CIA ALERT

Alert Archives - Page 465 of 519 - CIA Live

October 6, 2018
Election_Commission.jpg
1min10620

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતા દેશના રાજકીય તખ્તે ચહલપહલ જોવા મળી હતી.

ચીફ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કરેલી જાહેરાત મુજબ ચૂંટણીની તારીખો આ મુજબ છે.

મધ્ય પ્રદેશ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 7 જાન્યુઆરી 2019, કુલ 230 બેઠકો 

રાજસ્થાન અને તિલંગાના

  • મતદાન તા.7 ડિસેમ્બર શુક્રવાર,
  • વિધાનસભા વિસર્જન તા. 20 જાન્યુઆરી 2019, કુલ 200 બેઠકો

છત્તીસગઢ

  • ફર્સ્ટ ફેઝ 18 બેઠકો, 16 ઓક્ટોબર નોટિફિકેશન, મતદાન 12 નવેમ્બર 2018 સોમવાર
  • ફેઝ ટુ, 72 બેઠકો 26 ઓક્ટોબર નોટિફિકેશન, 20 નવેમ્બર 2018, મંગળવાર  
  • વિધાનસભા વિસર્જન તા. 5 જાન્યુઆરી 2019, કુલ 90 બેઠકો

મિઝોરમ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 15 ડિસેમ્બર 2018, કુલ 40 બેઠકો

 

  • મતગણતરી દરેક રાજ્યોમાં 11 ડિસેમ્બર 2018ના રોજ હાથ ધરાશે.

ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે જ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવારોના સોગંદનામામાં માગવામાં આવતી વિગતોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. દરેક વિધાનસભા મત વિસ્તારમાં રૂ.28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે એ પૈકી ત્રણ રાજ્યોમાં હાલમાં ભાજપાની સરકાર જ્યારે મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આજે ચૂંટણીની તારીખોની ઘોષણા થાય એ પહેલા ભાજપના બે દિગ્ગજ નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અને બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટ અમીત શાહ મધ્ય પ્રદેશમાં ચૂટણી સભાને સંબોધન કર્યું હતું.

 

October 6, 2018
migrants2-1-1280x720.jpg
1min8220
  • સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની 19 શ્રેણીબદ્ધ ઘટનાઓ
  • 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા
  • 170 લોકો સામે પરપ્રાંતીયો પર હુમલો કરવા અંગે ગુના દાખલ કરાયા
  • અન્ય જિલ્લાઓમાંથી ઉત્તર ગુજરાતમાં પોલીસ કુમકો મોકલાઇ રહી છે

સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ આકાર પામી રહી છે. શુક્રવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પરપ્રાંતીયો પર ટોળા દ્વારા હુમલો કરવાની 19 ઘટનાઓ બનતા ગુજરાતની પોલીસ હાઇએલર્ટ મોડ પર આવી ગઇ છે. ટોળાઓમાં પરપ્રાંતીયો સામેનો રોષ જોઇને  સેંકડો લોકો ગુજરાત છોડી રહ્યાના રિપોર્ટને પગલે સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય દ્વારા રેપ કરાયાની ઘટના બાદ પરપ્રાંતીયો સામે ભડકી ઉઠેલા રોષ અને હુમલાની ઘટનાઓ પૈકી 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.

ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નાની નાની ખોલીઓ, ચાલીઓમાં રહેતા પરપ્રાંતીયો દહેશતમાં છે અને તેમને પર ટોળા દ્વારા ગમે ત્યારે હુમલો કરાય તેવા ભયથી સતત પીડાય રહ્યા છે. સેંકડો લોકોએ આ જ કારણે વતનની વાટ પકડી લીધી હોવાના પણ રિપોર્ટસ છે.

રાજ્યના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલો કરવાની જુદી જુદી ઘટનાઓમાં કુલ 170 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ ચૂકી છે.

તેમણે કહ્યું કે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે પરપ્રાંતીયો પર હુમલો કરવાની શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તાત્કાલિક અસરથી ઉપરોક્ત વિસ્તારોમાં 16 એસ.આર.પી. કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કુમક બોલાવી લેવામાં આવી છે.

શિવાનંદ ઝાએ પરપ્રાંતીયો પર હુમલો કરનારા લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી નહીં લેવાય. કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વગર પગલાં ભરવામાં આવશે.

