કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત દુનિયાના અનેક દેશોની વેક્સીનની મદદ પહોંચાડી રહ્યું છે. જે હેઠળ વિતેલા દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને 2 કરોડ 40 લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ જાન્યુઆરીમાં ભારત એક કરોડ પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા, પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.
ગત મહિને કેન્દ્ર સરકારે આ મુદ્દે માહિતી આપી હતી કે વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે. અત્યાર સુધી ભારત 20 દેશોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના 1.60 કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યુ છે. આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહરીન, ઓમાન, બારબાડોસ, ડોમિનિકા જેવા દેશોને આશરે 60 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યું હતું. બ્રાઝીલ, મોરક્કો અને દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં કોમર્શિયલ આધારે એક કરોડથી વધુ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતા.
જ્યારે ફેબ્રુઆરીમાં સઉદી અરબ, બ્રાઝીલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, નિકારાગુઆ, મોરેશિયસ, ફિલિપીન્સ, સર્બિયા, યૂએઇ અને કતર સહિત 25 દેશોને કોમર્શિયલ બેઝ પર 2 કરોડ 40 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે. જોકે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય મેળવવા માટે કેનેડાએ પણ રજૂઆત કરી હતી, પરંતુ હાલની યાદીમાં તેનું સામેલ કરાયુ નથી.
નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.
વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.
દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.
સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે.
IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે મળી અને તેની છત્રછાયામાં કામ કરશે.
આજ સુધી કાયદા શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયદાના ક્ષેત્રમાં કોઈ તાલીમ સંસ્થા નહોતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ (IIL)ના માધ્યમથી કાયદા શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને વધારશે.
બી.સી.આઈ. ટ્રસ્ટે વર્ષ 1986માં બેંગ્લોરમાં નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી નામની પહેલી સંસ્થાની સ્થાપના કરી હતી. જે આજે પણ દેશની મોડલ લૉ યુનિવર્સિટી છે. IIL દેશભરમાં આ પ્રકારની પહેલી સંસ્થા હશે. લાંબા સમયથી અમારી કાઉન્સિલ આ પ્રકારની સંસ્થા અંગે વિચારી રહી હતી.
પરંતુ બી.સી.આઈ.ની આ યોજના કોઈને કોઈ કારણથી સાકાર નહોતી થઈ શકી. જોકે, આખરે એક મહાન દૂરદર્શી શિક્ષણવિદ, લોકસભાના માનનીય સભ્ય અને KIIT અને KISS ડીમ્ડ યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતજી સાથે પરામર્શ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ નિર્ણય કર્યો અને પ્રસ્તાવ પાસ કર્યો કે KIIT યુનિવર્સિટીના સહયોગ અને સમર્થનમાં ઓડિશાના ભુવનેશ્વરમાં Indian Institute of Lawની સ્થાપના કરવામાં આવે. બી.સી.આઈ. ટ્રસ્ટે KIIT સાથે એક કરાર (MoU) કર્યો છે. તે પ્રમાણે KIITએ ભુવનેશ્વરના પટિયામાં આવશ્યક અને અતિ મૂલ્યવાન તથા ઉપયોગી જમીન ફાળવી. આ ઉપરાંત એક લાખ 50 હજાર વર્ગના પ્રસ્તાવિત પરિસરમાં માળખાગત સુવિધાઓમાં થનાર ખર્ચમાં 40 ટકા ખર્ચનું વહન કરવા માટે પણ KIIT રાજી થઈ છે.
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ સંસ્થા વૈશ્વિક શિક્ષણના નકશા પર સમગ્ર ભારત, ખાસ કરીને ઓડિશા રાજ્યની સ્થિતિને મજબૂત બનાવીને કાયદાના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રભાવ પાડશે. આ સંસ્થા વિશેષ રીતે ઓડિશા અને સામાન્ય રીતે સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ નિરંતર કાયદાકીય શિક્ષણ, પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિફ્રેશન કોર્સ અને લર્નિંગ કોર્સ ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રેજોલ્યૂશનથી સંબંધીત કાયદા અને પદ્ધતિઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરશે. મધ્યસ્થતા અને સમાધાન શીખવા અને શીખવવા માટે વિવિધ કેન્દ્રો શરૂ કરાશે.. જેના માધ્યમથી આ કાયદાકીય, ન્યાયીક અને સામાજિક વિકાસના તમામ બિંદુઓમાં સંશોશન કરશે.. જેને પ્રકાશિત અને પ્રદર્શિત કરાશે. આ સંસ્થા નિરંતર કાયદા શિક્ષણના ઉદ્દેશ માટે તાલીમ અને કાયદાકીય શિક્ષણના ગાળામાંથી પસાર થઈ રહેલા વકીલો માટે કાયદાના વિવિધ વિષયો પર કેસબુક, પત્રિકાઓ, સમાચારપત્ર વગેરે (હાર્ડ કોપી અને ઓનલાઈન તથા ઓફલાઈનના માધ્યમથી સોફ્ટ કોપી બંને) પ્રકાશિત કરશે.
