CIA ALERT

Blog - Page 584 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 12, 2019
sachin.jpg
1min5540

સચીન જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોને પાણી વિતરણમાંથી કરોડ રૂપિયાની કમાણી થાય તેવી ગણતરી માંડીને બેઠેલા કેટલાક લોકો યેનકેન પ્રકારે સચીન જીઆઇડીસીમાં પાણીની બૂમો પાડીને પાણી વિતરણનું સમગ્ર કામ ખાનગી હાથોમાં સુપરત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હકીકતમાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગોને ખાનગી સપ્લાયર પાણી વિતરણ કરશે તો હાલના સિંચાઇ વિભાગના દરથી અનેક ગણું મોંઘુ પાણી મળશે અને તો જ કરોડોની કમાણી શક્ય બનશે. આ સમગ્ર કારસામાં સિંચાઇ વિભાગના કેટલાક અધિકારીઓ પણ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. હકીકતમાં પાણીનો કોઇ મેજર પ્રોબ્લેમ હજુ સુધી જોવા મળી રહ્યો નથી પરંતુ, ઇશ્યુને મોટો દર્શાવીને મામલો પાણી સપ્લાયના ખાનગીકરણ સુધી લઇ જવાની પેરવી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી સુરતની સચીન જીઆઇડીસીમાં પાણીની અછતની બૂમો પાડીને પાણી વિતરણનો કરોડોનો કોન્ટ્રાક્ટ ખાનગી હાથોમાં સોંપવાનો કારસો સિફતપૂર્વક રચાઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર સામે પાણી અછતની બૂમો પાડીને ખુદ સરકાર જ સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણનું કામ ખાનગી કોન્ટ્રક્ટરને સોંપવા અંગેના આદેશો જારી કરે તેવી ગેમ ગોઠવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણ કરતું સિંચાઇ વિભાગથી લઇને સચીન જીઆઇડીસીનો વહીવટ કરતા સત્તાધારીઓ તેમજ વિરોધી પેનલ તમામ એક પાટલે બેઠા છે અને તમામ એવા પ્રયાસો કરી રહ્યા છે કે સચીનમાં પાણીનો ધંધો ખાનગી હાથોમાં જતો રહે અને કરોડો રૂપિયાની કમાણી અને કમિશનની મલાઇદાર આવક ઉભી થાય. સિંચાઇ વિભાગ ઇરાદાપૂર્વક પાણી ઓછું આપીને પાણીની કુત્રિમ અછત ઉભી કરી રહી છે તો બીજી તરફ વર્તમાન વહીવટર્તાઓ, ભૂતકાળના વહીવટકર્તાઓ એવી બૂમો પાડી રહ્યા છે કે સચીન જીઆઇડીસીમાં પાણીની તંગીને લીધે ઉદ્યોગોને માઠી અસર પહોંચી રહી છે.

તાજેતરમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે 750 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી સચીન જીઆઇડીસી અમદાવાદના વટવાની જીઆઇડીસી બાદ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી છે જેમાં 2350 નાના મોટા ઓદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને કમસે કમ અઢી લાખ લોકો રોજગાર અહીંથી રોજગારી મેળવી રહ્યા છે. આ તમામ લોકોને પાણી પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં મળતો નથી. 22મી ફેબ્રુઆરી સુધી સિંચાઇ વિભાગ પાણી આપી શકે તેમ નથી. અને મોટા ભાગે પાણી પર નિર્ભર રહેતા ઉદ્યોગો મોટી નુકસાની વેઠી રહ્યા છે, પાણીના અભાવે કામદારોની પણ હિજરતની દહેશત પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

આ પત્રને પહેલી સોગઠી ગણવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તપાસના નામે રિપોર્ટ તૈયાર કરીને બાદમાં સમગ્ર મામલો પાણી સપ્લાયના ટેન્ડરિંગની પ્રક્રિયા સુધી પહોંચાડી દેવામાં આવે તો નવાઇ નહીં.

January 12, 2019
patang1.jpg
1min16000

જયેશ બ્રહ્મભટ્ટ. સુરત

સુરતીઓની ઉતરાણ પહેલા જેવી ક્યાં રહી છે. દાયકા અગાઉ સુધી સુરતીઓ માટે ઉતરાણ એટલે જાણે પતંગ અને દોરી સિવાય બીજું કશું નહીં. હવે ઉતરાણ પતંગ-દોરાથી વિશેષ ખાણીપીણી અને પાર્ટીઓનો ફેસ્ટિવલ બની ગઇ છે. આ શબ્દો છે સુરતના સૌથી જૂના પતંગના વિક્રેતા શ્રી મનહરભાઇના. સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં મનહરભાઇએ જણાવ્યું કે પહેલા જેવા પતંગો ક્યાં સુરતીઓ ચગાવે છે, એવા ગ્રાહકો હતા જેઓ 500-500 પતંગ અને 6-7 ફિરકીઓ લઇને ધાબે ચઢી જતા અને બે દિવસ બસ અગાસી પર જ. હવે એ જ ગ્રાહકો 50 પતંગ માંડ ખરીદે છે અને ફક્ત ઉતરાણના દિવસે સાંજે 5 થી 7માં જે પતંગો ચગાવી શકાય એ ચગાવાના નહીં તો કંઇ નહીં.

