આધ્યાત્મિક Archives - Page 8 of 37 - CIA Live

September 25, 2022
chardham.jpg
1min496

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ચારધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી હતી. ૪૦૦ જેટલાં યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આમાંથી મોટાભાગના યાત્રાળુઓ રાજસ્થાનના છે. ઉત્તર ભારતમાં હજુય વરસાદની આગાહી કરવામાં આવી છે. યેલ્લો એલર્ટ જારી કરાયો છે.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલન થયું હતું, ત્યાં ૪૦ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જિલ્લા સરકારી તંત્રએ આખા રસ્તા પર તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ઉત્તરકાશીમાં ગંગોત્રીધામથી પાછા ફરતા ૪૦૦ યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાઈ ગયા હતા. એક મોટી પહાડીમાંથી ભૂસ્ખલન થયું હતું, તેનો વીડિયો પણ યાત્રાળુએ બનાવ્યો હતો. જોકે, સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ભારે વરસાદ અને ભૂસ્ખલન પછી જ્યાં સુધી રસ્તો ચાલુ ન થાય ત્યાં સુધી ચારધામ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. ચારધામ માટે નીકળેલા યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ સરકારે આપી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં યેલ્લો એલર્ટ જારી કરાયો હતો. ઉત્તર ભારતની કેટલીય નદીઓમાં પાણીનો જથ્થો વધી ગયો હતો, તેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ચોમાસું પાક હજુ ઉતાર્યો નથી. ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી હતી. રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ આસામ, મેઘાલય, અરૂણાચલ, બિહાર સહિતના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા.

બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. કેટલાય રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા. ગુરૂગ્રામમાં એક કેબ સર્વિસ રોડમાં ફસાઈ ગઈ હતી. કેબમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં કેબમાં સવાર પેસેન્જરે છતમાં ચડવું પડયું હતું. એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક પોલીસે ડિવાઈડર, ડાઈવર્ઝન વગેરેની એડવાઈઝરી બહાર પાડી હતી. મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો. જોકે, પાણી ભરાયા ન હોવાથી જાહેર પરિવહનને કોઈ અસર પહોંચી ન હતી.

September 14, 2022
amba-1280x1700.jpg
1min599

શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આ વખતે નવરાત્રી પર એવા સંયોગ બની રહ્યા છે જેના લીધે નવ દિવસનો પર્વ રહેશે અને દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ હોય છે ઘટ સ્થાપના, જેને કુંભ મૂકવો અથવા કળશ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીના (Navratri 2022) પહેલા દિવસે અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ મૂકવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનાથી નવરાત્રી પર માતાની ઉપાસના સફળ અને સિદ્ધિદાયક થાય છે.

અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી શરૂઆત 26 ઓગસ્ટથી થશે. સવારે 3.23 મિનિટથી પ્રતિપદા તિથિ શરૂ થશે. સવારે 7.30 કલાકથી 9 વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. સવારે 6.11થી 7.41 સુધી અમૃત ચોઘડિયું છે. સવારે 9.12 કલાકથી લઈને 10.42 વાગ્યા સુધી શુભ ચોઘડિયું. તેવામાં સવારે 6.11 વાગ્યાથી 7.30 મિનિટની વચ્ચે અને પછી 9.12 વાગ્યાથી 10.42 કલાકની વચ્ચે કળશ સ્થાપના કરવું ખૂબ જ શુભ રહેશે. જો આ વિશેષ શુભ મુહુર્તમાં કળશ ન મૂકી શકો તો અભિજીત મુહૂર્તમાં 11.48 મિનિટથી લઈને 12.36 મિનિટની વચ્ચે ઘટ સ્થાપના કરી શકો છો.

આ વખતે નવરાત્રી પર અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી સવારે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ રહેશે. આ સાથે જ અમૃત સિદ્ધિ યોગ પણ પ્રભાવમાં રહેશે. સૌથી ઉત્તમ સંયોગ એ છે કે હસ્ત નક્ષત્ર આ દિવસે પૂરું થશે. માતા દુર્ગા હાથી પર પોતાના દિવ્ય લોકથી ધરતી પર આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. સ્કંદ માતાને સ્વામી કાર્તિકેયના માતા કહેવામાં આવે છે. તેવી માન્યતા છે કે જે પણ ભક્ત સ્કંદ માતાની પૂજા કરે છે તેમના સંતાનને હંમેશા સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવાથી તમારા સંતાનના તમામ કષ્ટ દૂર થશે અને કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળશે. 2 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જેમાં પૂજા કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાંથી અસુરરુપી ખરાબીઓનો અંત આવશે. પહેલી તેમજ ત્રીજી ઓક્ટોબરે રવિ યોગ થઈ રહ્યો છે. રવિ યોગનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે અને આ શુભ યોગમાં પૂજા કરવાથી તમારા જીવનમાંથી તમામ પ્રકારના અંધકાર દૂર થશે. રવિ યોગમાં મા ભગવતીની પૂજા આરાધના શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે રવિ યોગમાં મા કૂષ્ટામાંડા, મા કાત્યાયની અને મહાગૌરીની પૂજા ભક્તો માટે શુભ ફળદાયી થવાની છે. જો તમારા મનમાં કોઈ પણ મનોકામના બાકી છે તો તેને શુભ તિથિ પર મા ભગવતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો.