સમયાંતરે આ સંસ્થા વકીલો, શિક્ષણવિદ અને ન્યાયવિદ માટે સંવાદ, તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન અને સંચાલન કરશે.
આ સંસ્થા ભારતની અંદર અને બહાર પોતાની પ્રગતી માટે National Law Universities અને અન્ય સારી કાયદા યુનિવર્સિટી, વ્યાવસાયિક એકમો, ન્યાયપાલિકા, સરકારી વિભાગો અને બિન સરકારી સંગઠનો અને વકીલોની વિવિધ સંઘ, બાર એસોસિએશન, સ્ટેટ બાર કાઉન્સિલ તથા દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ કાયદાકીય કાર્યો સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરશે.
પ્રથમ તબક્કામાં IILની નીચે પ્રમાણેની શાખાઓ હશે
1. શૈક્ષણિક સ્ટાફ કોલેજ (ASC)
2. સ્કૂલ ઓફ કન્ટિન્યૂઈન્ગ એજ્યુકેશન (SCE)
3. IIL તાલીમ કેન્દ્ર (IIL-TC)
4. કાયદાની સહાયતા કેન્દ્ર (CLA)
5. વિદેશી ડિગ્રી ધારકો માટે બ્રિજ કોર્સ
IILના મેનેજમેન્ટ માટે ત્રણ એકમ એટલે કે સામાન્ય પરિષદ, કાર્યકારી પરિષદ અને શૈક્ષણિક પરિષદની રચના કરશે અને મેનેજમેન્ટ સંબંધી આ એકમોમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા, સરકાર, શિક્ષણ મંત્રાલય, યૂજીસી, શિક્ષણવિદ, કાયદા વ્યવસાયના વરિષ્ઠ સભ્યો, ઓડિશાના મુખ્ય અને અન્ય ન્યાયધીશોનું પૂરતું પ્રતિનિધિત્વ હશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ પ્રારંભિક 3 વર્ષ માટે સંસ્થાના ઉપરોક્ત કાર્યક્રમોને સ્વયં સંચાલિત કરશે. ત્યારબાદ કેટલીક નેશનલ લો યુનિવર્સિટીઝ અને અન્ય પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખતી સંસ્થાઓને પણ IILની જેમ અભ્યાસક્રમ પ્રદાન કરવાની મંજૂરી અપાશે. અમે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ન્યાયધીશો, પૂર્વ ન્યાયધીશો, પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાતો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલો, બારના પ્રખ્યાત નેતાઓ અને NLU તથા અન્ય પ્રતિષ્ઠિત કાયદા શિક્ષકોના સક્રિય સહયોગ અને ભાગીદારીથી શિક્ષકોમાં કૌશલ્યવર્ધન કરવાનો નિર્ણય કર્યો છે. એવા લોકો જ સંસ્થાના માર્ગદર્શક, પૂર્ણકાલિન શિક્ષક અને અતિથિ શિક્ષક રહેશે.
આ ઉપરાંત બી.સી.આઈ. ટ્રસ્ટ ઉપરોક્ત કાર્યક્રમો માટે વિદેશના પ્રસિદ્ધ લૉ ડીન, શિક્ષણવિદ, જજ અને બારના પ્રતિનિધિઓ તથા સભ્યોને પણ આમંત્રિત કરશે.
ઉપરોક્ત તમામ કાયદાના દિગ્ગજ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. જે ન માત્ર કાયદા શિક્ષકો અને વકલોને લાભાન્વિત કરશે પરંતુ તેઓને ભારત અને વિદેશના પ્રખ્યાત શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કરવાનો અને શીખવાનો સારો અવસર અને મંચ પણ આપવામાં આવશે.
અમારૂં માનવું છે કે આ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ કાયદાકીય શિક્ષણ અને કાયદાના વ્યવસાયના ઈતિહાસમાં એક ઐતિહાસિક પગલું હશે. જે કાયદા અને ન્યાય સંબંધી શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ બનશે.
અમે ડૉ. અચ્યુત સામંતજી જેવા મહાન વ્યક્તિના આભારી છે. જેમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાના ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થાની સ્થાપના માટે ભુવનેશ્વરમાં આટલી મોટી મૂલ્યવાન જમીન પ્રદાન કરી સાથે જ અન્ય યોગદાન પણ આપી રહ્યા છે.
