Alert Archives - Page 420 of 512 - CIA Live

January 7, 2019
voterlist.jpg
1min9980

રાજ્યભરમાં સપ્ટેમ્બર-૧૮થી શરૂ થયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વધુ ૧૩ દિવસ લંબાવાઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગુજરાતની મતદાર યાદીમાં ૧૦ લાખ મતદારો નવા ઉમેરાયા હતા અને સામે ૩ લાખ મતદારો રદ થતાં કુલ ૭ લાખ જેટલા મતદારો વધ્યા હતા.

સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ સંક્ષિપ્ત સુધારાણા ઝુંબેશ શરૂ થઈ ત્યારે પુરૂષો ૨.૨૯ કરોડ અને સ્ત્રીઓ ૨.૧૧ કરોડ મળીને કુલ મતદારો ૪.૪૦ કરોડ જેટલા હતા અને એમા પણ છેલ્લા એક વર્ષમાં આશરે ૭ લાખ મતદારો નવા ઉમેરાયા હતા. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર-૧૮ની સ્થિતિએ પુરૂષો ૨.૨૫ કરોડ અને સ્ત્રીઓ ૨.૦૭ કરોડ મળીને કુલ મતદારો ૪.૩૩ કરોડ જેટલા હતા. રાજ્યમાં નવી મતદાર યાદી ૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી પરંતુ ટેક્નિકલ કારણોસર જિલ્લાસ્તરેથી ડેટા અપડેટ નહિ થવાથી બે અઠવાડિયા સમય લંબાવાયો છે. ભૂતકાળમાં અનેક વખત સુધારણા કાર્યક્રમને લંબાવાયો છે. રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ રાજ્યમાં જિલ્લાવાર તથા વિધાનસભા ક્ષેત્રવાર નવી મતદારયાદીઓ જાહેર કરવામાં આવશે, જે લોકસભા ચૂંટણી માટે ફાઈનલ મતદાર યાદી ગણાશે અલબત્ત ચૂંટણી સુધી આ યાદીમાં નવા મતદારો તેમના નામ સામેલ કરાવી મતદાન કરી શકશે.

દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશની સાથોસાથ ચૂંટણી માટે ઉપયોગમા લેવાનારા સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી અને મતદાર કેન્દ્રો ખાતે વ્યવસ્થા ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા સહિતની સુધારાની કામગીરી ચાલી રહી છે.

January 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5610
  • બોટાદ, રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત
  • રોકડ, સોના-ચાંદીના દાગીના, છ મોબાઈલ સહિત રૂ.1.પ7 લાખનો મુદ્દામાલ કબજે

બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં તરખાટ મચાવનાર બોટાદના રાણપુર ગામની મારવાડી છારાગેંગના સગીર સહિત છ શખસોને એલસીબીના સ્ટાફે ઝડપી લઈ નાની-મોટી 100 ચોરીના ભેદ ઉકેલ્યા હતા અને રૂ.1.પ7 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની સત્તાવાર માહિતી મુજબ બોટાદના રાણપુર  ગામે ખોડિયારનગર (છારાનગર)માં રહેતો મારવાડી વનરાજ ઉર્ફે રીતીક શામજી રાઠોડ, મારવાડી આસીક રાકેશ રાઠોડ, મારવાડી વજેસિંહ રાજેસિંહ ચૌહાણ, મારવાડી ભસ્મા રમેશ રાઠોડ, મારવાડી અશ્વિન શામજી રાઠોડ અને સગીર કિશોર સહિતની મારવાડી છારાગેંગ બોટાદ સહિતના અન્ય જિલ્લાઓમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઝડપી લીધા હતા અને આકરી પૂછતાછ કરતા બોટાદ, રાજકોટ શહેર-ગ્રામય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે મારવાડી છારાગેંગ પાસેથી રૂ.1800 ની રોકડ તથા લેપટોપ, છ મોબાઈલ, પાણીની મોટર, સોના-ચાંદીના દાગીના  સહિત રૂ.1.પ7 લાખની માલમતા કબજે કરી હતી.

