Alert Archives - Page 465 of 512 - CIA Live

September 20, 2018
mono-1280x960.jpg
1min7540

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં ઇજારાશાહી સ્થપાય તેવી શક્યતા છે. તેમણે પડકારજનક સમયમાં મદદરૂપ થવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ મોટા ભાઈ મુકેશનો આભાર માન્યો હતો.

 

કંપનીની 14મી વાર્ષિક સાધારણ બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, અતિતીવ્ર સ્પર્ધા ચાલુ રહી હોવાથી ટેલિકોમ ઉદ્યોગે 20 લાખ જેટલી નોકરીઓ ગુમાવી છે. ઊંચા ખર્ચ અને અમુક કંપનીઓ દ્વારા અતિનીચા ભાવની ઓફરને કારણે ઉદ્યોગનો ‘સર્જનાત્મક વિનાશ’ થયો છે. હવે ઉદ્યોગ ડ્યુઓપોલી તરફ અને કદાચ અંતે મોનોપોલી તરફ આગળ વધી શકે છે. 
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG)ની કંપની આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરશે અને ભવિષ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસ પર ફોકસ કરશે. ADAGના વડા અનિલ અંબાણીએ મંગળવારે આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, આરકોમની ટોચની પ્રાથમિકતા ₹40,000 કરોડનું દેવું ચૂકવવાની છે. કંપનીએ નિર્ણય લીધો છે કે આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી એક્ઝિટ કરશે. બીજી પણ ઘણી કંપનીઓએ આ નિર્ણય લીધો છે. આ દીવાલ પર લખેલું સત્ય છે.

તેમણે કહ્યું કે, “મોબાઇલ સેક્ટરમાંથી અમે ખસી ગયા છીએ, એન્ટરપ્રાઇઝ બિઝનેસમાંથી યોગ્ય સમયે નાણાં મેળવીશું. રિલાયન્સ રિયલ્ટી આ કંપનીના ભવિષ્યની વૃદ્ધિનું એન્જિન રહેશે.”

મુંબઈ નજીક 133 એકર જમીન પર વિસ્તરાયેલા ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, “રિયલ્ટી ક્ષેત્રે વ્યાપક સંભાવના છે. આ એક જ સાઇટ ખાતેથી ₹25,000 કરોડનું વેલ્યૂ ક્રિયેશન થઈ શકે તેમ છે.”

ઉલ્લેખનીય છે કે આરકોમ પર 38 બેન્કો અને નાણાકીય ઇન્સ્ટિટ્યૂશન્સના ₹40,000 કરોડ લેણાં નીકળે છે. તેમાં ચાઇનીઝ બેન્કનો પણ સમાવેશ છે. હાલમાં તે સ્ટ્રેટજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (SDR) પ્રક્રિયા હેઠળ આ દેવું ચૂકતે કરવા સક્રિય છે. અનિલ અંબાણીએ કહ્યું કે આગામી કેટલાક મહિનાઓમાં આ દેવું ચૂકતે થઈ જશે તેવી તેમને આશા છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇબર બિઝનેસ રિલાયન્સ જીઓને વેચી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ અંગે ટેલિકોમ વિભાગ પાસેથી અંતિમ મંજૂરીની તે રાહ જોઈ રહી છે.

અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મોટાભાઈ મુકેશભાઈ અંબાણીએ આરકોમને અને વ્યક્તિગત રીતે મને જે ટેકો પૂરો પાડ્યો છે અને માર્ગદર્શન કર્યું છે તેના માટે હું તેમનો આભારી છું.”

ઉલ્લેખનીય છે કે ટેલિકોમ બિઝનેસ મૂળભૂત રીતે મુકેશ અંબાણીના દિમાગની ઊપજ છે. બન્ને ભાઈઓ વચ્ચે બિઝનેસની વહેંચણી થઈ ત્યારે તેના ભાગરૂપે ટેલિકોમ બિઝનેસ અનિલ અંબાણીને સોંપાયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ બજારમાં પ્રવેશીને ટેલિકોમ ક્ષેત્રનું ગણિત ઊંધું વાળી દીધું હતું.

