ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજના પહેલા વર્ષની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે એડમિશન કમિટીએ આજરોજ તા.19મી નવેમ્બર 2020થી જ મોક રાઉન્ડનું ચોઇશ ફિલિંગ શરૂ કરી દીધું છે. કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર તા.19થી 21 સુધી મોકરાઉન્ડનું ચોઇશ ફિલિંગ કરવા માટે વેબસાઇટમાં વિકલ્પને ઇનેબલ કરવામાં આવ્યા છે.
આ પૂર્વે એડમિશન કમિટીએ બિલકુલ હંગામી ધોરણે (પ્રોવિઝનલ) મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. આ મેરીટ લિસ્ટને ફાઇનલ ન ગણવા માટે એડમિશન કમિટીએ તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું છે. ડોક્યુમેન્ટ્સની ખરાઇ બાદ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
હાલ તુરત વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રેક્ટિસ મળી રહે તે માટે મોકરાઉન્ડમાં ચોઇશ ફિલિંગનો વિકલ્પ ઇનેબલ કરવામાં આવ્યો છે.
ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે અને આ મહિનાના અંત સુધીમાં પોતાની ભૂલ સુધારવાનું વચન આપ્યું છે.
આ માફીપત્ર પર અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના ચીફ પ્રાઇવસી ઑફિસર ડેમીયન કેરીયને સહી કરી છે. લેખીએ જણાવ્યું હતું કે એમણે પોતાના માફીપત્રમાં જણાવ્યું છે કે ભારતના લોકોની ભાવના દુભવવા બદલ તેઓ દિલગીર છે અને ૩૦મી નવેમ્બર સુધીમાં પોતાની ભૂલ સુધારી લેશે.
લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના સીઇઓ જેક ડોરસીને મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં ટ્વિટરને ઠપકારતા જણાવાયું હતું કે આવા કૃત્યને દેશદ્રોહનો ગુનો ગણવામાં આવે છે અને એમની પાસેથી માફી માગતો જવાબ શપથપત્રના રૂપમાં જવાબ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
લદાખ મામલે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતાવાળી ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિએ માફી માગી હતી, પણ એમને સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય પર સવાલ કરતો આ ક્રિમિનલ ગુનો છે અને આ મામલે એની માર્કેટિંગ કંપની ટ્વિટર ઇન્ડિયા પાસેથી નહીં, પણ ટ્વિટર ઇન્ક.એ પોતાની ભૂલ શપથપત્ર પર લખીને આપવી પડશે. ભારતનો નકશો અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવો એ રાજદ્રોહ છે અને એ માટે સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે.
તાજેતરમાં ૯ નવેમ્બરના રોજ લેહને લદાખને બદલે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાડવા બદલ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને નૉટિસ ફટકારી હતી.
મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી ફલાઇંગ રાણીને ગયા અઠવાડિયા દરમિયાન એક જ સપ્તાહ દોડાવવાનો નિર્ણય લીધા બાદ તા.18મી નવેમ્બર 2020ને બુધવારે ફ્લાઈંગ રાણીને વધુ સવા મહિનો દોડાવવાનો નિર્ણય લીધો છે, એમ વેસ્ટર્ન રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના સંકટ વચ્ચે મુંબઈથી સુરત વચ્ચે વધતા પ્રવાસીઓના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફલાઇંગ રાણીને ડિસેમ્બરના અંત સુધીમાં દોડાવવાનો વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો છે.
મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ (ટ્રેન નંબર ૦૨૯૨૧/૦૨૯૨૨) હવે ૨૦મી નવેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેન પહેલા ૧૯મી નવેમ્બર સુધી જ દોડવાની હતી. મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ ટ્રેન (૦૨૯૨૧) મુંબઈ સેન્ટ્રલ પરથી સાંજે ૫.૫૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૧૦.૩૫ વાગ્યે સુરત પહોંચશે. આ જ પ્રમાણે સુરત-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૨૨) સુરતથી સવારે ૫.૪૦ વાગ્યે રવાના થશે, જે સવારે ૧૦.૨૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, પાલઘર, દહાણુ રોડ, વાપી, વલસાડ, બિલિમોરા જંકશન, અમલસાડ, નવસારી, મરોલી, સચિન અને ઉધના જંકશનમાં હોલ્ટ રહેશે, એવું યાદીમાં જણાવાયું હતું.