હા, ડૉ.સામંત વાસ્તવમાં મનુષ્યના રૂપમાં એક ભગવાન છે. આપ સૌ જાણો છો ડૉ. સામંતે વિશ્વ સ્તરની બે-બે યુનિવર્સિટી, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નર્સિંગ, લૉ, કલા અને અનેક અન્ય મોટી સંસ્થાઓના સંસ્થાપક છે. અંદાજે 35 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને દરરોજ ધોરણ એકથી લઈને અનુસ્નાતક સુધીનું મફત શિક્ષણ આપવા ઉપરાંત તેમના ભોજન, કપડા, રહેવા જેવી તમામ સુવિધા અને સેવાઓ વિનામૂલ્યે આપે છે. અમે દુનિયામાં આવા મહાન વ્યક્તિ અંગે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જે આ પ્રકારે કઠોર સેવાને આટલી સરળતાથી શાનદાર રીતે કરી રહ્યા છે.
સામંતજી એક એવા વ્યક્તિ છે જે અવિવાહિત રહ્યા અને તેમના નામે જમીન કે સંપત્તિનો એક પણ ટૂકડો નથી. તેમની પાસે જે કંઈપણ છે તે છે સમાજ, ગરીબ અને અસહાય જનતા તથા યુવાનો માટે છે.
આ બધુ જ તેમણે પોતાની પૂર્ણ આસ્થા, સમર્પણ, દૂરદર્શિતા તથા અથાક પ્રયાસોના આધારે મેળવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથની અસીમ કૃપા છે અને આ જ કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્વસહમતીથી IIL જેવી અનોખી સંસ્થાને સ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉ. સામંતને સોંપવાનો સંકલ્પ કર્યો છે.
ભગવાન જગન્નાથજી તેઓને દીર્ઘાયુ અને નિરોગી રાખે, કાયદા શિક્ષણ અને કાયદા વ્યવસાયનું કલ્યાણ થાઓ. મનન કુમાર મિશ્રઅધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
13 માર્ચથી 16 માર્ચ, એમ ત્રણ દિવસ સુધી કોઈ બેકિંગ કામકાજ ખોરવાય જાય તેવી દહેશત સેવાય રહી છે. મહાગુજરાત બેંક એમ્પલોયી અસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ગુજરાતભરની 18 હજાર શાખાઓના આશરે 55 હજાર જેટલા કર્મચારીઓ 15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જોડાવાનું આયોજન કરી રહ્યા છે. બે દિવસની હડતાળ અગાઉ બે રજાઓ, 13મી માર્ચે બીજો શનિવારે અને 14મી માર્ચે રવિવારે હોવાથી, બેંકો વીકએન્ડમાં બંધ રહેશે તેવી શક્યતા છે.
ધ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને (UFBU)બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. બેંકોનું સંગઠન જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી અસોસિએશનના મહાસચિવ સી એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે, મંગળવારે હૈદરાબાદમાં UFBUની બેઠક યોજાઈ હતી. જેમાં બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવેલી વિવિધ જાહેરાતો પણ ચર્ચા થઈ. તેમાં IDBI બેંક અને જાહેરક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં વિનિવેશ, એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74 ટકા સુધીની એફડીઆઈની મંજૂરી અને જાહેરક્ષેત્રના ઉપક્રમોનું વેચાણનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચમોલી-ઉત્તરાખંડમાં હિમશિલા તૂટી પડવાથી અને એને કારણે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરથી ઉદ્ભવેલી સ્થિતિ અંગે આજે રાજ્યસભામાં વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે અને જે પણ સહાયની જરૂર હશે એ ઉપલબ્ધ કરવામાં આવશે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ કાશ્મીરના ચાર નિવૃત્ત થનારા સંસદસભ્યોના ભાષણ બાદ ગૃહ પ્રધાને આજે સદનમાં વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરને લીધે એક સુરંગમાં ફસાયેલા એનટીપીસીની નિર્માણાધીન પરિયોજનાના લગભગ પચીસથી 35 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અન્ય એક સુરંગમાં ફસાયેલા પંદર જણને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિગંગાના ઉપરી વિસ્તારમાં હિમશિલા તૂટવાથી નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પૂરને કારણે 13.2 મેગાવૉટ ક્ષમતાની એક જળવિદ્યુત પરિયોજના સંપૂણપણે નષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત તપોવનમાં 520 મેગાવૉટ ક્ષમતાની એનટીપીસીની નિર્માણાધીન જળવિદ્યુત પરિયોજનાને પણ મોટું નુકસાન થયું છે.
