CIA ALERT

Alert Archives - Page 278 of 511 - CIA Live

February 28, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min9550

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પ્રશ્ર્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. આ અંગે કૉંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, ૯ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૩ લાખ ૮૩ હજાર થયા છે.

છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨ લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.

February 23, 2020
coronavirus.jpg
1min5590

જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.

હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત

વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

February 21, 2020
Womens-T20WC.jpg
1min6420

કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.

ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.

ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.

ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.

બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.

ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.

ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.

પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે.

February 21, 2020
shambu.jpg
1min6430

આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.

સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.

ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.

રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.

February 21, 2020
uddhav.jpg
1min6080

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.

February 20, 2020
chay_makers2-1280x720.jpg
1min21420

વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી

ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.

સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે..
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)

ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.

આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.

એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે

ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.

એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી.
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)

10 રૂ.માં સાદી ચા અને 15 રૂ.માં આખો કપ ફ્લેવર્ડ ચા

પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.

February 20, 2020
russia.jpg
1min5590

ચીનમાં જીવલેણ કોરોના વાઈરસે ૨૦૦૦થી વધુનો ભોગ લીધો છે. ૭૩૦૦૦થી વધુ વ્યક્તિને વાઈરસથી અસર થઈ છે. ૨૬ દેશોને પણ અસર થઈ છે તે ધ્યાનમાં લઈને રશિયાએ ચીનના નાગરિકોના પ્રવેશ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે, જે ગુરુવાર રાતથી અમલમાં આવશે. આ મુજબના નિર્ણય પર રશિયન વડા પ્રધાન મિખાઈલ મિસુટીને સહી કરી હતી.

ચીનમાં વાઈરસના કારણે સ્થિતિ કથળી છે. ચીન અને મોંગોલિયા સાથેની લાંબી સરહદને રશિયાએ બંધ કરી છે તે ઉપરાંત અન્ય પ્રવાસ પ્રતિબંધ મૂક્યા છે.

રશિયામાં અત્યાર સુધીમાં કોવિદ-૧૯ના ત્રણ કેસ નોંધાયા છે બે ચાઈનીઝ નાગરિકને સારવાર બાદ મુક્ત કરાયો છે. એક રશિયન નાગરિકને જાપાનની ક્રૂઝ શિપમાં ચેપ લાગ્યો હતો. રશિયન ઍરપોર્ટ ખાતે ફલાઈટ ટ્રાન્સફર કરનારાને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. વાઈરસને ફેલાતો અટકાવવા સત્તાવાળાઓ અનેક પગલાં સાવચેતીરૂપે લઈ રહ્યા છે.

ચીન બાજુનો એરટ્રાફિક બંધ કર્યો છે. ચીન, ઉત્તર કોરિયા બાજુની ટ્રેન રદ કરી છે. ચાઈનીઝ નાગરિકને વર્કવિઝા બંધ કર્યા છે. રશિયામાં ભણતા ચીનના વિદ્યાર્થીઓને ૧ માર્ચ સુધી ત્યાં જ રોકાવા કહ્યું છે.

જર્મનીએ મેડિકલ સહાયનું બીજું શિપમેન્ટ ચીન મોકલ્યું છે, અન્ય રીતે પણ મદદ કરી રહ્યું છે. યુરોપમાં વાઈરસથી અસરગ્રસ્તના ૪૭ કેસ નોંધાયા છે તે પૈકી એકનું મોત થયું છે. ઈટાલીના ૨૫ નાગરિક જાપાનના ક્રૂઝ શિપમાં છે તે પૈકી ૧૧ને શિપમાં જ રહેવું પડશે. બાકીના ૧૪ને ઈટાલીનું ઍરફોર્સ પ્લેન સ્વદેશ લઈ આવશે.

February 20, 2020
Tokyo-2020-Olympics.png
1min5290

ચીનમાંથી વિશ્ર્વના ૨૯ દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને લીધે ટોક્યો ઑલિમ્પિક્સ રદ થવાની કે તેનું સ્થળાંતર થવાની શક્યતા અંગે ચર્ચાવિચારણા ચાલતી હોવાનું કહેવાય છે.

ચીનમાં વાઇરસના રોગચાળાને લીધે તાજેતરમાં અનેક સ્પૉર્ટ્સ ઇવૅન્ટ્સ રદ કરાઇ હતી અને ચીનના ખેલાડીઓ અન્ય કેટલાક દેશમાં જઇને સ્પર્ધામાં ભાગ લઇ નહોતા શક્યા.

અગાઉ, ચીને રિયો ડી જાનેઇરો ખાતે ૨૦૦૬માં રમાયેલી ઑલિમ્પિક્સમાં ૪૦૦થી વધુ ઍથ્લૅટ્સ સાથે ભાગ લીધો હતો અને ૨૬ સુવર્ણચંદ્રક સહિત ૭૦ ચંદ્રક જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

દરમિયાન, વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુ.એચ.ઓ.)એ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લીધે ઑલિમ્પિક્સ રદ થવાની કે તેનું સ્થળાંતર થવાની ધારણા કરવી હાલમાં ઘણી વહેલી ગણાશે. પણ જે રીતે કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે એ ગતિ જો ચાલુ રહેશે તો ફેરવિચારણા કરવા માટે ઇમરજન્સી કમિટીની બેઠક યોજાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને વૈશ્ર્વિક આરોગ્ય સામે જોખમની જાહેરાત કરી હતી.

ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકો અને ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીએ જણાવ્યું હતું કે ટોક્યોમાં ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી રમાનારી ઑલિમ્પિક્સ માટે તાકીદની કોઇ યોજના નથી ઘડાઇ.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના પ્રૉગ્રામ ડિરેક્ટર માઇકલ રાયને મંગળવાર તા.20મી ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાથી ટોક્યો ઑલિમ્પિક્સને થનારી અસર અંગે વિચારવું હાલમાં વહેલું ગણાશે.

ચીનમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે 2000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૭૨,૦૦૦થી વધુ દરદી છે. આ ચેપ અન્ય ૨૯ દેશમાં ફેલાયો છે.

February 19, 2020
NPR_logo.jpg
1min5300

આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.

રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.

નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે.
એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.

February 18, 2020
rajyasabha.jpg
1min5100

આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.

જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.

રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત

ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.

રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે.

કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ

હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપા પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય મેળવવા 74 મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.

ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ

ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37 પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.