symbolic photo

આવો જ માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સુરતીઓની હાલની યુવા પેઢી એટલે કે યંગસ્ટર્સ, કિડ્ઝીસ્તાનને પતંગ દોરા પરત્વે ખાસ આકર્ષણ નથી. 7થી 18 વર્ષની વયના સુરતીઓ તેમના ડેડીની જેમ પતંગના રસીયા નથી એટલે માહોલ નિરસ બની રહ્યો છે, તબક્કાવાર ઉતરાણ હવે ખાણી-પીણીનો ફેસ્ટિવલ બની રહ્યો છે.

પારિવારીક અને ફ્રેન્ડસ સર્કલના મેળાવડા, પાર્ટીઓ થાય પણ પહેલાની જેમ પતંગ ચગાવવાનું કામ પ્રાયોરિટીમાં નહીં પણ આખા દિવસમાં શું ખાવા પીવાનું અને ડ્રેસિંગ બસ એટલા પૂરતી ઉતરાણ સિમીત બની ચૂકી છે. પતંગ દોરાના વિક્રેતા કરતા આજે ઉંધીયું, પૂરી, રેડીમેડ ખાણું વગેરેનું માર્કેટ ઉતરાણમાં ઉંચકાય જાય છે પણ પતંગ અને દોરાનો વેપાર પહેલા જેટલો પણ નહીં તેનાથી ઓછો થયો છે. હાલાકી વસતિ વધી છે પણ પતંગ દોરાનો કારોબાર 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધવો જોઇએ તેવો વધ્યો ન હોવાનું રાંદેરના પતંગ વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવાર તા.14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મોટા ભાગે અગાસીઓમાં ખાણીપીણીની જયાફતો યોજાવાની છે. આમેય ઉતરાણના દિવસે પહેલા જેવો પવન પણ વાતો નથી કે ફૂંકાતો નથી, એટલે તબક્કાવાર એવું નોંધાયું છે કે સુરતીઓની પતંગ ચગાવવાની મઝા પણ પવનની ગેરહાજરી કિરકીરી કરી રહી છે.

January 12, 2019
sp.jpg
1min14470

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માટે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠીની બેઠક છોડી દેવામાં આવી છે.

માયાવતીએ કહ્યું કે જનહિત અને દેશભક્તિ માટે અમે 1995નો ગેસ્ટાહાઉસ કાંડ ભૂલાવી દીધો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઈમાની કરીને સરકાર બનાવી છે. બાદમાં અમે પેટાચૂંટણીથી જ ભાજપને રોકવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારથી જ ભાજપને રોકવા સપા-બસપા સાથે આવે તેવી ચર્ચા શરૂ થઈ હતી. દલિતો, પછાત, ગરીબો, અલ્પસંખ્યકોના હિતની ઉપેક્ષા થતા અમે ગેસ્ટહાઉસ કાંડ ભૂલીને ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

તો અખિલેશ યાદવે આ ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો. અખિલેશે કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓએ માયાવતી માટે અશોભનીય કમેન્ટ કરી હતી ત્યારથી જ ગઠબંધન કરવાની ઈચ્છા હતી. ભાજપે આવું બોલનાર સામે પગલાં લેવાને બદલે મંત્રી બનાવીને ઈનામ આપ્યું. ત્યારથી જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું. સાથે જ અખિલેશ યાદવે આ ગઠબંધન કાયમી રહેશે અને લાંબું ચાલવાનો પણ દાવો કર્યો છે.

January 12, 2019
vibmain.jpg
1min5140
  • ૧૨ કન્ટ્રી પાર્ટનર
  • ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે
  • ૨૬૦ થી વધુ બી ટુ જી અને
  • ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ
  • ૨૦ ક્ધટ્રી સેમિનાર અને
  • ૭ સ્ટેટ સેમિનારનું આયોજન
  • સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન
  • નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન
  • રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ

રાજ્યમાં આગામી ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં ૧૨ કન્ટ્રી પાર્ટનર, ૧૦૦થી વધારે દેશોના ૨૭૦૦ થી વધુ આંતર રાષ્ટ્રીય ડેલીગેશન ભાગ લેશે. ૨૬૦ થી વધુ બી ટુ જી અને ૩૫૫ થી વધુ બી ટુ બી મિટિંગ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો અને અન્ય દેશોના મહાનુભાવો આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ હાલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચાલી રહી છે.

ગુજરાતના મુખ્ય સચિવ જે. એન.સિંહે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે.આ સમિટ વેળા આફ્રિકા ડે પણ ઉજવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ભાવિ વિકાસ દર્શન સાથે મેઇક ઇન ઇન્ડિયાની સાફલ્યા ગાથા બાબતે પ્રદર્શન અત્રે પ્રદર્શન પણ યોજાશે.

