યુરો 2024માં તા.5 જુલાઇને શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું, ઊલ્ટાનું વહેલા આઉટ થઈ જવું પડ્યું હતું.
પોર્ટુગલના રોનાલ્ડોની એક્ઝિટ સાથે તેના કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે અને આ સ્પર્ધાની ચમક અડધી ઓછી થઈ ગઈ છે. ક્વોર્ટર ફાઇનલની મુખ્ય મૅચમાં ફ્રાન્સ અને પોર્ટુગલ 0-0થી બરાબરીમાં રહ્યા હતા. એ તબક્કે પણ રોનાલ્ડોપ્રેમીઓને પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલના વિજયની આશા હતી, પરંતુ ફ્રાન્સે એમાં પોર્ટુગલને 5-3થી માત આપીને પોર્ટુગલને સ્પર્ધામાંથી આઉટ કરી નાખ્યું હતું અને સેમિમાં એન્ટ્રી કરી લીધી હતી.
સેમિ ફાઈનલમાં ફ્રાન્સની સ્પેન સાથે ટક્કર થશે. તા.5 જુલાઇ 2024ને શુક્રવારની પ્રથમ કવોર્ટરમાં સ્પેને યજમાન જર્મનીને 2-1થી હરાવીને સ્પર્ધાની બહાર કર્યું હતું. 51મી મિનિટમાં ઓલ્મોએ ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. 89મી મિનિટમાં વિટઝે જર્મનીને 1-1થી બરાબરીમાં લાવી દીધું હતું. જોકે ભારે રસાકસીમાં મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી જેમાં 119મી મિનિટમાં મેરિનોએ સ્પેનને વિનિંગ ગોલ કરી આપ્યો હતો.
ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે.
ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા.
ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન
ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો.
ખેલાડીનું નામ
રન
બોલ
અભિષેક શર્મા
0
4
શુભમન ગિલ
31
29
ઋતુરાજ ગાયકવાડ
7
9
રિયાન પરાગ
2
3
રીન્કુ સિંહ
0
2
ધ્રુવ જૂરેલ
7
14
વૉશિંગ્ટન સુંદર
27
34
રવિ બિશ્નોઈ
9
8
આવેશ ખાન
16
12
મુકેશ કુમાર
0
3
ખલીલ એહમદ
0
1
રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો.
શુભમન ગિલે 31 રન બનાવ્યા
જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે.
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.
સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે.
દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ 23 જૂલાઇએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ થયું તેમજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થઇ હતી. જેને રાષ્ટ્રપતી દ્રૌપદી મૂર્મુએ સંબોધી હતી. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે
નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે છ વખત બજેટ રજૂ કર્યું હતું.
કરદાતાઓને મળી શકે છે રાહત
કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં 50 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને 6.5 બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.
સુરતઃ દેશવ્યાપી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સર્વેક્ષણ હાથ ધરીને મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કર્યું હતું તેના આધારે “વુમન ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024” શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં (31 માર્ચ 2019થી 31 ડિસેમ્બર 2023) ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી વધી છે. આ જ સમયગાળામાં સુરતમાં મહિલા રોકાણકારોની AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 3.7 ગણી વધી છે. ગુજરાત રાજ્યમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની AUMમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો હવે સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. મહિલા રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મજબૂત સમર્થકો તરીકે ઉભરી રહ્યા છે. મહિલાઓ પાંચ વર્ષના સમયગાળા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 22 ટકા વધુ દ્રઢતા દર્શાવે છે.
ડિજિટલ ક્રાંતિ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છેઅને આ પરિવર્તનમાં મહિલાઓ મોખરે છે. પેસિવ વિમેન ઇન્વેસ્ટરના જૂનાપુરાણા ખ્યાલોને દૂર કરીને, અભ્યાસ દર્શાવે છે કે નોંધપાત્ર એવી 71.9 ટકા મહિલાઓ સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. યુવા પેઢીઓમાં આ વલણ વધુ સ્પષ્ટ છે, જેમાં 25-34 વર્ષની વયની 75 ટકા મહિલાઓ અને 35-44 વર્ષની વયની 70 ટકા મહિલાઓ તેમની પોતાની રોકાણ પસંદગીઓ કરીને તેમના નાણાંકીય ભવિષ્ય પર કાબૂ ધરાવે છે.
70.4 ટકા મહિલાઓ પ્રોફેશનલ્સ, મિત્રો અને પરિવારજનો પાસેથી સલાહ લે છે જ્યારે 72 ટકા મહિલાઓ જાતે જ તેમની રોકાણ સફર અંગે નિર્ણય કરે છે. પ્રત્યેક મહિલા રોકાણકાર દીઠ 25 ટકા વધુ રકમનું રોકાણ થયું જેમાં સરેરાશ ઇન્વેસ્ટમેન્ટ કોર્પસ 37 ટકા હતું જે પુરુષો કરતા ઊંચું હતું.
ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’
સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’
રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’
તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.
કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે તા. ર૮મી જૂન, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલંબો ખાતે નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી દ્વારા આયોજિત ‘રત્નપુરા ઇન્ટરનેશનલ જેમ એકઝીબીશન– ર૦ર૪’ની મુલાકાત લીધી હતી. આ એકઝીબીશનમાં શ્રીલંકા તથા અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય કક્ષાની ૭રથી વધુ બ્રાન્ડ દ્વારા જેમ્સ, જ્વેલરી અને સ્ટોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ એકઝીબીશનનું ઉદ્ઘાટન શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રતનપુરા પ્રોવિન્સના માનનીય ગવર્નર શ્રી નવિન દિસાનાયકે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી ડો. રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકે ઉપરાંત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન યોજાયું હતું.
એકઝીબીશનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીએ પોતાના સંબોધનમાં જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારોને ગુજરાત સાથે વેપાર કરવા પ્રાથમિકતા આપવી જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાત સાથેના શ્રીલંકાના પૌરાણિક વ્યાપાર સંબંધનો પોતાના સંબોધનમાં ત્રણથી વધુ વખત ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે અન્ય દેશો જેવા કે વિયેતનામ, ચાઇના, હોંગકોંગ, થાઇલેન્ડ, કિર્ગીસ્તાનના ડેલીગેશનો પણ ઉપસ્થિત રહયા હતા. ભારતમાંથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જયપુરના વેપારીઓ જોડાયા હતા.
એકઝીબીશન દરમ્યાન નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ડાયરેકટર જનરલ શ્રી જનકા ઉદયા કુમારા તથા ચેરમેન શ્રી વિરાજ ડિસીલ્વાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે શ્રીલંકાના વેપારીઓનો વ્યાપાર વધે અને તેના થકી સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળે તે હેતુથી વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે શ્રીલંકાના પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી.
શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી અને તેમના મંત્રીશ્રીઓએ પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સંંબંધિત એકઝીબીશનો, ફૂડ એન્ડ બેવરેજીસ, લોજિસ્ટીક અને ઉદ્યોગ સંબંધિત એકઝીબીશનોની તેમજ સુરતના ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવાની ઇચ્છા દર્શાવી હતી. તદુપરાંત ગવર્નર પ્રોવિન્સ શ્રી નવિન દિસાનાયકે ગુજરાતનું ટુરિઝમ તથા કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન માટે થતા અનેક કાર્યક્રમોમાં ગુજરાત સાથે ભાગીદારી કરી આગામી દિવસોમાં શ્રીલંકા સાથે ભારતના વ્યાપારિક સંબંધો વધુ મજબુત થાય એ દિશામાં કાર્ય કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગેવાની લે તેવી આશા વ્યકત કરી હતી.
શ્રીલંકાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રી રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકેજીએ વેપારિક જોડાણને ધ્યાનમાં લઇ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિવિધ ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે શ્રીલંકાના વેપારીઓનું સંમેલનનું આયોજન થાય, જેનું સુકાન SGCCI સંભાળે અને તેમાં શ્રીલંકાની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.
કેન્યાએ થોડા સમય પહેલા 10 લાખ કાગડાઓને મારી નાખવાના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તો હવે અમેરિકાએ પણ આવો જ એક પ્લાન બનાવ્યો છે. પરંતુ તે કાગડાને નહીં પરંતુ ઘુવડને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે. હકીકતમાં ‘સ્પોટેડ ઓલ’ ની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેમને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓએ પશ્ચિમ કિનારાના ગાઢ જંગલોમાં પ્રશિક્ષિત શૂટર્સને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ લગભગ પાંચ લાખ ‘બાર્ડ ઘુવડ’નો ખતમ કરવામાં આવશે. કારણ કે તે ‘સ્પોટેડ ઘુવડ’ માટે ખતરો બની ગયા છે.
