Alert Archives - Page 466 of 512 - CIA Live

September 19, 2018
gujcmdcm.jpg
1min6520

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. કૉંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જેની સામે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્ત્વના કાર્યો કર્યા છે. અને હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં કૉંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કૉંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કૉંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એક પણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કૉંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા હતા. કૉંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. કૉંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે કંઈ કર્યું નથી. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હાલ ખેડૂતોને મહત્તમ પાણી પહોંચે તેવા અમારા પ્રયત્નો રહ્યાં છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80 ટકા સબસિડી ખેડૂતોને આપી છે. કૉંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ર્ન ઉકેલવામાં રસ નથી પરંતુ કઈ રીતે રાજકીય લાભ લઈ શકે તે જ તરફ કામ કરે છે. તેઓ આવું કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યાં છે.

September 19, 2018
china.png
1min6570

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત કરાતા 200 અબજ ડૉલરના મૂલ્યના માલ પર 10 ટકા આયાત જકાત લાદવાની મંગળવારે જાહેરાત કરી હતી અને આ ઇમ્પૉર્ટ ડ્યૂટી વર્ષાંતે વધારીને પચીસ ટકા કરાશે. આ ઉપરાંત, જો ચીન વળતાં પગલાં લેશે તો વધારાના 267 અબજ ડૉલરના માલ પર ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની ચીમકી પણ અપાઇ હતી.

અમેરિકાની આ જાહેરાતને પગલે ચીને વળતાં પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને તેને લીધે વિશ્ર્વની બે અગ્રણી આર્થિક મહાસત્તાની વચ્ચે ‘વ્યાપાર-યુદ્ધ’ વધુ વકરવાની પૂરી શક્યતા છે. ડોનલ્ડ ટ્રમ્પે ચીનના માલસામાનની આયાત પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચીન વ્યાપારને લગતી પોતાની અયોગ્ય નીતિ બદલવા નથી માગતું. અમે લાદેલા વધારાના ટૅરિફથી અમેરિકી કંપનીઓને લાભ થશે.

અગાઉ, અમેરિકાએ ચીનથી આયાત કરાતા પચાસ અબજ ડૉલરના માલસામાન પર આયાત જકાત લાદી હતી. અમેરિકાએ લાદેલી નવી દસ ટકા ઇમ્પૉર્ટ ડ્યૂટીનો અમલ 23મી સપ્ટેમ્બરથી થશે અને તે પહેલી જાન્યુઆરી સુધીમાં વધારીને પચીસ ટકા કરાશે. અમેરિકાએ ચીનના માલ પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદતા અમેરિકામાં આગામી રજાના દિવસોમાં ચીની માલ ખરીદવો મોંઘો બનશે.

ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ચીન અમેરિકાના કૃષિ અને અન્ય ક્ષેત્રના ઉત્પાદનો પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદશે તો અમે ટૅરિફમાં તાત્કાલિક વધારો કરવાનો ત્રીજો તબક્કો હાથ ધરીશું અને વધુ 267 અબજ ડૉલરના મૂલ્યના માલસામાન પર આયાત જકાત લાદીશું.

September 19, 2018
malya.jpg
1min5620

માલ્યાની અટક કરવાની દાદ ચાહવાને બદલે તે જ્યારે વિદેશ જાય ત્યારે સીબીઆઈને માહિતી આપવાનું જણાવ્યું હતું. બાદમાં 24મી નવેમ્બર, 2015ના દિને સુધારિત એલઓસી જારી કરાયું હતું.

કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોે (સીબીઆઈ)એ તા.18મી સપ્ટેમ્બર 2018ના દિવસે કહ્યું કે બિઝનેસમેન વિજય માલ્યાની વિમાનીમથક પર ધરપકડ કરવા માટેના સૌપ્રથમ ‘લુક આઉટ સરક્યુલર’ (એલઓસી) કાયદામાં નભીને આગળ વધી શકે તેવું ન હતું, તેમાંની ક્ષતિઓમાં સુધારા અને ફેરફાર કરવાની આવશ્યકતા હતી તેમ જ તે વેળાએ તેની સામે કોઈ વોરન્ટ હતું જ નહીં.