September 20, 2018
hardik_jindal.jpg
1min5370

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 20, 2018
ambaji.jpg
1min5250

શક્તિપીઠ અંબાજીમાં બુધવાર તા.19મી સપ્ટેમ્બર 2018થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે. મેળામાં લોકો શાંતિથી અને કોઈ વિઘ્ન વગર મા અંબાના દર્શન કરી શકે તે માટે સાત દિવસ માટે દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો હતો.અને સુરક્ષાને લઇને વહીવટી તંત્રએ ભક્તાને મેળામાં કોઇ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ

અંબાજીમાં મેળો શરૂ થતાની સાથે જ અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ચારેબાજુ બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. સાત દિવસ ચાલનારા મેળામાં તેમ જ મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા હતાં. આ વખતના અંબાજીના મેળામાં માઇ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સવારની આરતી જે સામાન્ય દિવસમાં સવારે 7 કલાકે થતી હતી તે મેળા દરમિયાન સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી થશે. સવારે 6:45થી 11:30 સુધી દર્શનનો લાભ મેળવી શકાશે. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજની આરતી 7:00થી 7:30 સુધી યોજાશે. જ્યારે ભાવિકો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. મહામેળામાં ગત વર્ષે 26.73 લાખ માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વખતે 28 લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે. અંબાજી ખાતે મંદિર આ વખતે પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના 22 વિભાગ પાડીને 609 પોઇન્ટ્સ મુકાયા છે તેમ જ 150 રૂટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં 27 વોચ ટાવર, 7 ક્ધટ્રોલરૂમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં 24 કલાકમાં કોઇ પણ સ્થાનેથી નિહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં 12 એલઇડી, 30 ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઊંચકી રહ્યો હોઇ. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમ જ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

September 20, 2018
government_gujarat.jpg
1min6270

સરકારે છેલ્લાં બે વર્ષમાં દેવા પાછળ રૂ. 33265 કરોડ વ્યાજપેટે ચૂકવ્યા

ભાજપ શાસિત ગુજરાત સરકારના દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જુલાઈ, 2018ની સ્થિતિએ ગુજરાતનું બાકી જાહેર દેવું રૂપિયા 2.17 લાખ કરોડને વટાવી ગયું હતું.

સરકારે છેલ્લાં બે વર્ષમાં દેવા પાછળ રૂ. 33265 કરોડ વ્યાજપેટે ચૂકવ્યા છે. ગુજરાતની હરણફાળ ગતિને લીધે ગુજરાત વધુને વધુ દેવાદાર બનતું જાય છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે, તા. 31-7-2018ની સ્થિતિએ 2017-18ના વર્ષના સુધારેલા અંદાજ મુજબનું દેવું રૂપિયા 2,17,338 કરોડને વટાવી ગયું હતું.

છેલ્લા બે વર્ષમાં દેવામાં રૂ. 36595 કરોડનો વધારો થયો છે જેમાં વર્ષ 2016-17માં રૂ. 18595 કરોડ અને વર્ષ 2017-18માં રૂ. 18000 કરોડનો વધારો થયો હતો. ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વ્યાજપેટે રૂ. 33265 કરોડ ચૂકવ્યા છે જેમાં વર્ષ 2016-17માં રૂ. 16087 કરોડ અને વર્ષ 2017-18માં 17178 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે મુદલમાં વર્ષ 2016-17માં રૂ. 9073 કરોડ અને વર્ષ 2017-18માં રૂ. 13701 કરોડ ચૂકવ્યા હતા.

