CIA ALERT

Blog - Page 449 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 20, 2019
onion.jpg
1min15690

સુરતમાં કાંદાનો હોલસેલ ભાવ કીલોના રૂ.50ને આંબી ગયો, રીટેલમાં રૂ.65 સુધી વસૂલાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટૂંક સમયમાં ખાણીપીણીની લારીઓ પરથી ખાસ કરીને પાઉભાજી, ઇંડા, નોનવેજ વગેરેની લારીઓ પર સલાડ કે કચુંબરમાં ટામેટા અને કોબીજ મળશે, ડુંગળી (કાંદા) અદ્રશ્ય થઇ જાય તેવા એંધાણ મળી રહ્યા છે. સુરતમાં આજે કાંદાના પ્રતિ કિલોના ભાવ રૂ.65 જેટલા આંબી ગયા છે. સૌથી મોંઘા કાંદા સિટીલાઇટ, ડુમસ રોડ પર રિટેઇલ શાકભાજીવાળાઓએ વસૂલ્યા હતા.

એ સિવાય અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.55થી રૂ.60 જેટલા થઇ જતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય જવા પામ્યું છે. કાંદાના ભાવ એવું નથી કે રાતોરાત ઉંચકાયા છે. છેલ્લા 10-12 દિવસમાં નિયમિત રીતે બે-ત્રણ રૂપિયા વધ્યા છે અને એવું કહેવાય છે કે સુરતમાં કાંદાના ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી જાય તો નવાઇ નહીં.

કાંદાનો શોર્ટ સપ્લાય, સુરતમાં કાંદાની 30થી 35 ટ્રક ઠલવાતી હતી એ હવે 15-20 થઇ ગઇ

સુરતમાં સામાન્ય દિવસોમાં કાંદાની 25થી 30 ટ્રકો ઠલવાતી હતી, રજા કે તહેવારોના આગલા દિવસે 35 ટ્રકો સુધી કાંદો સુરતમાં ઠલવાતો હતો પરંતુ, હાલમાં કાંદાનો શોર્ટ સપ્લાય છે અને એ.પી.એમ.સી.માં 15-20 ટ્રક કાંદા જ હાલ દૈનિક ધોરણે ઠલવાય રહ્યાનું એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવની ટીમે કાંદાના ભાવ અંગે થોડી જાંચ-પડતાલ કરી તો જાણવા મળ્યું કે સુરતમાં મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક મંડીમાંથી કાંદો ઠલવાય છે અને ત્યાં કાંદાની શોર્ટેજ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના બજારોમાં કાંદાના ભાવ ઉંચકાવા પામ્યા છે. જે વિસ્તારોમાં કાંદાની મબલખ પાક પાકતો હતો ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે.

એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા નવા કાંદાની ફસલ નવરાત્રીથી શરૂ થતી હોય છે અને એ ખેતરમાંથી સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચતા વધુ 15 દિવસ જેટલો સમય માગી લે છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસી દેશનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આ માર્કેટમાં ગુરુવાર તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ક્વિન્ટલ ડુંગળીના ભાવ 1,000 રૂપિયાને આંબી ગયા હતા. તા.19મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં બોલાયેલો ડુંગળીનો ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો.તા.19મી સપ્ટેમ્બરે સ્થાનિક બજાર બંધ રહ્યા ત્યારે કાંદાની હરાજીની સરેરાશ કિંમત પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયાને આંબી ગઇ હતી.

2015માં 16 સપ્ટેમ્બરે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ સરેરાશ 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યા હતા. 22 ઓગસ્ટ 2015ના રોજ પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 5,700 રૂપિયા હતી, જેને ઓલ-ટાઈમ હાઈ કિંમત કહી શકાય.

બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ડુંગળીની અછત જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી રાજ્યોમાં ડુંગણીનો સપ્લાય અને માગ બન્ને વધ્યા છે.

