સૂર્યના આ મકર પ્રવેશને મકરસંક્રાંતિ કહે છે. વિક્રમ સંવત-૨૦૭૫માં તા.૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સાંજે ૭.૫૨ મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જોકે, મકર-સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરીના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે. મકરસંક્રાંતિએ ગુજરાતમાં પતંગોત્સવ પણ ઉજવાય છે અને ગુજરાતીઓ સાથોસાથ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને ગૌપૂજન પણ કરે છે. પતંગોત્સવ દરમિયાન દિવસભર સૂર્ય સમક્ષ જ રહેવાનું હોવાથી સૂર્ય-સ્નાન પણ આપોઆપ થઈ જતું હોય છે.

ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના દીર્ઘાયુ અપાવે છે. સાથોસાથ ધન-સંતાન-આરોગ્ય પણ અપાવે છે. માટે જ સૂર્ય નારાયણની ઉપાસના માટેનાં અનેક પર્વોમાંનું એક સામ્બ દશમી પણ છે. આ દિવસે સૂર્ય-નારાયણને અર્ઘ્ય અને ઓમ્ સૂર્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રનો યથા શક્તિ જાપ કરવાથી પણ ભગવાન સૂર્ય-નારાયણની કૃપા શ્રદ્ધાળુ ઉપર રહે છે અને તેને ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
ભગવાન સૂર્યનાં સંતાનોમાં સાવર્ણિ મનુ, યમ-યમુના, શનિ, અશ્વિનીકુમારો ઉપરાંત તાપીને પણ તેમની જ પુત્રી માનવામાં આવે છે. સાથોસાથ એવું પણ કહેવાય છે કે જેવી રીતે શાક્ત સંપ્રદાય, શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય છે તેવી જ રીતે એક સમયે ગુજરાતમાં સૌર-સંપ્રદાયનું અસ્તિત્વ હતું અને તે સમયે સૂર્યનાં અનેક પર્વ અને તહેવારો ઉજવવામાં આવતા હતા. જેમકે, રથ સપ્તમી, સૂર્ય-સપ્તમી, મકરસંક્રાંતિ, સામ્બ દશમી વગેરે. આ રીતે સૂર્યનારાયણની કૃપા મેળવવાનું પર્વ એટલે મકરસંક્રાંતિ.



