શિવાનંદ ઝાએ જણાવ્યું કે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશ્નરોને સૂચના આપી દેવામાં આવી છે કે ટોળા દ્વારા પરપ્રાંતીયો વિરુદ્ધ કંઇપણ કાંકરીચાળો કડક હાથે ડામી દેવામાં આવે.

ગુજરાતમાં રહેતા બીન ગુજરાતીઓ ને પરપ઼ાંતી તરીકે ઓળખ આપી જનતા એ રાજકીય હાથો ભાજપના ઇશારે ન બનવુ જોઇએ . રાષ્ટ઼ વ્યાપી તોફાનો સત્તાના લાલચુ લોકો કરાવશે .

Posted by Hemendra Patel on Saturday, 6 October 2018

Please Feel Free to Contact on 98253 44944 for any News, Event Coverage.

October 5, 2018
bhimrad.jpg
1min28000

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એવી જાહેરાત કરી છે કે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઇ રહ્યા છે અને માર્ચ 2019માં કર કે દેખે નામની મીઠા સત્યાગ્રહનું આયોજન કરી રહ્યા છે. આ મીઠા સત્યાગ્રહનો ઉદ્દેશ એ છે કે સુરત નજીક (હકીકતમાં સુરત સિટીમાં સમાવિષ્ટ) આવેલા ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે, ઐતિહાસિક સ્થળોમાં તેનો સમાવેશ થાય એ છે. ભીમરાડને એટલે ઇતિહાસમાં સ્થાન અપાવવું છે કેમકે ભીમરાડથી જ હકીકતમાં ગાંધી બાપૂએ મીઠા સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે, આજે દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

(અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં તુષાર ગાંધીએ જાહેરાત કરી હતી એ વેળાની તસ્વીર)

એ પહેલાં રામદાસ કાકાની ધરપકડ થયેલી એટલે ભીમરાડમાં બાપુએ મીઠાની ચપટી ભરીને કાનૂનભંગ કર્યો હતો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતાં, ત્યારે તેમણે દાંડીમાં સ્મારક બનશે તેવી જે જાહેરાત કરી હતી તે જાન્યુઆરીમાં ખુલ્લુ મૂકાશે. અમારી ઇચ્છા એવી છે કે, આ ભીમરાડ ગામને ઇતિહાસમાં સ્થાન મળે. એ વખતે બાપુ સાથે 80 લોકો જોડાયા હતા અને મેં 2005માં દાંડીયાત્રાના 75માં વર્ષ નિમિત્તે દાંડી યાત્રા કરી હતી. હવે સામાન્ય લોકો અને યુવાનો સહિત વિદેશના લોકોને ગાંધી મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને બાપુનો પરિચય કરાવવા માટે આ સોલ્ટ ચેલેન્જ શરુ કરવી છે.

  • ભીમરાડ ખરેખર ક્યાં આવેલું છે
  • ઘણાં વાચકોને સવાલ ઉપસ્થિત થાય કે ભીમરાડ હકીકતમાં ક્યાં આવેલું છે, એમને જણાવી દઇએ કે ભીમરાડ સુરત ખાતે આવેલું છે.

  • દુનિયાભરમાં જે ફોટો ‘નમક કા કાનૂન તોડ દીયા’ કરીને દાંડીના નામે જાણીતો છે, એ ખરેખર ભીમરાડનો ફોટો છે.

‘કર કે દેખે’ ચેલેન્જ વિશે વાત કરતાં તુષાર ગાંધીએ જણાવ્યું કે, જ્યારે ગાંધી બાપુએ આ કૂચની વાત કરી તો સૌથી પહેલા તેનો વિરોધ સરદારે કરેલો, પરંતુ બાપુ તેમની વાત ન માન્યા અને સરદાર કામે લાગ્યા, સરદારે જ સમગ્ર દાંડીયાત્રાનો માર્ગ નિશ્ચિત કરીને બધી વ્યવસ્થા કરી આપેલી. ત્યાર બાદ મોતીલાલ નહેરુએ બાપુને આ કૂચના વિરોધમાં 22 પાનાનો પત્ર લખેલો. જેના જવાબમાં બાપુએ માત્ર એટલું જ લખેલું ‘કર કે દેખે’. .

