Alert Archives - Page 157 of 518 - CIA Live

July 28, 2021
corona_testing1.jpg
1min531

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ હવેથી 400 રુપિયા રહેશે. હાલ RTPCR ટેસ્ટના ખાનગી લેબ દ્વારા 700 રુપિયા વસૂલવામાં આવે છે, જેમાં ગુજરાત સરકારે 300 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

જો દર્દી હોસ્પિટલમાં હોય કે દર્દીના ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો તેનો ચાર્જ 900 રુપિયાથી ઘટાડીને 550 રુપિયા નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ નિશુલ્ક ઉપલબ્ધ છે.

એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ચાર્જ 2700 રૂપિયા

વિદેશથી આવતા કે જતા કોઈપણ પેસેન્જર જો એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમને તેના માટે 2700 રુપિયા ચૂકવવાના રહેશે. કોરોનાના આરંભ વખતે આ ટેસ્ટના 4500 રુપિયા લેવામાં આવતા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું નિદાન કરવા માટે સિટી સ્કેન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારસુધી સિટી સ્કેન માટે 3,000 રુપિયા વસૂલવામાં આવતા હતા, જેમાં 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. જે પણ સરકારી હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ છે, ત્યાં નિ:શુલ્ક સિટી સ્કેન કરી આપવામાં આવશે.

17 જિલ્લામાં નવા સિટીસ્કેન મશીનો ખરીદાશે

અલગ-અલગ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું. જેમાં આણંદ, બોટાદ, ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, ગોધરા, જામખંભાળિયા, લુણાવાડા, મહેસાણા, રાજપીપપળા, સુરેન્દ્રનગર, નવસારી, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ અને વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવાશે. જેના માટે 82.50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોલા, ગાંધીનગર અને ગોત્રી મેડિકલ કોલેજમાં MRI મશીનની ખરીદી માટે પણ મંજૂરી અપાઈ છે.

July 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min621

રાઇટુ એજ્યુકેશન એક્ટ અન્વયે સુરત શહેરની પ્રાથમિક શાળાઓના પહેલા ધોરણમાં ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવેલી કુલ 25 ટકા બેઠકો પર આજરોજ તા.27મી જુલાઇએ અંદાજે 7956 ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે પહેલા ધોરણમાં ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને આવનાર વાલીઓના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલોએ પહેલા ધોરણમાં બિલકુલ ફ્રીમાં પ્રવેશ આપવો જ પડશે.

રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબ વર્ગના બાળકોને કહેવાતી હાઇફાઇ, સેન્ટ્રલ બોર્ડની, ઉંચી ફી ધરાવતી કોઇપણ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલના પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે છે, પણ શરત એક જ છે કે એ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ વાલી-વિદ્યાર્થીના રહેઠાણથી એકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોવી જોઇએ.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જાહેર કરાયેલી પહેલી એડમિશન યાદી અન્વયે જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ફાળવેલી સ્કુલે જઇને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે.

July 27, 2021
Cia_business_news-1280x936.jpg
1min490

ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન( જીએમડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે તા.26 જુલાઇ 2021ના રોજ સુરતમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં એસજીટીપીએ દ્વારા ચોમાસામાં દક્ષિણ ગુજરાતની જીએમડીસીની લિગ્નાઇટની ખાણો બંધ રહેતી હોવાથી સુરતના પ્રોસેસિંગ હાઉસો કાર્યરત રહી શકે તે માટે ભાવનગર સાઇટથી લિગ્નાઇટ દરીયાઇ માર્ગે લાવી શકાય કે કેમ તે અંગે ચર્ચા ચર્યા છેડી હતી.

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચોમાસાની સીઝનમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને લિગ્નાઇટની સમસ્યા નડે છે. આજે તે સંદર્ભે જીએમડીસીના એમડીને રજૂઆત કરતા તેમણે ચોમાસામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસો મળી રહે તેવુ આયોયજન કરવા ખાતરી આપી છે. ચોમાસામાં આયાતી કોલસો મોંઘો પડે છે. એવી સ્થિતિમાં દરિયાઇ માર્ગે ભાવનગરથી બાર્જમાં અથવા ફેરી સર્વિસમાં કોલસાના કન્ટેનર લાવી શકાય તેમ છે અને દરિયાઈ માર્ગે ભાવનગરથી મગદલ્લા પોર્ટ પર કોલસો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ 50 ટકા રાહત થઇ શકે છે.

