
સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.
કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.
ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.
કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.