શું કાર્યક્રમો થશે કર કે દેખે સોલ્ટ માર્ચ અન્વયે

સમગ્ર દેશમાં 150મી ગાંધીજયંતીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બાપુની દાંડીકૂચને પુનર્જીવિત કરવા માર્ચ, 2019માં ‘કર કે દેખે’ સોલ્ટ માર્ચનું આયોજન કર્યું છે. આ માર્ચમાં વોકેથોન, મેરેથોન અને સાઇક્લોથોન યોજાશે.

આ પ્રસંગે તુષાર ગાંધી સાથે ચેલેન્જમાં જોડાયેલા મુંજાલ શ્રોફે જણાવ્યું કે, જ્યારે દાંડી માર્ચ શરુ થયેલી એ જ દિવસે 12 માર્ચે મેરેથોન શરૂ થશે. તેઓ સાબરમતીથી દાંડી સુધી 400 કિમીનું અંતર 23 માર્ચ સુધીમાં કાપશે. સાયક્લોથોન 20થી 23 માર્ચ સુધીમાં પુરી થશે, વોકેથોન 19થી 23 દરમિયાન ભીમરાડથી દાંડી સુધી 70 કિમીના અંતરમાં પુરી થશે.

ભીમરાડ સ્થિત ગાંધી સ્મારક સમિતિ, સુરતનું પરિવર્તન ટ્રસ્ટ, કાંઠા વિસ્તારના ગામો વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા છે

ભીમરાડને ઐતિહાસિક દરજ્જો મળે તે માટે ભીમરાડ ગામની ગાંધી સ્મારક સમિતિ દ્વારા પાછલા ઘણાં વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવે છે. ભીમરાડના બળવંતભાઇ પટેલ તેમજ અન્ય આગેવાનો અનેક વખત સત્તામંડળોમાં રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ કાર્યક્રમો આપી ચૂક્યા છે. સુરત શહેરમાં આવેલા પરિવર્તન ટ્રસ્ટના યુવા કાર્યકરો પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર તેમજ અન્ય આગોવાનોના નેજા હેઠળ છેલ્લા ઘણાં વર્ષોથી ભીમરાડને ઐતિહાસિક મૂલ્ય મળે, ઐતિહાસિક સ્થળનો દરજ્જો મળે તે માટે ચળવળ ચલાવી રહ્યા છે. અનેક વખત તેઓ તંત્રવાહકો જોર જુલ્મીનો ભોગ પણ બન્યા છે. તેમણે અહીં ગાંધીજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરી છે. હજુ સુધી તંત્રવાહકોએ આ પ્રતિમા માટે થયેલા બાંધકામને મંજૂરી આપી નથી. એવી જ રીતે કાંઠા વિસ્તારના ગામવાસીઓ ઉપરાંત ભીમરાડના રહેવાસીઓએ પણ મીઠા સત્યાગ્રહના પ્રણેતા સ્થળ ગણાતા ભીમરાડને તેની અસ્મિતા પરત મળે તે માટે અનેક વખત પ્રયાસો કર્યા છે.

(પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ભીમરાડથી દાંડી કૂચ દરમિયાન અપાયેલા કાર્યક્રમનીની ફાઇલ તસ્વીર)

October 5, 2018
odps-1280x747.jpeg
1min11050

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય એવા નિયમને પગલે બાંધકામ ઉદ્યોગ લગભગ ઠપ જેવી સ્થિતિમાં આવી ચૂક્યો છે

 

રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રુવલને ઝડપી બનાવવા માટે બનાવેલી ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમ (ઓડીપીએસ) ગંભીર રીતે નિષ્ફળ રહી છે અને તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ પર ખરાબ રીતે વર્તાય રહી છે. પ્લાન મંજૂર કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે અને જે રીતે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે એ સિસ્ટમ અનુસારનું ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઉપલબ્ધ ન હોવાથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાઓ તેમજ અર્બન ઓથોરીટીઝ  તરફથી આ અંગે ગંભીર ફરીયાદો મળતા રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બરે ઓનલાઇન પ્લાન એપ્રુવલ સિસ્ટમમાં રાહત આપતો પરીપત્ર જારી કરવો પડ્યો હતો.

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય છે. આથી આ વખતે નવરાત્રી અને દિવાળીના તહેવારોની સીઝનમાં નવા પ્રોજેક્ટ લોન્ચ તળિયે છે.