Gujarat : એક બાદ એક નેતા પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપના ત્રણ પ્રધાન સહિત ૧૯ અને કૉંગ્રેસના ૧૫ ધારાસભ્ય મળીને કુલ ૩૪ ધારાસભ્ય સંક્રમિત થયા છે. જ્યારે ભાજપના છ અને કોંગ્રેસના બે એમ કુલ આઠ સાંસદને પણ ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને બે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી કોરોનામુક્ત થયા બાદ કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું હતું. આમ, કુલ ૪૫ મોટા નેતાને કોરોના થઈ ચૂક્યો છે.
૧૦ દિવસ પહેલાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ૧૩મી નવેમ્બરે રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીન તથા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલ પણ સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ, બે દિવસમાં બે સાંસદ અને એક ધારાસભ્યને સંક્રમણ લાગ્યું છે.
હાલ રાજ્યસભા સાંસદ, અભય ભારદ્વાજની ચેન્નઈમાં સારવાર ચાલી રહી છે. એકમો પદ્ધતિથી સારવાર કરતાં ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે અને થોડા દિવસમાં જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા એહમદ પટેલની હાલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું ભજ્ઞ૨ અને ક્રિએટિનાઇન ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે.
અમેરિકામાં ‘હેટ ક્રાઇમ’થી પ્રેરિત હત્યાની સંખ્યામાં દાયકાથી વધુ સમયમાં અત્યંત વધારો થયો હોવાની વાત એફબીઆઇએ નોંધી હતી. એફબીઆઇએ ૧૯૯૦થી ‘હેટ ક્રાઇમ’ અર્થાત નફરતની ભાવનાથી આચરવામાં આવેલી હત્યાઓની માહિતી ભેગી કરવી શરૂ કરી હતી.
એફબીઆઇના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ૫૧ હત્યા ઇર્ષા કે દ્વેષની ભાવનાથી કરવામાં આવી હતી અને એમાં ઑગસ્ટમાં ટેક્સાસની સરહદે આવેલા એલ પાસો શહેરની વૉલમાર્ટમાં મેક્સિકનોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા ગોળીબારમાં થયેલા ૨૨ વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. આ ગોળીબારમાં સામેલ આરોપી પર ચોક્કસ જાતીના લોકોને અમેરિકા છોડવા માટે ડરાવવાનો આરોપ દાખલ કરાયો હતો. આ ગોળીબારમાં બે ડઝન વ્યક્તિ ઘાયલ પણ થઇ હતી. ગયા વર્ષે અમેરિકામાં ૭૩૧૪ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા અને એના આગલા વર્ષે ૭૧૨૦ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા. કોઇ વ્યક્તિની જાતિ, ધર્મ, રંગ કે સેક્સ માટેની પસંદગીના આધાર વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓને એફબીઆઇ દ્વારા આ કેટેગરીમાં નોંધવામાં આવે છે.
નિષ્ણાતોના મતે આવા ગુનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે અને ન્યાય વિભાગ દ્વારા આવા ગુનાઓના ખટલાઓ પર કામ ચલાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે ધર્મને આધારે નોંધાયેલા ગુનાઓમાં ૭ ટકાનો વધારો થયો હતો અને ગયા વર્ષે ૯૫૩ યહૂદી અથવા યહૂદી સંસ્થાઓ પર હુમલા થયા હતા. એના આગલા વર્ષે આ સંખ્યા ૮૩૫ની હતી.