September 20, 2019
sensex_green.jpg
1min7180

લાંબા સમયથી મંદીમાં ભીંસાઇ રહેલા અર્થતંત્ર અને શેરબજારને એકસાથે પ્રોત્સાહન આપે તેવા નાણાપ્રધાન નિર્મલા સિતારામના મેગા બુસ્ટર ડોઝને પગલે ભારતીય શેરબજારમાં 2000 પોઈન્ટ્સથી વધુનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં કોઇ એક દિવસમાં આટલો જંગી ઉછાળો નોંધાયો હોય તેવી પહેલી ઘટના આજે આકાર પામી છે.

નાણાપ્રધાનની જાહેરાત સાથે જ શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી અને તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સ 10 ટકા ઘટાડીને 25.17 ટકા કર્યા હતા. આ ઉપરાંત નવા ઉત્પાદન એકમો માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 17.01 ટકા કરવાની જાહેરાત કરી હતી. છ વર્ષના તળિયે આવી ગયેલા દેશના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા તેમજ રોજગારીના સર્જનના હેતુથી સરકાર દ્વારા આજે શ્રેણીબધ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પરના સરચાર્જને પણ નાબૂદ કરવામાં આવ્યો હતો.

બપોરે 2.40 વાગ્યે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2044.10 પોઈન્ટ્સ અથવા 5.66 ટકાના હાઈજમ્પ સાથે 38,137.66 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 605.05 પોઈન્ટ્સ અથવા 5.70 ટકાના હનુમાન કુદકા સાથે 11,309.85 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.50 ટકા અને 3.70 ટકા ઉછળીને ટ્રેડ થઈ રહ્યા હતા.

September 20, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12190

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક સમયે ફ્લાઇટ કનેક્ટીવીટી માટે તરસતા સુરત શહેરમાં આજે 27 ફ્લાઇટ્સની આવન-જાવન છે 2006ના પૂરમાં સુરત તબાહ થઇ ગયું અને હવે બેઠું નહીં થાય તેવા ભારતીય મિડીયા (લોકલ નહીં) રિપોર્ટથી વિપરીત સુરતીઓ એક મહિનામાં બેઠા થઇ ગયા. સુરતીઓએ પોતાને જે જોઇતું હતું એ બધું જ જાતે કરી લે છે.

ભારતની મહિલા ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા એટલી હાજરી થવી જોઇએ કે BCCI શું ICC પણ નોંધ લેવી પડે

સેલ્ફમેડની વ્યાખ્યામાં આવતા સુરતીઓએ કહેવાય છે કે પોતાના ઉદ્યોગ-ધંધા જાતે વિકસાવ્યા, એરપોર્ટ જાતે વિકસાવ્યું અને હવે વારો છે સુરતના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો લાવવાનો.

સુરતના સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન મેનેજમેન્ટના પ્રયાસોથી હાલમાં સુરતને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો મળી છે. મહિલાઓ માટેની પાંચ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચો સુરતમાં રમાવાની છે. સુરત માટે આ એક ગ્રાન્ડ રિહર્સલ છે ઇન્ટરનેશનલ મેચ માટેનું.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

ભારત વિ. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે સુરતમાં રમાનાર તમામ મેચોની બિલકુલ ફ્રીમાં સ્ટેડીયમ પર જઇને જોઇ શકાશે

બધી રીતે સુરત હકદાર છે કે ઇન્ટરનેશનલ મેચો મળે, આઇ.પી.એલ.ની મેચો મળે.પરંતુ, જેમ ઉપર લખ્યું છે એમ ક્યાંકને ક્યાંક કોઇકને કોઇ મુદ્દાઓથી સુરતને વંચિત રાખવામાં આવી રહ્યું છે. હવે સુરતીઓએ બતાવી દેવાનું છે કે સુરતને કેમ ઇન્ટરનેશનલ મેચ આપવી પડશે કે આઇ.પીએલ.ના સ્લોટ સુરતને કેમ આપવા પડશે.

