Alert Archives - Page 18 of 517 - CIA Live

February 9, 2026
1min152

જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.

જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.

૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.

સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :

(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.

(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.

(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.

(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.

(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.

February 9, 2026
image-14-1280x768.png
1min133

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.

કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.

February 9, 2026
image-13.png
1min105

ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને ઈરાની સરકારે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. તેમને વધુ એકવાર સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઈરાની શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા ચુકાદા સાથે નરગીસની જેલની સજા 44 વર્ષ થઇ ચૂકી છે. નરગીસ અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ અને 5 વખત દોષિત ઠરી ચૂક્યા છે.

53 વર્ષીય નરગીસ મોહમ્મદી એક જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ, એન્જિનિયર અને લેખિકા છે. તેઓ નોબેલ વિજેતા શિરીન એબાદી દ્વારા સ્થાપિત ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર’ (DHRC) ના ઉપાધ્યક્ષ છે. નરગીસ છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય જેલમાં જ વિતાવી ચૂક્યા છે. ઈરાની સત્તાવાળાઓ તેમના પર રાજ્ય વિરુદ્ધ પ્રચાર કરવાનો અને વિરોધ પ્રદર્શનો યોજવાનો આરોપ લગાવે છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે કે આ બધું માત્ર તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

નરગીસ મોહમ્મદીને 12 ડિસેમ્બર, 2025 ના રોજ મશહદ ખાતે પકડવામાં આવ્યા હતા. તેઓ ત્યાં માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીની શોકસભામાં હાજરી આપવા ગયા હતા. ઈરાની સરકારે તેમના પર ભડકાઉ ભાષણ આપવા, નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અને શાંતિ ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

જ્યારે 2023 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયો ત્યારે તેઓ તેહરાનની કુખ્યાત જેલમાં બંધ હતા. આ સન્માન તેમના બાળકોએ તેમના વતી સ્વીકાર્યું હતું. 2021 થી તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના આરોપો હેઠળ 13 વર્ષની સજા ભોગવી રહ્યા છે. નરગીસ ફાઉન્ડેશન મુજબ, ઈરાની વહીવટીતંત્ર તેમને શારીરિક અને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમનો જુસ્સો હજુ પણ અડગ છે.

February 8, 2026
SS_Logo_Red-1280x986.png
2min409

Jayesh Brahmbhatt 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે તા.8મી ફેબ્રુઆરીને રવિવારથી દેશભરમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ફરજિયાત સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીના રજિસ્ટ્રેશન શરૂ કરવા સાથે તેની તારીખની પણ સત્તાવાર ઘોષણા કરી છે. આ વખતે નીટ યુજી આગામી તા.3 મે 2026ને રવિવારના રોજ બપોરે 2થી 5 દરમિયાન લેવામાં આવશે. ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ તા.8 ફેબ્રુઆરીથી તા.8મી માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ તારીખ પછી જન્મેલા વિદ્યાર્થીઓ નીટ યુજી 2026 પરીક્ષા નહીં આપી શકે

નીટ યુજી પરીક્ષાના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ (સેન્ટ્રલ) ઉપરાંત વેટરનરી સાયન્સ અને આ વર્ષથી ફિઝિયોથેરાપી કોર્સમાં પણ પ્રવેશ આપવાની જાહેરાત દેશના જુદા જુદા રાજ્યોમાં કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ ફિઝિયોથેરાપી કોર્સ અંગે જાહેરાત કરવામાં આવી નથી. આમ છતાં ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નીટ યુજી પરીક્ષા આપીને તેમાં સારો સ્કોર લાવવો હિતાવહ છે, કેમકે ગુજરાત સરકાર નીટના રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા પછી જાહેરાત કરશે તો અનેક પ્રવેશાર્થીઓને ફિઝિયોથેરાપી કોર્સમાં પ્રવેશ નહીં મળી શકે.