છારાગેંગ પરપ્રાંતીય મજૂરોના મકાનમાં દિવસે હાથફેરો કરી લેતા હતા. ચોરી કરવાના સ્થળે મજૂરોના ઝૂંપડા પાસે ઝૂંપડા બાંધતા હતા અને મજૂરો કામે ગયા  હોય ત્યારે દિવસે હાથફેરો કરી લેતા હતા. તેમજ શહેરી વિસ્તારમાં બપોરના સમયે મકાનોમાં હાથફેરો કરતા હતા. વજેસિંહ રાજસિંહ ચૌહાણ અગાઉ ટંકારામાં ચોરીના ગુનામાં અને રાણપુરમાં દારુ પીધેલાના ગુનામાં પકડાઇ ચુકયો છે.

January 6, 2019
gst.jpg
1min12360

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 5, 2019
SGCCI.jpg
1min7100

ચેમ્‍બરના ‘સીટેક્ષ- ર019′ પ્રદર્શન દરમિયાન‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો

 ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે યોજાયેલા સીટેક્ષ ર019 પ્રદર્શન દરમિયાન ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા, શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બે (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર) અને શ્રી પરેશ શાહ (સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ, સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝીસ બેન્‍કીંગ, યસ બેન્‍ક લિ.)એ ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાં જુદા-જુદા સેકટરની અદ્યતન મશીનરી, સરકારની વિવિધ યોજનાઓ અને ફાયનાન્‍શીયલ બાબતો વિશે માર્ગદર્શન આપ્‍યુ હતુ.

સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ

શ્રી સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ હતુ. તેમણે કહયુ હતુ કે, ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના જુદા-જુદા સેકટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા રૂપિયા 6 હજાર કરોડથી 7 હજાર કરોડ સુધીની મશીનરી ભારતમાં આયાત કરવામાં આવે છે. જેમાં સ્‍પીનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્‍ટીંગ સુધીના તમામ ઇકવીપમેન્‍ટનો સમાવેશ થાય છે.તેમણે ગ્‍લોબલ માર્કેટમાં ટેકનીકલ ટેક્ષટાઇલમાં વર્ટીકલ એમ્‍બ્રોઇડરી મશીન, હાઇસ્‍પીડ શટલ બેઇઝ મશીન, હાઇસ્‍પીડ શટલ લેસ રેપીયર લૂમ્‍સ તથા તેમના થકી થતુ પ્રોડકશન અને ઇકો ફ્રેન્‍ડલી સોલ્‍યુશન સિસ્‍ટમ વિશે માહિતી આપી હતી.

ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. તેમણે કહયુ હતુ કે નવી વિવીંગ, નીટીંગ અને પ્રોસેસિંગ મશીનરી માટે સરકાર 10 ટકા સબસિડી આપે છે. કમ્‍પોઝીટ યુનિટ્‍સ માટે સરકાર 15 ટકા સબસિડી આપે છે. તેમણે ગૃપ વર્કશેડ સ્‍કીમ વિશે જણાવ્‍યુ હતુ કે નાના વેપારીને 4 યુનિટ્‍સ માટે સરકાર તરફથી સહાયતા મળી શકે છે. આ સ્‍કીમમાં 4 વેપારીઓની જરૂર હોય છે, જેઓ ચાર – ચાર અથવા છ – છ યુનિટ્‍સ એકસાથે મળીને એકજ સ્‍થળે નાંખી વેપાર શરૂ કરી શકે છે. આ સ્‍કીમમાં કન્‍સ્‍ટ્રકશન માટે પણ સહાયતા મળે છે.

સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમમાં કારીગરે વર્ષે રૂપિયા 80 ભરવાના હોય છે અને તેની સામે સરકાર તેમને રૂપિયા બે લાખનો વીમો આપે છે. સાદા લૂમ્‍સને અપગ્રેડ કરવા માટે પણ સરકાર સબસિડી આપે છે. આ ઉપરાંત સોલાર પ્‍લાન્‍ટ માટે આપવામાં આવતી સબસિડી વિશે પણ તેમણે માહિતી આપી હતી.

શ્રી પરેશ શાહે એમએસએમઇ ફાયનાન્‍સીંગમાં વોકીંગ ફાયનાન્‍સીંગ અને પ્રોજેકટ ફાયનાન્‍સીંગ અંગે માહિતી આપી હતી.