આફ્રિકન-અમેરિકનો સામે ગુનાની સંખ્યા આ અગાઉના વર્ષના ૧૯૪૩થી ગયા વર્ષે સહેજ ઘટીને ૧૯૩૦ નોંધાઇ હતી.
આ આકડા પોલીસ વિભાગ દ્વારા સ્વેચ્છાએ જાહેર કરાયેલા હોવાથી એની સંખ્યા ખરેખર થયેલા ગુનાઓની સંખ્યા કરતા ઓછી હોવાનો શક નિષ્ણાતોએ જાહેર કર્યો હતો.
ગુજરાતમાં આજે તા.18મી નવેમ્બર 2020ના રોજ ત્રણ મોટા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં 19થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સાંપડી છે. વડોદરા નજીક પાવાગઢ જઇ રહેલા સુરતના રહેવાસીના એક ટેમ્પોને નડેલા અકસ્માતમાં 5 મહિલા સહિત 12 લોકોના મોત થયા હતા જ્યારે 16 ઈજાગ્રસ્ત થયા હતા. વાહન અકસ્માતના બીજા બનાવમાં સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મોત થયા છે જ્યારે એકને ઈજાઓ થઈ છે. અકસ્માતનો ત્રીજો બનાવ સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા મુસાફરોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વડોદરા નેશનલ હાઇવે પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં 5 મહિલાઓ અને બે બાળકો શામેલ છે. અકસ્માતમાં 17 લોકોને ગંભીર ઈજાઓ થતાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર લોકો સુરતના વરાછા અને પૂણે ગામમાં રહેતા હતા અને સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી-ધંધા સાથે સંકળાયેલા હતા. આ લોકો રાત્રે 12 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શન કરવા માટે રવાના થયા હતા. આ દરમિયાન વહેલી સવારે વડોદરા નજીક અકસ્માત નડ્યો હતો.
સુરત બારડોલી રોડ પર બે લક્ઝરી બસો અથડાઇ
કડોદરા-બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત
સુરેન્દ્રનગરમાં ગઈકાલે મોડીરાત્રે કાર અકસ્માતની ઘટના 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત લખતર હાઈવે પર થયો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત પછી આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.
આ વખતે કોવીડ-19ને કારણે ગુજ્જુઓએ આંતર રાજ્ય પ્રવાસોની જગ્યાએ ગુજરાતમાં ને ગુજરાતમાં જ પ્રવાસ કરવાનું મુનાસિબ માન્યુ છે અને એ જ કારણોસર સૌરાષ્ટ્રના તમામ ડેસ્ટીનેશન્સ ફુલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના ટુરીસ્ટ્સ પ્લેસીસ જેમકે ગીરનાર, ભવનાથ, દ્વારકા, સોમનાથ, સાસણગીર તેમજ અનેક નાના મોટા ડેસ્ટીનેશન્સ પર ભારે ભીડ ઉમટી પડ્યાના અહેવાલો છે.
પ્રકાશપર્વ દીપાવલીની રજાઓ ગાળવા પ્રવાસીઓ કુદરતી સાનિધ્ય ગિરનાર, ભવનાથ અને સાસણમાં ઉમટતા મેળામય માહોલ છવાયો છે. રીસોર્ટ, ફાર્મહાઉસ, ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટો હાઉસફુલ થયા છે. આ પ્રવાસીઓ કોરોનાને વિસરી રજાની મજા માણી રહ્યા છે. છેલ્લા સાત-આઠ માસથી કોરોનાને કારણે લોકો ઘરબંધીમાં ફેરવાયા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા અને લોકો પણ કોરોનાના ભયથી દૂર થયા છે. દિવાળી પર્વની રજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી વાતાવરણ માણવા માટે ગિરનાર, ભવનાથ, સાસણ, તુલસીશ્યામ, માધવપુર જેવાં સ્થળોએ નીકળી પડયા છે.
