અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત