પોલીસે અત્યાર સુધીનો સૌથી આધુનિક બંદોબસ્ત ગોઠવ્યો હતો
૧૦ હજારથી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન સહિતના હાઇટેક સાધનો સાથે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસનો લોંખડી બંદોબસ્ત રખાયો હતો
અમદાવાદ
ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર સહિત નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન રાજ્યની શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો અને હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે રથયાત્રામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન બનતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં અમદાવાદની ૧૪૫મી રથયાત્રા સહિત કુલ ૧૮૦ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદની રથયાત્રામાં ૧૧ લાખ જેટલુ વિશાળ માનવ મહેરામણ ઉમટયુ હતું. અમદાવાદ બાદ રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાઇ હતી. જેમાં સવા લાખ જેટલા ભાવિકો જોડાયા હતા.
આ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર સહિતની નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવી હતી. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને સૌથી મોટો બંદોસ્ત ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડ્રોન, ૧૦ હજાર જેટલા બોડી વોર્ન કેેમેરા, સીસીટીવી નેટવર્ક, વધારાના કંટ્રોલ રૂમ તૈયાર કર્યા હતા. તો ગ્રાઉન્ડ લેવલે સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં સ્ટેટ આઇબી અને સ્થાનિક પોલીસ કેટલાંક અધિકારીઓને એક મહિનાથી કામે લગાડયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઇ હતી.
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત “અપને અપને રામ” કાર્યક્રમનું આગામી 20 અને 21મી મેના રોજ સુરતના ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા જાણિતા સી.એ. હરી અરોરા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે રામકથાની સંગીતમય ઢબે આકર્ષક પ્રસ્તુતી મર્મજ્ઞ જાણિતા કવિ કુમાર વિશ્વાસ દ્વારા રજૂ કરવામાં આવશે.
કુમાર વિશ્વાસની સાથે ટેલિવિઝન અને ગીત સંગીતની દુનિયાની જાણિતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના મહિમાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 25000 સ્કેવર ફૂટ વિસ્તારમાં અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ બિલકુલ નિશુલ્ક યોજવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં બન્ને દિવસ ઉપસ્થિત રહી શકે છે.
બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે.
ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે. આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.
બે વર્ષના સમયગાળા બાદ ૩૦ જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ડ્રોન કૅમેરા, અર્ધલશ્કરી દળના ૧૨,૦૦૦ કરતા વધુ જવાનો અને સેંકડો પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં ૩,૮૮૮ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાની સુરક્ષાવ્યવસ્થાની કેન્દ્રના ગૃહ ખાતાના સચિવ અજય ભલ્લાએ શુક્રવારે સમીક્ષા કરી હતી.
કોરોનાની મહામારીને કારણે વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં અમરનાથ યાત્રા શરૂ નહોતી કરી શકાઈ તો વર્ષ ૨૦૧૯માં બંધારણની ૩૭૦મી કલમ રદ કરતા અગાઉ અમરનાથ યાત્રા ટૂંકાવી નાખવામાં આવી હતી.
તાજેતરના અઠવાડિયાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટનામાં થયેલા વધારાને કારણે અમરનાથ યાત્રા માટે મોટો પડકાર ઊભો થયો છે. આ વરસે અમરનાથ યાત્રા ૧૧ ઑગસ્ટે પૂરી થશે અને અંદાજે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.
બાબા કેદારનાથના કપાટ આજે તા.6 મે 2022થી સામાન્ય ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે.
કોરોના કાળના બે વર્ષના વહાણા વાયા બાદ આ વર્ષે યાત્રાળુઓ માટે પહેલીવાર ચાર ધામની યાત્રાની મંજૂરી મળી છે તેથી આ વર્ષે બાબા કેદારનાથના દર્શને ભક્તોનો મહેરામણ ઊમટયો છે.