September 13, 2022
angaraki.png
1min479

વિક્રમ સંવંત ૨૦૭૮ની અંતિમ અંગારકી ચોથ

-ગણેશ મંદિરોમાં ભક્તો ઉમટશે : ગણપતિ અથર્વશીર્ષ, ગણપતિ સ્તોત્રના પઠનનું મહાત્મ્ય

ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આવતીકાલે ઉત્તમ દિવસ છે.આવતીકાલે ૨૧ ચોથ કર્યાનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.આવતીકાલે રાત્રે ૮ઃ૫૨ના ચંદ્રોદય છે.

વિક્રમ સંવંત ૨૦૭૮માં કુલ ૩ અંગારકી સંકષ્ટ ચતુર્થી આવે છે. જે પૈકીની પ્રથમ ૨૧ નવેમ્બરના આવી હતી જ્યારે બીજી ૧૯ એપ્રિલના હતી. હવે આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૮ની  અંતિમ અંગારકી ચોથ છે. આવતીકાલના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. ૨૧, ૫૧ કે ૧૦૮ વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.

August 31, 2022
siddhivinayak_Mumbai.jpg
1min729

દેશભરમાં આજે 31મી ઓગસ્ટ બુધવારથી ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર આ વખત ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય સુરત, ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મુંબઇ, પૂણે, નાગપુર સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવની ભારે ધૂમ છે.

સીઆઇએ લાઇવ વેબસાઇટ તેમના વાચકો માટે મુંબઇના પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે અહીં લાઇવ દર્શનની વ્યવસ્થા કરી છે.

મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણેશ ઉત્સવ દરમિયન તમે ઘરબેઠાં દરરોજ મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનનો કરો…

સિદ્ધિ વિનાયક મંદિરના Live દર્શન..

August 31, 2022
ganapati-1280x720.jpg
1min476

દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.

ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.

વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. 

August 29, 2022
garba.jpg
1min526

પારંપરિક નૃત્યનો અવિનાશી સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ સંભવ

યુનેસ્કોની હેરિટેજ યાદી માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે ગુજરાતના વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત (અવિનાશી) સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કર્યા છે.

અધિકારી સૂત્રો અનુસાર આગામી વર્ષે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગત વર્ષ ડિસેમ્બરમાં કોલકત્તાના દુર્ગાપૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાનાં નોમિનેશન કરવા સાથે જોડાયેલી વિગતો પ્રસ્તુત કરી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોએ વર્ષ ર003નાં સંમેલનની આંતર સરકારી સમિતિએ કોલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું હતું.

કર્ટિસે કહ્યંy કે આગામી વર્ષ માટે નવીનતમ નામાંકન પર વિચાર કરાશે અને ર0ર3ના મધ્ય સુધીમાં નામાંકન ફાઇલનની તપાસ કરાશે ત્યાર બાદ વર્ષના અંત સુધીમાં નામો પર આખરી ફેંસલો આવી જશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી. જેનું શીર્ષક હતું – ગુજરાતના ગરબા : ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ. વર્તમાન સમયમાં યૂનેસ્કોની આ યાદીમાં ભારતના 14 સાંસ્કૃતિક વારસા તત્ત્વ સામેલ છે જેમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભમેળો, દુર્ગાપૂજા વગેરે સામેલ છે.

August 19, 2022
krishna.jpg
1min514

દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદ, સુરત સહિતના ક્રિષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ

 બે વર્ષના અંતરાલ બાદ આજે તા.19મી ઓગસ્ટ 2022ના રોજ વહેલી પરોઢથી જ ગુજરાતનાં કૃષ્ણમંદિરોમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.

કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી માટે દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં તેમ જ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભાવિકો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.

કોરોનાના કારણે બે વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવણી થઈ શકી નહોતી, જેથી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભાવિકોમાં ઉત્સાહ છે.

દ્વારકામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ

દ્વારકામાં જન્માષ્ટમી પર્વ સુખરૂપ રીતે ઊજવાય એ માટે ૧૨૦૦થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યા છે. દ્વારકામાં ભાવિકોને કીર્તિ સ્તંભથી એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ૫૬ સીડી થઈને મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં ૨૦ ફુટનો સભામંડપ પણ બનાવાયો છે, જ્યાંથી પ્રભુની ઝાંખી થઈ શકશે.