તેમણે જણાવ્યું હતું કે હવે નીચેના વિસ્તારોમાં પૂરનું કોઈ જોખમ નથી. જળસ્તર પણ ઘટી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. સેટેલાઈટથી મળેલી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સમુદ્રથી લગભગ 5,600 મીટર ઊંચાઈએ હિમનદીના મુખ પાસેની હિમશિલા તૂટી પડી હતી. એ લગભગ 14 ચોરસ કિલોમીટર જેટલી મોટી હતી. એને કારણે ઋષિગંગાના નીચેના વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. ઉત્તરાખંડ સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે અને છ જણ ઈજાગ્રસ્ત થયા છે.
29 મૃતદેહ મળ્યા, 170 લોકો હજી પણ લાપતા નવી દિલ્હી, તા.9: ઉત્તરાખંડનાં ગ્લેશિયર ફાટતા સર્જાયેલા જળપ્રલય પછી અત્યાર સુધીમાં બચાવ-રાહત કાર્યમાં 29 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ 170 જેટલા લોકો લાપત્તા છે. તપોવનની સુરંગમાં પણ હજી 3પ લોકો ફસાયેલા છે અને તેમને ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.
એનડીઆરએફ, સેના અને એસડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન જારી છે. હવે અહીં વિશિષ્ટ મરીન કમાન્ડોની મદદ પણ લેવામાં આવી રહી છે. ઉત્તરાખંડનાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સોમવારની રાત સુધીમાં 26 મૃતદેહો મળી આવેલા અને 171 લોકોનો હજી કોઈ પત્તો લાગ્યો નથી. કાંપ અને કાદવમાં દબાઈ ગયેલી ટનલમાં બચાવદળ વધુ આગળ પહોંચ્યું છે પણ હજી ટનલની સંપૂર્ણ ખોલી શકાઈ નથી. આખી રાત તપોવનની ટનલમાં બચાવ ટુકડીનાં જવાનોએ મહેનત કરી હતી અને કાટમાળ હટાવવાનાં પ્રયાસો જારી છે.’
સુરત મ્યુનિની ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ, 484 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ દરમિયાન કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. આજે પરત ખેંચાયેલા ઉમેદવારીપત્રોમાં વોર્ડ નં.3 વરાછાના બે કોંગ્રેસી ઉમેદવારો મુખ્ય હતા એ સિવાય બાકીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે હવે 484 ઉમેદવારો બાકી રહ્યા છે.
સુરતના તમામ રિટર્નિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ માટેના બેલેટ પેપર પ્રિન્ટ કરવાની પ્રોસિજર હાથ ધરી દીધી છે. દરમિયાન આજે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવાની વિધી પણ પૂર્ણ કરી દીધી હતી. સાથોસાથ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટેની નોંધપોથી પણ ફાળવી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ક્લીયર થયેલા ચિત્ર બાદ હવે ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપના કુલ 120 બેઠકો, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના કુલ 114 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. સુરતમાં અપક્ષો અને અન્ય પક્ષોની કુલ 351 ઉમેદવારો છે. આમ, બધુ મળીને 484 ઉમેદવારો સુરતના ચૂંટણી જંગમાં ફાઇનલ થયા છે.
આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે વરાછા, લસકાણા વોર્ડ નં.3ની કોંગી પેનલ આખો દિવસ ચર્ચામાં રહી હતી. સવારથી જ આ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના છે એવી વહેતી થયેલી વાતોને પગલે સુડા ભવન ખાતે હલચલ જોવા મળી હતી. આ વોર્ડમાં બે કોંગ્રી ઉમેદવારો જ્યોતિકાબેન સોજિત્રા અને કાનજીભાઇ ભરવાડે ઉમેદવારી આજે પરત ખેંચી લીધી હતી.
સૌથી વધુ ઉમેદવારો 28 ઉમેદવારો ડીંડોલી-ભેસ્તાન વોર્ડ નં. 28 અને સૌથી ઓછા ઉમેદવારો કરંજ-મગોબ ખાતે સૌથી ઓછા 12 ઉમેદવારો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફાઇનલ થયેલા ચૂંટણી ચિત્રમાં હવે કુલ 30 વોર્ડ પૈકી સૌથી વધુ ઉમેદવારો કુલ 28 વોર્ડ નં.28 ડિંડોલી-ભેસ્તાન વોર્ડમાં ચૂંટણી જંગમાં છે. આ વોર્ડમાં 11 અપક્ષો છે જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4-4 ઉમેદવારો છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.15 મગોબ ખાતે નોંધાયા છે અહીં ફક્ત 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.