છેલ્લા અઠવાડિયાથી જ ભક્તો દેવાધિદેવના દર્શન માટે હિમાલયની તળેટીનાં સ્થળોમાં ઊમટી પડયા હોવાથી આ વર્ષે હૉટેલો, ધર્મશાળાઓ તેમ જ રહેવાનાં સ્થળોમાં જગ્યા ઓછી પડી રહી છે. દરમિયાન પરંપરા પ્રમાણે બાબા કેદારનાથની પંચમુખી સવારી આજે ગૌરી કુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઇ હતી.
બે વર્ષ બાદ બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલી હદે છે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી જતાં કેદારનાથ ધામની આસપાસની વ્યવસ્થાઓ લગભગ પડી ભાંગી છે.
ગૌરી કુંડથી કેદારનાથ ધામ સુધીના 21 કિલોમીટરના પગપાળા રસ્તામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી એટલી હદે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટયો છે. કેદારનાથ ધામની આસપાસની હૉટેલો-ધર્મશાળાઓ અને આશ્રમોમાં ઉતારા માટે જગ્યા જ નથી.
હૉટેલોમાં લોકો એક રાત માટે 10-12 હજાર રૂપિયા આપવા તૈયાર છે પરંતુ જગ્યા જ નથી. કિંમત ચૂકવવા છતાં લોકો માટે તંબૂઓમાં જગ્યા ન હોવાથી હજારો લોકો કડકડતી ઠંડીમાં રાત ગુજારવા મજબૂર છે. ખાણી-પીણીની વસ્તુઓનો પુરવઠો પણ ખૂટી પડયો છે. આટલી ભીડને ધ્યાનમાં લઇને વાહનોને સોનપ્રયાગથી આગળ જવા દેવાતા નથી. માત્ર નાનાં વાહનોને સોનપ્રયાગથી ગૌરી કુંડ’ સુધીના પાંચ કિલોમીટર સુધી વારાફરતી જવા દેવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના પગલે ચાર ધામની યાત્રા બંધ હતી તેથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે, સારા વ્યવસાયની આશા છે પરંતુ છેલ્લાં બે વર્ષમાં કુદરતી આફતોના કારણે સડકો તૂટી પડી છે તેના સમારકામ ક્યાંક ચાલી રહ્યા છે અને ક્યાંક તો શરૂ જ નથી થયા, ભેખડો, શીલાઓ ધસી પડવાની દુર્ઘટનાઓ થઇ હતી એવાં કેટલાંય સ્થળોએ પણ હજુ કામ થયાં નથી તેથી યાત્રાળુઓને પરેશાની વેઠવી પડે છે. સોનપ્રયાગ સુધી કેટલાંય સ્થળોએ આવાં કામ ચાલી રહ્યાં છે કે હજુ શરૂ જ થયા છે. ટૂંકમાં સડકો હજુ પૂરી રીતે સામાન્ય કે સુરક્ષિત નથી.
આ ઉપરાંત હાલમાં ઇંધણના ભાવ રોજ વધી રહ્યા છે તેથી ચાર ધામની યાત્રાનું ભાડું લગભગ ત્રીસ ટકા વધી ગયું છે. હરિદ્વારથી ચાર ધામની યાત્રાનાં ભાડાંમાં ત્રીસ ટકા વધારો થયાનું સ્થાનિક ટૂર અૉપરેટરોએ જણાવ્યું હતું. આ રીતે જ ટુકડે-ટુકડે જવાનાં ભાડાંમાં તો ભાડું લગભગ બે ગણું ચૂકવવું પડે છે. ખાસ તો રૂપિયા ચૂકવવા છતાંય વાહનોમાં જગ્યા જ નથી.
3 મે 2022ને મંગળવારે અક્ષય તૃતીયા ઉર્ફે અખાત્રીજનો દિવસ છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસને અક્ષય કેમ કહેવાય છે એનો મહિમા સમજવા માટે નીચેનું વાંચન જરૂરી છે.
