વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.
આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.
‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય
છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.
આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.