વર્ષ 2015ની 16મી ઑક્ટોબરે માલ્યાની અટક કરવાની હાકલ કરતા ‘એલઓસી’ જારી કરાયું તેને આધારે જ્યારે તેઓ લંડનમાંથી પાછા ફર્યા તે વેળાએ 24મી નવેમ્બર, 2015ના દિને વિજય માલ્યાની ધરપકડ કરવાનું કોઈ કારણ અને પશ્ર્ચાદભૂ હતી જ નહીં.

માલ્યા સીબીઆઈને સહકાર આપતા હોવાથી સૌપ્રથમ પરિપત્રમાં સુધારાવધારા અને ફેરફારની આવશ્યકતા છે. હજી પણ પુરાવા એકઠા કરાઈ રહ્યા છે. તે વિદ્યમાન સાંસદ હતો તેમ જ તેની સામે કોઈ જ વોરન્ટ હતું નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉક્ત નોટિસમાં ક્ષતિમાં સુધારા કરવાની આવશ્યકતાનું ભાન થતાં સીબીઆઈએ ઈમીગ્રેશન સત્તાવાળાઓને તેમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું.

September 18, 2018
vadtal.jpg
1min5640
જલ ઝીલણી ઉત્સવ એ એક દિવસીય     ત્રીજો સમૈયો ગણાય છે…!!
      યાત્રાધામ વડતાલમાં છેલ્લા દસેક
વર્ષથી નાના મોટા ઉત્સવોને વિશિષ્ટરૂપે  ઉજવવાની એક પરંપરા શરૂ થઇ છે; જેને
પગલે  સત્સંગનો વ્યાપ વધવા
સાથે વિકાસની હારમાળા પણ સર્જાઇ
છે જેનો સીધો લાભ હરિભક્તોને થઇ
રહ્યો છેઃ આ બધા ઉત્સવો માટેના પ્રેરક
છે ડૉ.સંત સ્વામી તથા associate પૂજ્ય શ્યામ સ્વામી !!  આ બંને સંતોએ
જલ ઝીરણી ઉત્સવને સમૈયાનું સ્વરૂપ
આપીને હજારો ભાવિકોને વડતાલ પ્રતિ
આકર્ષ્યા છેઃ
❏ જલ ઝીલણી ઉત્સવ ❏
      વડતાલમાં ૧૯૦ વર્ષથી જલ ઝીલણી ઉત્સવ ઉજવાતો આવ્યો છેઃ આ ઉત્સવમાં ૨૫ ગામોના હજારો ભાવિકો ભજનમંડળીઓ
સાથે ઉમંગભેર ઉમટી પડે છેઃ
ગણપતિ તથા ઠાકોરજીની પ્રથમ
આરતી ઉતારી બંને દેવોને હોડીમાં બેસાડી
નૌકાવિહાર કરાવવામાં આવે છેઃ
આ અવસરમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ સંતો સાથે
ઉપસ્થિત રહી બંને દેવોની આરતી ઉતારે
છેઃ આ આખોય ઉત્સવ આનંદઉલ્લાસ
ભર્યો બની રહે છેઃ  સંતો જ્યારે ગોમતી
સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરે છે ત્યારે આ દ્રશ્યો બેઘડી આનંદ ઉપજાવે છેઃ
         નિજ મંદિરથી ગોમતી સુધી વાજતે ગાજતે નગરયાત્રા નિકળે છે જેમાં રાસ મંડળી ભજન મંડળીઓ ભૂંગળ મંડળીઓ
જોડાય ત્યારે  વડતાલ ગૂંજી ઊઠે છેઃ
     સમગ્ર ઉત્સવનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય શ્યામ સ્વામીએ સંભાળે
છેઃ
_______❏ અહેવાલ: બાલુભાઇ વરિષ્ઠ
પત્રકાર સુરત વડતાલ સેન્ટર આણંદ

