શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી બે લાખ શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આજે ભક્તોના દર્શન માટે વહેલી સવારે ૪ વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા હતાં. નવરાત્રિના પહેલા નોરતે હાલોલના માર્ગો ઉપરથી પાવાગઢ તળેટી ડુંગર તરફ લાખોની સંખ્યામાં ભક્તોની વણઝાર જોવા મળી હતી.

જય મહાકાળીના જયધોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રોપ-વે ઉડન ખટોલાની સેવા માટે પરોઢે ત્રણ વાગે બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ-વે સેવા શરૂ કરાઇ હતી. પાવાગઢ ખાતે રાત્રિના ૧૧ કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરાશે. મંદિર જવાના પગથિયાં પાસે આવેલા બાવાબજારમાં ભારે ભીડ થતી હોઇ જ્યાં અગાઉ દોરડા બાંધી સંચાલન કરાતું હતું. ત્યાં લોખંડની રેલિંગ લગાવાઇ છે. સુરક્ષાના ભાગ રૂપે દુધિયા તળાવની ફરતે પણ રેલિંગ લગાવી થાંભલા ઊભા કરી લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.
પોલીસ તંત્ર દ્વારા માંચી તેમ જ ડુંગર પર ક્ધટ્રોલરૂમ ઊભા કરાયા છે. આકસ્મિક ઘટના માટે માચી ખાતે ૧૦૮.ફાયર બ્રિગેડ સહિત મેડિકલની ટીમ સટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
























