
ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.


