આ સમિટ અંતર્ગત ૨૦ ક્ધટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનારનું આયોજન થશે. આ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન, સાયન્સ સીટી ખાતે ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન, નાસા ના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન, રાજ્યના ૪ શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ સહિતની ઈવેન્ટ્સ યોજાશે. આ મેગા ઇન્વેસ્ટર્સ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

શોપિંગ ફેસ્ટિવલમાં ૨૦ હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. શોપિંગ ફેસ્ટિવલ આગામી સમયમાં બ્રાન્ડ બનશે અને આગામી સમયમાં વાયબ્રન્ટ સિવાયના સમયે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવામાં આવશે તેવું પણ મુખ્ય સચિવ સિંહે ઉમેર્યું હતું. મોદી ૧૭મી તારીખે ગુજરાત આવશે. આ દિવસે તેઓ ટ્રેડ શોનો ખુલ્લોે મૂકશે, તેમજ વી.એસ. હૉસ્પિટલની મુલાકાત લઈને બેઠક કરશે. ૧૮મી જાન્યુઆરીએ તેઓ ૧૦ વાગ્યે વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે.

January 11, 2019
Swiggy-Zomato-Banner-Opt.jpg
1min9450
  • ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
  • હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.

એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.

 

January 11, 2019
sansad.jpeg
1min14060

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો. રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.

January 11, 2019
gst.jpg
1min15140

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 10, 2019
surat.jpeg
1min26500

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.

January 10, 2019
hacked.jpg
1min5570

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે 18.6 કરોડ ડોલર (₹130 કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સે એક એક્વિઝિશન માટે આ નાણાંની જરૂર હોવાનો સ્થાનિક મેનેજરોને ભરોસો અપાવ્યો હતો અને બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધા હતા. ભારતમાં સાઇબર ઇતિહાસમાં આ સૌથી મોટી ચોરી માનવામાં આવે છે.

હેકર્સે મિલાનમાં મુખ્યમથક ધરાવતી કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ ટેકનિમોન્ટ પ્રા લિને ઇ-મેઇલ કર્યા હતા જે ગ્રૂપ સીઇઓ પિયરોબેર્ટો ફોલ્જિયેરોના એકાઉન્ટ જેવું જ દેખાતું હતું એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

હેકરોએ ચીનમાં સંભવિત ‘અત્યંત ગુપ્ત’ એક્વિઝિશન માટે શ્રેણીબદ્ધ કોન્ફરન્સ કોલ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન કેટલાક લોકોએ વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાને ગ્રૂપ સીઇઓ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ટોચના વકીલ અને કંપનીના અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સ ગણાવ્યા હતા, એમ મુંબઈ પોલીસ સાઇબર ક્રાઇમ યુનિટને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું.

હેકરે ભારતીય વડાને તે વાત સાથે સહમત કર્યા હતા કે નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઇટાલીમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે. તેમણે તેના બદલે નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબક્કામાં ટ્રાન્સફર કર્યાં હતાં. નાણાંને ભારતમાંથી 56 લાખ ડોલર, 94 લાખ ડોલર અને 36 લાખ ડોલરના સ્વરૂપમાં હોંગકોંગ સ્થિત બેન્કોમાં ટ્રાન્સફર કરાયા હતા અને ત્યાંથી તે ગણતરી મિનિટોમાં ઉપાડી લેવાયા હતા. છેતરપિંડી આચરનારાઓએ ચોથી વખત ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી છેતરપિંડી પકડાઈ ગઈ હતી. ટેકનિમોન્ટ સ્પાના ચેરમેન ફ્રાન્કો ઘિરનઘેલીએ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી ત્યારે આ બાબત ધ્યાનમાં આવી હતી.

ટેકનિમોન્ટ સ્પા પબ્લિકલી ટ્રેડેડ ઇટાલિયન ગ્રૂપ મૈયર ટેકનિમોન્ટની બ્લૂ-ચિપ કંપની છે, તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કંપની એન્જિનિયરિંગ, એનર્જી અને કેમિકલ્સના કારોબારમાં જોડાયેલી છે. તેણે જણાવ્યું હતું કે તેણે આ બાબતને રીતસરની છેતરપિંડી ગણી છે. કંપનીએ ઇટીને વિનંતી કરી છે કે તે આમાં કોઈનું નામ ન લે, નહીં તો કેસમાં અસર થઈ શકે.

મૈયર ટેકનિમોન્ટે ઇટીને ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “અમે તેની સાથે સંકળાયેલી કંપનીનું નામ જાહેર નહીં કરીએ અને અમે આ સમાચાર પર ટિપ્પણી પર નહીં કરીએ. કોઈ પણ ડિસ્ક્લોઝરથી પ્રવર્તમાન હિલચાલમાં પૂર્વગ્રહ રચાઈ શકે છે. આ સાઇબરએટેક નથી, પરંતુ રીતસરની છેતરપિંડી છે, જેમાં અમે અમારાં નાણાં પરત મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

January 10, 2019
world_bank.png
1min5450

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.