ભાવનગરનો કોલસો રાજપારડી માઇન્સની ક્વોલિટી જેવો જ હોય છે. બેઠકમાં એસજીટીપીએના આગેવાનો કમલ વિજય તુલસ્યાન, પ્રમોદ ચૌધરી, બિનય અગ્રવાલ સહિતના આગેવાનોએ લિગ્નાઇટની ડિલિવરી ઓર્ડર માટે અન્ય બેંકોમાં પેમેન્ટ ચુકવણી માટે આગ્રહ કરવામાં આવે છે. તેને બદલે ઉદ્યોગકારો જીએમડીસીના ખાતામાં આરટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ચુકવણી કરે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઇ હતી.

નાના અને મધ્યમ હરોળના યુનિટોને લાર્જ યુનિટમાં ગણી ઉંચો ચાર્જ વસુલવામાં આવે છે તેના માટે નીતિ નક્કી થવી જોઇએ. સાથેજ ઘણી વાર લિગ્નાઇટ હલ્કી ગુણવત્તાનું હોવાથી એમિશન ટ્રેડિંગ સ્કીમમાં જોડાયેલા અને પર્યાવરણની જાળવણી કરવા માંગતા યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં મુશ્કેલી નડે છે અને પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે.

જીએમડીસી નવા રજિસ્ટ્રેશન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરે: SGTPA

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જીએમડીસીના એમડી રૂપવંત સિંહને રજૂઆત કરી હતી કે નવા રજિસ્ટ્રેશન માટે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, તેનો ઝડપી નિકાલ થવો જોઇએ. તે ઉપરાંત ખાણો માટેની લીઝનો કરાર સમયસર રિન્યુ કરવામાં આવે તો માલનો પુરવઠો જળવાઇ રહેશે. રૂપવંત સિંહે લિગ્નાઇટનો પ્રશ્ન ઝડપથી હલ કરવા એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસીના અધિકારીઓ અને પાંચ સભ્યોને શામેલ કરી પ્રત્યેક મહીને એક વાર બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલની ખાતરી આપી હતી. બેઠકમાં જીએમડીસીના ચીફ જનરલ મેનેજર કુલશ્રેષ્ઠ પણ હાજર રહ્યા હતા.

July 26, 2021
Yediyurappa.jpg
1min656

કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.

ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

July 26, 2021
kids-social.jpg
1min556

નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનો સર્વે : 37.8 ટકાનાં ફેસબુક, 24.3 ટકાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.

કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.

July 25, 2021
cia_society-1280x880.jpg
1min641

મહાવીર ઇન્ટરનેશનલ એપેક્સ અને એમઆઈ સુરત મુખ્ય શાખાનો ગ્રીન અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પર્યાવરણ નિરીક્ષણ શ્રી બસંત ખેતાનના સહયોગથી રવિવારે તા.25 જુલાઇ 2021ના રોજ સુરત એરપોર્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની, મહાવીર ઈન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય સચિવ વીર અનિલ જૈન, પર્યાવરણ પ્રેમી બસંત ખેતાન, રીજિયન -૮ ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વીર ગણપત ભણસાલી, આંતરરાષ્ટ્રીય નિયામક વીર સુરેન્દ્ર મરોઠી, વીર સંદીપ ડાંગી શાસન સમિતિના સભ્ય વીર મુકેશ જૈન, સચિવ વીર હસ્તીમલ બંઠિયા, એરપોર્ટ એન્જિનિયર સુનિલ કુમાર, એક સોચના પ્રમુખ, રીતુ રાઠી, યંગ ઈન્ડિયાની દીપિકા કલન્ત્રી ધૂત, રાજીવ કોઠારી, સમાજ સેવી સંજય જૈન ચાવત, પ્રીતમ ગોસ્વામી, રમેશ રાજપૂત વગેરે પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીર અનિલ જૈનની ઉપસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સવારે સિટીલાઇટ સ્થિત શાકમાર્કેટમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું, આ પ્રસંગે પર્યાવરણ નિરીક્ષક શ્રી બસંત ખેતાન સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

July 24, 2021
ukai.jpg
1min456

મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાની સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફુટે છે જે સંભવતઃ આગામી દિવસોમાં વધીને 318 ફુટ સુધી પહોંચી શકે છે. 

