CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 36 of 36 - CIA Live

June 4, 2018
neet1.jpg
1min23740

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 2, 2018
trump-kim2.jpg
1min13980

સમગ્ર વિશ્વમાં છેલ્લા એક  વર્ષથી ગમે ત્યારે વિશ્વના દેશોમાં અંધાધૂંધી મચે એવી ભીંતી અમેરિકા અને ઉત્તર કોરીયાના વણસી ગયેલા સંબંધોને કારણે સેવાય રહી છે. ઉત્તર કોરીયાના માથાભારે પ્રમુખ કિમ જોંગ ઉન છાશવારે અમેરિકાની ઉશ્કેરણી કરતા નિવેદનો કરે અને યુએસ પ્રેસિડેન્ટ તેનો જવાબ આપે, આવો એકાદ વર્ષથી ચાલી આવતો સિલસિલો આખરે બદલાય રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કિમ જોંગ ઉન સાથે 12 જૂનના સિંગાપોરમાં મુલાકાત કરવાની વાતને મોહર લગાવી છે. ટ્રમ્પે તા.1લી જુને કહ્યું હતું કે અગાઉ અમેરિકા ઉત્તર કોરિયા સાથે યોજાનાર બેઠકમાંથી પાછળ ખસી ગયું હતું, પરંતુ હવે આ બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ 12 જૂન 2018ના રોજ સિંગાપોરમાં જ યોજાશે.

ઓવલ કચેરી ખાતે ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની લોનમાં પત્રકારોને જણાવ્યું કે આ બેઠક ઘણી સફળ નિવડશે તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્યોંગયાંગ સામે દુશ્મનાવટનો આક્ષેપ કર્યો હતો અને તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની સિંગાપોર સમિટને રદ્દ કરી હતી. જો કે 24 કલાકમાં જ ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે સાર્થક વાતચીત બાદ તેઓ સમિટ અંગે નિર્ણય લેશે અને સમિટ નિશ્ચિત સમયે યોજાઈ શકે છે. હવે ટ્રમ્પે 12 જૂને સમિટ યોજવાની ખાતરી આપી છે. બન્ને દેશોના વડા માટે આ બેઠક ઐતિહાસિક પુરવાર થશે.

June 2, 2018
rt1.jpg
1min15550

મનસે દ્વારા 36 વિધાનસભા વિસ્તારમાં એક દિવસ માટે નાગરિકોને દરેક વિસ્તારના ચોક્કસ પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે

રાજકીય નેતાઓના બર્થ ડે હોય એટલે તેમના અનુયાયીઓથી લઇને સામાન્ય નાગરિકોને અત્યાર સુધી મીઠાઇ કે ભોજન મળતા, પણ હવે રાજ ઠાકરેના મનસેએ નવી ચીલો ચાતરવાની શરૂઆત કરી છે. મનસે દ્વારા આગામી તા.14મી જૂનના રોજ તેમના સુપ્રીમો રાજ ઠાકરેના જન્મ દિવસે મુંબઇગરાઓને અેવી ગીફ્ટ આપવાનું એલાન કર્યુ છે જેનાથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાશે. પેટ્રોલના ભાવો હાલ જ્યારે ભડકે બળી રહ્યા છે, બેકાબૂ બન્યા છે તેવા સંજોગોમાં આ બર્નિંગ ઇશ્યુને લઇને મનસેએ ઘોષણા કરી છે કે આગામી તા. ૧૪ જૂને MNS અધ્યક્ષ રાજ ઠાકરેનો બર્થ-ડે છે અને એ નિમિતે MNSએ નાગરિકોને ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપીને તેમનો બર્થ-ડે ઊજવવાનું નક્કી કર્યું છે.

એક દિવસ માટે MNS નાગરિકોને હાલના પેટ્રોલના ભાવ કરતાં ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપશે. મુંબઈના ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રત્યેકમાં એક પેટ્રોલ-પમ્પ પર આ છૂટ આપવામાં આવશે.

MNSના સરચિટણીસ સંદીપ દેશપાંડેએ આ માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલના ભાવ ઓછા કરવામાં નિષ્ફળ નીવડી હોવાની ટીકા પણ MNSએ કરી હતી અને એટલા જ માટે અનોખી રીતે પોતાના અધ્યક્ષ રાજ ઠાકરેનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

June 2, 2018
cbdt1.jpeg
1min13680

બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર

દાયકાઓ અગાઉ એટલે કે જૂના જમાનામાં જેની બોલબાલા હતી અને જે સ્કીમ અન્વયે બાતમીદારોએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કાળુ નાણું હોવાની બાતમી આપીને લાખો રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું એ બાતમીદાર સ્કીમને ફરીથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અપનાવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેનામી ટ્રાન્ઝેકશન કે બેનામી પ્રોપર્ટી વિશેની ‘ગુપ્ત બાતમી’ આપનારને ₹ એક કરોડ સુધીનો રિવોર્ડ મળશે. એ જ રીતે વિદેશમાં નાણાં ગોઠવનારાની ‘ગુપ્ત બાતમી’ આપનારને પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલી અજય દેવગણની ફિલ્મ રેઇડ માં પણ બાતમીદારે આપેલી માહિતીને આધારે જ સર્ચ ઓપરેશ  હાથ ધરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ કરોડોની બ્લેક મનીનો દલ્લો ઝડપી પાડ્યો હતો.