ઓનલાઇન સિસ્ટમ અન્વયે નવા પ્લાન મંજૂર થવામાં વિલંબ થવા ઉપરાંત હજુ સુધી પ્લાન જ મંજૂર નહીં થયા હોવાથી આ વર્ષે નવા પ્રોજેક્ટ્સની સંખ્યા દિવાળીના તહેવાર અગાઉ જ તળિયે છે અને તેથી સમગ્ર રિયલ એસ્ટેટ સ્થગિત થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા થોડા મહિનામાં અમદાવાદમાં વિક્રમ ભાવથી જમીનોના સોદા થયા છે અને તેના કારણે દિવાળી વખતે નોંધપાત્ર સંખ્યામાં નવા પ્રોજેક્ટ્સની અપેક્ષા હતી પરંતુ તે ફળીભૂત થઈ નથી.

ઓડીપીએસની મુશ્કેલી અંગે ગાહેડ-ક્રેડાઇ સહિતના એસોસિયેશનોએ વારંવાર રજૂઆત કરી હતી. ગયા મહિને ગાહેડ સહિતના વિવિધ અસોસિયેશનના પ્રતિનિધિઓની બેઠકમાં ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદમાં દર મહિને સરેરાશ 220 પ્લાન પાસ થતા હતા. જેથી સાડા ચાર માસમાં 1 હજાર પ્લાન પાસ થવા જોઈએ તેની સરખામણીમાં માત્ર 125 પ્લાન પાસ થયા હતા તે મુદ્દો ગાહેડે ઉઠાવ્યો હતો. ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ૨૫ મીથી વધુ ઊંચાઈવાળા કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સના પ્લાન અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયા નથી.

બિલ્ડર્સ અને ડેવલપર્સનો ધંધો બંધ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતનો વિકાસ રૂંધાય, એથી વિશેષ ચૂંટણી સમયે બિલ્ડરો અને ડેવલપર્સ એટલા ઉપયોગી નિવડે છે કે ઓનલાઇન સિસ્ટમમાં પડતી તેમની મુશ્કેલીઓ નહીં કરીને તેમને નારાજ કરવાનું ભાજપા સરકારને પોષાય તેમ નથી.

રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ આ મુજબનો પરિપત્ર જારી કરવો પડ્યો હતો

પેજ નં. 2

પેજ નં.3

 

October 5, 2018
UGVCL.jpg
1min16840

કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોની લેણી નીકળતી રકમ ભરપાઇ કરવાની રાજ્ય સરકારની માફી યોજના ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવામાં આવી : ઊર્જામંત્રીશ્રી

  • ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧ લાખ ૩૬ હજાર ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો
  • વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની વસુલાત મળી
  • રાજ્યમાં ૩૯૬ માફી મેળાઓ યોજાયા

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના પ૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-ર૦૧૭ અગાઉ જાહેર કરવામાં આવી હતી. સરકારે આ ઉપરાંત બીનગ્રાહકો, વાણિજ્યિક, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજગ્રાહકો અને બીનગ્રાહકો તથા સ્ટ્રીટ લાઇટ અને જનરલ પરપઝ લાઇટ ટેરિફ ધરાવતા વીજગ્રાહકો માટે વ્યાજમાં સંપૂર્ણ માફીને પણ આ સ્કીમમાં આવરી લીધા હતા.

મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, રાજ્યમાં આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, મુખ્યમંત્રીશ્રીએ ગ્રાહક સંવેદનાસ્પર્શી અભિગમ સાથે આ યોજનાની મુદત વધુ ત્રણ માસ માટે એટલે કે ૧ ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. શ્રી સૌરભભાઇએ ઉમેર્યુ કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧/૦૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા ગ્રાહકો માટે મુખ્યમંત્રીશ્રીએ સંવેદનાસ્પર્શી અભિગમથી માફી યોજના ર૦૧૭ જાહેર કરી હતી.

તદઅનુસાર, ઘર વપરાશના વીજગ્રાહકો-બી.પી.એલ. અને નોન બી.પી.એલ બેય જો ૩ માસની અંદર મુદલ રકમ ભરી દે તો મુદલની રકમમાં પ૦ ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે.

અન્ય તમામ કક્ષાના વીજગ્રાહકો જો ૩ માસની અંદર મુદલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે.

આ યોજના હેઠળ અગાઉની તા.૩૧/૦૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.૩૧/૦પ/ર૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.ર૪/૦૭/ર૦૧૮ના રોજ પૂર્ણ થતી હતી તેને તા.૩૦/૦૯/ર૦૧૮ સુધી વધારવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, ૩૦- સપ્ટેમ્બર-ર૦૧૮ સુધી આ યોજનાની મુદતમાં વધારો થવાને પરિણામે ૧ લાખ ૩૬ હજાર ર૯૪ ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે. એટલું જ નહિ, વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની રકમની વસુલાત પણ આ યોજના અન્વયે થઇ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૯૬ માફી મેળાઓ યોજીને વીજ બિલની રીકવરીનું પ્રમાણ વધારવા અને ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં ઊર્જા વિભાગને સફળતા મળી છે, એમ પણ મંત્રીશ્રીઓએ ઉમેર્યું હતું.

 

October 4, 2018
petrol-diesel-1.jpg
1min18830
  • 3.26 વાગ્યે કેન્દ્ર સરકારે પેટ્રોલ  ડિઝલના ભાવમાં રૂ.2.5 પ્રતિ લિટરે ઘટાડો કરવાની જાહેરાત કરી
  • 3.52 વાગ્યે ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી
  • 4.10 વાગ્યે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી

પેટ્રોલ ડિઝલના ભાવોના મુદ્દે સમગ્ર દેશમાંથી મોદી સરકાર સામે ઉઠેલા અસંતોષને ઠારવા માટેના પ્રયાસોના  ભાગરૂપે કેન્દ્ર સરકારે આજે શેરબજાર બંધ થવાની 4 મિનીટ પહેલા જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તાત્કાલિક રીતે અમલ થાય એ રીતે રૂ.અઢીનો ઘટાડો કરવાની ઘોષણા કરી હતી. અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ કહ્યું હતું કે તેઓ શક્ય એટલી રાહત સામાન્ય લોકો સુધી પહોંચાડે. કેન્દ્રના અઢી રૂપિયાના ઘટાડા બાદ જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારો પૈકી કોણ વધુ ઘટાડો કરે છે. અરુણ જેટલીની જાહેરાતની ગણતરીની મિનીટોમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રૂ2.5નો ઘટાડો પ્રતિ લિટરે પેટ્રોલ અને ડિઝલમાં કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લિટરના ભાવમાં રૂ5નો તોતિંગ  ઘટાડો થયો હતો. સાંજે 4 વાગ્યે આ જાહેરાત થઇ હતી. હવે જોવાનું એ રહે છે કે એ પછી કઇ કઇ રાજ્ય સરકારો ઘટાડો કરી રહી છે.

  • કેવી રીતે ભાવ ઘટાડો થશે
  • પ્રતિ લિટર રૂ. 1 કેન્દ્ર સરકાર ઘટાડ્યા
  • પ્રતિ લિટર રૂ. 1.5 ઓઇલ કંપનીઓ ઘટાડ્યા
  • પ્રતિ લિટર રૂ.2.5 રાજ્ય સરકારોએ ઘટાડ્યા

પેટ્રોલ ડિઝલના ભાવમાં ગુજરાતમાં રૂ.5નો જંગી ઘટાડાના સમાચાર એટલા વાઇરલ થયા છે કે ન પૂછો વાત. વ્હોટ્સ એપ ગ્રુપથી લઇને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વિજય રુપાણીની ટ્વીટના ફોટોઝ લોકોએ ખૂબ શેર કર્યા હતા.

(ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી ટ્વીટ)

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાવ ઘટાડા અંગે કરેલી ટ્વીટ)

 

એ પૂર્વે આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાંથી લોકોને રાહત આપતા નાણાંમંત્રી અરુણ જેટલીએ ઈંધણના ભાવમાં 2.50નો તાત્કાલીક ધોરણે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેટલીએ જણાવ્યું કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મંત્રી સમુહની આંતરિક બેઠકમાં કેન્દ્રે એક્સાઈઝ ડ્યુટી રૂ.1.5 ઘટાડી છે. આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પણ 1 રૂપિયાનો ઘટાડો કરશે.

કેન્દ્ર સરકાર આમ કુલ 2.5 રૂપિયા પ્રતિ લીટરની રાહત ગ્રાહકોને આપશે.’ જેટલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાત જણાવી હતી. તેમજ આ સાથે રાજ્યોને પણ સમાન દરે ઈંધણના ભાવમાં ઘટાડો કરવા અપીલ કરી હતી જેને પગલે ગ્રાહકોને 4-5 રૂપિયા સસ્તું ઈંધણ મળી શકે. નાણાં મંત્રીએ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડાતા આવકમાં રૂ. 10,500 કરોડનો ફટકો આ વર્ષે પડશે.

October 4, 2018
icic.jpg
1min9190

બેંક કૌભાંડોમાં જેમના પતિ તેમજ તેમની પોતાની સંડોવણીના થયેલા આક્ષેપો, ફરીયાદો, તપાસ વગેરેને પગલે ભારતની પ્રાઇવેટ સેક્ટર બેંક, આઇસીઆઇસીઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ચંદા કોચરએ બેંકની કાર્યવાહીમાંથી તેમને મુક્ત કરવા અંગે, તેમજ નિયત સમયમર્યાદા કરતા વહેલા નિવૃત કરવાની કરેલી અરજીને ત્વરિત પ્રત્યાઘાત આપતા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની બોર્ડ મિટિંગમાં ચંદા કોચરના તાત્કાલિક અસરથી કામગીરી મુક્ત કરી દેવાયા છે. ચંદા કોચરની જગ્યાએ હવે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના નવા સી.ઇ.ઓ. તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી છે. સંદીપ બક્ષીની પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.

ચંદા કોચર અને તેમની સાથે નવા વરાયેલા સી.ઇ.ઓ. સંદીપ બક્ષી

ચંદા કોચર અને તેમના પતિ સામે અનેક ઇન્કવાયરીઓ ચાલી રહી છે. ચંદા કોચર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની અન્ય શાખાઓ અને કન્સર્ન પેઢીઓમાંથી પણ કાર્યમુક્ત થઇ જશે.

 

October 4, 2018
sensex.jpg
1min4840

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતા તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો કરશે તેવી દહેશત પાછળ ડોલર સામે રૂપિયામાં સતત ડાઉનફોલ રહેતા સેન્સેક્સમાં આજે તા.4 ઓક્ટોબર 2018ના રોજ ગુરુવારે સવારે 750 પોઈન્ટનો કડાકો બોલી ગયા હતો. આમ બે દિવસમાં સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુનું નોંધપાત્ર ધોવાણ થયું હતું.

નવી સીરિઝમાં રોકાણકારોએ પોઝિશન લેવાનું ટાળ્યું હતું અને વૈશ્વિક પ્રતિકૂળતાને લીધે નફો બુક કરવાની માનસિકતા જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુબજ આગામી સમયમાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારો કરશે તેવી ભીતિ પાછળ તા.3 ઓક્ટોબર 2018ને બુધવારે સેન્સેક્સમાં 36,000ની સપાટી તૂટી હતી. ૯ જુલાઈ બાદ સેન્સેક્સે આ સપાટી તોડી હતી. ત્યારબાદ સેન્સેક્સે આજરોજ તા.4 ઓક્ટોબર 2018ના રોજ ખૂલતામાંજ 35,500નું મહત્વનું સ્તરે તોડ્યું હતું. નિફ્ટી આંક પણ દોઢ ટકાથી વધુ તૂટીને 200 પોઈન્ટ ગગડીને 10,625ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

રૂપિયો ખુલતા બજારે ડોલર સામે 45 પૈસા ગગડીને 73.77ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 85 ડોલર પ્રતિ બેરલને સ્પર્શતા શેરબજાર કડડભૂસ થયું હતું. ક્રૂડના ભાવ છેલ્લા ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

 

October 4, 2018
iphone-xs-iphone-xs-max-21-1280x906.jpg
1min7200

સૌથી વધુ માંગ મોંઘા અને ગોલ્ડ કલરના આઇફોન XS Max 256 જીબી મોડલની હતી એમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું. આ ફોનની કિંમત ₹1,24,900 છે. એપલે તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ ₹99,000 અને ₹1,44,900ની કિંમતના આઇફોન XS અને XS મેક્સ લોન્ચ કર્યા હતા જ્યારે ગયા વર્ષે આઇફોન X ₹89,000-₹1,02,000ની કિંમતમાં લોન્ચ કર્યા હતા. 