પાટીદાર પ્રભાવિત વોર્ડ નં.3માં બે કોંગી ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા
વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા વિસ્તારમાં ભાજપને ટક્કર આપશે આમ આદમી પાર્ટી
અગાઉ પાસના નેતા ધાર્મિક માલવિયાએ જે વોર્ડમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવાનું ટાળ્યું હતું એ વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા મ્યુનિસિપલ વોર્ડ નં.3માં આજે આશ્ચર્યજનક સંજોગો વચ્ચે કોંગ્રેસના એક મહિલા અને એક પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. વરાછા રોડના મેઇન વોર્ડ ગણાતા આ વિસ્તારમાં હવે કોંગ્રેસ સ્પર્ધામાંથી બહાર નીકળી જવા પામી છે કેમકે કોંગ્રેસનો એક જ ઉમેદવાર બાકી રહ્યો છે, જ્યારે ભાજપને સીધી ટક્કર આપસે આમ આદમી પાર્ટીની પેનલ.
આજે બપોરે વેસુ સ્થિત સુડા ભવન ખાતેની વોર્ડ નં.3ના રિટર્નિંગ ઓફિસર જીબી મુગલપુરાની કચેરી ખાતે હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઇ નાજાભાઇ ભરવાડે બિલકુલ હોહા કર્યા વગર ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અરજી આપી કચેરી છોડી ગયા હતા. તેની થોડી મિનીટો બાદ આ જ વોર્ડના કોંગ્રેસના જ મહિલા ઉમેદવાર જ્યોતિકાબેન ચંદુભાઇ સોજિત્રા પણ ઉમેદવારીપત્ર પરત ખેંચવા સુડા ભવન ખાતે આવ્યા હતા.
જ્યોતિકાબેન સોજિત્રાએ તો પોતાના ઉમેદવારીપત્ર ખેંચવા માટે કોંગ્રેસના મોવડી મંડળ પર રોષ વ્યક્ત કરતા એલફેલ નિવેદનો કર્યા હતા. રડતા રડતા જ્યોતિકાબેન સોજિત્રાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના મોવડીઓએ તેમની વીસ વર્ષની રાજકીય કારકિર્દી રોળી નાંખી છે. જ્યોતિકાબેનના પતિ ચંદુભાઇએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો હતો કે તેમની પેનલના ઘોષિત થયેલા ઉમેદવાર કાનજીભાઇએ સી.આર. પાટીલ સાથે સેટિંગ કરીને ટિકીટ મેળવી હતી અને હવે તેના ઇશારે જ રાજીનામુ આપી દીધું છે.
જ્યોતિકાબેને ઉમેદવારી પાછી ખેંચવા પાછળના કારણ અંગે કહ્યું કે તેમના વિસ્તારમાં જીતી શકે તેવા ઉમેદવાર નહીં આપતા તેઓ તેમની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે.
ફક્ત જીત નહીં, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરીને એક નવો રેકોર્ડ બનાવો : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ઝંઝાવતી પ્રચારની શુભ શરૂઆત કરાવતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા ખાતે બે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.
ઉતરાણ અને સરથાણા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાતાઓ કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. 9050 બેઠકો માટે આશરે બે લાખ કરતાં વધુ કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરી હતી. ટિકિટની ફાળવણી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સુમેળભર્યા વાતાવરણમાં ટિકિટની ફાળવણી થઈ સૌ કાર્યકર્તાઓએ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
ભાજપમાં કાંકરીચાળો સુદ્ધા નથી થયો જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત હોવા છતાં પણ ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં તોડફોડ થઈ, ધમાલ થઈ, કોંગ્રેસ કાર્યાલયોને તાળા મારી દેવાની શરમજનક ઘટના સામે આવી. આ ફરક છે ભાજપા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં. ભાજપાનો શિસ્તબદ્ધ કાર્યકતા જ ભાજપાની સાચી મૂડી છે.
જીત નિશ્ચિત છે પરંતુ જીત ભવ્ય કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યુંકે સો ટકા બેઠકો જીતવામાં આપણે બબ્બે વખત રેકોર્ડ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 99 માંથી 98 બેઠકો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો રેકોર્ડ છે. પરંતુ હવે જીત નહીં પરંતુ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને સુરત ભાજપના કાર્યકર્તાઓએ એક નવો રેકોર્ડ બનાવવો જોઇએ. હવે ફક્ત જીતથી સંતોષ માનવાનો નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરીને જીતને ભવ્ય બનાવવી જોઈએ. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સ્વીકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ અને અનુભવી હોવાં છતાંય ટિકિટ ફાળવવાની મર્યાદાના કારણે જ સક્ષમ હોવા છતાં પણ ઘણાં ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી શકાઇ નથી તે બદલ હું તમામ કાર્યકર્તાઓને માફી માગું છું.
