Jayesh Brahmbhatt 98253 44944
આપણા સામાજિક ઢાંચાનું એટલું અધઃપતન થઇ રહ્યું છે કે હવે આદિકાળથી ચાલી આવતી આપણી સામાજિક ભૂમિકાઓનું પણ જ્ઞાન શૈક્ષણિક સંસ્થાઓ આપવા માંડી છે. મા-બાપ તરીકે બાળ ઉછેર કેવી રીતે કરવો, દાદા-દાદી તરીકે ઘરમાં કેવી રીતે વર્તવું જેવા મુદ્દાઓ પર અઢળક સાહિત્યો માથે પડ્યા છે ત્યાં હવે ભોપાલની જાણીતી બરકતુલ્લાહ યુનિવર્સિટી આદર્શ વહુ કેવી રીતે બની શકાય તે માટે લગ્નની ઉંમરલાયક યુવતિઓ માટે એક અભ્યાસક્રમ શરૂ કરી રહી છે. આદર્શ વહુ અભ્યાસક્રમમાં યુવતિઓને લગ્ન પછી સાસરીમાં કેવી રીતે રહેવાનું, ચાલ-ચલન, વર્તણૂંક, વાણી, પહેરવેશ, આદરભાવથી લઇને રસોઇ અંગેની ટીપ્સ આપીને નવ વધુઓને લગ્ન પહેલા તૈયાર કરશે.

ભારતમાં કોઇ યુનિવર્સિટી દ્વારા નવ વધુઓ માટે જ ખાસ કોર્સ શરૂ કરાયો હોય તેવો આ પહેલો વહેલો પ્રસંગ છે. ભોપાલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ડી.સી. ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે આદર્શ વહુ અભ્યાસક્રમ 3 મહિનાનો છે અને દિવાળી પછી શરૂ થતી નવી ટર્મથી આ કોર્સ લગ્નની ઉંમર ધરાવતી એજ્યુકેટેડ યુવતિઓ માટે શરૂ કરવામાં આવશે.
ડો.ગુપ્તાએ કહ્યું કે એક યુનિવર્સિટી તરીકે અમારું પણ સામાજિક ઉત્તરદાયિત્વ છે અને હાલમાં આપણી લગ્ન પ્રથા અને લગ્ન બાદ નવયુગલ વચ્ચે થઇ રહેલી સમસ્યાઓ ઓછી થાય એના પ્રયાસ રૂપે અમે આદર્શ વહુ કોર્સ શરૂ કરી રહ્યા છે. ભોપાલ સ્થિત બરકતુલ્લાહ યુનિવર્સિટીના ડિપાટમેન્ટ ઓફ સોશ્યોલોજી, સાઇકોલોજી અને વુમન્સ સ્ટડીઝમાં આ કોર્સ શરૂ થશે. પહેલા બેચમાં 30 યુવતિઓને પ્રવેશ આપવામાં આવશે અને તેમની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ એ નિયમ ઘડાય રહ્યો છે.
જોકે, શિક્ષણશાસ્ત્રીઓમાં આદર્શ વહુ અંગેના સૂચિત કોર્સ અંગે તીવ્ર મતભેદો જોવા મળી રહ્યા છે.
વહુ એ દરેક પરિવારની જુદી જુદી વ્યાખ્યામાં આવતી હોય છે ત્યારે ભોપાલની આ યુનિવર્સિટીના કોર્સની વ્યાખ્યા સમગ્ર દેશમાં સમાન જ હશે એ હરગીઝ માની શકાય નહીં. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ વહુઓને માથે ઓઢવાનું કહેવામાં આવે છે, વેસ્ટર્ન કપડા તો દૂર પેન્ટ-ટીશર્ટ પણ વહુઓ પહેરી શકતી નથી, શહેરોમાં સાડી કે ડ્રેસને વહુઓ અડકવાનું નામ લેતી નથી. આ પ્રકારનો તફાવત હોય ત્યારે ભોપાલની યુનિવર્સિટી આદર્શ વહુને શું શીખવાડીને આદર્શ બનાવશે એ જોવું રહ્યું.
મોટા ભાગના શિક્ષણશાસ્ત્રીઓએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ફક્ત યુવતિઓ માટે જ કેમ આદર્શ વહુ કોર્સ શરૂ કરાઇ રહ્યો છે, શું યુવકો પહેલેથી જ આદર્શ પતિ હોય છે, યુનિવર્સિટીઓ જેના માટે બની છે એ ઉચ્ચ શિક્ષણ, સંશોધન વગેરે બાબત તો દૂર પણ પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ જેવી પોતાની આંતરિક બાબતો તો સુધારી શકતી નથી એવી સ્થિતિમાં આદર્શ વહુનો કોર્સ સમય બગાડનારો બની રહે તેમ છે.
You can Find Us at Google Play Store too





