હાલ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા વુમન્સ ટીમ સામેની સિરીઝમાં સુરતીઓને આહવાન છે કે ભવિષયમાં વિરાટ, બૂમરાહ સમેતની ટીમ ઇન્ડિયાને સુરતના આંગણે રમતી જોવી હોય તો નીચે દર્શાવેલી તારીખોએ ઉમટી પડજો લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે.

ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા સાથે સુરતીઓની ગ્રાઉન્ડમાં હાજરી જોઇને ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇએ પણ સુરતને નજરઅંદાજ કરવાનો નજરીયો બદલવો પડશે. એટલી મેદની લાલભાઇ સ્ટેડીયમ પર ઉમટી પડવી જોઇએ કે બીસીસીઆઇ શું આઇસીસી પણ સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડની નોંધ લેવા માંડે.

અગાઉ ભારતની અન્ડર 19 ટીમના કોચ અને ભારતના એક સમયના સ્ટાઇલિસ્ટ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડ પણ સુરતના ગ્રાઉન્ડની પ્રશંસા કરી ચૂક્યા છે.

તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ મહિલા કેપ્ટન સને લૂસ તેમજ તેમના કોચ, ભારતીય ટીમ તમામ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પ્રશંસા કરી ચૂક્યા છે. બધી રીતે સુવિધાઓ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના લાલભાઇ સ્ટેડીયમ ખાતે વિકસાવી દેવામાં આવી છે અને હજુ પણ સતત ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બસ હવે સુરતીઓએ ઉપરોક્ત તારીખોએ મોટી સંખ્યામાં હાજર રહીને એ બતાવી દેવાનું છે કે ક્રિકેટ પ્રેમીઓનું શહેર છે સુરત.

September 20, 2019
aadhar.png
1min6370

 બેન્ક ખાતાથી માંડીને પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજ એવા આધારકાર્ડમાં નામ કે જન્મની તારીખ ખોટી હશે તો એને સુધારવા માટે ઘણી મહેનત-માથાકૂટ કરવી પડશે. અત્યાર સુધી એવું જોવાયું કે લોકો પોતાની સગવડ પ્રમાણે નામ-ઠામમાં ફેરફારો કરાવ્યે રાખતા હતા. પરંતુ, હવે આધાર ઓથોરિટીએ છટકબારીઓ બંધ કરી દીધી છે. બેથી વધુ વખત નામ સુધારવાના કેસમાં આખો આધારકાર્ડ જ નવો બનાવવો પડશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (યુઆઈડીએઆઈ) એ નામ તેમજ જન્મ તારીખ બદલાવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે.
જો કે મોબાઈલ નંબર કે અન્ય બદલાવો માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે, પરંતુ જન્મ તારીખમાં બદલાવની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર હશે તો’ સંબંધિત દસ્તાવેજ સાથે સુવિધા કેન્દ્રમાં જઈને સુધારો કરાવી શકાશે.
ત્રણ વર્ષથી વધુનું અંતર હશે તો પ્રાદેશિક આધાર કેન્દ્રમાં જવું પડશે. આધારમાં’ લિંગ સુધારવાની સુવિધા હવે એક જ વાર મળશે. વધુમાં નામ ખોટું છપાયું હશે તો તેમાં સુધારો કરાવવા માટે હવેથી માત્ર બે તક મળશે. ત્યારપછી પણ ખોટું નામ હશે, તો ઈનવેલિડ કરાવીને નવા કાર્ડ માટે અરજી કરવી પડશે.
નામ સુધારવા પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર ડ્રાઈવિંગ માટે જન્મનો દાખલો,’ પાનકાર્ડ લેટરહેડ પર ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર પાસપોર્ટ, જેવા દસ્તાવેજ જરૂરી રહેશે.

September 20, 2019
bullet-1280x720.jpg
1min10090

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈ કોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ચાર ગણું વળતર આપવાની માગ લગભગ ફગાવી દીધી છે. જો કે, આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડ પીઠે વળતરનો મુદ્દો ખુલ્લો રાખ્યો છે. હાઈ કોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં કેન્દ્ર સરકારને ઑથૉરિટી ગણાવી છે.

આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

અરજદાર ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, હાઈ કોર્ટમાં ૧૦૦૦થી વધુ ખેડૂતોએ પિટિશન કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે જમીન અમારી જીવાદોરી છે, તમે અમારા જીવનનું સંપાદન કરી રહ્યા છો તો વર્તમાન બજારના ભાવ મુજબ અમને ચાર ગણું વળતર આપો.

ખેડૂતો સુપ્રીમ કોર્ટથી લઈને કોર્ટની બહાર પણ લડી લેશે. જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાન થાય છે. આજે જમીનના ભાવો વધ્યા છે. ખેડૂતો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જશે. ખેડૂતોની માગણી હતી કે, હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમ જ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં. ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદિત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે.

September 19, 2019
tejaswani_bus.jpg
1min636

મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) દ્વારા તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજથી મહિલાઓ યાત્રીઓ માટે ખાસ બસ ટ્રીપ શરૂ કરી છે.

મહિલાઓને ડેડીકેટેડ 50 બસ અલગથી ફાળવવામાં આવી છે. આ બસ પર મોટા અક્ષરોમાં ‘તેજસ્વિની’ નામ આકલન કરવામાં આવ્યું છે.

માત્ર મહિલા મુસાફરો માટેની તેજસ્વીની નામની ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ટોકન બસ શરૂ કરવામાં આવી છે અને હવે તબક્કાવાર 50 બસને મહિલા મુસાફરોને સમર્પિત કરવામાં આવશે.

સુરત શહેરમાં પણ મહિલાઓ માટે આ પ્રકારની બસ સર્વિસ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. હાલમાં બસ સર્વિસમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસી રહે છે, કન્ડકટરો પણ તેમને ઉઠાડતા નથી. ભીડભાડવાળી બસો હોય છે આથી મહિલા મુસાફરો પ્રવાસ કરવાનું ટાળે છે. મહિલાઓ માટેની ડેડીકેટેડ બસ હશે તો મહિલાઓ સામે ચાલીને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે.

September 19, 2019
lalbhai.jpg
1min10910

વિશ્વભરના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની યાદીમાં પહેલા ક્રમે બિરાજતા સુરત શહેરમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસની બની રહી છે અને એમાં દક્ષિણ આફ્રિકાની વુમન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હામી પુરાવી છે. સુરતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂને લુસએ આજે કહ્યું હતું કે સુરતમાં અવ્વલ દરજ્જાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને હું તેને ડર્બન ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરખાવી શકું.

દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવું લાગે છે સુરતનું લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ એવું સુરતમાં ક્રિકેટ રમવા આવેલી દક્ષિણ આફ્રિકાની નેશનલ વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન સને લૂસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ફાસ્ટેસ્ટ સિટી સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડથી આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન પ્રભાવિત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આગામી દિવસોમાં પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો રમાવાની છે. બી.સી.સી.આઇ. અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે આ મેચો યોજાવાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી છે અને તા.20 સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે તેઓ પ્રેક્ટિસ મેચ રમશે. એ પછી પાંચ ક્રિકેટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમાશે.

તા.20 અને તા.22મીની પ્રેક્ટિસ મેચો સવારે 11 કલાકે શરૂ થશે અને તેના માટે કોઇ જ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. શહેરીજનો આ મેચ સ્ટેડીયમ પર જઇને નિહાળી શકે છે.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

સુરતના ગ્રાઉન્ડ પર પહેલી વખત યોજાનારી ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારત અને આફ્રિકાની તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર કરાશે

આ છે આફ્રિકાના મહિલા ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન સુને લૂસ , જેમણે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.