અંગ્રેજી સમયગણના સૂર્ય પર આધારિત છે. તેમાં તારીખનું મહત્ત્વ છે. દિવસના ૨૪ કલાક પૂરા થાય એટલે તારીખ બદલાઈ જાય, પરંતુ ભારતની સમયગણના ચંદ્ર પર અધારિત છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે તેને તિથિ કહેવાય. આપણે ત્યાં એટલે જ તિથિ બદલાય ત્યારે દિવસ બદલાય છે. હવે રસપ્રદ વાત એ છે કે ચંદ્રની ગતિમાં થોડીક વધઘટ ચાલ્યા કરતી હોય છે. એટલે તિથિના સમયમાં પણ વધધટ આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તિથિ એક દિવસના સૂર્યોદય પહેલાં શરૂ થાય અને ૨૪ કલાક વળોટી બીજા દિવસના સૂર્યોદય પછી પણ પૂરી થતી હોય છે. એટલે જ ઘણી વાર તમે નોંધ્યું હશે કે મહિનામાં બે અગિયારસ કે બે બારસ આવતી હોય છે. આને તિથિની વૃદ્ધિ કહેવાય. હવે આનાથી ઊલટું પણ થતું હોય છે. સૂર્યોદય પછી કોઈ તિથિ બદલાય અને બીજા સૂર્યોદય પહેલાં એ સમાપ્ત પણ થઈ જાય. આને તિથિનો ક્ષય કહેવાય. દા.ત. ચોથને દિવસે સૂર્યોદય પછી પાંચમ તિથિની શરૂઆત થાય, પણ બીજે દિવસે સૂર્યોદય પહેલાં જ પાંચમ તિથિ બદલાય અને છઠ શરૂ થાય. તો આગલે દિવસે ચોથ અને બીજે દિવસે છઠ આવી જતાં પાંચમનો ક્ષય થયો કહેવાય. બીજી રીતે જોઈએ તો જે તિથિનું આયુષ્ય ૨૪ કલાક કરતાં ઓછું હોય તે લાગલગાટ બે સૂર્યોદય થાય એની વચ્ચે જ સમાપ્ત થઈ જાય છે. આવી તિથિને એકપણ સૂર્યોદયનો લાભ ન મળતાં તેને ગણતરીમાં લેવામાં આવતી નથી. બોલચાલની ભાષામાં આપણે એમ કહીએ છીએ કે આ વખતે પાંચમ નથી. ચોથ પછી સીધી છઠ આવે છે. અંગેજીભાષીઓ સૂર્ય પર આધાર રાખે છે એટલે એ સરળ બની જાય છે. જ્યારે આપણે સૂર્ય અને ચંદ્ર બન્ને પર આધાર રાખીએ છીએ ત્યારે ગણતરી થોડી અટપટી થઈ જાય છે. જોકે આપણી ગણતરી અટપટી હોવા છતાં વધુ સચોટ છે, તેથી જ તો આપણા બધા તહેવારો અને ઉત્સવો તિથિ પર આધારિત હોય છે. આજે પણ આપણે લગ્ન કે અન્ય ધાર્મિક કાર્યો તિથિ જોઈને જ કરીએ છીએ.
તિથિ વિશે આટલું જાણ્યા પછી હવે આપણે અક્ષય તૃતીયાની વાત કરીએ. તમને જાણીને આશ્ર્ચર્ય થશે, પણ આજ સુધી એકમથી માંડીને પૂનમ કે અમાસ સુધીની અનેક તિથિઓનો અનેક વાર આગળ બતાવ્યા મુજબ ક્ષય થયો હશે, પરંતુ વૈશાખ સુદ ત્રીજનો આજ સુધી ક્યારેય ક્ષય નથી થયો. એટલે જ તેને અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિને હંમેશાં સૂર્યોદયનો લાભ મળ્યો છે. એમ કહોને કે સૂર્યનારાયણની તેના પર સતત અમી દૃષ્ટિ રહી છે.