સુરતના વિકાસ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યુંકે, સુરતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને સુરત શહેરની જનતાને આભારી છે ત્યારે સુરતના વધુ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી અનિવાર્ય છે. આથી આગામી ૨૧મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સુરત શહેરની જનતાને ખાસ અનુરોધ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાનું સૂત્ર ગૂંજી ઉઠશે
તા.21મીએ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં અને તા.28મીએ ગ્રામીણ વિસ્તારોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યન ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતનું સત્તાવાર સૂત્ર લોંચ કરી દીધું છે.
‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’. ભાજપાનું આ સૂત્રો હવે પછીના 20 દિવસ ગુજરાતભરમાં ગૂંજી ઉઠશે. સૂત્રની સાથે સાથે ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાનું ચૂંટણીલક્ષી સોંગ પણ લોંચ કરી દીધું છે.
ચૂંટણી અભિયાન માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારોને રિઝવવા માટે 40 શોર્ટ ફિલ્મો, 20 એડ ફિલ્મો, 19 જીઆઈએફ અને 22 અલગ-અલગ હોર્ડિંગ્સ પણ તૈયાર કરાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાનો ઘનિષ્ઠ પ્રયાસ આદરી દીધો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રસંગે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના ઘણા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા યોજના, રામ મંદિર અને અન્ય મુદ્દાઓમાં સાથે આવી હતી. આ તમામ નિર્ણયો દેશવાસીઓના હિતમાં છે. આગામી ચૂંટણીમાં અમે સ્લોગન, એન્થમ અને હોર્ડિંગ્સ દ્વારા તમામ લોકોને આ નિર્ણયોની ઝાંખી કરાવીશું.
આગામી મહિનાઓમાં બિનભાજપી સરકાર ધરાવતા દેશના ચાર રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં બનતી સાડીઓ ગેમ ચેન્જર નિવડે તેવી પૂરેપૂરી શક્યતા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા સુરતની સાડીઓનું વિતરણ થાય છે એ વાત જગ જાહેર છે, જોકે આ વખતે ચૂંટણીને અનુલક્ષીને સુરતના વેપારીઓથી લઇને મિલોને સીધા જ સાડીઓના ઓર્ડર મળવાના શરૂ થઇ ચૂક્યા છે. હાલ કમસે કમ 20 લાખ સાડીઓના ઓર્ડર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મળી ચૂક્યા છે અને અંદાજ છે કે 70 લાખથી 1 કરોડ નંગ સાડીઓના ઓર્ડર પશ્ચિમ બંગાળ, કેરળ, તમિળનાડુ અને આસામ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીને કારણે સુરતના ઉદ્યોગકારોને મળશે.
કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ રાજકીયો પક્ષો કે ઉમેદવારોને ફળ કે નહીં ફળે પરંતુ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને જરૂર ફળશે અને સુરતની સાડી ચાર બિનભાજપી રાજ્યોમાં ગેમ ચેન્જર નિવડેતો નવાઇ નહીં.
ઉદ્યોગપતિઓને સાવ સસ્તા ભાવની સાડી (એક સાડીનો ભાવ આશરે 150 રૂપિયા) બનાવવાનો ઓર્ડર મળવાનો શરુ થઈ ગયો છે. જે જ્યાં મતદાન યોજાવાનું છે તે રાજ્યોની મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે મોટા પ્રમાણમાં વહેંચવામાં આવશે.
વેપારીઓ તેમજ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોને વિવિધ રાજકીય પક્ષો તરફથી સાડીઓના અગાઉથી ઓર્ડર મળવાનું શરુ થઈ ગયું છે અને આ વખતે તેઓ એક કરોડ સાડી મોકલવાની અપેક્ષા રાખે છે. ઘણી મિલોએ તો સાડીઓ બનાવવાનું શરુ પણ કરી દીધું છે.
દક્ષિણ ભારતના માર્કેટમાં સૌથી સસ્તા ભાવની સાડીઓની સપ્લાય કરી રહેલા એક સુરતના વેપારીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત હજુ બાકી છે, પરંતુ અમને 30 હજાર સાડીનો ઓર્ડર મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી, રાજકીય પક્ષો ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં સાડીની વહેંચણી કરે છે અને સુરતને તેનો લાભ મળે છે’.
અગાઉ, લાખો સાડીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળા બોક્સ દેશના અલગ-અલગ ભાગમાં મોકલવામાં આવ્યા હતા.
