બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી સોમનાથ મંદિરને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે. હજી આમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની ગણતરી બાકી છે. ત્યારે 2018ની મંદિરની કુલ આવક 40 કરોડને પાર થાય તેવું અનુમાન છે.
સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથિ ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશ પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.
વર્ષ 2018 દરમિયાન VIP શ્રદ્ધાળુનું આગમન પણ વધ્યું હતું. જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં અનેક મહાનુભાવો સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. તો મંદિર ખાતે ગત વર્ષે અનેક પ્રકારની સુવિધાઓમાં પણ વધારો કરાયો હતો. જેમાં ભોજનાલયથી માંડીને સમગ્ર મંદિર ખાતે સીસીટીવીનો પણ સમાવેશ થાય છે. અને યાત્રાળુઓ કોઈ પણ જાતની સમસ્યા વગર સોમનાથ મહાદેવના દર્શન કરે છે.



