સેમિનારમાં ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલ અને સીટેક્ષ ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધીઓ કરી હતી. સેમિનારમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સવાલોના જવાબ આપવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ સેમિનારનું સમાપન થયુ હતુ.

January 5, 2019
sg2.jpg
1min11500

કેન્દ્રીય કપડા મંત્રી સમક્ષ ભલે ફોગવાના આગેવાનો અશોક જીરાવાળા, મયુર ગોળવાલા, આશિષ ગુજરાતીએ કાળા વાવટા બતાવીને અપરિપક્વતા દાખવી હોય પરંતુ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પરિપક્વતા દાખવતા આજે વિવર્સ સમેત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટક પક્ષોને કનડતા ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટી સમેતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓની ટીમ સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરીને સમગ્ર ઉદ્યોગના હિતમાં ઝડપભેર નિકાલ લાવવા માટે રજૂઆતો કરી હતી. ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટીના પ્રશ્નોની ઘેરી અસરથી જીએસટી અધિકારીઓને વાકેફ કર્યા હતા. નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓ સમક્ષ આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થયેલી રજૂઆતો આગામી દિવસોમાં રંગ લાવશે અને પરીણામદાયી માહોલ સર્જાશે એ બાબત હવે નિશ્ચિત બની છે.

ફોગવાના કેટલાક આગેવાનોએ બગાડેલી બાજી હવે ચેમ્બર દ્વારા સુધારવામાં આવી રહી છે

ફોગવાના કેટલાક આગેવાનોએ ક્રેડિટ લેપ્સના મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધીનું નામ લઇને ડહોળી નાંખેલા સમગ્ર મામલામાં હવે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સમગ્ર ઉદ્યોગના વિશાળ હિતમાં કેન્દ્ર સરકારને મોટું મન રાખીને મામલો ઉકેલી આપવા માટે રજૂઆતોનો દૌર શરૂ કર્યો છે. સૂત્રો જણાવે છે કે ચેમ્બરના પ્રયાસોને પગલે ક્રેડિટ લેપ્સ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના સ્પર્શતા મોટા ભાગના પ્રશ્નોનો ટૂંક સમયમાં તબક્કાવાર નિકાલ શરૂ થઇ જશે.

આજે તા.5મી જાન્યુઆરી 2019ના રોજ સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા નવી દિલ્‍હીથી સુરત આવેલા જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે.રહમાન તથા તેમની ટીમ સમક્ષા ક્રેડીટ લેપ્‍સના નિરાકરણ માટે તેમજ જીએસટીના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્‍બર તથા અન્‍ય વિવરઅગ્રણીઓએ વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા જીએસટી વિભાગ દ્વારા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ વિશાળ વિવર્સ આલમનું હિત જોતા વહેલી તકે ઉકેલ લાવી આપવા રજૂઆત કરી

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે. રહમાન તથા તેમની ટીમ સમક્ષ ક્રેડીટ લેપ્‍સનો મામલો ઉકેલવા તેમજ જીએસટીના અન્‍ય પ્રશ્‍નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે કહયુ હતુ કે, ક્રેડીટ લેપ્‍સના મામલે સૌથી વધુ વિવર્સ આલમ અસરગ્રસ્‍ત થઇ છે. આથી હવે આ મામલે વહેલી તકે બધાને નિરાકરણ જોઇએ છે.

વિવર્સ અગ્રણી હિમાંશુ બોડાવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલાએ એવી રજુઆત કરી હતી કે, વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને રૂપિયામાં વિવર્સને નહીં આપવામાં આવે તો ચાલશે પણ એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા સરકાર દ્વારા કરવામાં આવે.

વિવર્સ અગ્રણી રાજેન્દ્ર લાલવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી રાજેન્‍દ્ર લાલવાલાએ રજૂઆત કરી હતી કે નેરો ફેબ્રિકસમાં જરી બોર્ડરને જીએસટીના સ્‍લેબમાં કાપડથી અલગ કરી દેવામાં આવી છે. ફેબ્રિકસની ઉપર 5 ટકા જીએસટી લાગુ પડે છે ત્‍યારે એ જ કાપડમાંથી કાપીને છુટી કરવામાં આવેલી લેસને 1ર ટકા જીએસટી સ્‍લેબમાં ગણવામાં આવે છે. જયારે પ્રોડકટ તો એક જ છે. આથી જરી બોર્ડરનો પણ કાપડના 5 ટકા જીએસટી સ્‍લેબમાં સમાવેશ કરવામાં આવે.