You Can Find us on Google Play Store

September 18, 2018
suratairport.jpg
1min8570

Jayesh Brahmbhatt  98253 44944

વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં જેમ સુરત શહેરનું નામ ચર્ચામાં આવે છે તેમ હવે ભારતના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટસમાં સુરત એરપોર્ટનું નામ રોકેટ ગતિઓ આગળ આવી રહ્યું છે.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ મુજબ ગત ઓગસ્ટ 2018 નો મહિનો એવો હતો કે સુરત એરપોર્ટ પર કોઇ એક મહિનામાં સૌથી વધુ મુસાફરોની આવન-જાવન થઇ છે. ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી કુલ 88,653 મુસાફરોએ ક્યાં તો સુરત એરપોર્ટ પર લેન્ડ કર્યું ક્યાં તો ટેક ઓફ કર્યું. અને ચાલુ સપ્ટેમ્બર 2018ના એક મહિનામાં સુરત એરપોર્ટ પરથી આવન-જાવન કરનારા મુસાફરોની સંખ્યાનો આંકડો એક લાખ પર પહોંચી જશે એમાં કોઇ બેમત નથી જણાતો.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ આ મુજબનું ગ્રાફિકલ પિક્ચર રજૂ કરી રહ્યા છે.

સુરતએ આમ તો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે પરંતુ, ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓનો આ આંકડો ચાલુ સપ્ટેમ્બર 2018ના મહિનામાં એક લાખ મુસાફરોનો માઇલસ્ટોન હાંસલ કરે તેવો પણ આશાવાદ સેવાય રહ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા સુરત એરપોર્ટ માટે સતત પ્રયત્નશીલ સુરતીઓ પૈકીના શ્રી મનોજ સિંગાપુરીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2018 મહિનાના અંતે સુરત એરપોર્ટથી એક જ મહિનામાં 1 લાખથી વધુ પેસેન્જરોની આવન-જાવન નોંધાશે અને એ એક માઇલસ્ટોન સાથે ઇતિહાસ પણ બનશે એમાં બે મત નથી. આ માટે મજબૂત કારણ આપતા મનોજ સિંગાપુરી કહે છે કે ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટ્સ ઓગસ્ટ 2018માં શરૂ થઇ હતી એ મધ્ય ભાગથી શરૂ થઇ હતી. પ્રથમ બે સપ્તાહમાં આ ફ્લાઇટ ન હોવાથી પેસેન્જરની સંખ્યા ન હોય સ્વાભાવિક છે. પણ હવે સપ્ટેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સના મુસાફરોની સંખ્યા આખો મહિનો ગણનામાં આવશે એટલે સુરત એરપોર્ટ કોઇ એક મહિનામાં 1 લાખની મુસાફરોની સંખ્યાના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી દે તેવું હાલ તુરત તો નિશ્ચિત મનાય છે.

વધુમાં હાલમાં સુરત એરપોર્ટ પર દૈનિક 26 ફ્લાઇટ્સ (વિમાનો) આવે છે અને 26 વિમાનો પરત જાય છે. સપ્ટેમ્બર 2018માં કોઇ નવી ફ્લાઇટને અવકાશ જણાતો નથી, પણ ઓક્ટોબર 2018માં સુરતને વધુ બે નવી ફ્લાઇટ્સ મળી રહી છે.

(સુરત એરપોર્ટનું ઉપરોક્ત સમયપત્રક ઓક્ટોબર 2018થી અમલી બનશે)

 

September 18, 2018
trenn.jpg
1min9980
  • 19 હજારથી વધુ છોડો રોપીને ગ્રીનમેન તરિકે ઓળખ ઉભી કરનાર યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈનો અનોખો પ્રયાસ 
  • ટ્રી ગણેશા સાથે સ્થાપિત કરેલી નાનકડી પ્રતિમાનું પણ સ્થળ પર જ વિસર્જન કરી તે માટીમાં છોડોનું વાવેતર કરાશે

 

