ચેમ્બરના ‘સીટેક્ષ- ર019′ પ્રદર્શન દરમિયાન‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે યોજાયેલા સીટેક્ષ ર019 પ્રદર્શન દરમિયાન ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ટેક્ષટાઇલ મશીનરી મેન્યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા, શ્રી ઇસ્માઇલ શરીફ (આસિસ્ટન્ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), શ્રી સિદ્ધેશ્વર ડોમ્બે (આસિસ્ટન્ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર) અને શ્રી પરેશ શાહ (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, સ્મોલ એન્ટરપ્રાઇઝીસ બેન્કીંગ, યસ બેન્ક લિ.)એ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જુદા-જુદા સેકટરની અદ્યતન મશીનરી, સરકારની વિવિધ યોજનાઓ અને ફાયનાન્શીયલ બાબતો વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્ય રજૂ કર્યુ
શ્રી સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્ય રજૂ કર્યુ હતુ. તેમણે કહયુ હતુ કે, ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝના જુદા-જુદા સેકટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા રૂપિયા 6 હજાર કરોડથી 7 હજાર કરોડ સુધીની મશીનરી ભારતમાં આયાત કરવામાં આવે છે. જેમાં સ્પીનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સુધીના તમામ ઇકવીપમેન્ટનો સમાવેશ થાય છે.તેમણે ગ્લોબલ માર્કેટમાં ટેકનીકલ ટેક્ષટાઇલમાં વર્ટીકલ એમ્બ્રોઇડરી મશીન, હાઇસ્પીડ શટલ બેઇઝ મશીન, હાઇસ્પીડ શટલ લેસ રેપીયર લૂમ્સ તથા તેમના થકી થતુ પ્રોડકશન અને ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન સિસ્ટમ વિશે માહિતી આપી હતી.
ઇસ્માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીમાટે ભારત સરકારની એમએસએમઇ સ્કીમ વિશે માહિતી આપી
શ્રી ઇસ્માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ભારત સરકારની એમએસએમઇ સ્કીમ વિશે માહિતી આપી હતી. તેમણે કહયુ હતુ કે નવી વિવીંગ, નીટીંગ અને પ્રોસેસિંગ મશીનરી માટે સરકાર 10 ટકા સબસિડી આપે છે. કમ્પોઝીટ યુનિટ્સ માટે સરકાર 15 ટકા સબસિડી આપે છે. તેમણે ગૃપ વર્કશેડ સ્કીમ વિશે જણાવ્યુ હતુ કે નાના વેપારીને 4 યુનિટ્સ માટે સરકાર તરફથી સહાયતા મળી શકે છે. આ સ્કીમમાં 4 વેપારીઓની જરૂર હોય છે, જેઓ ચાર – ચાર અથવા છ – છ યુનિટ્સ એકસાથે મળીને એકજ સ્થળે નાંખી વેપાર શરૂ કરી શકે છે. આ સ્કીમમાં કન્સ્ટ્રકશન માટે પણ સહાયતા મળે છે.
સિદ્ધેશ્વર ડોમ્બેએ યાર્ન બેન્ક સ્કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્સ્યુરન્સ કવરેજ સ્કીમ વિશે માહિતી આપી
શ્રી સિદ્ધેશ્વર ડોમ્બેએ યાર્ન બેન્ક સ્કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્સ્યુરન્સ કવરેજ સ્કીમ વિશે માહિતી આપી હતી. યુનિવર્સલ ઇન્સ્યુરન્સ કવરેજ સ્કીમમાં કારીગરે વર્ષે રૂપિયા 80 ભરવાના હોય છે અને તેની સામે સરકાર તેમને રૂપિયા બે લાખનો વીમો આપે છે. સાદા લૂમ્સને અપગ્રેડ કરવા માટે પણ સરકાર સબસિડી આપે છે. આ ઉપરાંત સોલાર પ્લાન્ટ માટે આપવામાં આવતી સબસિડી વિશે પણ તેમણે માહિતી આપી હતી.
શ્રી પરેશ શાહે એમએસએમઇ ફાયનાન્સીંગમાં વોકીંગ ફાયનાન્સીંગ અને પ્રોજેકટ ફાયનાન્સીંગ અંગે માહિતી આપી હતી.
સેમિનારમાં ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલ અને સીટેક્ષ ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધીઓ કરી હતી. સેમિનારમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયુ હતુ.