September 20, 2018
nobel-prize.jpg
1min5510

જાતીય હુમલા કૌભાંડના કેન્દ્રમાં હોય એવી એક વ્યક્તિને લીધે સ્વિડિશ એકેડમીએ આ વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ પાછળ ઠેલ્યું છે. તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ તેના પર ખટલાની કાનૂની કાર્યવાહી આરંભી તે વેળાએ તેણે બે આક્ષેપ માટે નનૈયો ભણી દીધો હતો. સ્ટોકહોમના સાંસ્કૃતિક મંચ પર ફ્રાન્સના જીન ક્લાઉડે આરનોલ્ટનું નામ દાયકાઓથી વગદાર વ્યક્તિ તરીકે ખૂબ માનથી લેવામાં આવતું હતું. વર્ષ ૧૯૦૧માં સ્વિડિશ એકેડેમીની કેટરીના ફ્રોસ્ટેન્સન નામક સભ્ય સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા આરનોલ્ટ સ્ટોકહોમમાં ફોરમ ક્લબ ચલાવતો હતો. પ્રકાશકો અને લેખકો સાથે સંપર્ક સેતુ ઈચ્છતા નવા કલમજીવીઓ માટે ક્લબ મહત્ત્વનું મીટિંગ સ્થળ છે.

એક સ્વીડીશ દૈનિકમાં ૨૦૧૭ના નવેમ્બરમાં લગભગ ૧૮ મહિલાના નિવેદન આવ્યા તેમાં દાવો કરાયો કે આરનોલ્ટે અમારા પર બળાત્કાર ગુજાર્યો, જાતીય હુમલા કર્યા તેમ જ જાતીય હેરાનગતિ કરી છે. એક મહિલા પર બળાત્કાર ગુજારવાના બે આક્ષેપો સંદર્ભે તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ સ્ટોકહોમની જિલ્લા કોર્ટમાં હાજર થયો હતો.

બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે મહિલા પર બળાત્કારના આક્ષેપ બદલ દોષી સાબિત થશે તો તેને છ વર્ષની જેલની સજા થઈ શકશે. લેખિકા એલાઈસ કાર્લસને કહ્યું કે ૨૦૦૮માં તેણે મારી પાછળ હાથ લગાડ્યો અને છેડતી કરી. મેં તેમને મને ન અડવાનું કહ્યું અને લાફો વીંઝી દીધો હતો. કાર્લસને કહ્યું કે બાદમાં આરનોલ્ટે મને કહ્યું કે હવે તને આ ક્ષેત્રમાં કદાપી કોઈ જ કામ નહીં મળે.

જોકે ઉક્ત જાતીય કૌભાંડ મામલે શું અને કેવી રીતે કામ કરવું તે અંગે એકેડેમીમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આઠ જણે રાજીનામું આપ્યું છે અથવા રજા પર છે. હવે ૨૦૧૮ માટેના સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે એકેડમી પોતાનું પુન:નિર્માણ કરવાના પ્રયાસમાં મગ્ન છે. આગામી મહિનાઓમાં નવા સભ્યોની પસંદગી કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. તેઓ ડઝનબંધ લેખક-લેખિકાઓની કૃતિઓ વાંચીને ૨૦૧૮ માટે એક વ્યક્તિ અને ૨૦૧૯ માટે અન્ય એક વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળશે.

September 19, 2018
talaq-talaq.jpg
1min14760

તા.19મી સપ્ટેમ્બર 2018ના દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટએ ટ્રિપલ તલાકનાં વટહુકમ પર મંજૂરીની મહોર મારી દીધી છે. પહેલેથી જ નરેન્દ્ર મોદીની સરકાર ત્રિપલ તલાકને ગુનો ગણવાના મૂડમાં હતી અને આખરે તે થઇને રહ્યું. અગાઉ મોદી સરકારે રજૂ કરેલા ત્રિપલ તલાકના મૂળ મુસદ્દા સામે કોંગ્રેસ સહિતનાં અન્ય વિપક્ષી દળોની માંગણીઓને પગલે મૂળ મુસદ્દામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સંશોધન બાદ પણ વટહુકમ રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું. જો કે, લોકસભામાં આ બિલ પહેલેથી જ પાસ થઈ ગયું હતું. ટ્રિપલ તલાક વટહુકમ આ પહેલા બજેટ સત્ર અને ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં પાસ ન થઈ શક્યું.

