એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.
ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.
ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.
કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

















