51 Shaktipeeth Parikrama Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થતાં જ રાજ્ય અને દેશભરમાંથી હજારો ભક્તજનો પરિવાર સમેત ઉમટી પડ્યા હતા.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સીએમ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.
સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરી ગબ્બર પર્વત ખાતે લાઈટ અને સાઉન્ડ શૉ ખુલ્લો મુક્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 13.35 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.
ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
