આ મુદ્દાઓ મુખ્ય રહ્યા

– ટ્રાયલ પહેલા પીડિતાની વાત સાંભળીને મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.

– પીડિતા, પરિવાર અને લોહીનાં સંબધી જ એફઆઈઆર દાખલ કરાવી શકે છે.

– મેજિસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતિ કરાવીને લગ્નજીવન ટકાવી રાખવાનો અધિકાર હશે.

અગાઉ સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલ હોબાળા અને રાજનૈતિક સંમતિ નહીં મળવાનાં કારણે ટ્રિપલ તલાકનું બિલ છ મહિના સુધી પાસ નહતું થઈ શક્યું. મોદી કેબિનેટે આ બિલમાં ત્રણ સંશોધન કર્યા છે. જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની સંમતિથી સમજૂતીની જોગવાઈ પણ કરવામાં આવશે. હવે આ વટહુકમને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવાયું છે.

September 19, 2018
gemguj.jpg
1min8230
  • મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું
  • રાજ્યમાં વર્ષ ૨૦૧૮માં ૯૦૧ પ્રાઇમરી, ૨૦૦૩ સેકન્ડરી ખરીદદારો અને ૩૩૨૧ વેચાણકારોએ નોંધણી કરાવી : કુલ રૂા.૨૪૬ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરાયા

 

રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ GeM  દ્વારા કરશે તેમ, આજે મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeM ના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંગે જણાવ્યું હતું. GeM ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે. જેટલા વધુ ખરીદનાર અને વેચનાર આ GeM માં જોડાશે તેટલું આ પ્લેટફોર્મ સફળ થશે જેથી તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યુ હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટપેલેસ (GeM) બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં 6 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે GeM ના CEO શ્રી રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. GeM ના પ્લેટ ફોર્મ થકી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યુ હતું.

શ્રીમતી રાધા એસ ચૌહાણે જણાવ્યું કે, જાગરૂકતાના સમયગાળા દરમિયાન જી.આઇ.એમ. પર કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-બોર્ડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોંચ કરવામાં આવી છે. વધારાના વર્ગોમાં ઑન-બોર્ડિંગ માટે વિક્રેતા રજિસ્ટ્રેશન ડ્રાઇવની પણ શરૂઆત થઈ રહી છે. અને તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનો, રાજ્યો અને તેમની એજન્સીઓ, સરકારી કચેરીઓ સહિત, જીઈએમ પર ઑન-બોર્ડિંગ માટે કી વિક્રેતાઓની સૂચિને શેર કરવા સાથે કાર્યરત કરવામાં આવશે. શ્રી રાધા ચૌહાણે ઉપસ્થિત અધિકારી અને વેપારીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તમામને GeM ની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા.

GeM નો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. GeMનો ઉદ્દેશ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અહિં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.

કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરશ્રી સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે,  GeM ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યોરમેન્ટનું સરળીકરણ કરવાનો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં 901 પ્રાઈમરી અને 2003 સેકન્ડરી ખરીદદારો અને 3640 વેચાણકારો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ઓનલાઈન પરચેઝ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બર સુધીમાં 3321 વેચાણકારો દ્વારા કુલ રૂ. 246.53 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા છે.

