CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 35 of 36 - CIA Live

July 17, 2018
bhujmp1.jpg
1min5820

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં હજુ સુધી વરસાદ ન થતાં ચિંતા ફેલાઇ છે. એક તરફ અષાઢી બીજનું શુકન પણ ન સચવાયું અને બીજી તરફ પશુ અને ખેતીને ધ્યાને રાખી કચ્છમાં પાણીની વિકટ સ્થિતિ છે ત્યારે કચ્છી લોકો પણ ઇચ્છી રહ્યા છે. કે કચ્છમાં પણ હવે સચરાચર વરસાદ થાય ત્યારે વરુણદેવને રીઝવવા માટે લોકોએ પ્રાર્થનાનો દોર શરૂ કર્યો છે.

 

પહેલા નખત્રાણામાં વરસાદ માટે યજ્ઞ યોજાયા બાદ સોમવારે ભુજ ખાતેના ખારીનદી સ્મશાનગૃહ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવના સાંનિધ્યમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સારા વરસાદ માટે યજ્ઞનુ આયોજન કર્યું હતું. સામાન્ય રીતે કચ્છમાં અષાઢી બીજના અમીછાંટણા સાથે વરસાદનુ શુકન સચવાય છે, પરંતુ આ વખતે વરસાદ ન પડતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતુ. અને આજે વિવિધ સંસ્થાઓના સહયોગ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ યજ્ઞ કરાયો હતો જેમાં હાજર રહેલાઓએ આહુતી આપવા સાથે ભૂતનાથ મહાદેવ પાસે નોંધપાત્ર વરસાદની પ્રાર્થના કરી હતી. ંકચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રમુખ અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના સ્થાનિક લોકો પણ આ યજ્ઞમા જોડાયા હતા.

July 16, 2018
vadtal.jpg
1min6460

નડિયાદ સેશન્સ કોર્ટે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના કેસમાં અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

વડતાલ ખાતેથી મળતી માહિતી મુજબ આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી કેમકે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદો આવવાનો હતો. અગાઉ સુનાવણી વખતે મુદત પડતા કોર્ટે 16 જુલાઈ પર સુનાવણી મુલતવી રાખી હતી.

કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નડીયાદ સેસન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો પણ આદેશ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.

નડીયાદ સેસન્સ કોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અજેન્દ્રપ્રસાદને 7 દિવસની સજા ફટકારવાનો પણ આદેશ કર્યો છે.

2003માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્ર પ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

 

July 14, 2018
thermo3.jpg
1min10910

મહારાષ્ટ્રના આગામી ગણપતિના તહેવાર દરમિયાન થર્મોકોલ અને તેની બનાવટની ડેકોરેશન આયટમ પરનો પ્રતિબંધ હળવો કરવાનો હાઇ કોર્ટે ઇનકાર કર્યો હતો.

ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે થર્મોકોલ ફેબ્રિકેટર એન્ડ ડેકોરેશન એસોસિયેશનનો થર્મોકોલ પરનો પ્રતિબંધ ફક્ત આ વર્ષ માટે હળવો કરવા હાઇ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હતી. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન અને વપરાશ પર રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થર્મોકોલની વસ્તુઓને બજારમાં વેચવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તો એસોસિયેશનના સભ્યોને ઘણું નુક્સાન થશે. થર્મોકોલનો નિકાલ પણ તેઓ જ કરશે એવી એસોસિયેશને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી.

રાજ્ય સરકારે એસોસિયેશનની અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુું કે સરકારે 23 જૂન સુધીમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની સામગ્રીનો નિકાલ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસોસિયેશને તેમની પાસેની વસ્તુઓનો નિકાલ નથી કર્યો અને તેઓ હવે પ્રતિબંધ હળવો કરવા માગ કરી રહ્યા છે.

સરકારની દલીલોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રોજનો 1200 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને તેના વૈજ્ઞાનિક રીતે નિકાલની કોઇ વ્યવસ્થા કે આયોજન નથી. પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી માઠી અસરોને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ હાઇ કોર્ટે નોંધ્યું હતું.

ગણપતિનો તહેવાર પતી ગયા બાદ લોકો પાસેથી થર્મોકોલની વસ્તુઓ પાછી લઇ લેવામાં આવશે અને તેનો નિકાલ કરી દેવામાં આવશે, એવી એસોસિયેશનની દલીલ સ્વીકારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. થર્મોકોલની સુશોભનની આઇટમોમાં વર્ષાનુવર્ષ વધારો જ થતો જાય છે. આ વર્ષના માર્ચ મહિનામાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સરકારના આ પ્રતિબંધને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં હાઇ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓનો નિકાલ કરવા 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

જે કોઇ આ પ્રતિબંધનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે અને વારંવાર ભંગ કરનારાઓને જેલની સજા કરવામાં આવશે.

