ષે, ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 20 એપ્રિલ સુધીમાં, 2.1 મિલિયનથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. આમાંથી, આશરે 700,000 લોકોએ કેદારનાથ માટે અને 600,000 લોકોએ બદ્રીનાથ માટે નોંધણી કરાવી છે.

April 21, 2026
earth-quake.png
1min131

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

April 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min269

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની અગ્રણી સહકારી બેેંકોની યાદીમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઇ ચૂકી છે. આજે નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી પહેલી મિટીંગમાં વરાછા કો.ઓ. બેંકના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મનજીભાઇ કુકડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે બેંકના વાઇસ ચેરમેન તરીકે સી.એ. હરેશ ધીરુભાઇ કાપડીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ પ્રપોઝલને આખરી મંજૂરી અર્થે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવશે અને એ પછી વરાછા બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિતેલા સપ્તાહે તા.5મી એપ્રિલે વરાછા બેંકની ચૂંટણી યોજાઇ હતી અને તા.7મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવી હતી. એ પછી વિજેતા ઉમેદવારોને વરાછા કો.ઓ. બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલી જાહેર કરવામાં આવ્યા હતા. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદીને નવી દિલ્હી સ્થિત સક્ષમ સત્તામંડળ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અને વિજેતાઓની યાદી પર મંજૂરીની મહોર લાગતા આજે તા.14મી એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારી શ્રી વાઘેલાની ઉપસ્થિતિમાં વરાછા બેંકની વડી કચેરી ખાતે વરાછા કો.ઓ. બેંકના નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ડિરેક્ટર નરેન્દ્ર કુકડીયાની નવા ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ કાપડીયાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી અધિકારી હવે આ નિર્ણય પર આખરી મંજૂરીની મહોર મારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરશે. રિઝર્વ બેંક તેના પર મંજૂરીની મહોર મારશે. આ એક ઔપચારીક કાર્યવાહી પૂર્ણ કરવાની બાકી રહે છે.

New Elected Board of Dirctors

April 13, 2026
societynews-1280x1040.jpg
1min158

“અંતિમ ક્ષણોમાં લીધો અંગદાનનો નિર્ણય : ડોંડા પરિવારે આપી માનવતાની મિસાલ – સાત લોકોને મળ્યા નવજીવન”

“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત” ના માધ્યમથી ૩૨ મું સફળ અંગદાન”

“અંગદાનથી ફરી ધબક્યું હૃદય: અશોકભાઈ ડોંડા બન્યા દેવદૂત”

સુરત, મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી ૫૫ વર્ષીય અંગદાતાશ્રી અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.

ઘટના અનુસાર તા. ૧૦ એપ્રિલ’૨૦૨૬ ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા બાદ, આશરે ૨:૩૦ વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતાને ત્યાજ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. 

અંગદાન સમગ્ર પ્રક્રિયામાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, દીલીપદાદા દેશમુખ (અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ), બાબુભાઈ વિરડીયા (સમાજ સેવક), દિનેશભાઈ નાવડિયા(ડાયમંડ હોસ્પિ), વલ્લભભાઈ ચોથાણી, ડો. કેતન કાનાણી, ડો. હર્ષિતા સાવલિયા, ડો. શિવાની ડાંખરા, ડો. કિરણ પરમાર, ડો. જેનિશ ત્રપસીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. મીરાલી જસાણી, ટીમ જીવનદીપના અનેક સભ્યો નીતિનભાઈ ધામેલીયા, જસ્વીનભાઈ કુંજડીયા, બીપીનભાઈ તળાવીયા, આશિષભાઈ સાવલિયા, વૈજુલ વિરાણી, વિપુલભાઈ કોરાટ, અભિષેક સોનાણી, સાગર કોરાટ, રાજ ગોધાણી,  સ્મિત ઠુંમર, યુગ તળાવીયા, જીત ડોબરીયા, સતીશ ભંડેરી, ચૈતન્ય ત્રિવેદી અને ક્રિશ પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હૃદય: યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા: KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની: IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ- ૭ દર્દીઓને નવજીવન મળ્યું છે.

    પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. 

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.

“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન”
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે”
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત
સંપર્ક:- ૯૯૭૮૪ ૪૧૦૦૦ / ૯૯૦૪૪ ૪૧૦૦૦

April 13, 2026
image-9.png
1min124

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 13, 2026
image-8.png
1min104

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.