‘બ્લાઉઝ સાથે 6 મીટરની એક સાડીનો ભાવ 150 રૂપિયા હોય છે. મહામારીના કારણે, અમારું પેમેન્ટ અન્ય રાજ્યોમાં ફસાયું છે, તેથી અમે હવે એડવાન્સ પેમેન્ટ પર જ ઓર્ડર લઈએ છીએ’, તેમ સાડીઓની સપ્લાય કરતાં અન્ય એક વેપારી રજનીશ લીલાએ કહ્યું.
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર અસોસિએશન (SGTPA)ના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, ‘કેટલીક ડાઈંગ અને પ્રિન્ટિંગલ મિલોને 2 લાખ સાડીઓનું કામ મળ્યું છે. પ્રોસેસિંગ ચાર્જ 10 રુપિયા પ્રતિ મીટરથી ઓછો છે’.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશન (FOSTTA)ના સેક્રેટરી ચંપાલાલ બોથરાએ જણાવ્યું કે, ‘આ વખતે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં એક કરોડ કરતાં વધુ સાડીઓનો સપ્લાય કરવાનો છે. અમને આશા છે કે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ધંધો અમને થોડી રાહત આપશે’.
દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા તોફાનો અને લાલ કિલ્લા પર કેસરી ઝંડો ફરકાવવા અને ઉપદ્રવીઓને ભડકાવવા બદલ પંજાબી અભિનેતા દીપ સિધૂની દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમે મંગળવારે સવારે ધરપકડ કરી છે. દીપ દીધૂ 26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ ફરાર હતો. દિલ્હીની ટ્રેક્ટર રેલી હિંસા બાદ ફરાર દીપને પકડવા માટે દિલ્હી પોલીસે રૂ. 1 લાખનું ઈનામ જાહેર કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે દીપ સીધૂ લાલ કિલ્લા ખાતે હાજર હતો અને ભડકાઉ ભાષણ આપી રહ્યો હતો. જો કે હિંસા ભડકતા જ તે ફરાર થઈ ગયો હતો. હિંસા પછી દીપ સિધૂ પોલીસની રડારમાં આવી ગયો હતો અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
દિલ્હીથી ભાગ્યા બાદ દીપ સિધૂનું લોકેશન હરિયાણા હતું અને ત્યારપછી તે પંજાબમાં હોવાનું જણાતું હતું. દીપ સિધૂએ થોડા દિવસો અગાઉ ફેસબુક લાઈવ કરીને ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. દીપે ધમકી આપતા કહ્યું હતું કે જો કોઈએ મોઢું ખોલ્યું છે અને ખેડૂત આંદોલનની અંદરની વાત જાહેર કરી છે તો ખેડૂત નેતાઓએ ભોગવવું પડશે અને ભાગવાન રસ્તો પણ નહીં મળે.
દીપ સિધૂ પંજાબી ફિલ્મોનો એક્ટર છે અને સામાજિક કાર્યકર છે. દીપે પોતાની ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગીથી કરી હતી, જેના પ્રોડ્યુસર ધર્મેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. દીપ સિધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડેલ એવોર્ડ જીતી ચૂક્યો છે. 17 જાન્યુઆરીના સીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએએ સિધૂની પૂછપરછ કરી હતી.
કોવીડ ગાઇલાઇન્સના ધજાગરા ઉડ્યા, તમામ તંત્રો ચૂપ ઉમેદવારો પોતાના ચહેરા મતદારોને બતાવવા માસ્ક વગર ફર્યા
કોવીડ ગાઇડલાઇન્સના પૂરેપૂરા ધજાગરા, ટોળાશાહી વચ્ચે આજે સવારે 9 કલાકથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. બપોરે 4 કલાકે પૂર્ણ થયેલા મતદાન બાદ કુલ 4217 મતદારો પૈકી 71 ટકા એટલે કે 2996 જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આ વખતનું મતદાન રેકોર્ડ બ્રેક મતદાન છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે સેંકડો સભ્યો એવા છે જેમની પાસે દાયકાઓથી મેમ્બરશીપ છે પણ તેમણે પહેલી વખત મતદાનમાં ભાગ લીધો હતો.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એન્ડ ફેમિલીએ સ્ટેડીયમ પેનલ કે જેમાં પૂરા 21 ઉમેદવારો પણ ન હતા તેનાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની સામે પરિવર્તન પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
સવારે 9 વાગ્યાથી જ ઉત્સાહભેર શરૂ થયેલા મતદાનમાં દરેક મતદારે વેલીડ વોટિંગ માટે 21 વોટ આપવા ફરજિયાત હોવાથી મતદાન મંદ ગતિએ ચાલી રહ્યું હતું. 21-21 વોટ દરેક મતદારે બોલપેનથી ટીક કરીને આપવાના હોઇ, મતદાનમાં ભારે વાર લાગતી હતી. બીજી તરફ વોટિંગ માટે મતદાતાઓ વધતા લાંબી કતારો લાગવા માંડી હતી. એક મતદારને મતદાન કરીને બહાર આવતા અડધો અડધો કલાક લાગી જતો હતો એટલી લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વખતનું મતદાન વિક્રમી મતદાન છે અને પહેલી વખત મત આપવા આવેલા મેમ્બરોની સંખ્યા પણ સેંકડોની સંખ્યામાં જણાય આવે છે.
