Jayesh Brahmbhatt 98253 44944
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે કે બેટી પઢાવો બેટી બચાવો પછી આખું ગામ તો બૂમો પાડી ને કહે જ ને કે બેટી પઢાવો. પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ માટે કહે છે ખબરદાર બેટીઓ (કન્યાઓ)ને પ્રવેશ આપ્યા છે. વ્યારાની હોમિયોપેથી કોલેજ એવી છે કે જ્યાં 65 ટકા જેટલા પ્રવેશાર્થીઓ મહિલા હોય છે. હોમિયોપેથી કાઉન્સિલએ કોલેજને મંજૂરી આપી અને ગુજરાત સરકારની પ્રવેશ સમિતિએ 47 કન્યાઓ સમેત 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ આપ્યું હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજને જાણે બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ પાણીમાંથી પોરા કાઢીને ચાલુ વર્ષે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ વર્તી રહી છે.
હકીકતમાં ધો.12 પછી બાયોલોજી વિષય સાથે પાસ થયેલી કન્યાઓ માટે આમેય વિકલ્પો ઓછા હોય અને તેમાં પણ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ ન મળે તો કન્યાઓ માટે પેરામેડિકલમાં નીટ બેઝડ બે જ અભ્યાસક્રમ છે. એક આયુર્વેદિક અને બીજો કોર્સ હોમિયોપેથી. દક્ષિણ ગુજરાતની કન્યાઓ માટે વ્યારા ખાતે જ્યાં 65 ટકાથી વધુ મહિલાઓ અભ્યાસ કરે છે. આ વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશ અને ખાસ કરીને શિવેન્દ્ર સરકારને ગુપ્તતામાં શું વાંકુ પડ્યું એ તો હવે પછી ખબર પડશે પણ વ્યારા હોમિયોપેથી કોલેજના પ્રવેશને અમાન્ય કરવાની ધમકીઓ કોલેજને મળી રહી છે.
હકીકતમાં હોમિયોપેથી કાઉન્સિલ અને રાજ્ય સરકારની એડમિશન કમિટી બન્નેએ વ્યારાની કોલેજને એપ્રુવલ આપીને 47 કન્યાઓ અને 28 કુમાર મળને 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ પણ ફાળવી આપ્યું છે. આમેય 2018-19ના વર્ષના શૈક્ષણિક વર્ષના પહેલા સત્રમાં 50 ટકા સમય વેડફાઇ ચૂક્યા છે, ત્યારે સત્વરે કન્યાઓનું શિક્ષણ શરૂ થાય તેમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારને રસ નથી પણ વ્યારા કોલેજ બંધ થઇ જાય એવું બતાવી દેવાની હોડમાં કોલેજમાં શિક્ષણ શરૂ થવા દેતા નથી.
આ મુજબના પ્રવેશાર્થીઓને પ્રવેશ ફાળવવા માટે રાજ્ય સરકારની પ્રવેશ કમિટીએ સૂચના આપી છે પણ વીર નર્મદ યુનિ.માં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર હઠાગ્રહ લઇને બેઠી છે કે કોલેજ શરૂ નહીં જ થવા દઇએ


વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની સરકાર કહે છે કે વ્યારા હોમીયોપેથી કોલેજમાં સુવિધાઓ નથી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી આ કોલેજ યોગ્ય રીતે ચાલી, યુનિવર્સિટીની કમિટીઓએ જ આપેલા રિપોર્ટને આધારે તેને જોડાણો અપાયા ત્યારે આ વર્ષે જ સવાલો કેમ ઉપસ્થિત થયા. શિવેન્દ્ર સરકારની આ પોલીસીથી શિક્ષણશાસ્ત્રીઓ એટલા માટે પણ હેરાન થઇ રહ્યા છે કે વ્યારાની કોલેજ કોઇ સામાન્ય બીએ, બીકોમ બીએસસી જેવા કોર્સની નથી કે જે સંખ્યાબંધ હોય, દક્ષિણ ગુજરાતમાં બે જ કોલેજ હોમિયોપેથીની છે, આખા રાજ્યમાં જ્યારે પેરામેડીકલ કોલેજોની સંખ્યાનો અભાવ વર્તાતો હોય ત્યારે કોલેજના જોડાણના મુદ્દે વાટાઘાટોથી અમલ લાવવાને બદલે કોલેજ બંધ કરી દેવાના પેંતરા કેટલે અંશે વ્યાજબી છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગે અને ગુજરાત સરકારે જ્યારે લીલીઝંડી આપી હોય ત્યારે આ યુનિવર્સિટીની ભૂમિકા તો તેને એન્ડોર્સ કરવાની હોય છે તેની જગ્યાએ રોડાં નાંખવાનું કામ શિવેન્દ્ર સરકાર દ્વારા થઇ રહ્યું છે.
હવે આ શિવેન્દ્ર ભાઇની સરકારને જ્યારે ગુપ્તતામાં કોઇ સમજાવશે ત્યારે જ આ ગૂંચવાયેલો મામલો સૂલઝાય તેમ જણાય છે. અગાઉ પ્રોફેસર ડો. ઘનશ્યામ રાવલ ના મુદ્દે હાઇકોર્ટમાં પછડાટ ખાઇ ચૂકેલી વીર નર્મદ યુનિ.ની શિવેન્દ્ર સરકારને એ પણ યાદ દેવડાવવું પડે છે કે પ્રો.ડો. કિર્તી માટલીવાલાની પી.એચડી. ડિગ્રી હોય કે એવા અગણિત કેસ હોય જેમની સામે શિવેન્દ્ર સરકારે ધૂળ ઉડાડવાનો પ્રયાસ કર્યો તો તેમની આંખમાં જ કચરું પડ્યું હતું. આ મામલે પણ કચરું પડે એ પહેલા સમજી જાય તો સારું, કેમકે યુનિર્વસિટીના કેન્દ્રમાં વિદ્યાર્થી હિતથી સર્વોપરી કશું હોતું નથી.





