જરી ઉદ્યોગના અગ્રણી બિપીન જરીવાલાની રજૂઆતો

જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલાએ એવી રજૂઆત કરી હતી કે કોપર, બ્રાઝ અને સિલ્‍વરબેઇઝ ટ્રેડીશનલ જરી અને મેટાલીક જરીને જીએસટીમાં એકજ હેડમાં રાખી એની ઉપર 1ર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્‍યો છે. આથી આ બંનેને અલગ – અલગ હેડમાં નાંખવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. મેટાલિક જરી ઉપર ભલે 1ર ટકા જીએસટી સ્‍લેબ રહે પણ ટ્રેડીશનલ જરી માટે જીએસટી 1ર ટકામાંથી ઘટાડીને પ ટકા કરવામાં આવે એવી રજૂઆત થઇ હતી.

નવી દિલ્‍હી જીએસટી વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ સમક્ષ વિવર અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલા અને શ્રી રાજેન્‍દ્ર જરીવાલા, કીમ – પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રસિક કોટડીયા અને ઉપપ્રમુખશ્રી જયંતિ જોલવા, ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રાજેન્‍દ્ર ચોખાવાલા, ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઇ શાહ, જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલા અને દિપક જરીવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

January 5, 2019
tuna_japan.jpg
1min9950

આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી. 

જાપાનની સૂશી રેસ્ટોરાં ચેનના માલિકે ટોક્યોના એક માછલી બજારમાંથી આજે તા.5મી જાન્યુઆરી 2019ને શનિવારે એક મોટી ટૂના માછલી ખરીદી હતી જેની કિંમત 22 કરોડ હતી. વિશ્વમાં કોઇ એક માછલી માટે આટલી મોટી રકમનો સોદો અગાઉ ક્યારેય થયો ન હોવાથી ટુના માછલીનો આ વિશ્વનો સૌથી મોંઘો સોદો પણ ગણવામાં આવી રહ્યો છે. આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી.

ગત વર્ષ અંતિમ દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ શુકીજી માછલી બજારની જગ્યાએ તૈયાર કરાયેલા આ નવા બજારમાં નવા વર્ષના એક દિવસ પહેલા આ માછલીની હરાજી થઇ હતી, જેમાં આ માછલીને રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી હતી.

ટૂના એક લુપ્ત પ્રજાતિ છે. ટૂના કિંગના નામથી પ્રખ્યાત કિયોશી કિમુરાએ આ કિંમત ચૂકવી હતી. અગાઉ સૌથી મોંધી માછલી 15.5 કરોડ રૂપિયા વેચાઇ હતી.આ કિંમત પણ 2013માં કિમુરાએ જ ચૂકવી હતી. સૂશી રેસ્ટરાં ચેનના માલિકે જણાવ્યું હતું કે, આ સર્વોત્તમ ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, અત્યંત સારી ટૂના માછલી ખરીદવામાં સફળ રહ્યો. કિમુરાએ હરાજી બાદ જણાવ્યું હતું કે, જે કિંમત વિચારી હતી તેનાથી વધુ બોલી ઉંચી રહી હતી, પરંતુ મને આશા છે કે અમારા ગ્રાહકો આ ઉમદા ટૂના માછલીનો સ્વાદ માણી શકશે.