આ આખી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારના મીનીમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે જાહેર વહીવટમાં ભ્રષ્ટ્રાચાર બંધ થાય તેમજ પારદર્શીતા વધારવાનો છે. આ ઉપરાંત ડિઝીટલ ઈન્ડિયાના ઉદ્દેશ કેશલેશ, કોન્ટેક્ટલેસ, પેપરલેસ ટ્રાન્ઝેક્શન વધારવાનો ઉદ્દેશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૧૬માં વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સંગઠનો/ પીએસયુ માટે સામાન્ય વપરાશના માલ અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધાને આવશ્યક બનાવવા માટે જીઈએમ એસપીવી વન-સ્ટોપ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) સ્થાપવાનું નક્કી કરાયું હતું. જીઇએમ મારફતે ખરીદી દ્વારા સામાન્ય નાણાકીય નિયમોમાં નવાો નિયમ નંબર ૧૪૯ ઉમેરીને નાણા મંત્રાલય દ્વારા સરકારી યુઝરને અધિકૃત અને ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

ઉદ્યોગ કમિશનર શ્રી મમતા વર્માએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ એડિશનલ કમિશનર શ્રી એચ.જે. વ્યાસે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય સરકારના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ,ઉદ્યોગપતિઓ, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને GeMની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી.

September 19, 2018
surat-e1490634420589.jpg
1min11240

જયેશ બ્રહ્મભટ્ટ    98253 44944

નોટબંધી પછી કેશ લિક્વીડિટીની સમસ્યાના કારણે અને એ પછી રેરા કાયદાને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ મંદીની ગર્તામાં ધકેલાય ગયો હતો જોકે, આજકાલ સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ એટલે કે ઇકોનોમી ક્લાસ અને મિડીયમ ક્લાસના પ્રોજેક્ટસ, ફ્લેટ્સમાં સારી એવી ઘરાકી નીકળી હોવાનો મત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યા છે. સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસની વાત કરીએ તો ફાર્મ હાઉસ, લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ, વીકએન્ડ હોમ, સ્ટુડીયો ફ્લેટ્સ વગેરે જેવા પ્રોજેક્ટસ કરનારા બિલ્ડરો પાસે ઘરાકી નથી જ્યારે વાસ્તવિક રહેવા માગતા ફેમિલી એફોર્ડેબલ હોમ્સ એટલે કે રૂ.40થી 65 લાખની રેન્જના ફ્લેટ્સની ખરીદી સારી એવી કરી રહ્યા છે.

એફોર્ડેબલ હોમમાં સારી ઘરાકી, ફાર્મ હાઉસ અને લક્ઝુરીયસ પ્રોજેક્ટ કરતા બિલ્ડરો નવરાધૂપ

રૂ.40લાખથી 65 લાખના ફ્લેટ્સના ખરીદારો 

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે જુદા જુદા જેમકે બિલ્ડર્સ, ડેવલપર્સ, બેંક ઓફિસર્સ તેમજ મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ જે બાંધકામની પરવાનગી આપવા સાથે સંકળાયેલા છે તેમની સાથે હાલમાં રિયલ એસ્ટેટ ઉધોગની સ્થિતિ અંગે વાતચીત કરી એનો નિષ્કર્ષ એ આવ્યો કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જેટલી મંદીની બૂમો પડી રહી છે તેવી સ્થિતિ નથી. એફોર્ડેબલ હાઉસિંગમાં ગ્રાહકો મળી રહ્યા છે અને રૂ.40થી 65 લાખની વચ્ચેની કિંમતના મકાનો, ફ્લેટ્સ વેચાઇ રહ્યા છે. શહેરના એક બિલ્ડરએ જણાવ્યું કે ઇકોનોમી રેન્જ નહીં કહી શકાય પણ મિડલ ક્લાસ અને લૉઅર મિડલ ક્લાસ ફ્લેટ્સ ખરીદી રહ્યા છે. ખાસ કરીને વેસુ, જહાંગીરપુરા અને પાલ એરીયામાં 50 લાખનું બજેટ હોય તેવા પ્રોજેક્ટસમાં ઘરાકી જોવા મળી રહી છે. એવી જ રીતે કતારગામ અને વરાછામાં પણ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી જોવા મળતી નથી.