July 14, 2018
rath3.jpg
1min8470

અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત
July 13, 2018
gaya2.jpg
1min6330

પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે બિહારના ગયા જિલ્લાના બુધપુર ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.

એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે.

July 10, 2018
rathyatra.jpg
1min6050

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે, એવું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Ahmedabad: A priest performs worship of Lord Jagnnath inside Jagnnath Temple, ahead of Annual Rath Yatra procession in Ahmedabad on Monday. PTI Photo (PTI7_4_2016_000216B)

તા.14મી જુલાઇના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે તા.9મી જુલાઇએ ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે.

અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરાશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 117, અન્ય દેવી-દેવતાઓની 47 મળી કુલ 164 રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં 15 જિલ્લામાં મોટી જનમેદનીવાળી 18 સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમ જ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, રાજ્યના ડી.જી.પી. શીવાનંદ ઝા, એડિશનલ ડી.જી.પી. વી.એમ.પારઘી, સી.આઇ.ડી. ઇન્ટેલીજન્સના ઇન્ચાર્જ ડી.જી.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૂરી પરામર્શ કર્યો હતો.

June 28, 2018
rath.jpg
1min16180

અમદાવાદની ઐતિહાસિક 141મી રથયાત્રા પહેલા જળયાત્રા કરવામાં આવી હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી સાબરમતીના કિનારા સુધી 108 કળશ સાથે કરાઈ હતી. અને મંદિરે પરત ફરી હતી આ જળયાત્રામાં રાજકીય માહનુભાવોઓની સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તોની સાથે શણગારેલા બળદગાડાઓ, ભજન મંડળી, વગેરે જોડાયા હતા.

June 26, 2018
jalyatra.jpg
1min12800

અમદાવાદનાં નગરદેવતા જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતેથી નીકળનારી જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ૧૦૮ કળશ કે જેમાં જળ ભરીને લાવવામાં આવે છે. રથયાત્રા માટેના ઉપરણાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તા.૨૮મી જૂને ‘જળયાત્રા મહોત્સવ’ ઉજવાશે.  ‘જળયાત્રા મહોત્સવ’ જેઠ સુદ પૂર્ણિમા, તા.૨૮મી જૂને ઉજવાશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરેથી મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા સવારે ૮ વાગ્યે થશે. સવારે ૮.૩૦ વાગ્યે નદીએથી ૧૦૮ કળશમાં જળભરીને મંદિરમાં લાવવામાં આવશે-ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા સવારે ૧૧ વાગ્યે ગજવેશ શણગારના દર્શન થશે.

આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વચન થશે. મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો, સાંસદ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, મંદિરમાં જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રથયાત્રા માટે ઉપરણા બનાવવાનું કાર્ય મંદિરના સ્વયંસેવકો દ્વારા ચાલી રહ્યું છે.

જ્યારે ઉપરણાના પ્રસાદ અંગે તેમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ દરમિયાન આ ઉપરણા આંખે બાંધવામાં આવતા હોય છે. જેનાથી તેઓ સ્વસ્થ બને છે. માટે મંદિર દ્વારા ભગવાનની નિજ પ્રસાદીરૂપ આ ઉપરણા અષાઢી બીજે- ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યા માટે નીકળે છે ત્યારે માર્ગમાં વહેંચવામાં આવે છે. આ ઉપરણા મંદિરમાં જ, સ્વયંસેવકો દ્વારા જ તૈયાર થયેલા હોય છે. જેની તૈયારી રથયાત્રાનાં ૨૦-૨૫ દિવસ પૂર્વે મંદિર દ્વારા શરૂ થઇ જાય છે. સાથોસાથ આ દોઢ  લાખ કરતાં વધુ ઉપરણા વહેંચવામાં આવે છે. સાથે જ રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર નીકળે છે ત્યારે ભગવાનનો પ્રસાદ ઉપરણા મેળવવા ભક્તોની પડાપડી થાય છે.

June 21, 2018
yog_Cr-1280x853.jpg
1min14360

સરસાણા ખાતે મંત્રીશ્રી, મેયર, કલેકટર સહિતના નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો 

 યોગએ વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ છે. ૨૧મી જૂનના અવસરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં પણ યોગદિનનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૬.૦૦ વાગે વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લામાં કુલ ૧૫ લાખથી વધુ લોકોએ યોગ કરીને યોગમય બન્યા હતા.

વેડરોડ ગુરૂકુલના બાળકોએ વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત યોગમુદ્રા સાથે ‘ભારતના નકશા’ની વિશાળ માનવાકૃત્તિ રચી

૨૧મી જૂન ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણી નિમિત્તે વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઇ સામૂહિક રીતે વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ નિદર્શન કરીને નિરોગી રહેવાનો અનોખો સંદેશો આપી પોતાનો દેશપ્રેમ પ્રગટ કરતા ગુરૂકુળના પ્રાંગણમાં ‘ભારતના નકશા’ની માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

 

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15160

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.