આપણે ત્યાં વેપારીઓ કેમિકલથી પકવેલી કેરીઓ અખાત્રીજ પહેલાં જ વેચવા માટે બજારમાં લાવે છે, પણ ખરેખર તો અખાત્રીજના સૂર્યનો તાપ આંબા પર પડે અને પછી કેરીઓ થોડી પીળી થવા લાગે ત્યારે જ તોડીને ઉપયોગમાં લેવી જોઈએ.
સૂર્યનારાયણના પૂરેપૂરા આશીર્વાદ આ તિથિને મળતા રહેવાથી આ સમયને ઘણો શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે વગર મુહૂર્ત જોયે કોઈ પણ સારાં કાર્યો થઈ શકે છે. ભારતમાં લગ્ન-જનોઈ જેવા શુભ પ્રસંગ વધુમાં વધુ આ દિવસે થાય છે. સૂર્યનારાયણ જેવી પીળી કેરી હોય કે પીળું સોનું, આ દિવસે ખરીદવાથી લાભપ્રદ બની રહે છે તેવી પણ એક માન્યતા છે. આ દિવસે ઘણી વિભૂતિઓના જન્મ થયા છે. ઘણાં શુભ કાર્યો પણ થયાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. આ દિવસે આપેલા દાનનો પણ ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસોમાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે એટલે ગામડાંઓમાં ઘણા લોકો પાણીની પરબ બેસાડે છે કે પાણીના ઘડાનું દાન પણ કરે છે. કોઈની તરસ બુઝાવવી એ શ્રેષ્ઠ દાન છે. આ એક જ દાન એવું છે જે ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે.
આજે પાણી પણ બોટલોમાં ભરી તેના પૈસા લેવાનો ઉદ્યોગ વધી રહ્યો છે ત્યારે સલામ એ પૂર્વજોને જે લોકો ભૂતકાળમાં લોકોને મફ્ત પાણી મળી રહે તે માટે ઠેર ઠેર પરબો બંધાવતા.
અખાત્રીજનો શુભ દિવસ છે ત્યારે આપણે પણ સંકલ્પ લઈ શકીએ કે-
29 એપ્રિલ 2022ના રોજ શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 24 માર્ચ 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ લગભગ દર 2.5 વર્ષે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે, તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડે છે.
જોકે શનિના રાશિ ગોચરથી મુખ્યત્વે 5 રાશિના જાતકો પ્રભાવિત થાય છે. 2 રાશિઓ પર શનિની ઢૈયા (2.5 વર્ષ) ચાલશે જ્યારે 3 ઉપર એકસાથે શનિની સાડાસાતી.
શનિના કુંભ રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે જ્યારે મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે. શનિના આ ગોચરથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો તેમાંથી મુક્ત થઈ જશે.
શનિદેવના રાશિ પરિવર્તનથી 4 લગ્નવાળા જાતકો માટે ભાગ્યશાળી સમય શરૂ થશે. શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. આ યોગનું નિર્માણ વૃષભ લગ્નવાળા જાતકો માટે 10મા ભાવમાં, સિંહ લગ્નવાળા જાતકો માટે સપ્તમ ભાવમાં, વૃશ્ચિક લગ્નવાળા જાતકો માટે ચતુર્થ ભાવમાં અને કુંભ લગ્નવાળા માટે લગ્નમાં બનવા જઈ રહ્યો છે જેનો જોરદાર લાભ મળશે.
‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ મહેનતું હોય છે અને પોતાના પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેમના કોઈ ગોડફાધર નથી હોતા. તેઓ અન્ય લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ‘શશ’ યોગ શનિના પ્રભાવને સુધારવામાં મદદ કરે છે અને શુભ પરિણામ આપે છે. આ યોગ જાતકને શનિના કુપ્રભાવમાંથી બચાવવા માટે ખૂબ જ લાભદાયી છે. ‘શનિની સાડાસાતી’ અને ‘શનિ ઢૈયા’ના દુષ્પ્રભાવને પણ ઘટાડી દે છે. કુંડળીમાં બનેલો ‘શશ’ યોગ જાતકને નિરોગી બનાવે છે અને જીવનને દીર્ઘાયુ બનાવે છે. આવા જાતકો ખૂબ જ વ્યાવહારિક હોય છે. ‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ સફળ થાય છે અને રાજકીય ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરે છે.