January 5, 2019
CR-1280x1620.jpg
1min22690

સી.આર. પાટીલને દક્ષિણ ગુજરાતના લોકનેતા કહેવાય છે, કોઇપણ સામાન્ય વ્યક્તિ તેમની પાસે કામ લઇને પહોંચી જાય, ફોન કરે એટલે તેમના કામનું ફોલોઅપ શરૂ થઇ જાય. એવું જરૂરી નથી કે બધા કામ 100 ટકા જ થઇ જાય પણ સી.આર. પાટીલ પોતે અંગત રસ લઇને કામની પ્રાયોરિટી મુજબ તેનું ફોલોઅપ કરે અને નિવેડો લાવવા સુધી પ્રયાસો કરે. એક આવો જ પ્રયાસ સુરતના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે કરીને સુરત સમેત દેશભરના કુલ 2160 જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ્સ એટલે કે તબીબ બની ચૂકેલા ઉમેદવારો માટે કર્યો છે. 2160 જેટલા તબીબો આવતીકાલ તા.6 જાન્યુઆરીએ યોજાનારી નીટ પીજી પરીક્ષા માટે બિલકુલ લાયક છે, પણ તેમની હોલટિકીટમાં કેટલીક ક્ષતિઓને કારણે તેઓ પરીક્ષામાં બેસી શકે તેમ ન હતા. નેશનલ એકઝામિનેશન બોર્ડ સાથે આ મુદ્દે વાતચીતો થઇ પણ હોલટિકીટનો મેળ પડતો ન હતો. મેડીકલ ગ્રેજ્યુએટ થયેલા તબીબો માટે નીટ પીજી સૌથી મહત્વની પરીક્ષા ગણાય, આમેય આપણા દેશમાં પી.જી. મેડીકલની સીટો ઓછી, પ્રવેશ કાર્યવાહી કડક અને એમાં આવી તક જતી રહે તો 2160 તબીબોને મોટી હાની થાય તેમ હતું. આવા સંજોગોમાં સી.આર. પાટીલ કે જેઓ દિલ્હી ખાતે સંસદ સત્રની કાર્યવાહીને પગલે ઉપસ્થિત હતા, ત્યાં તેમણે રજૂઆતો કરીને તાત્કાલિક નીટ પીજીના તબીબોને હોલ ટિકીટ ઇશ્યુ કરાવી હતી.

 

સમગ્ર મામલો ડિટેઇલ્ડમાં વાંચો

૬/૦૧/૧૯, રવિવારના રોજ નીટ-પીજી-મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે અને શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ની સવાર સુધી MBBS પાસ થયેલા અંદાજે 2160 નીટ પીજીના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ ખામી વાળી હોવાથી તેઓ પરીક્ષા આપી શકે તેમ ન હતા. ભારતમાં આમેય મેડીકલ પી.જી.માં પ્રવેશની તકો મર્યાદિત અને કઠિન હોય ત્યારે નીટ પીજીની આ તકથી 2160 જેટલા પરીક્ષાર્થીઓ વંચિત રહી જાય તેમ હતું.

મળતી માહિતી મુજબ ૧૧૩૮ જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોને એવી હોલ ટિકીટ મળી હતી કે જેમાં સહી ઝાંખી કે અલગ પડતી હતી. અને ૧૦૨૨ જેટલા વિદ્યાર્થીઓના ફોટા બાબતમાં વાંધા કાઢવામાં આવ્યા હતા. નવી હોલ ટિકીટ ઇશ્યુ કરવાના મુદ્દે NBE “નેશનલ બોર્ડ ઓફ એગ્ઝમિનેશન્સ” દ્વારા છેલ્લી ઘડી સુધી એટલે કે આજરોજ શનિવાર, તા.5મી જાન્યુઆરી 2019 સુધી મેડીકલ ગ્રેજ્યુએટ પરીક્ષાર્થીઓને અધ્ધર જીવે રાખવામાં આવ્યા હતા.

આ બાબતે સુરતની એક દીકરીના પિતાએ સાંસદશ્રી સી.આર. પાટીલને રજૂઆત કરીને એમની મદદ માંગી હતી. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સી.આર. પાટીલ દિલ્હીમાં ઉપસ્થિત હોઇ, એમણે તાત્કાલિક NBE ચેરમેનને સમગ્ર મુદ્દા અંગે વાતચીત કરી હતી અને તાત્કાલિક એટલે કે સાંજ સુધીમાં જ મેડીકલની અત્યંત મહત્વની પરીક્ષા નીટ પીજીના પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ ઇસ્યુ કરાવી આપી હતી.

સાંસદ સી.આર. પાટીલના પ્રયાસોથી માત્ર સુરતની દીકરી જ નહિ પરંતુ દેશની અનેક દીકરી-દીકરાઓનો મેડીકલ નીટ અને એ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કે જેમાં પ્રવેશ મળવા માટેની તકો અત્યંત મર્યાદિત હોય છે તેમની તક વેડફાઇ જતા બચાવી શકાઇ છે.