ગિરનાર રોપ-વેમાં ઊંચા ભાડાદર હોવા છતાં પ્રવાસીઓ ઉમટતા રોપ-વેની તમામ 25 ટ્રોલીઓ અવિરત દોડવા લાગી છે. આ ભાડા પરવડે તેમ ન હોય તેવા શારીરિક સક્ષમ પ્રવાસીઓ પગથિયાં ચડી ગિરનાર દર્શન માટે સીડી ઉપર લાઇનો લાગી છે. જોકે રોપ-વેમાં ભારે ભીડ થતાં પ્રવાસીઓને કલાકો સુધી તડકામાં શેકાવું પડયું હતું. તેવી રીતે ભવનાથ તળેટીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા તથા ગિરનારના ટેકરાઓ ઉપર પ્રવાસીઓની ભીડ નજરે પડયા છે જ્યારે ઉપરકોટ, સક્કરબાગમાં પણ પ્રવાસીઓની લાઇનો લાગી છે. તેથી જૂનાગઢ શહેરનાં રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસોમાં ભીડ જામી છે.
જયારે સિંહદર્શન માટેના એકમાત્ર સ્થળ સાસણમાં પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સિંહદર્શન પણ હાઉસફુલ થયું છે. ઓનલાઇન બુકિંગ પૂરું થતાં પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તેમ ન હોય તેથી દેવળિયામાં સિંહદર્શન કરી પ્રવાસીઓ સંતોષ માની રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે સાસણના રીસોર્ટ, ફાર્મહાઉસ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ હાઉસફુલ થયા છે.
ઉપરાંત તુલસીશ્યામમાં વન્ય સંપદા અને કુદરતના ખોળે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. તેમ માધવપુરના દરિયા કિનારે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. આ માનવ મહેરામણ જોતા લોકોએ કોરોનાનો ડર દૂર કર્યો હોય તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં રજાની મજા પરિવાર સાથે માણવા લોકો વર્ષોવર્ષ મોટી સંખ્યામાં આવે છે. તેમ આ વર્ષે પણ પ્રવાસીઓની ભીડ સારી જામી છે અને પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે રજાની મજા માણી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષએ પણ દિવાળી પર્વ દેશના વીર જવાનો સાથે મનાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. પીએમ શનિવારે રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, લશ્કરના વડા એમ એમ નરવાણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા તેમજ બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.
જેલસમેરમાં લોંગેવાલા પોસ્ટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સુરક્ષા માટે તૈનાત હોય છે. જગવિખ્યાત તનૌટ માતાનું મંદિર પણ અહીં આવેલું છે. પીએમ નરેન્દ્ર મોદી લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોબરના તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને આ દિવાળી પર એક દિવડો દેશના જવાનોના નામે પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષામાં નિસ્વાર્થપણે તૈનાત જવાનોના સન્માનમાં એક દિવડો પ્રજ્વિલત કરવા પીએમએ નાગરિકોને જણાવ્યું હતું.
આજરોજ તા.14મી નવેમ્બરે સવારે કાળી ચૌદશ અને સાંજે છ વાગ્યાથી દિવાળીનું મૂહુર્ત છે. આથી આજે બપોર બાદ મોડી રાત સુધી ગુજરાતના વેપાર, વણજ ધંધા, રોજગારોમાં દિવાળીના શુકનના સોદા થશે.
ગુજરાતમાં દિવાળી અને લાભ પાંચમના દિવસે બજારોમાં શુભ મુહૂર્તમાં સોદા કરવાની વેપારીઓની પરંપરા આ વર્ષે પણ જળવાશે. કોરોનાને લીધે મોટા ભાગના વેપાર ઘંઘાને ભારે અસર થઈ છે.
ગુજરાતના ધંધારોજગારો, વેપાર વણજ ક્ષેત્રે ધંધામાં ચોપડાં પૂજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એ પછી વેપારીઓ ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરશે.
આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તા.12 નવેમ્બર 2020ના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરીને એવો નિર્દેશ કર્યો છે કે 20 હિન્દુ પેટાજ્ઞાતિઓ અને 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓ મળીને કુલ 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવી છે. હવે આ નવી ઉમેરાયેલી જ્ઞાતિઓના યુવક-યુવતિઓને ગુજરાત સરકારના બિન અનામત આયોગ સંચાલિત જુદી જુદી અભ્યાસ તેમજ અર્થોપાર્જન યોજનાઓનો લાભ મળતો થશે.
આ પહેલા ગુજરાત સરકારે જ્યારે બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરી હતી ત્યારે કુલ 69 જ્ઞાતિઓને સમાવવામાં આવી હતી. બાદમાં જુદી જુદી જ્ઞાતિઓના અરજદારો તરફથી મળેલી રજૂઆતો બાદ ફરી વખત તેમાં તા.12મી નવેમ્બર 2020ના રોજ વધુ 32 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે. હવે કુલ 101 જ્ઞાતિઓ બિનઅનામત જ્ઞાતિ આયોગની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકશે.
બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ હિન્દુ પેટા જ્ઞાતિઓ
હિંદુ વાલમ બ્રાહ્મણ
ખંડેલવાલ
મોઢવણિક
મોઢ વાણિયા
ખેડાવાળ બ્રાહ્મણ
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
પુરબીયા રાજપુત ક્ષત્રિય
હિંદુ આરેઠિયા
વાવિયા
હિંદુ મહેતા
મોરબીયા
જોબનપુત્રા
પુરોહિત, રાજપુરોહિત
મારુ રાજપુત
અમદાવાદ રાવત (રાજપુત)
મુસ્લિમ જ્ઞાતિઓ
કુરેશી મુસ્લિમ
સુન્ની મુસલમાન
વ્હોરા પટેલ
સુન્ની મુસલમાન
ખેડવાયા મુસલિમ
મુસ્લિમ ખત્રી
બુખારી
મોમીન સુથાર
મોમીન
સુથાર મુમન
મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
મુસ્લિમ વેપારી
બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકાર આટલી યોજનાઓ ચલાવી રહી છે
દસ લાખ ઉપરાંતની વસતિને આનાથી મોટી દિવાળી ગીફ્ટ શું હોઇ શકે
ગુજરાત સરકારે 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં મૂકી છે. આ જ્ઞાતિઓની કુલ વસતિ અંદાજે 10 લાખથી વધુની થવા જાય છે. આ જ્ઞાતિઓ માટે દિવાળીથી મોટી ગીફ્ટ શું હોઇ શકે. બીજી તરફ એ પણ બાબત નોંધપાત્ર છે કે ભાજપા મુસ્લિમ વિરોધી પાર્ટી તરીકે જે બદનામી તેના વિરોધીઓ દ્વારા કરવામાં આવી છે તેનાથી વિપરીત ગુજરાતમાં ભાજપા સરકારે નવી 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓને બિન અનામત વર્ગ કેટેગરીમાં સમાવેશ કર્યો છે અને એ પણ તેની કોઇ ગાઇ વગાડીને જાહેરાત કર્યા વગર.
પેટા ચૂંટણી પછી અને જોરશોર વગર ચૂપકેથી આ નિર્ણય જાહેર કરી દેવાયો
સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતની ભાજપા સરકાર માટે આ પ્રક્રિયા એક ક્રેડિટ કેસ તરીકે માઇલેજ અપાવી શકે તેવી છે. આમ છતાં ગુજરાત સરકારે પેટાચૂંટણીઓ પછી જાહેરાત કરી છે અને એ પણ કોઇપણ પ્રકારની જોરશોરથી જાહેરાત કર્યા વગર ચૂપકેથી.
અમારા તરફથી સી.આઇ.એ. લાઇના એક્ઝીક્યુટિવ એડિટર જયેશ બ્રહ્મભટ્ટે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે બધી ડિટેઇલ આવે એટલે તમને કહું છું પરંતુ, તેમનો કોલ આવ્યો નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.