મેષ લગ્નઃ
મેષ લગ્નવાળાઓ માટે શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી છે અને તમારા એકાદશ ભાવમાંથી ગોચર કરશે. જોકે તમારા માટે શનિ અકારક ગ્રહ છે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવી આપશે. તમને વિભિન્ન સ્ત્રોતમાંથી ધનપ્રાપ્તિ થશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેની રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો.
વૃષભ લગ્નઃ
વૃષભ લગ્નવાળાઓ માટે શનિ નવમ અને દશમ ભાવનો સ્વામી છે. તમારા માટે શનિ સર્વાધિક કારક ગ્રહ છે. તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. તમે છેલ્લા 4-5 વર્ષમાં ઘણાં કષ્ટ સહન કર્યા છે, હવે સમય આવી ગયો છે જ્યારે શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટે શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે.
ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ યોગ્ય સમય છે. તમે આનંદ-પ્રમોદના હેતુથી યાત્રા પર જઈ શકો છો. નવા ઉદ્યમ શરૂ કરવા માટે કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. જો તમે નોકરિયાત વર્ગના છો તો તમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
મિથુન લગ્નઃ
મિથુન લગ્નવાળાઓ માટે શનિ અષ્ટમ અને નવમ ભાવનો સ્વામી છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે જ તમારા માટે ભાગ્યશાળી સમયની શરૂઆત થઈ છે. તમારા સંઘર્ષના દિવસો સમાપ્ત થયા છે. તમારા વ્યાવસાયિક ક્ષેત્રે જોરદાર વિસ્તાર થશે. તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાશો જેના સહયોગથી તમારા કામકાજમાં વધારો થશે. નવા ઉદ્યમ શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. જે લોકો નોકરિયાત વર્ગના છે તેમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
કર્ક લગ્નઃ
કર્ક લગ્નવાળા જાતકો માટે શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે. અષ્ટમ ભાવ આયુ અને ગુપ્ત વિદ્યાનો છે. શનિ તમારા માટે અકારક છે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી જીવન શૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ લગ્નઃ
સિંહ લગ્નવાળાઓ માટે શનિ છઠ્ઠા અને સપ્તમ ભાવનો સ્વામી છે અને શનિ તમારા સપ્તમ ભાવમાંથી ગોચર કરશે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે. જોકે તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે જેનો તમને લાભ મળશે. ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ કારોબાર સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન જે પણ અડચણ આવે તેને દૂર કરવામાં સહાયતા મળશે.
કન્યા લગ્નઃ
કન્યા લગ્નવાળા જાતકો માટે શનિ પંચમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે કારક ગ્રહ છે અને આ સમયે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. તમને પેટ સંબંધી રોગ થઈ શકે છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને તેમની આકરી મહેનત અને સમર્પણના બદલામાં વરિષ્ઠો દ્વારા પદોન્નતિ અને વેતન વૃદ્ધિ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
તુલા લગ્નઃ
તમારા માટે શનિ ચતુર્થ અને પંચમ ભાવનો સ્વામી છે અને તમારી કુંડળીમાં લગ્નથી પંચમ ભાવમાં ગોચર કરશે. શનિના આ ગોચરથી તમે આ વર્ષે કોઈ અધૂરો રહી ગયેલો અભ્યાસ ફરી શરૂ કરી શકો છો અથવા તો કોઈ વિષયમાં સંશોધન કરી શકો છો. શનિની સ્થિતિ તમારા વિચારને ગંભીર બનાવી દેશે જેથી તમે ખૂબ ઉંડાણમાં જઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ વર્ષે વ્યાપાર અંગે ભ્રમ જળવાઈ રહેશે અને નવા કાર્યને લઈને પણ કશ્મકશ બની રહેશે. કર્મચારીઓ વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. કોઈ જૂનું અટવાઈ પડેલું સરકારી કામ આ વર્ષે પૂર્ણ થશે. તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ મોંઘી ભૌતિક વસ્તુ માટે તમારા નાણાં વપરાઈ શકે છે. તમે તમારી મહિલા મિત્ર માટે આભૂષણ પણ ખરીદી શકો છો.