    હથનુર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી હળવાથી ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર નોંધાવા પામી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજા ખોલવાની સાથે જ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદી થકી ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં પહોંચશે. અલબત્ત, ઉકાઈ ડેમના અધિકારીઓ પણ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થશે તે મહત્તમ 318 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હાલ ઉકાઈ ડેમની સપાટી 314.81 ફુટ નોંધાઈ છે અને રૂલ લેવલ 333 ફુટ છે. અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં થનાર વૃદ્ધિ દર વર્ષે જુલાઈ મહિનાથી વહીવટી તંત્ર સહિત શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી ઉકાઈ ડેમની સપાટીમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી નહિવત વરસાદ નોંધાતા સપાટી છેલ્લા એક મહિનામાં એક ફુટ પણ વધી નથી. 

July 24, 2021
rain_forecast.png
1min477

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે.”

રાજ્યમાં 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.”

અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.

July 23, 2021
Kangra-cloudburst.jpg
1min587
Raigad Landslide: প্রবল বৃষ্টিতে ধস, রায়গড়ে মৃত্যু কমপক্ষে ৩০ জনের,  অনেকের আটকে থাকার আশঙ্কা - Raigad Landslide: At least 30 people killed in  landslide at Talie village amid incessant ...

મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન સર્જાતા પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે હજુ સુધી 40 લોકો ગુમ છે અને તેમની શોધ ચાલુ છે.

સંપૂર્ણ રાયગડ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તેવામાં આજે ફરી એકવાર રાયગડ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મહાડ તાલુકાના તળઈ ગામમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ 35 મકાનો આ દુર્ઘટનામાં ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે અને 40 લોકો હજી ગુમ છે. તો જિલ્લાના સાકર સુતાર વાડી ગામમાં પણ વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ બંને ઘટનામાં કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે.


ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ અકસ્માતમાં લગભગ 80 લોકો દબાઈ ગયા હોવાની માહિતી ગ્રામજનોએ આપી છે. એનડીઆરએફ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિપક્ષી નેતા પ્રવીણ દારેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાયગડના પાલકમંત્રી અદિતિ તટકરે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
તળઈ ગામ એક અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવાથી રાહત કામગીરીમાં ઘણી અડચણો આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ત્યારે આ ભયંકર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં બચાવ કામગીરી ચાલુ છે.


ખેડમાં 17 લોકો ફસાયા હતા

તેવી જ રીતે રાયગડના ખેડ તાલુકામાં પણ શુક્રવારે સવારે ચોંકાવનારી દુર્ઘટના બની છે. તાલુકાના પોસરે બૌદ્ધવાડીમાં 17 લોકો ભૂસ્ખલન બાદ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા છે જ્યારે બે અન્ય લોકો બીરમણીમાં ફસાયેલા છે. આ બંને જગ્યાએ એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને સત્વરે બહાર કાઢવા માટે એનડીઆરએફની અન્ય એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય યોગેશ કદમે માહિતી આપી છે કે યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તાજેતરમાં બિરમણી તરફ જતા બે કિ.મી.ના માર્ગને નુકસાન થયું છે.


મહાડ નજીક તળઈ આ ગામમાં પરિસ્થિતિ ભયાનક છે. કેટલાક લોકોના મૃતદેહોને કાટમાળ હેઠળથી ખુદ ગામલોકોએ જ બહાર કાઢ્યા છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તેવી માહિતી મને પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજન દ્વારા મળી છે. એવી પણ આશંકા છે કે હજુ કેટલાક વધુ લોકો કાટમાળ હેઠળ ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખતા સ્થાનિક વહીવટીતંત્રએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ સમયે નાગરિકોને તાત્કાલિક સહાયની જરૂર છે.

July 23, 2021
Tokyo-2020-Olympics.png
1min452

સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજે શુક્રવાર તા.23 જુલાઇ 2021થી જાપાનની રાજધાની ખાતે ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ સાદગીપૂર્ણ અને નાના સમારોહથી કરવામાં આવ્યો છે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે યોજાઇ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે.

ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે.
એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે.
દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે.
આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 8પ મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.