સાથો સાથ ‘ઈન્કમ ટેક્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ’ માં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧ હેઠળ પગલાં લઈ શકાય એવા ભારતમાં આવક કે એસેટોમાં મોટાપાયે કરચોરી થઈ હોય એવા કેસોની ‘ચોક્કસ બાતમી’ આપનારને રૂા. ૫૦ લાખ સુધીનું ઈનામ મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તા.1લી જુન 2018ના રોજ બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ કોઈપણ પ્રકારની બેનામી ટ્રાન્ઝેકશનો અને પ્રોપર્ટીઓ વિશે વિદેશીઓ સહિત કોઈપણ વ્યક્તિ જોઈન્ટ કે એડિશનલ કમિશનરોને ગુપ્ત માહિતી આપી શકે છે. આવા ટ્રાન્ઝેકશનો કરનારાઓ સામે બેનામી ટ્રાન્ઝેકશન્સ (પ્રોહિબિશન) એેમેન્ડેડ એક્ટ – ૨૦૧૬ હેઠળ કામ ચલાવી શકાશે.

CBDTએ જણાવ્યું હતું કે છુપા રોકાણકારો અને લાભ ખાટનારા પ્રોપર્ટી માલિકોએ કરેલી કમાણી તેમ જ બેનામી ટ્રાન્ઝેકશનો તેમ જ પ્રોપર્ટીઓની છુપી માહિતી આપવા માટે લોકોને પ્રોત્સાહન કરવાના આશયથી આ રિવોર્ડ સ્કીમ બનાવાઈ છે.

૨૦૧૮ની બેનામી ટ્રાન્ઝેકશન્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ હેઠળ બેનામી ટ્રાન્ઝેકશનો તથા પ્રોપર્ટીઓ વિશેની ચોક્કસ માહિતી છે એમાંથી કરવામાં આવેલી કમાણી વિશેની સ્પષ્ટ ચોક્કસ માહિતી જોઈન્ટ અથવા એડિશનલ કમિશનરો (બેનામી પ્રોહિબિશન યુનિટ્સ-બીપીયુ)ને આપનારી વ્યક્તિ રૂા. એક કરોડ સુધીનું ઈનામ મેળવી શકશે. આ તમામ ઈનામી સ્કીમ માટે માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.

June 1, 2018
rutu1.jpg
1min16920

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

June 1, 2018
v3.jpg
1min49390

આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત માટે ગૌરવવંતી બાબત એ છે કે સુરતમાં 1975થી દૂધ અને દૂધ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી જૂની અને જાણીતી વિજય ડેરીને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા દબદબાભર્યા કાર્યક્રમમાં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો છે. વિજય ડેરી વતી તેમના મેનેજમેન્ટના શ્રી પિયુષભાઇ પટેલએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચ એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર હસબન્ડરી, ડેરીઇંગ એન્ડ ફિશરીઝ દ્વારા સમગ્ર ભારત સ્તરે રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવે છે અને આ મિશનના ભાગરૂપે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરી દ્વારા સંચાલિત શ્રી હરી નાણજી ફાર્મના સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે.

આજે વિશ્વ મિલ્ક ડે નિમિતે દિલ્હી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સુરતની વિજય ડેરીના શ્રી પિયુષભાઇ પટેલને સમગ્ર દેશની ટોચની ડેરીઓના સંચાલકોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય રહેવા બદલ રૂ.3 લાખનું ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે તા.1લી જૂન શુક્રવારે યોજાયેલા દબદબાભર્યા સન્માન સમારોહમાં દેશભરના ટોચના ડેરી ઉત્પાદકોની હાજરીમાં સુરતની વિજય ડેરીના માલિક શ્રી પિયુષભાઇ પટેલને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ લીધા બાદ સુરતની વિજય ડેરીના શ્રી પિયુષ પટેલે સમારોહને સંબોધન કર્યું હતું.

 

સુરતની વિજય ડેરીને શ્રી હરી નારણ ફાર્મના સંચાલન બદલ જે એવોર્ડ અપાયો તેનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિજય ડેરીના શ્રી પિયુષ પટેલ એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવા માટે જુદા જુદા ક્રાઇટેરીયા હોય છે જેમાં પશુપાલન એરીયાની સ્વચ્છતા, તેમનો આહાર, તેમનો ઉછેર, વાતાવરણ, રસીકરણ વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

June 1, 2018
gseb.png
1min12570

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

June 1, 2018
Gujarat-Police.jpg
1min16080
માફીયા કીંગ દાઉદનો ડાબો હાથ સમાન અને 1992 મુંબઈ બ્લાસ્ટના કેસોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભાગતા ફરતા અહેમદ મોહમ્મદ ઉર્ફે અહેમદ લંબૂને એક લાંબા સમયથી ચાલી આવતા ઓપરેશનના અંતે ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે.
બોમ્બે બોંબ બ્લાસ્ટ કેસમાં નાસતા-ફરતા આરોપી અહેમદ લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ લાંબા સમયથી નોટિસ જાહેર કરી છે. એટલું જ નહીં પણ અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને  રૂ.પાંચ લાખનું ઇનામ પણ આપવાનું એલાન થઇ ચૂક્યું છે છતાં અહેમદ લંબૂ હાથ આવતો ન હતો. અહેમદ લંબૂ અંગે જુદા જુદા રાજ્યોની પોલીસને અનેક નાની મોટી બાતમીઓ પણ નિયમિત રીતે મળતી રહેતી હતી પરંતુ, તેને પકડી શકાયો ન હતો.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ છેવાડે વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તા.31મી મેના રોજ રાત્રે આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને કામ્યાબી મળી છે અને લાંબા સમયથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ લંબૂને ઝબ્બે કરવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
June 1, 2018
gas.jpg
1min13720

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14530

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.