સુરત. ગણેશ ઉત્સવનો શહેરભરમાં માહોલ જામ્યો છે ત્યારે સ્થાપિત થયેલી હજારો પ્રતિમાઓની વચ્ચે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા સુરતના જ એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટ્રીમાં ટ્રી ગણેશાની સ્થાપના કરી છે.  આ ઉદ્યોગપતિનું નામ છે વિરલ સુધીરભાઈ દેસાઈ. વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આ કાર્ય માટે તેમણે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વૃક્ષા રોપણનું અભિયાન ચલાવી રહ્યા છે.  આ અભિયાન હેઠળ તેઓ અત્યાર સુધી 19 હજારથી વધુ છોડોનું રોપણ કરીને ગ્રીનમેન તરિકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. ત્યારે ગણેશ ઉત્સવને પણ તેમને પર્યાવરણ સંરક્ષણની સાથે જોડયો છે અને પોતાની ફેક્ટરીમાં જ એક વૃક્ષને ગણપતિનું રૂપ આપીને સાથે માટીની એક નાનકડી પ્રતિમાની સ્થાપના કરી છે. દસ દિવસની આરાધના બાદ આ પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ એ માટીમાં છોડ રોપવામાં આવશે.

એટલું જ નહીં પણ વિરલ દેસાઈ ગણેશ ઉત્સવ દરમિયાન પણ રોજ વૃક્ષારોપણ કરી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ વી.આર.પોપાવાલા ખાતે 68 અને સિવિલ હોસ્પિટલ સ્થિત છાંયડો ખાતે 82 છોડ રોપી ચૂક્યા છે.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવી એ જ સાચી ભક્તિ છે.આ અનોખા આયોજન પાછળનો ઉદ્દેશ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકો ને જાગૃત કરવાનો છે.

-x-x-x-x-

 

September 18, 2018
balwan.jpeg
1min8310

એ દિવસ હતો 18મી સપ્ટેમ્બર, 1965નો અને શહીદ થયા હતાં બળવંતરાય મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. આજે તેમનો 49મો શહીદી દિવસ છે. એપ્રિલ-1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ હતું અને સપ્ટેમ્બર-1965 સુધી ચાલ્યુ હતું. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી દરેક સરહદે સૈન્યનો ધમધમાટ ચાલતો હતો. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે પણ સેના પાકિસ્તાન સામે યુદ્ધે ચડી હતી. યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા

ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે સ્થાયી થઈ રહ્યો હતો. ત્યારે અપલખણું પાકિસ્તાન સરહદ પર કાંકરીચાળો કરતું હતું. જે સ્થિતિ વકરતા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા.

એપ્રિલ 1965થી શરૂ થયેલું યુદ્ધ સપ્ટેમબર 1965 સુધી ચાલ્યુ હતું. સરહદ પર સૈનિકો પાકિસ્તાનને પરાસ્ત કરવા લડી રહ્યા હતા. ત્યારે કચ્છની પાકિસ્તાન બોર્ડર પર પણ સૈનિકોની બંદૂકો અને તોપો ધણધણી રહી હતી.  સરહદી રાજ્ય હોવાને કારણે ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. એટલે તત્કાલીન સીએમ બળવંતરાય મહેતાએ સૈનિકોનો જુસ્સો વધારવા કચ્છ બોર્ડર જવાનું નક્કી કર્યું. 18 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પત્ની સરોજિની મહેતા સાથે કચ્છની મુલાકાત માટે નીકળ્યા. બરાબર આ જ સમયે પાકિસ્તાનના મેરીપુર એરબેઝ પરથી એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ ટેક ઓફ થયું. આ ફાઈટર જેટના પાઈલટ હતા કૈસ મઝહર હુસૈન. જેમને ભારતની સરહદ નજીક ઉડી રહેલા પ્લેનની બાતમી મેળવવાનું કામ સોંપાયું હતું. BBC Radioને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેન્સે કહ્યું હતું,’ ટેક ઓફ બાદ રડાર સ્ટેશનથી મને 20 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડવાની સલાહ અપાઇ હતી. આ જ ઉંચાઈ પર હું ફાઈટર જેટ લઈ ભારતીય સરહદમાં પણ ઘૂસ્યો. ત્રણ ચાર મિનિટ બાદ મને નીચે આવવા કહેવાયું. 3 હજાર ફૂટની ઉંચાઈ પર મને એક ભારતીય જેટ દેખાયું, જે ભૂજ તરફ જઈ રહ્યું હતું. જો કે સિવિલિયન એરક્રાફ્ટ હોવાથી મેં તેના પર ફાયરિંગ ન કર્યું અને કંટ્રોલરને જાણ કરી. જો કે કંટ્રોલરે પણ તાત્કાલિક આદેશ ન આપ્યો’ . કેન્સ કહે છે કે, ‘જ્યારે મેં જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું તો પાઈલટે પ્લેનની બંને વિંગ્સ હલાવવાની શરૂઆત કરી. સાંકેતિક રીતે તેનો અર્થ થાય છે કે અમને જવા દો. આ દરમિયાન થોડીવાર રહીને મને તે પ્લેનને શૂટ કરવા ઓર્ડર મળ્યા. પરંતુ એક સિવિલિયન પ્લેનને ટાર્ગેટ કરવા માટે હું સજ્જ નહોતો.હું હજુ પણ અસમંજસમાં હતો, પરંતુ કંટ્રોલરનો આદેશ માન્યા વગર છૂટકો નહોતો આખરે 100 ફૂટ દૂરથી મેં ફાયર કર્યું. અને ગણતરીની સેકન્ડમાં પ્લેન સીધું જમીન પર પછડાયું.’