બજારમાંથી ઇન્વેસ્ટર્સ ઓછા થઇ ગયા એટલે લિક્વિડીટી મળતી બંધ થઇ 

શહેરમાં જાણીતી બ્રાન્ડના ડેવલપરએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી ઇન્વેસ્ટર્સ સાવ ઓછા થઇ ગયા છે. નોટબંધી અને એ પછી રેરાના કાયદો એવો આવ્યો છે કે ઇન્વેસ્ટર્સ કે જે અગાઉ પ્રોજેક્ટમાં ફ્લેટ, રો હાઉસ, દુકાનો કે ઓફિસોમાં બ્લેક મની રોકી રાખતા અને નફો મળે એટલે નીકળી જતા હતા એ સાવ બંધ થઇ જતા હવે બિલ્ડર્સને લિક્વિડટીનો પ્રોબ્લેમ નડી રહ્યો છે. એ સિવાય રિયલ રહેવાવાળા, વપરાશકર્તાઓ ખરીદી માટે આવી રહ્યા છે તેમાં કોઇ બે મત નથી.

ફાર્મ હાઉસ લેવાવાળા સામે પ્રોપર્ટી વળગાડવાની ઓફર કરી જાય છે

બીજી તરફ, શહેરની ફરતેના વિસ્તારોમાં ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટસની ભરમાર લોંચ થઇ ચૂકી છે પરંતુ, છેલ્લા બે વર્ષથી સતત ફાર્મ હાઉસ પ્રોજેક્ટસના બિલ્ડર્સ ઘરાકીનો અભાવ સહન કરી રહ્યા છે. ફાર્મ હાઉસના પ્રોજેક્ટ રૂ.2 કરોડથી લઇને રૂ.5 કરોડ સુધીના હોઇ બજારમાં નાણાંભીડને કારણે એલીટ ક્લાસના કસ્ટમર્સ પણ આવી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે. ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ ધરાવતા એક બિલ્ડરે કહ્યું ફાર્મ હાઉસ ખરીદવા માટે અઠવાડીયે એકલ દોકલ લોકો આવે છે અને એ પણ હવાલામાં કે બદલામાં મિલકત ઓફર કરી રહ્યા છે. શહેર ફરતેના મોટા ભાગના ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

લક્ઝુરીયસ ફ્લેટ્સ બિલ્ડરોનું બ્લડ પ્રેશર વધારી રહ્યા છે

શહેરમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે 3-3 કરોડમાં પણ ફ્લેટો વેચાયા હતા. આવી સ્થિતિમાં એ સમયે નોટબંધી ન હતી કે રેરા પણ ન હતું. પરંતુ, છેલ્લા બે વર્ષમાં પરિસ્થિતિ બદલાઇ જતા, હાલમાં દોઢ કરોડથી ઉપરની કિંમત ધરાવતા ફ્લેટોનું વેચાણ સાવ મંદ થઇ જવા પામ્યું છે. વેસુ વિસ્તારમાં લક્ઝરીયસ પ્રોજેક્ટ માટે દલાલી કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે હાલમાં ગ્રાહકો સ્પેશિફિક બજેટ લઇને આવે છે, રીયલ રહેવાવાળા માટે એક કરોડનું બજેટ પણ મોટું થઇ પડે છે. મોટા ભાગના લક્ઝરીયસ પ્રોજેક્ટના ફ્લેટસ ખાલી પડી રહ્યા છે અને તેનું મેઇન્ટેનન્સ કરવું હવે બિલ્ડરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.

September 19, 2018
emis.png
1min7400

નિષ્ણાંતો કહે છે કે વ્યાજદરની સાઇકલ બદલાઈ છે અને વ્યાજદરમાં ઘટાડાનો કોઈ પ્રશ્ન નથી. રિટેલ લોનધારકોના EMIમાં ઊંચા રહેવાનો કે તેમાં વધુ વદ્ધિનો અંદાજ છે. પ્રોત્સાહક આર્થિક વૃદ્ધિ અને ક્રૂડના ઊંચા ભાવને કારણે ફુગાવા અંગેની ચિંતાથી વ્યાજદર ઊંચા સ્તરે રહેવાની શક્યતા છે. વિશ્લેષકોના મતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે RBIને વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિની ફરજ પડશે.

