
A to Z of Sabrimala
ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? કાયદા નિષ્ણાતો અને આસ્થાવાન લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ કારણે દેશનો એક મોટો ભાગ અદાલતના નિર્ણય વિરુદ્ઘ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેનો નિર્ણય કોના પક્ષમાં જાય છે. જો કે આ બાબતે રાજકારણ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર વાદ વિવાદની વચ્ચે આપણે જાણીએ આખરે આ વિવાદ શરૂ ક્યાંથી થયો ?
સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. આ મંદિરમાં 10 થી 50 વર્ષની તથા રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પાછળ એવી માન્યતા છે કે મંદિરના મુખ્ય દેવતા અયપ્પા બ્રહ્મચારી હતા અને આવામાં મહિલાઓના પ્રવેશથી અયપ્પાનું ધ્યાન ભંગ થઈ શકે છે. અહીંયા નાની બાળકીએ તથા વૃદ્ધ મહિલાઓ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે, બાકીના સમયમાં મંદિર બંધ રહે છે. શ્રદ્ધાળુઓ માટે મકરસંક્રાતિનો દિવસ મહત્વનો હોય છે આ દિવસે મહત્તમ લોકો અહીં આવતા હોય છે.
800 વર્ષ જૂની પ્રથા પર દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે. હવે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ પણ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે. મંદિરની આ પ્રથાને અદાલતની એક બેન્ચે ગેરકાયદેસર જાહેર કરી છે.
કેરળ કોર્ટે 1991 અને 2015માં કહ્યું હતું કે સબરીમાલા મંદિરને તેમની પરંપરા જાળવવાનો અધિકાર છે. ત્યારબાદ અદાલતે કહ્યું કે મંદિરમાં પ્રવેશની રોક મહિલા હોવાના કારણે નહિ પરંતુ તેમની ઉંમર આધારિત છે. આ પરંપરામાં બદલાવ લાવવા એક વિદ્વાનોનું એક દળ બનાવવાની વાત કરી હતી. પરંતુ કેરળ સરકારના પોતાના ઍફિડેવિટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું.
પૌરાણિક કથા પ્રમાણે અયપ્પાને ભગવાન શિવ અને મોહિની ( વિષ્ણુજી નું એક સ્વરૂપ)ના પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. આ સિવાય ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે. અયપ્પાના દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જે પૈકી સબરીમાલા મુખ્ય તીર્થસ્થળ છે.
ગયા વર્ષે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 14માં આપેલા સમાનતાનાં અધિકાર, અનુચ્છેદ 15માં ધર્મ અને જાતિના આધારે ભેદભાવ રોકવા અને અનુચ્છેદ 17માં છૂત-અછૂત દૂર કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી પાંચ જજોની બેન્યને હવાલે કરી હતી. આ મામલે 7 નવેમ્બર 2016ના રોજ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને સુચિત કર્યું હતું કે તેઓ આ મંદિરમાં કોઈ પણ ઉંમરની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે.

