ભારતીય માર્કેટમાં એપલના નવા આઇફોન XS અને XS મેક્સનું ઓછું વેચાણ થયું છે. એવા રિપોર્ટસ મળ્યા છે કે પ્રથમ વીકએન્ડના વેચાણ બાદ ભારતમાં સપ્લાય થયેલા જથ્થાનો 45 ટકા હિસ્સો વણવેચાયેલો પડ્યો છે અને આવું પહેલીવાર બન્યું છે. એક અધિકારીએ ભારતમાં હાલ મની ક્રાઇસીસનું કારણ પણ નવા આઇફોનના વેચાણ ઘટાડા માટે જણાવ્યું છે. કેટલાક એવું પણ માને છે કે શ્રાધ્ધપક્ષમાં ભારતીયો ખરીદી કરતા નથી એટલે પણ વેચાણ ઓછું થયું છે.

અગાઉનાં વર્ષોમાં એપલના ફોન જ્યારે પણ ભારતમાં વેચાણ માટે આવ્યા છે ત્યારે ખરીદદારોમાં તેની ભારે માંગ જોવા મળી છે. નવા આઇફોન ખરીદવા માટે ખરીદદારોની લાંબી લાઇનો જોવા મળી છે. એપલે લગભગ એક લાખ નવા આઇફોનની આયાત કરી છે અને વધુ ને વધુ સ્ટોર્સમાં તેને વેચાવા માટે મૂક્યા છે. વેચાણને વેગ આપવા માટે કંપનીએ નવી ટ્રેડ ચેનલમાં પણ પ્રવેશ કર્યો છે.

ગયા વર્ષે આઇફોન-8ને પણ નબળો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વર્ષે આઇફોન Xના લોન્ચિંગના પ્રથમ ત્રણ દિવસની સરખામણીએ આઇફોન XS અને XS મેક્સનું વેચાણ 55-60 ટકા રહેવાની ધારણા હતી.

પ્રિ-બૂક કરાવનારા ઘણા ગ્રાહકોએ હજુ ખરીદી કરી નથી કારણ કે તેઓ શ્રાદ્ધના અપશુકનિયાળ સમયગાળામાં મળતા લાભનો ફાયદો લેવાની યોજના ધરાવે છે. પ્રથમ વીકએન્ડમાં નવા આઇફોન્સનું વેચાણ ગયા વર્ષના આઇફોન-8 કરતાં તો ચોક્કસપણે સારું રહ્યું છે પણ આઇફોન Xના વેચાણ કરતાં તો ઓછું છે. ઓક્ટોબરમાં નવરાત્રિ શરૂ થશે ત્યારે વેચાણ વધવાની અપેક્ષા છે.

October 4, 2018
meclean.jpg
1min6870

દારુ પીવાના શોખીન લોકોને આંચકો લાગે એટલા ભાવની વ્હીસ્કીની એક બોટલના વેચાણના સમાચારે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે. એવા સમાચાર એટલા વાઇરલ થયા છે કે 1926માં એડિનબર્ગ (યુરોપ)માં બનેલી અને અત્યાર સુધી વ્યવસ્થિત રીતે સંગ્રહી રાખવામાં આવેલી વ્હીસ્કીની એક બોટલ જેનું નામ મેકલિન છે એની કિંમત ભારતીય ચલણ મુજબ રૂ.8.57 કરોડ થવા જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ લિમીટેડ એડિશનની વિશ્વનમાં સૌથી મોંઘીદાટ બોટલને ખરીદવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે.

૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી

whisky

સ્કૉટલૅન્ડના એડિનબર્ગ શહેરમાં જૂનાં અને અલભ્ય આલ્કોહૉલિક પીણાંના ઑક્શનમાં એક વ્હિસ્કીની બૉટલે કરોડો રૂપિયામાં વેચાઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી. આ પ્રકારની વ્હિસ્કીની માત્ર ૧૨ જ બૉટલ બની હતી. એમાંથી એક બૉટલ બોન્હેમ્સ વ્હિસ્કી ઑક્શન કંપની દ્વારા ૮૬,૩૬,૨૫૦ હૉન્ગકૉન્ગ ડૉલર એટલે કે આશરે ૮.૫૭ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.