(તસ્વીરમાં ડાબેથી પાઇલોટના યુનિફોર્મમાં પાકિસ્તાની પાઇલોટ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું હતું)

‘શેષ’ નામના આ વિમાનમાં સવાર બળવંતરાય મહેતા સાથે પ્લેનમાં પત્ની સરોજિની ઉપરાંત પાયલટ એમ.જે એન્જિનિયર સહિત 9 જણા મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે જ પાકિસ્તાની એરફોર્સના વિમાને આ પ્લેન પર હુમલો કર્યો. આ હુમલો એટલો જબરજસ્ત હતો કે પ્લેન ક્રેશ થયું. અને ગુજરાતના તત્કાલીન સીએમ બળવંતરાય મહેતા સહિત તમામ 9 મુસાફરો શહીદ થઈ ગયા.

You can find us on Google Play store too

September 18, 2018
classroom_620.jpg
1min7430

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર કરોડો રૂપિયાના ખર્ચે શિક્ષણ સુધારણા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં ધોરણ 6થી 8ના 28 ટકા બાળકોને વાંચતા કે લખતાં પણ આવડતું નથી. જે સરકારની નિષ્ફળતા સૂચવે છે. ગુજરાતમાં ધોરણ 6થી 8ના બાળકોને લખતાં-વાંચતા ન આવડતું હોવા છતાં રાજ્યના શિક્ષણ પ્રધાન દિલ્હી જઈને ધોરણ 6થી 8માં ફરીથી પાસ-નાપાસની પદ્ધતિ શરૂ કરવા માટેની માગણી કરી ચૂક્યા છે.

ગત જુલાઈ માસથી શરૂ થયેલા ગુજરાત સરકારના મિશન વિદ્યા અભિયાનના કાર્યક્રમમાં સરકારી સ્કૂલોની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. જીસીઈઆરટી દ્વારા મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનના પ્રેઝન્ટેશનમાં ધોરણ.6થી 8ના સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓ એટલે કે, 28.38 ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં ન આવડતું હોવાનું બહાર આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે, જો ધોરણ 6થી 8ના બાળકોની આ સ્થિતિ હોય તો પછી ધોરણ 1થી 5ની શું સ્થિતિ શું હશે?

સરકારી સ્કૂલોના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પરિપક્વ બને તેના માટે મિશન વિદ્યા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આ કાર્યક્રમ નિરંતર કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પરંતુ આ કાર્યક્રમે સરકારી સ્કૂલોની સાચી સ્થિતિને ઉજાગર કરી હતી. મિશન વિદ્યા અભિયાન રાજ્યની કુલ 23,474 શાળાઓના નબળા હોય તેવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8માં 20 લાખથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય છે. જેની સરેરાશ પ્રમાણે એક ધોરણ.માં 6,66,666 બાળકો અભ્યાસ કરતા હોવાનો અંદાજ લગાવી શકાય. જોકે આ બાળકો પૈકી વાંચન, લેખન અને ગણનમાં 10 ગુણમાંથી 0થી 5 માર્કસ મેળવ્યાં હોય તેવા વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,73,352, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,03,261 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,06,867 થાય છે.જ્યારે ધોરણ.7માં વાચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,61,533, લેખનમાં નબળા હહોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,93,903 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,07,705 થાય છે. ધોરણ. 8માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,57,433, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,90,934 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,08,228 થાય છે.