મોટા પાયે ક્રોસ વોટિંગ
SDCAની ચૂંટણીના મતદાનમાં મોટા પાયે ક્રોસવોટિંગ થયું હોવાના અહેવાલો મતદાન મથકેથી મળી રહ્યા હતા. છેલ્લા બે દિવસ દરમિયાન ઉમેદવારોએ પેનલ કરતા પોતાનો પ્રચાર વધુ કર્યો હતો. ખાસ કરીને સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ પેનલ નહીં જીતે તેવી પરિસ્થિતિ પારખીને પોતાના માટે મતો માગવાનું શરૂ કરી દીધું હતું. આજે મતદાનની પેટર્ન પણ એ જ પ્રમાણે જોવા મળી હતી. મતદારોએ આખી પેનલને વોટ આપવાની જગ્યાએ બન્ને પેનલના પોતાના માનીતા, જાણીતાઓને મત આપીને 21 મતોનું દાન કર્યું હતું.
SDCAને પોતાની પારિવારીક જાગીર સમજતા કોન્ટ્રાક્ટર બંધુઓએ પોતાની સીટ વધારવા ઠરાવ કર્યો પણ મહિલા વર્ગને એકેય સીટ ફાળવી નથી
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની જગ્યાની માલિકી પારિવારીક હોવાના નાતે દાતા તરીકે સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પોતાની પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અને તેમના ભાઇ હેમંત કોન્ટ્રાક્ટરે દાતાઓને બે સીટમાંથી ત્રણ કરી દીધી, અન્ય એક દાતાને પણ સીટ અપાવી પણ મહિલાઓને એક બેઠકનું પણ પ્રતિનિધિત્વ આપ્યું નહીં. પોતાના સ્વાર્થના ઠરાવો એજીએમમાં પાસ કરાવનાર કોન્ટ્રાકટર બંધુઓને સુરત ભાજપાના નેતાઓનું પૂરેપૂરું પીઠબળ સાંપડી રહ્યું છે. અત્રે એ ખાસ નોંધવું જોઇએ કે ભાજપા મહિલા પ્રતિનિધિત્વનું ચૂસ્ત સમર્થન કરતી પાર્ટી છે. એટલું જ નહીં જીસીએ અને બીસીસીઆઇમાં પણ મહિલાઓને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ અપાય રહ્યું છે ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં હજુ સુધી મહિલાને રિઝર્વ સીટ આપવાની વાત તો દૂર રહી પણ ઉમેદવારી કરવાની તક પણ અપાતી નથી.
સ્ટેડીયમ કે પરિવર્તન બન્નેમાંથી એકેય પેનલે એકપણ મહિલાને ઉમેદવારીની તક ન આપી
આ ચૂંટણીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સુરત ડિસ્ટ્રીક્ટ કક્ષાની આ સંસ્થામાં મહિલા માટે એક પણ પ્રતિનિધિત્વ એટલે કે એક પણ રિઝર્વ સીટ નથી, મહિલાઓનું જાણે ક્રિકેટમાં કશું કામ નથી એ રીતે ઝીરો પ્રતિનિધિત્વ, અને તેનાથી મોટી કમનસીબ બાબત એ છે કે 21 બેઠકો જેટલા ઉમેદવાર ઉભા નહીં કરી શકેલા કોન્ટ્રાક્ટર બંધુઓની સ્ટેડીયમ પેનલે એક પણ મહિલા સભ્યને ઉમેદવાર માટે લાયક ગણી નહી અને એક પણ મહિલાને ઉમેદવાર બનાવી નહીં. સામે પક્ષે પરિવર્તન પેનલે પણ 21 ઉમેદવારો ઉભા રાખ્યા પણ તેમાં એકેય મહિલાને પ્રતિનિધિત્વ કે ઉમેદવારીની તક આપી નહીં. આમ, મહિલાઓના ઝીરો પ્રતિનિધિત્વવાળી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં શ્રીમંતોએ મતદાન માટે કતારો લગાડી દીધી હતી. પહેલી વખત ચૂંટણીમાં જંગી 60 ટકા જેટલું જંગી મતદાન થયું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.