આ વખતે 2018ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થયાને હજુ ફક્ત 20 જ દિવસ થયા છે અને આટલા ઓછા દિવસોમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું હોવાના અહેવાલોએ શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને અમરનાથયાત્રાના છેલ્લા તબક્કામાં દર્શને જઇ રહેલા યાત્રાળુઓમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. 20 જ દિવસમાં હિમલિંગ પીગળીને અડધું થઇ જવા પાછળનું કારણ એ છે કે અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસથી ઉદભવેલી ગરમી છે.

પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભક્તોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.
દર વર્ષે લાખો ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વૉર્મિેગનું કારણ પણ આપતા હોય છે.
1996માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફક્ત 75000 ભક્તોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ ક્યારેય અમલમાં ન મુકાયો.
વર્ષ 2013માં તો ફક્ત બે દિવસમાં જ 75000 ભક્તોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં 29 દિવસમાં સાડા ત્રણ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.
પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભક્તોની સંખ્યા વધવાની આડઅસર ફક્ત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બૉર્ડ ભક્તોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બૉર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભક્તોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્ર્વાસોશ્ર્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે. ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ 20 ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને 2-4 ફૂટનું રહી ગયું હતું.






