September 18, 2018
robo1.jpg
1min17790

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ૨૦૨૫ સુધીમાં માણસ કરતા મશીન વધુ માત્રામાં કાર્યરત હશે. ૨૦૨૫ સુધીમાં માણસનું બાવન ટકા કામ રૉબૉ દ્વારા થતું હશે એમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અભ્યાસમાં બહાર આવ્યું છે.માણસે મશીન સાથે કામ કરવા તેના કૌશલ્યની ગતિ પણ તેજ કરવી પડશે. મશીન તથા કમ્પ્યુટર પ્રોગ્રામ અનુસાર ચાલતી સિસ્ટમને સંચાલિત કરવા માણસે શીખવું પડશે. સ્વિટ્ઝર્લેન્ડના બિનનફાકારક સંગઠને જણાવ્યા મુજબ હાલમાં ૨૯ ટકા મશીન માણસનું કાર્યક્ષેત્ર સંભાળી રહ્યું છે જે ૨૦૨૫ સુધીમાં બાવન ટકાએ પહોંચશે. જ્યારે કમ્પ્યુટરની બદલાઈ રહેલી શૈલી, સિસ્ટમ, અલ્ગોરિધમ અને પ્રોસેસ અંગેની ટેકનિક અને સમસ્યાના નિવારણ માટે ૧૩.૩ કરોડ કાર્યકુશળ લોકોની જરૂર ઊભી થશે જે લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂરો કરવાની જરૂરિયાત હોવાનું પણ સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે. જિનિવા સ્થિત ડબલ્યુઈએફ સંસ્થા સાથે વિશ્ર્વની મહાન હસ્તિઓ સંકળાયેલી છે. ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ સેક્રેટરિયલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ક્ષેત્રે, ક્લાયન્ટ મેનેજમેન્ટ તથા અકાઉન્ટિંગ ક્ષેત્રે માણસની જગ્યાએ રોબો ગોઠવાશે. જ્યારે વેચાણ, માર્કેટિંગ, કસ્ટમર સર્વિસ તથા ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે માનવીય કૌશલ્યની જરૂરિયાત રહેશે.ક્રિયેટીવિટી, ક્રિટીકલ થિકિંગ અને પર્સ્યુએશન ક્ષેત્રે માણસે સતત અપડેટ રહેવાની જરૂર ઊભી થશે.

 

 

ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ અત્યારથી શરૂ કરી ૨૦૨૨ સુધીમાં એવિયેશન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં પ્રવ્ાૃત્ત માનવીય કૌશલ્યએ તેમની શીખવાની અને ગ્રહણ કરવાની આવડતને જાળવી રાખવી પડશે. ઉપરાંત સતત માહિતગાર પણ રહેવું પડશે.

માનવ કૌશલ્ય પર રોબોની તરાપ અંગેની સમસ્યાને પહોંચી વળવા અને માનવ સમુદાયની સલામતી અને આજીવિકા અંગે પગલા ભરવા સરકારને કટિબદ્ધ થવા પણ અનુરોધ કરવામાં આવ્યો હોવાનું ડબલ્યુઈએફના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

September 15, 2018
bamboo.jpg
1min14410

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ખાણી-પીણીથી લઇને વસવાટમાં ઇનશોર્ટ કહો કે બધેબધ ગ્રીન કન્સેપ્ટની બોલબાલો, વ્યાપ-વિસ્તાર વધી રહ્યો છે તો કાપડ ઉદ્યોગ કેમ આમાથી બાકાત રહે. ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રનું નામ આવે તો સુરતનું નામ કેમ પહેલા ન લેવાય. સાડી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વભરમાં નામના ધરાવતા સુરતમાં કાપડ ઉત્પાદનમાં હવે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સની એન્ટ્રી થઇ ચૂકી છે અને હાલ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, સાથોસાથ શર્ટિંગમાં પણ ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સનું ઉત્પાદન તબક્કાવાર વધી રહ્યું છે.