વિદેશી વિદ્યાર્થીઓએ પણ નીટ યુજી 2026 પરીક્ષા આપવી ફરજિયાત

180 મિનિટ અને 720 માર્કની નીટ યુજી પરીક્ષાની પેટર્ન

મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જેનો સ્કોર હોવો ફરજિયાત છે એ નીટ યુજીની પરીક્ષાની પેટર્ન એવી છે કે કુલ 180 મિનિટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કુલ 180 સવાલોના જવાબ આપવાના હોય છે. એક સવાલના સાચા ઉત્તરના 4 માર્ક મળી શકે છે, જ્યારે એક સવાલના ખોટા ઉત્તર બદલ એક માર્ક માઇનસ થાય છે. જેમાં બાયોલોજી, બોટનીના કુલ 90 સવાલો જેના કુલ માર્ક 360 તેમજ કેમેસ્ટ્રી અને ફિઝિક્સના 45-45 સવાલો જેના બન્ને વિષયો મળીને કુલ માર્ક 360 હોય છે.

February 7, 2026
image-8.png
1min144

હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?

ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.

અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

February 7, 2026
image-7.png
1min124

આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.

February 4, 2026
image-4.png
1min138

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

February 3, 2026
image-3.png
1min111

ભારત યુએસ પાસેથી $500 બિલિયનની ખરીદી કરશે!

ભારત યુએસ પાસેથી $500 બિલિયનની ખરીદી કરશે! ભારત-યુએસ વેપાર કરારમાં શું નક્કી થયું

નવી દિલ્હી: લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સોમવારે કરારની જાહેરાત કરી હતી. ભારતે પણ આ કરારની પુષ્ટિ કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર નિવેદનમાં આ પગલાનું સ્વાગત કર્યું છે.

કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દુર કરવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી.

ભારત-અમેરિકા વેપાર કરારની સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે, આ માહિતી મળ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

વેપાર કરાર અંગે અત્યાર સુધી મળેલી માહિતી:

  1. યુએસમાં ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% થશે
  2. યુએસ-ભારત વેપાર કરાર તાત્કાલિક અમલમાં આવશે
  3. ભારત યુએસ $500 બિલિયનથી વધુનો માલ ખરીદશે
  4. ટ્રમ્પનાં દાવા મુજબ ભારત યુએસના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અને નોન-ટેરિફ અવરોધોને સંપૂર્ણ દુર કરશે
  5. ટ્રમ્પના દાવા મુજબ ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરશે, ભારત યુએસ અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદશે.
February 2, 2026
gold-and-silver.jpg
1min101

બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે.

સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ:

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું.

આજનો 02/02/2026 ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું.

આજનો 02/02/2026 નીચો ભાવ (Low): દિવસ દરમિયાન સોનું ગગડીને ₹1,43,321.00 ના સ્તર સુધી પહોંચી ગયું હતું.

કુલ ઘટાડો: અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹4,432.00 (-3.00%) નો ઘટાડો નોંધાયો છે.

ચાંદીના ભાવમાં મોટું ધોવાણ

ચાંદીમાં સોના કરતા પણ વધુ આક્રમક ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાના રોકાણકારોમાં ચિંતા વધી છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉ ₹2,65,652.00 પર બંધ થઈ હતી.

આજનો ઓપન ભાવ (Open): આજે ચાંદી ₹2,67,501.00 પર ખુલી હતી, પરંતુ તે ટકી શકી નહોતી.

આજનો નીચો ભાવ (Low): બજારમાં સતત વેચવાલીને કારણે ચાંદી ₹2,49,713.00 ના સ્તરે પહોંચી ગઈ છે.

બજારના જાણકારો માને છે કે બજેટ બાદ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ફેરફાર અથવા વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ખાસ કરીને ચાંદીમાં 6 ટકા જેટલો ઘટાડો એ સૂચવે છે કે બજારમાં અત્યારે પ્રોફિટ બુકિંગનો દોર ચાલી રહ્યો છે. જે રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક તક સમાન હોઈ શકે છે, પરંતુ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે.

January 29, 2026
Cia_business_news-1280x936.jpg
1min135

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે 29/01/2026 ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. સવારે 9.40 કલાકે ચાંદી પ્રતિ કિલોએ રૂ.4.04 લાખ પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.1.78 લાખ પ્લસ બોલાય રહ્યો હતો.

મલ્ટી કોમોડીટી એક્ષચેન્જ MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366 ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634 (+4.32%) નો જંગી ઉછાળો નોંધાયો છે.

સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,88,045 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153 ના બંધ ભાવ સામે કુલ ₹10,847 (+6.12%) નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,88,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યૂને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.