વૃશ્ચિક લગ્નઃ
શનિ તમારા માટે ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે પરંતુ તમારી કુંડળીમાં શનિ ચોથા ભાવમાં ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. આ સમય તમારા માટે ખૂબ જ નસીબવંતો છે. વૃશ્ચિક લગ્નવાળાઓને શનિ વ્યાપારમાં નવા અવસર પ્રદાન કરશે. જોકે કોઈ પણ પ્રકારનો અહંકાર તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો તો તે મળી જવાથી તમને લાભપ્રાપ્તિ થશે. ભવન-મકાન ખરીદવા અને તેના નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમો શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન કોઈ પણ અડચણોનો સામનો કરવામાં સહાયતા મળશે.
ધનુ લગ્નઃ
ધનુ લગ્નવાળા જાતકો માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાંથી ગોચર કરશે. વ્યાપારમાં કોઈ નવું કામ કરવા માટે વિચારી રહ્યા છો તો કાર્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિને પગલે કામમાં કોઈ અડચણ નહીં આવે. કોઈ મિત્રની મદદથી તમારા અટકી પડેલા કામો સુચારૂરૂપે આગળ વધશે પરંતુ તે જ મિત્ર સાથે કોઈ નવા કામની શરૂઆત ન કરતા. કોઈ જૂનો અધૂરો રહી ગયેલો અભ્યાસ આ વર્ષે ફરી શરૂ થશે અને પૂર્ણ પણ થઈ શકશે. આ સમય દરમિયાન તમને આળસનો અનુભવ થશે પંરતુ કામને આવતીકાલ પર ટાળવામાં તમારૂં જ નુકસાન છે.
મકર લગ્નઃ
મકર લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બીજા ભાવનો સ્વામી છે અને શનિ તમારા બીજા ભાવમાંથી ગોચર કરશે. આ સમય તમારી અંદર સકારાત્મક પરિવર્તન લાવશે. જો આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો તો તમારી જાત પર સંપૂર્ણ ધ્યાન લગાવીને જ કરવું, તો જ શનિ તમને સફળતા દેખાડશે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવશે. તમને વિભિન્ન સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેનિ રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો. શનિ તમને જમીન સાથે સંકળાયેલો કોઈ ફાયદો અપાવી શકે છે. વ્યાપાર વિસ્તાર માટે આ અનુકૂળ સમય છે. તમારા પરિવારજનો અને મિત્રો સાથે અનાવશ્યક વિવાદથી બચો.
કુંભ લગ્નઃ
કુંભ લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા લગ્નમાં જ ગોચર કરશે. આ તમારા માટે ખૂબ જ નસીબવંતો સમય છે. તમારા લગ્નમાં જ શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. હવે સમય આવી ગયો છે અને શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટેના શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ ગોચરથી તમારી નિર્ણય શક્તિમાં સંતુલન અને ઉંડાણ આવશે અને તમને નવી મંજિલ મળશે. આ ગોચર વ્યાપાર માટે નવા અવસરો લાવશે અને આર્થિક સ્થિતિમાં પણ લાભ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશો અને તમારૂં ઘર લેવા માટે વિચારી રહ્યા છો તો એ સપનું પણ અવશ્યપણે પૂર્ણ થશે. જીવનસાથી સાથે અમુક મતભેદો થઈ શકે છે પરંતુ તમે તમારી સમજણ વડે આ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી લેશો.