January 5, 2019
coldwave-1.jpg
1min7280

આવનાર 6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી

દેશ અને તેના પગલે રાજ્યના હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસો, રવિ, સોમ અને મંગળવાર તા.6થી 8 જાન્યુઆરી 2019 દરમિયાન ભારતના પશ્ચિમ વિસ્તાર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સખત ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાતમાં આમેય છેલ્લા ઘણાં દિવસોથી એક ધારી સખત અને બેઠ્ઠી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. શુક્રવાર તા.4 જાન્યુઆરીએ ઠંડી થોડી ઓછી થઇ હતી, એ પછી આજે શનિવાર તા.5મી જાન્યુઆરીએ સવારથી ફરીથી રાબેતા મુજબ ઠંડી પડી રહી છે. રવિ, સોમ અને મંગળ દરમિયાન ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે તેમ હોઇ, લોકોને સાવચેતી દાખવવા માટે સલાહ આપવામાં આવી છે.

6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી અપાઈ છે. આગામી 6થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્યમાં કોલ્ડ વેવ આવવાની શક્યતા છે. ગાંધીનગર, નલિયા, વલસાડ, અમરેલી જિલ્લામાં ઠંડા પવનના વાયરાની આશંકા જણાવી છે.

 

January 5, 2019
solar_eclipse_2019.png
1min12320

ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય કે તેની અસર નહીંવત્ વર્તાશે

ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે થશે

(વિશ્વની તસ્વીરમાં દ્રશ્યમાન લંબગોળાકાર ડાર્ક ભાગમાં આવેલા દેશોમાં તા.6 જાન્યુઆરી 2019નું સૂર્યગ્રહણ દેખાશે કે તેની અસર વર્તાશે )

સૂર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની સીધી યા આડકતરી અસર પૃથ્વી પર વસતા સામાન્ય માનવીના જીવન પર પડતી હોય છે. કોઇક માટે આ અંધશ્રદ્ધાનો વિષય પણ હોય છે જ્યારે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે આ મહત્વની ઘટના સમાન બની રહે છે. આધ્યાત્મિક જગત માટે આ ઘટના મહત્વપૂર્ણ હોય છે. 2019નું પહેલું સૂર્યગ્રહણ તા.6 જાન્યુઆરી 2019ને રવિવારે આકાર પામવાનું છે.

જોકે, રવિવારે 6 જાન્યુઆરી 2019 ના રોજ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ઓછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. ક્યારેક એક સાથે ગ્રહણની સંખ્યા ત્રણ-ચાર સુધી પણ પહોંચી ગયાનો ઇતિહાસ છે. રવિવારના સૂર્યગ્રહણ બાદ ચાલુ માસમાં જ ચંદ્રગ્રહણ પણ સર્જાવાનું છે.

તા.6 જાન્યુઆરીએ આકાર પામનારા સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ સમય તરીકે ગણવામાં આવશે. ચંદ્રનું પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવવાથી ધરતી પર તેની છાયા પડશે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને ભારતમાં નિહાળી શકાશે નહીં.

આંશિક સૂર્યગ્રહણ ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિક દેશોમાં જોવા મળશે. જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વીય કિનારા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ આ ગ્રહણ દેખાશે. બેઇજિંગમાં સૂર્યનો 20 ટકા હિસ્સો, ટોક્યોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા હિસ્સો ચંદ્રમાની પાછળ છુપાઈ જશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે પૂર્ણ થશે.

કેલેન્ડર વર્ષ 2019ના અંતે 26 ડિસેમ્બરના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ 2 કલાક 40 મિનિટ 6 સેકન્ડ સુધી ચાલશે. આ ગ્રહણની શરૂઆત સવારે 8.17 વાગે થશે અને 10.57 વાગે પૂરું થશે. સવારે 9.30 વાગે ગ્રહણ તેના ચરમ પર હશે. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. દક્ષિણ ભારતમાં તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે. ખાસકરીને કન્નૂર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશૂર ક્ષેત્રોામં તે સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

આ જ મહિને પૂર્ણ ચંદ્રગ્રહણ

2019ના આખા વર્ષમાં ઘણાં ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. ચાલુ જાન્યુઆરી 2019 મહિનામાં જ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 20-21 જાન્યુઆરીના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ યોજવાનું છે. જોકે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય.