વ્યાજદરમાં વૃદ્ધિ રિટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના ભાગમાં લોનની EMI ઊંચી રહેશે અથવા તેમાં વધુ વૃદ્ધિનો અંદાજ છે. ચાલુ મહિને SBI, HDFC બેન્ક, ICICI બેન્ક, ‌‌BoB અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક MCLRમાં 0.05થી 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. HDFC બેન્ક અને SBIએ MCLR 0.2 ટકા વધાર્યા છે. SBIનો એક વર્ષની મુદતનો MCLR (માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ) 8.25 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં 7.95 ટકાના નીચા સ્તરથી 0.5 ટકા વધ્યો છે.

વ્યાજદર વધશે તો લોનધારકોએ દર મહિને લોન અને મોર્ગેજ માટે ઊંચો હપતો (EMI) ચૂકવવો પડશે. જેમ કે, માર્ચ મહિનાથી SBIએ વ્યાજદરમાં 0.5 ટકા વધારો કર્યો છે. તેને લીધે હોમ લોનધારકોએ 10 વર્ષની મુદતની ₹50 લાખની લોન પર મહિને ₹1,500 અથવા વર્ષે ₹18,000 વધુ ચૂકવવા પડશે. બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યારે તો વ્યાજદર ઊંચા રહેવાની ધારણા છે.

RBI ગવર્નર રિટેલ ફુગાવા (CPI)ને 4 ટકાની આસપાસ રાખવા કટિબદ્ધ છે. થોડા સમય પહેલાં જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટમાં CPI ઘટીને 3.69 ટકા રહ્યો છે, જે રિઝર્વ બેન્કના ટાર્ગેટ કરતાં નીચે છે. જોકે, ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિને કારણે મની માર્કેટ્સ દબાણમાં રહ્યા છે અને તેને લીધે રૂપિયો અત્યાર સુધીની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

બેન્કર્સના જણાવ્યા અનુસાર મની માર્કેટમાં તરલતાની સ્થિતિ તંગ બની છે. તેને લીધે 10 વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ એક ટકા વધીને 8.12 ટકા થઈ છે, જે એપ્રિલમાં 7.12 ટકા હતી. બીજા શબ્દોમાં કહીએ તો વ્યાજદરમાં ટૂંકા ગાળામાં ઘટાડાની શક્યતા નહીંવત્ છે.

September 19, 2018
agusta.jpg
1min18570

વચેટિયાના પ્રત્યાર્પણનો આદેશ, કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી

HELICOPTER

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે ભારતને મોટી સફળતા મળી છે. દુબઈની અદાલતે આ વિવાદિત ડીલમાં કથિત બ્રિટિશ વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ મિશેલના પ્રત્યાર્પણની શક્યતા વધી ગઈ છે. જો કે આ મામલે સવાલોના ઘેરામાં રહેલી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક સમય પહેલા ભારતે દુબઈને ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે રજૂઆત કરી હતી. ભારત સરકારની અપીલ સીબીઆઈ અને ઈડી તરફથી કરાયેલી તપાસને આધારે કરાઈ હતી.

સૂત્રો મુજબ દુબઈના અદાલતનો આદેશ અરબી ભાષામાં કરાયેલો છે, એટલે વિસ્તૃત આદેશ તો આજે જાણી શકાશે. ભારતીય પ્રશાસન આ આદેશનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યું છે. મિશેલના પ્રત્યાર્પણના આદેશને સીબીઆઈ અને ઈડી માટે મોટી સફળતા મનાઈ રહી છે. ઈડીએ મિશેલ વિરુદ્ધ જૂન, 2016માં દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં તેણે 225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2017માં મિશેલની યુએઈમાંથી ધરપકડ કરાઈ હતી. મિશેલના વકીલનો આરોપ છે કે સીબીઆઈ તેના ક્લાયન્ટ પર દબાણ કરી રહી છે. જો કે તપાસ એજન્સીઓએ આ આરોપો નકારી દીધા હતા.