મીન લગ્નઃ
મીન લગ્નવાળા જાતકો માટે શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. તમારા જીવનમાં સંઘર્ષ અને મહેનત વધી જશે અને તમને તમારી જિંદગીની વાસ્તવિકતા ખબર પડશે. આ સમય દરમિયાન તમારા પોતાના લોકો પણ તમારાથી દૂર થઈ જશે અને અમુક એવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે જેના વિશે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. કોઈ વાતને કારણે જીવનસાથી સાથે અંતર વધી શકે છે. નવું કામ કરતા પહેલા કોઈ સીનિયરની સલાહ અવશ્ય લેવી. વ્યવસાયમાં કોઈ મોટા રોકાણ માટે સમજી વિચારીને જ આગળ વધવું. વિદેશ વ્યાપાર માટે આ સમય અનુકૂળ છે.
વડોદરાના હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના રહસ્યમય મોત અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો ખુલાસો થતાં જ હરિભક્તોમાં ચકચાર મચી જવા પામી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુણાતીત સ્વામી દ્વારા આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બે અલગ-અલગ ટીમો બનાવી આ મામલે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુણાતીત સ્વામીએ ગત રોજ સાંજે 7.30 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધન અને વૈભવની દ્રષ્ટિએ આ દિવસથી વધુ શુભ સમય કોઈ નથી. લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે તમારે પંચાંગ જોવાની કે મુહૂર્ત જાણવાની જરૂર નથી. અક્ષય તૃતીયા પર તમે જે પણ કરો છો, તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે. એટલે કે જો તમે ખરીદી કરો છો તો તમારું ધન અનેક ગણું વધી જાય છે. જો તમે દાન કરો છો તો તમને અક્ષય પુણ્ય મળે છે અને તે અક્ષય ફળના રૂપે તમારી પાસે પાછું આવે છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. મહિલાઓ આ દિવસે સોનાના ઘરેણા ખરીદે છે કારણ કે તેમ કરવાથી તેમના જીવનમાં વારંવાર ઘરેણાં ખરીદવાનો શુભ પ્રસંગ આવે. આજે અમે તમને જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસમાં એવું શું છે જેને કારણે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે.
કોરોનાના પ્રતિબંધોના કારણે છેલ્લા બે વર્ષથી મોકૂફ રાખેલી માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા આ વર્ષે ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે. યાત્રા કાઢવાની પરવાનગી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવવા છતાં તેના નક્કી કરાયેલ સમય મર્યાદા માટે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યાત્રાનો ઉત્સાહ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સમય મર્યાદાને કારણે આર્થિક આવક પર અસર પડશે, એવું વેપારીઓનું કહેવું છે.
દહાણું તાલુકાના મહાલક્ષ્મી માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત, પાલઘર, દાદરા નગર હવેલી અને નાસિક વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. હાલમાં ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. કોરોના પ્રતિબંધોને લીધે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હોવાના કારણે મંદિર વિસ્તાર તેમ જ બહારગામથી આવેલા ફેરિયાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એક બાજુ, આ વર્ષે યાત્રા શરૂ થતા વેપારીઓ ખુશ છે, તો બીજી તરફ તેની સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે.
પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરી દીધો છે. તેથી વેપારીઓ યાત્રાની સમય મર્યાદાને લઇને ચિંતિત છે કે સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે અને માલનું વેચાણ થશે કે કેમ. જો આ સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો વેપારી માટે કર્મચારીઓને પગાર અને વીજળીના બિલની ચૂકવણી કરવી પણ શક્ય બનશે નહીં. વેપારીઓ માગ કરી રહ્યા છે કે જિલ્લા વહિવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.