સિનિયર સિટિઝન્સ માટે પોલીસની ‘સી’ ટીમ તૈયાર હશે અને એ વ્હીલચૅરમાં લઈ જઈને તેમને દર્શન કરાવશે. મંદિરમાં મોબાઇલ કે કૅમેરા અલાઉ નથી.

શામળાજીમાં ચૂસ્ત વ્યવસ્થાતંત્ર

શામળાજી મંદિરના મૅનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે ‘પ્રભુના જન્મોત્સવની તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તિભાવથી જન્માષ્ટમી પર્વની ઉજવણી મંદિરમાં થશે. આ પ્રસંગે સમગ્ર મંદિર તેમ જ ગામને આસોપાલવના અને આંબાના તોરણથી શણગારવામા આવશે. બપોરે વરઘોડો નીકળશે અને મટકીફોડનો કાર્યક્રમ યોજાશે, જ્યારે રાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઊજવાશે.’


અમદાવાદમાં આવેલા ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ભાગવતઋષિએ કહ્યું કે ‘અહીં મંદિરમાં બે દિવસ પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે વહેલી સવારથી જ જન્માષ્ટમી પર્વને અનૂરૂપ ઉજવણી શરૂ થઇ ચૂકી છે જે આખો દિવસ ચાલશે. ધાર્મિક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને બીજા દિવસે નંદ મહોત્સવ ઊજવાશે.

August 5, 2022
rakhi1.jpg
1min465

-આ વખતે સાંજે ૫ઃ૧૭થી રાત્રે ૮ઃ૫૧ ભદ્રા : રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન પણ રાખડી બાંધી શકાશે

શ્રાવણ સુદ પૂનમ આગામી ૧૧ ઓગસ્ટ-ગુરુવારે છે ત્યારે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ વખતે સવારે ૧૧ઃ૦૭થી બપોરે ૨ઃ૨૨ અને રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન જ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.

રક્ષાબંધનમાં દર વખતે કંઈ ને કંઈ વિઘ્નો તેમજ ભદ્રા વિષ્ટિ  યોગને કારણે મુહૂર્તમાં ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાય છે કે ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે  તેને અશુભ ફળ મળશે. આમ  રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી.

જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘આ વર્ષે  શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધને સાંજે 5.17 પહેલા જ  રાખડી બાંધવી જોઇએ અને તે સમય માં ના થઈ શકે તો રાત્રે  ૮ઃ૫૧ એ ભદ્રા સમાપ્ત  થઈ જાય પછી પણ કરી શકાય. 

જો શુભ સમયની વાત કરીએ તો  ૧૧ ઓગસ્ટે સવારે  ૯ઃ૩૫  થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે ૭ઃ૧૭ એ પૂર્ણ થશે. તેથી ૧૨ ઓગસ્ટ દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દિવસે રક્ષાબંધન ઉજવાશે. ‘

July 16, 2022
shravan.jpg
1min440

વરિષ્ઠા વડિલોની અનોખી વંદના માટે અમલી શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50% રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બે માંથી જે ઓછું હોય તેની 75% કે તેથી વધુ રકમની સહાય અપાશે.

સિનિયર સિટીઝન્સોને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ થયો હતો. યોજનામાં કરાયેલા અન્ય ફેરફારો અનુસાર ગુજરાતના યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (60 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો. જેના બદલે હવે ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક એટેન્ડન્ટને તે 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઇ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઇ જઇ શકશે.

July 8, 2022
hindu_chaturmas.jpg
1min563

આગામી ૧૦ જુલાઇના અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. હિંદુ ચાતુર્માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની હેલી સર્જાશે. હવે આગામી ૮, ૯ જુલાઇના લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. હિંદુ ચાતુર્માસ સાથે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આગામી ચાર નવેમ્બરના કારતક સુદ એકાદશી સાથે ચાતુર્માસની પૂર્ણાહૂતિ થશે. 

હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ  કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. હવે ૯ જુલાઇ બાદ નવેમ્બરમાં ૨૫-૨૬-૨૭-૨૮ જ્યારે ડિસેમ્બરમાં ૨-૩-૭-૯-૧૩-૧૪ના લગ્ન માટેના શુભ મુહૂર્ત આવશે. આમ, વર્ષ ૨૦૨૨માં હવે લગ્ન માટેના કુલ માત્ર ૧૨ શુભ મુહૂર્ત છે.

અ ષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને હિન્દુ ધર્મમાં સૌ ચાતુર્માસ તરીકે ઉજવે છે. આ ચાતુર્માસ દરમ્યાન અનેક તહેવારો- ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ચાતુર્માસમાં મંદિરોમાં દર્શન- ભજન- કથા- કીર્તન- અભિષેક- આદિ કાર્યક્રમો યોજાય છે અને અનેક ભક્તો ભક્તિનાપૂરમાં રસતરબોળ બને છે.

કુમકુ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વતિની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરવા એ હિતાવહ માનવામાં આવે છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં હોય છે.’