દરમિયાન આજે આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન અને કોચ તેમજ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનના કેપ્ટન અને મેનેજરએ સુરતના પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન સુને લૂસે જણાવ્યું હતું કે તેમણે સુરતની પીચનું હજુ નિરીક્ષણ કર્યું નથી પરંતુ, બાકીની ફેસેલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ સ્ટાન્ડર્ડના હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

September 19, 2019
rahjnath-tejas-bhanu.jpg
1min5120

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતમાં જ બનેલા, મેક ઇન ઇન્ડિયા યુદ્ધ વિમાન તેજસને ઉડાડીને ઇતિહાસ સર્જ્યો છે.

ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે.

તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે.


September 19, 2019
keral.jpg
1min14090

સરકારના પ્રોત્સાહનને કારણે સસ્તુ ભોજન બનાવવા અને વેચવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યા બાદ હવે કેરળના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યા છે. તમિળનાડુ અને પંજાબ પાસેથી પ્રેરણા મેળવીને જેલ પ્રશાસન કેરળની ત્રણ સેન્ટ્રલ જેલના પરિસરમાં ચોક્કસ પસંદ કરાયેલા કેદીઓ દ્વારા પેટ્રોલપંપ ચલાવવાની તૈયારી થઇ રહી છે. જેલ પ્રશાસને પસંદ કરેલા સ્થળે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પેટ્રોલપંપ શરૂ કરશે. દરેક પેટ્રોલપંપ માટે સજા પામેલા કેદીઓમાંથી પંદર કેદીની પસંદગી કરવામાં આવશે. એમને તાલીમ આપવામાં આવશે અને તેઓ આ પેટ્રોલપંપ પર શિફ્ટ પ્રમાણે જે ડ્યૂટી કરશે એ માટે જેલ પ્રશાસનના નિયમ પ્રમાણે એમને પગાર આપવામાં આવશે.

September 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9360

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઇ રહેલા 25000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા તા.19મી સપ્ટેમ્બર 2019થી શરૂ થશે એમ જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.

એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં તૈયાર થતા દર 15 રીયલ ડાયમંડ પૈકીના 14નું કટ એન્ડ પોલીશ સમેતની પ્રોસેસ સુરતમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો હીરા પ્રોસેસિંગ ઉદ્યોગ સુરતમાં વિકાસ પામ્યો છે પણ એક મહેણું હતું કે સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવું પડતું હતું, આ મહેણું ભાંગી રહ્યું છે. જી.જે.ઇ.પી.સી.ના પ્રયાસો રંગ લાવ્યા છે અને મધ્યપ્રદેશ સ્થિત પન્ના ડાયમંડ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડ પૈકીના 25000 કેરેટના હીરાનું સૌપ્રથમ વખત ઇ ઑકશન સુરત મુકામે થવા જઇ રહ્યું છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આજે તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને સ્થાનિક અધિકારી જિલ્પા શેઠએ સુરત ખાતે યોજાનાર મધ્યપ્રદેશની પન્નામાઇન્સના રફ ડાયમંડની ચકાસણી પ્રક્રિયા અંગે માહિતી રજૂ કરી હતી.

જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે જીજેઇપીસીના ત્રણેક હજાર જેટલા મેમ્બર્સ આ હરાજીમાં ભાગ લઇ શકશે. જે લોકો મેમ્બર નથી અને તેમણે સુરતના ઇચ્છાપોર સ્થિત સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે પ્રદર્શનમાં મૂકાનાર રફ ડાયમંડ હીરા ચકાસવા હોય તો તેઓ જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બની શકે છે.

જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બનવા માટેની પ્રક્રિયા તા.19 સપ્ટેમ્બરથી તા.23મી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે.