શું છે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક

ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક એટલે બામ્બુ ફાઇબરમાંથી બનતું યાર્ન અને એ યાર્નમાંથી ઉત્પાદિત કરવામાં આવતા ફેબ્રિકને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહે છે. બામ્બુના ઝાડ જેવા કુદરતિ સ્ત્રોતમાંથી બની રહેલા આ યાર્નમાંથી બનતા કાપડને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી રહી છે. બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતા ફેબ્રિક્સને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કે ઇકો ફ્રેન્ડલી પણ કહેવામાં આવે છે.

Bamboo fibre is a regenerated cellulosic fibre produced from bamboo. Starchy pulp is produced from bamboo stems and leaves through a process of alkaline hydrolysis and multi-phase bleaching. Further chemical processes produce bamboo fibre.

(ઉપરોક્ત પ્રોસેસથી બને છે બામ્બુના વાંસમાંથી કાપડ)

સુરતના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેબ્રિક સ્ટેટસ પરથી ફાઇબર ટુ ફેશન તરફ લઇ જઇ રહ્યા છે. સુરતમાં બનતું કાપડ સીધું જ વસ્ત્ર તરીકે પહેરી શકાય તેવું ફક્ત સાડીના કહી શકાય. સુરતમાં બનતી સાડીઓ મોટે ભાગે સુરતમાં ઓછી પહેરાય ભારતના અન્ય ક્ષેત્રોમાં વધુ પહેરાય છે. પણ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુરતના મહિલાઓ ખાસ કરીને વર્કિંગ વુમન માટે સાડીની પ્રીમિયમ પ્રોડેક્ટ લોંચ કરવાની તૈયારી કરી છે અને આ પ્રીમિયમ સાડીઓ બની રહી છે બામ્બુ ફાઇબરમાંથી.

બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે

બામ્બુ ફાઇબર આમ તો દાયકાઓ જૂનું છે પણ સુરતના કેટલાક સાડી ઉત્પાદકો આને નવા ફોર્મેટમાં, નવા યાર્ન-ફાઇબર, બામ્બુ ફાઇબરની મદદથી પ્રીમિયમ પ્રોડેક્ટસ સાડીઓ બનાવી રહ્યા છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે આથી ગુજરાત અને આસામમાં બામ્બુ ફાઇબરના યાર્નમાંથી બનતી સાડીઓને પ્રીમિયમ રેન્જમાં મૂકીને ઉંચી કિંમતે વેચાઇ રહી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો બામ્બુ ફાઇબર યાર્નની હાઇક્વોલિટીને લીધે કોટન, સિલ્ક અને અન્ય યાર્નની સાથે સમગ્ર બિઝનેસને ડાઇવર્સિફીકેશન મળે તે માટે બામ્બુ યાર્ન ઉમેરીને સાડી બનાવી રહ્યા છે. જાણકારો માને છે કે બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ સમગ્ર સાડી રિલેટેડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ પૂરશે.

એવું નથી કે સુરતમાં ફક્ત સાડીઓ બનાવવામાં જ બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડીઓ જ બની રહી છે, કેટલાક ઉદ્યોગકારો ડ્રેસ મટિરિયલ્સમાં પણ બામ્બુ ફિલામેન્ટ-યાર્નનો વપરાશ ઉપયોગ કરી રહ્યા છે. બામ્બુ યાર્ન શાઇનિંગ આપતું યાર્ન હોવાથી ડ્રેસ મટિરિયલ ઉત્પાદકો તેના તરફ વળી રહ્યા છે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતી સાડીઓની કોસ્ટ રૂ.1400થી શરૂ કરીને રૂ.12000 જેટલી થવા જાય છે. બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ ઉપરાંત બામ્બુ સિલ્કની પણ સાડીઓ બની રહી છે. જાણકારો કહે છે કે બામ્બુ યાર્નમાંથી બનતા ફેબ્રિક્સની ફેશન ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં એ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં જોવા મળશે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ કે શર્ટ્સ આગામી દિવસોમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન સિમ્બોલ તરીકે જોવા મળે તેટલો ગ્રોથ આ સેગમેન્ટમાં હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

 

રસપ્રદ સમાચારો સતત મેળવવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર Google Play Store પરથી પણ અમારી એપ ડાઉનલોડ કરી શકો