શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

(સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે તા.4 ઓક્ટોબર 2018ના રોજના માતાજીના દર્શન)
આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં તા.૧૦ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. એવું પણ કહેવાય છે કે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થતાં દેવી પક્ષનો પ્રારંભ થાય છે. કેમ કે આસો મહિનાની પ્રતિપદાથી લઈને નવ દિવસ, દસમા દિવસે વિજયા દશમી અને શરદ પૂર્ણિમાએ પણ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ નવરાત્રિને આસો નવરાત્રિ કે શરદ ઋતુમાં આવતી હોવાથી શારદીય નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને શક્તિ-સંચય માટેનું પર્વ પણ કહેવામાં આવે છે.
નવરાત્રિ દરમિયાન માતાજીના નવ-નવ અલગ-અલગ સ્વરૂપોની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
- પ્રથમ દિવસે શૈલપુત્રી,
- બીજા દિવસે બ્રહ્મચારિણી,
- ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
- ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
- પાંચમા દિવસે સ્કંદમાતા,
- છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
- સાતમા દિવસે કાલરાત્રિ,
- આઠમા દિવસે મહાગૌરી અને
- નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી
શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.
બંગાળી પરિવારો દુર્ગા પૂજા પણ કરશે
આ નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, સુરતમાં અંબિકાનિકેતન, અડાજણમાં શક્તિ નિકેતન સહિતનાં દેવી સ્થાનોએ જઈને માતાજીની ઉપાસના કરે છે. સાથે જ ગુજરાત-સુરતમાં વસતા બંગાળી પરિવારો પણ દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરતાં હોય છે. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરતાં હોય છે.
