19થી 23 સપ્ટેમ્બર 2019 જીજેઇપીસી મેમ્બરશીપ ડ્રાઇવ

24થી 27 સપ્ટેમ્બર ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 25000 કેરેટ રફ હીરાના જથ્થાનું પ્રદર્શન

28મી સપ્ટેમ્બરથી ઇ-ઑકશન, બે લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ

ફક્તને ફક્ત જીજેઇપીસીના મેમ્બર હોય એ લોકો જ રફ ડાયમંડનો જથ્થો ચકાસી શકશે અને ઓનલાઇન હરાજીમાં ભાગ લઇ શકશે

એ પછી તા.24 સપ્ટેમ્બરથી તા.27મી સપ્ટેમ્બર 2019 દરમિયાન ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે એન.એમ.ડી.સી. દ્વારા ડિસ્પ્લેમાં મૂકાનાર પન્ના માઇન્સમાંથી નીકળેલા કાચા હીરાનો 25000 કેરેટનો જથ્થો ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. જી.જે.ઇ.પી.સી.ના મેમ્બરને આ માલ તપાસવા માટે તા.27મી સપ્ટેમ્બર 2019 સુધીની મુદત આપવામાં આવશે.

તા.28મી સપ્ટેમ્બરથી એ જથ્થાનું ઇલેક્ટ્રોનિક ઑકશન શરૂ થશે. આ હીરાની ઓનલાઇન હરાજી હાથ ધરવામાં આવશે અને જે વધુ બોલી લગાડશે તેમને હીરા વેચવામાં આવશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેનારે રૂ.2 લાખની સિક્યુરિટી ડિપોઝીટ પહેલાથી જમા કરાવવાની રહેશે.

પન્ના માઇન્સના ડાયમંડની હરાજી સુરતમાં ઇન્ટરનેશનલ હરાજીનો પાયો નાંખશે

જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પન્ના માઇન્સમાંથી નીકળેલા રફ ડાયમંડની સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત જાહેર હરાજી થઇ રહી છે. અમે બધા ઉત્સાહી અને ઉત્સુક છીએ. ભલે સુરત થનાર રફ ડાયમંડનો 25000 કેરેટનો જથ્થો ખૂબ ઓછો હોય પરંતુ, આ એક એવા યુગના મંડાણ છે કે જે થોડા મહિનાઓમાં સુરત ખાતે ઇન્ટરનેશનલ કંપનીઓના રફ ડાયમંડ ઑકશન માટેના દ્વાર ખોલી કાઢશે. હવે એ દિવસો દુર નથી કે સુરતમાં ઇન્ટરનેશનલ કંપનીઓ પોતાના રફ ડાયમંડ સુરત વેચવા આવશે. સુરતના હીરા ઉદ્યોગપતિઓએ કાચો માલ મેળવવા માટે મુંબઇ કે વિદેશો સુધી લાંબા થવું નહીં પડે.

વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગને ઘર આંગણે રફ ડાયમંડ નહીં મળવાનું મ્હેણું ભાંગવાનું શ્રેય દિનેશ નાવડીયાના શિરે

સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટો હીરા ઉદ્યોગ છે. દર 15 તૈયાર હીરામાંથી 14 પર પ્રોસેસિંગનું કામ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. હજારો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતા સુરતના આ હીરા ઉદ્યોગને અત્યાર સુધી એક મ્હેણું હતું કે રફ ડાયમંડ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ મુંબઇ કે વિદેશોમાં જવું પડતું હતું. અનેક પ્રયાસો છતાં આંતર રાષ્ટ્રીય કંપનીઓ તેમના કાચા હીરાના જથ્થાને સુરત વેચવા આવતી ન હતી. પરંતુ, જી.જે.ઇ.પી.સી.ના વર્તમાન રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમે કરેલા પ્રયાસોના પગલે હાલ પહેલા તબક્કામાં ભારતની મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સમાંથી ઉત્પન 25 હજાર કેરેટના હીરાનું સુરતમાં ઇ ઓકશન થઇ રહ્યું છે અને આના પગલે આગામી દિવસોમાં અને ઘણુંખરું જાન્યુઆરી 2020 સુધીમાં સુરતના આંગણે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીઓ કાચા હીરા વેચવા આવતી થઇ જશે.