અમેરિકન માછલી અને વન્યજીવ સેવા (ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ ) વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ઓરેગોન, વોશિંગ્ટન રાજ્ય અને કેલિફોર્નિયામાં સતત ઘટતી જતી ઘુવડની વસ્તીને વધારવાનો છે. રિપોર્ટ મુજબ આગામી ત્રણ દાયકામાં 4,50,000 બાર્ડ ઘુવડને ગોળી મારીને ઠાર કરવામાં આવશે. મૂળભૂત રીતે આ પક્ષીઓ પૂર્વ અમેરિકામાં રહે છે. પરંતુ તેઓએ પશ્ચિમ કિનારે આક્રમણ કર્યું છે. અને નાના સ્પોટેડ ઘુવડ આ આક્રમણકારો સામે લડવામાં અસમર્થ છે. બાર્ડ ઘુવડના ઈંડા મોટા હોય છે, અને તેમને માળો બાંધવા માટેની જગ્યા પણ બહુ ઓછી જરૂર પડે છે.
સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે છે. તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે. સ્પોટેડ ઘુવડની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ઘુવડની પ્રજાતિ છે. જેને બાયર્ડ ઘુવડ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ઘુવડની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક ગણાય છે, અને આ પ્રજાતિ આક્રમક છે, જેની આક્રમકતાથી નાના સ્પોટેડ ઘુવડ લડી શકતા નથી, કારણકે તેમની ક્ષમતા ઘણી ઓછી છે. ત્યારે યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે એક નવી વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચના ઘુવડની આક્રમક પ્રજાતિઓને મારી નાખવા માટેની છે.
લુપ્ત થતી ઘુવડની પ્રજાતિઓને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોમાં તે જંગલોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે જંગલોને કાપવા અંગે પણ વિવાદ ઉભા થયા છે. પરંતુ પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને આમ કરવું જરુરી છે. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ઘુવડનું કોઈ કાયમી વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો આટલા લાંબા સમયથી તમામ પ્રયાસો કરવા છતાં સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ વ્યૂહરચના ઘણા લોકો દ્વારા અનિચ્છાએ સ્વીકારવામાં આવી છે.
નિર્ણય પર લોકોનો અભિપ્રાય
વન્યજીવના સમર્થકો અને સંરક્ષણવાદીઓ એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે બીજાને મારી નાખવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોએ અનિચ્છાએ ઘુવડને મારવાના નિર્ણયને સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું કે, આ આવશ્યક વન સંરક્ષણથી લાપરવાહીપુર્વક ધ્યાન ભટકાવવાનું છે. “જેઓ વન્યજીવોના રક્ષક છે, તેઓ જ હવે જુલમી બની રહ્યા છે,” તેમણે આગાહી કરી હતી કે, યોજના નિષ્ફળ જશે, કારણ કે બાર્ડ ઘુવડોને રોકી ન શકાય. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વસંતમાં ઘુવડને મારવાનું શરુ કરી દેવામાં આવશે.
માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજન આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઘુવડોને મારવાનું શરુ કરી દેશે. તેના માટે મેગાફોન દ્વારા જંગલમાં ઘુવડના રેકોર્ડિંગ અવાજ વગાડીને બાકીના ઘુવડોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ગોળી મારીને તેમના મૃતદેહોને તે જ જગ્યાએ તરત જ દફનાવવામાં આવશે.
મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી આજે 4/7/2024 આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટરોની ટીમ મરીન ડ્રાઈવથી ખુલ્લી બસમાં રોડ-શો કરીને વાનખેડે સ્ટેડીયમમાં પહોંચી છે. આ દરમિયાન આખા રૂટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ચોતરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે.
ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર કોચ રાહુલ દ્રવિડે પોતાના અનુભવને યાદ કરી કહ્યું કે, ‘હું આ પ્રેમને મિસ કરીશ. આજે આપણે જે જોયું તે અદ્ભુત છે. લોકો અને ચાહકોનો પ્રેમ… ચાહકોએ જ ક્રિકેટને દેશની સૌથી મોટી રમત બનાવી છે.’
રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’
વાનખેડેમાં ચેમ્પિયન ડાન્સ કર્યો
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી ડાન્સ કર્યો હતો.
મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. તો બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદનીનો પોટો પણ શેર કર્યો છે.
હેમંત સોરેનએ આજે 4/7/2024એ ત્રીજી વખત ઝારખંડના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યપાલએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પુનઃ મુખ્યમંત્રી પદની કમાન હાથમાં લઈ લીધી છે. તેઓ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.
ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને 3/7/2024 મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાદ હેમંત સોરેન દ્વારા રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને સાથે તેના ધારાસભ્યોએ સમર્થન પત્રો પણ રજૂ કર્યા. આ બાદ આજે હેમંત સોરેને 4/7/2024 સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજભવન પહોંચી ગયા હતા.
હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ત્રીજી વખત શપથ લીધા છે અને આમ તેઓ ઝારખંડના 13મા મુખ્યમંત્રી બન્યા. આ પ્રસંગે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, કોંગ્રેસ, JMM અને આરજેડીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.