વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.
રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.