January 5, 2019
vidhyamangal_logo.png
1min26260

महेनत इतनी चूपके से करो कि सफलता शोर मचादे..આ કહેવત જો કોઇ શાળા સંચાલક મંડળને બંધ બેસતી હોય તો એ છે કડવા પાટીદાર કેળવણી મંડળ, સુરત. સુરતમાં સક્રિય કડવા પાટીદાર કેળવણી મંડળ જેઓ કામરેજમાં વિદ્યામંગલના નામે શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વિદ્યામંગલ કેમ્પસ એટલી શાંતિથી શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધારવાનું કાર્ય કરી રહી છે કે આજે તેની મહેનત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્થાને છે. તાજેતરમાં જ બેંગ્લોર ખાતે ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ સ્કુલમાં સુરતના કામરેજની વિદ્યામંગળ સ્કુલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(વિદ્યામંગલની ટીમને બેંગ્લોર ખાતે એવોર્ડ અર્પણ કરાયા તે પ્રસંગની તસ્વીર)

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજ તાલુકાના નવીપારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળાએ તા. મી ડીસેમ્બર 2018ના રોજ બેંગ્લોર ખાતે આયોજિત સમગ્ર ભારતની સર્વશ્રેષ્ઠ ૨૦ નિવાસી શાળા કેટેગરી અંતર્ગત સમગ્ર ભારતમાં ૧૭મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પોતાની ઝળહરતી યશપતાકા લહેરાવી હતી. ઉપરાંત સમગ્ર સુરત જીલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને કડવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.

વિદ્યામંગલને એવોર્ડ આપતા પૂર્વે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા

  • શૈક્ષણિક પ્રતિષ્ઠા
  • દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન
  • સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું
  • શિક્ષણમાં નવીનતા
  • સલામતી
  • રમતગમત
  • ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ
  • ધાર્મિક વાતાવરણ
  • મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ
  • સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા

એજ્યુકેશનટુડે.કો  દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલ ધ ઇંડિયા’ઝ સ્કુલ મેરીટ અવોર્ડઝ – ૨૦૧૮ ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ, બોર્ડીંગ સ્કુલ અંતર્ગત, સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, છોકરાને છોકરીઓ માટેની લોજીન્ગ અને બોર્ડીંગ સુવિધા તેમજ પ્રી સ્કુલ કેટેગરી અંતર્ગત દેશની ૨૦૦ થી વધુ સ્કૂલો અને ૫૦ પ્રી. સ્કુલ તરફથી પ્રાપ્ત થયેલ ૧૬૧૫ સર્વે ફોર્મ દ્વારા આવી સ્કૂલો સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. સાથે સાથે જ શાળાઓને ૧૦ પેરામીટર્સ દ્વારા કેટેગરાઈઝ કરવામાં આવી હતી. જેમાં, શૈક્ષણિક પ્રતિષ્ઠા, દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન, સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું, શિક્ષણમાં નવીનતા, સલામતી, રમતગમત, ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ, ધાર્મિક વાતાવરણ, મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

(બેંગ્લોર ખાતે યોજાયેલા દબદબાભર્યા એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલી સુરતના વિદ્યામંગલની ટીમ..મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો)

વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા

ઉપરોક્ત પેરામીટર્સ અંતર્ગત વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે બેંગ્લોર ખાતે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. બેંગ્લોર ખાતે આ એવોર્ડ માટે ટેલીવિઝન મીડિયા દ્વારા કેમ્પસ ડાયરેકટરશ્રી મનીષભાઈનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. શાળા દ્વારા આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર કામરેજ તાલુકામાં અને સુરત જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લગાતાર છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યામંગલ નિવાસી શાળા સતત દરેક ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી પોતાની કાબેલિયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની મહત્તાને સિદ્ધ કરી રહી છે. જે બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને વિદ્યામંગલ નિવાસી શાળા પરિવાર આ એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે.