Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
તા.7મીની મધરાતે ઇરાન દ્વારા ઇરાકમાં સ્થાપિત અમેરિકાના એરબેઝ પર મિસાઇલોથી હુમલા કર્યાના સમાચાર છે. આ એજ એરબેઝ છે જેની ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઇ ચૂક્યા છે. એક પછી એક ડઝન જેટલી મિસાઇલો અમેરીકન એરબેઝ પર દાગવામાં આવી હોવાના અહેવાલે અમેરીકાને પણ હચમચાવી મૂક્યું છે.
પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડાઇ છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ તૈનાત છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઇપણ નુકસાનના સમાચાર નથી. અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ આજે બુધવાર ભારતીય સમય અનુસાર સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 1 ડઝન મિસાઇલોથી હુમલો કરાયો છે.
US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી હુમલાની
પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આની પહેલાં પણ ઇરાને અમેરિકન
દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ
સુલેમાનીને ઠાર મારવામાં આવ્યો હતો.
બુધવારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાંડરે સરકારી મીડિયાને જણાવ્યું કે, ‘ઈરાકમાં આવેલ USના એરબેસ પર ઈરાની મિસાઈલ હુમલો તો ફક્ત એક પહેલું પગલું છે. તેહરાન અમેરિકન સૈન્યને નહીં છોડે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાની સેનાઓને પરત પાછી ખેંચવી જ પડશે અથવા તો અમારી પહોંચથી દૂર કરવી પડશે.
અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે
મિસાઇલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ હુમલામાં થયેલા
નુકસાનની અંગે સર્વે કરી રહ્યા છે. કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન
ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે આક્રમક પગલા ઉપાડશે તેવી સ્પષ્ટ વાત જાહેર કરી હતી.
ઉત્તર ગુજરાતના ખેડૂતોને તીડના ત્રાસમાંથી ગયા અઠવાડિયે મુક્તિ મળી ગઇ છે. જોકે ખેતીને વ્યાપક નુક્સાન તીડ પહોંચાડી ગયા છે ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું હતુ કે, તીડને લીધે 25,222 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. તે માટે રુ. 31.5 કરોડની સહાય કરવામાં આવશે.
ફળદુએ જણાવ્યું હતું કે, તીડથી જે પાક ને 33%થી વધુ નુકસાન થયું છે તે વિસ્તાર માટે હવે જલ્દી સહાયની જાહેરાત કરવામાં કરશે. થરાદ, વાવ, સુઈગામ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર થયો હતો. ત્યાં નુક્સાની પણ વધુ થઇ છે.
બહુ મોટી સંખ્યામાં તીડોના ઝુંડ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં હતા અને આ વખતે તીડનું આક્રમણ વિશેષ રહ્યું એમ ઉમેર્યું હતુ. કૃષિ વિભાગના અધિકારીઓએ નુકસાનનો સર્વે પણ કર્યો હતો. બનાસકાંઠા ના 13 અને પાટણના 2 એમ કુલ મળીને 15 તાલુકામાં નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું હતું કે “15 તાલુકાના 285 ગામોના ખેડૂતોને પ્રતિ હેક્ટર રુ.18500ની મદદ કરવામાં આવશે.
બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. કુલ 25,222 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે તેને રુ.31.5 કરોડ ની સહાય કરવામાં આવશે..11 હજાર ખેડુતોને સહાયતા મળશે પરંતુ તેના માટે ખેડૂતોને અરજી કરવી પડશે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં તીડના કરોડોના ટોળાએ આંતક મચાવ્યો હતો અને 6 હજાર હેક્ટર ઉભો પાક સાફ કરી નાખ્યો હતો. કરોડો તીડના ઝુંડ ધામા નાખીને બેઠા હતા અને ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે હવે તીડના ઝુંડ બલુચિસ્તાન તરફ વળી ગયા છે.
એક અંદાજ મુજબ જે તે સમયે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે તીડ છે તેની સંખ્યા 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે મોટા ઝુંડોને દવાનો છંટકાવ કરીને મારી નાખવામાં સરકારને સફળતા મળી છે. એક ચોરસ કીલોમીટરમાં દશ કરોડ જેટલા તીડ હોય શકે છે. પંથકમાં દશ થી પંદર કરોડ તીડ હોવાનું અનુમાન હતું. તીડનું એક ટોળું ગણતરીની પળમાં 300 ટન લીલોતરી ખાઈ જાય છે.
વિશ્ર્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ધરાવવાના સંદર્ભે ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે અને ખાસ કરીને ડિસરપ્શન ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રિટેલ, ફૂડ, લોજિસ્ટિક, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જેવા ઉદ્યોગમાં તો સ્ટાર્ટઅપ્સ છવાઇ જ ગયા છે, પરંતુ હવે વિશ્ર્વની ટોચની કંપનીઓ પણ તેમને આવકારી રહી છે. ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને દતેમનો વાર્ષિક વિકાસ દર ૧૨થી ૧૫ ટકા જેવો છે. એ જ સાથે ૩૧ યુનિકોર્ન છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર કરતા વધુ છે.
વૈશ્ર્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી તેમને ફંડીંગ તો મળી રહ્યું છે પરંતુ જો યોગ્ય પ્રવેશ મળે તો ભારતીય સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન થકી વિશ્ર્વબજારનો મોટો હિસ્સો હસ્તગત કરી શકે છે, એમ ટોરંટો બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (ટીબીડીસી) અને કોર્પજીની વચ્ચે સંયુક્ત સાહસ સાધવા સંદર્ભે ભારત આવેલા કેનેડાના બ્રેમ્પ્ટન સિટીના મેયર પેટ્રીક બ્રાઉને કહ્યું હતું કે કેનેડામાં ઇનોવેશન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે પુષ્કળ અવકાશ છે.
કેનેડાની ટીબીડીસી, સિટી ઓફ બ્રેમ્પ્ટન અને કોર્પજીની વચ્ચેના આ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને પગલે વિદેશમાં વિસ્તરણ કરવા ઇચ્છનારા સ્ટાર્ટઅપ્સને માર્ગ મળશે અને કેનેડાના કોર્પોરેટ જગત સાથે સંપર્કિત થવાની તક મળશે. આ સંદર્ભે જ તેઓ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા સ્ટાર્ટઅપ્સ હબની મુલાકાતે આવ્યાં છે. કેનેડા સરકાર ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઇનેોવેશન એક્સચેન્જ ઇચ્છે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડવામાં આવ્યું હતુ. જેમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. ૮૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોર્ટે ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાકરોલ સ્કેવરમાં આવેલા એક ખાનગી એજ્યુકેશનલ ક્ધસલટન્ટમાં વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ધવલ પટેલ અને અમરીશ પટેલને પકડી તેમની ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી, એડિટ કરી શકાય તેવી માર્કશીટ અને શૈક્ષણિક દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો એડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળ્યું હતું. ગુજરાત રાજ્યની સંસ્થાઓની માર્કશીટ મૌલિક ઉર્ફે ભીખા પટેલ અને ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરિયા પાસે બનાવાતા હોવાની કબૂલાત કરી હતી. મૌલિક મહાદેવ એરિયા પાસે આવવાનો હોવાનું કહેતા પોલીસે ત્યાંથી મૌલિક પટેલ અને હિતેશ રમેશભાઈ પટેલને પકડી લીધા હતા. દોઢ મહિનાથી સમગ્ર રેકેટ ચલાવતા કૌભાંડીઓ રૂ. ૮૫ હજારમાં બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવી આપતા હતા. વોન્ટેડ આરોપી નવસારી અને વડોદરાના છે. આથી તપાસનો છેડો નવસારી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી શકે તેમ છે.
ભૂસ્ખલન અને બરફવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને જમ્મુના કત્રામાં આવેલા વૈષ્ણોદેવીમાં નવેસરથી બરફવર્ષા થવાને કારણે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી હોવાના સમાચાર મળ્યા હતા.
કાશ્મીરનું પ્રવેશદ્વાર ગણાતી જવાહર ટનલ સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે બરફવર્ષા અને રામબન જિલ્લામાં પંથિયાલ-રામસુ વિસ્તારમાં એ સાથે ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા.
ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સાફ કરવાના કામમાં અડચણ ઊભી થઇ હતી. સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનને લીધે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાથી રામબન અને બનિહાલ વચ્ચે ૬૦૦થી વાહનો અટવાયા હતા.
જવાહર ટનલ વિસ્તારમાં સોમવારથી આઠ ઇંચ બરફ પડયો હતો. દરમિયાન, પંથિયાલ, ડિગડોલે, મારુગ અને મોમપાસી વિસ્તારમાં હાઇવે પર પહાડ પરથી સતત પથ્થરો પડતા રહ્યા હતા.
પ્રશાસનના જણાવ્યા અનુસાર હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરવાનો બધો આધાર હવામાન પર છે. હવામાન સુધરશે અને બરફવર્ષા તથા ભૂસ્ખલન બંધ થશે ત્યારે જ રસ્તો સાફ કરી શકાશે.
દરમિયાન, ખરાબ હવામાન અને બરફવર્ષાને લીધે વૈષ્ણોદેવીના દર્શને જવા માટે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી હતી.જોકે, પગપાળા જનાર ભક્તોની શ્રદ્ધામાં એથી ઓટ આવી નહોતી અને અંદાજે ૫૨૦૦ યાત્રાળુ માતાજીના દર્શન પહોંચ્યા હતા.
સૌથી નાની વયે કોઇ દેશના વડાપ્રધાન
બનવાનું શ્રેય ધરાવતા ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીને એક નવો કાયદો રજૂ કર્યો છે.
આ કાયદા અનુસાર હવે લોકો સપ્તાહમાં ફક્ત ચાર દિવસ કામ કરશે અને આ ચાર દિવસ પણ
તેમને છ કલાક કામ કરવાનું રહેશે. સાથે જ લોકોને ત્રણ દિવસની રજા પણ મળશે. સૌથી
નાની ઉંમરના વડાંપ્રધાન સના મરીને કહ્યું છે કે આવું કરવાથી લોકો પોતાના પરિવાર
સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશે.
ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે સનાએ કહ્યું
છે કે મને લાગે છે કે લોકોને પોતાના પરિવાર, મિત્રો અને પોતાના શોખ કે જીવનના
લક્ષ્યાંક જેમ કે સાંસ્કૃતિક કાર્યો માટે વધારે સમય મળવો જોઈએ. આ આપણા કામકાજના
જીવન કરતા અલગ પગલું હોઈ શકે છે.
વડાપ્રધાન સના મરી દ્વારા રજૂ કરવામાં
આવેલા આ પ્રસ્તાવનો હેતું કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે. સનાએ જ્યારે
આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે ડાબેરી ગઠબંધનના નેતા અને શિક્ષા મંત્રી લી એન્ડરસને
તેમના પગલાંની પ્રશંસા કરી હતી. સનાએ કહ્યું છે કે આ જરૂરી છે કે ફિનલેન્ડના
લોકોને ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવે. તેનાથી લોકોને મદદ મળશે અને અમે
મતદાતાઓને આપવામાં આવેલા વચનોને પૂરા કરી શકીશું.
સામાન્ય રીતે ફિનલેન્ડમાં લોકો સપ્તાહના
પાંચ દિવસ, આઠ કલાક કામ કરે છે. જ્યારે તેના પાડોશી દેશ સ્વીડનમાં 2015મા છ કલાક કામ કરવાની પોલીસી બનાવવામાં આવી હતી. તેના કારણે
ત્યાંના કર્મચારીઓમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો. થોડા સમય અગાઉ
માઈક્રોસોફ્ટે જાપાન અને યુકેની એક કંપની પોર્ટકુલિસ લીગલે પણ સપ્તાહમાં ત્રણ
દિવસની રજાની પોલીસી બનાવી હતી. ત્યારબાદ ત્યાંના કર્મચારીઓમાં પણ હકારાત્કમ
પરિવર્તન જોવા મળ્યું હતું અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થઈ હતી.
વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.
આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.
એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.
ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.
દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.
હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.
આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે
સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.
‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.
બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.
ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.
જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.
‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
૭૦ બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે અને પરિણામ ૧૧ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચે સોમવારે કરી હતી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ૧.૪૬ કરોડ કરતા પણ વધુ લોકો મતદાન કરવાને પાત્ર છે જેમાં ૮૦,૫૫,૬૮૬ પુરુષ મતદાર અને ૬૬,૩૫,૬૩૫ મહિલા મતદાર તો ૮૧૫ વ્યંઢળનો સમાવેશ થાય છે, એમ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું હતું. તમામ મતદારોને ક્યૂડીઆર કોડ અને વૉટર્સ સ્લિપ આપવામાં આવશે જેને કારણે ઓળખ સરળ અને મતદાન ઝડપી બનશે, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં ૧૧.૫૫ લાખ મતદાર એએસડી (ઍબસન્ટ-ગેરહાજર, શિફ્ટેડ-સ્થળાંતર કરી ગયેલા, ડિસિઝ્ડ-મૃત્યુ પામેલા)ની યાદીમાં આવે છે, એમ તેમણે કહ્યું હતું. આ વખતે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ-સીએએ હેઠળ મતદારયાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા શરણાર્થીઓનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ સૂચના ન હોવાનું તેમણે કહ્યું હતું.
પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં આવી હોવા છતાં કોઈપણ પાત્ર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીનાં નામાંકનનાં અંતિમ દિવસ સુધી મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી શકશે, એમ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું.
ગયા વર્ષના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં મતદારયાદીની ફેરતપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મતદારયાદીનો મુસદ્દો ૧૫ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ ૨૬ ડિસેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો મોકલી આપવા જણાવી દેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ અંતિમ મતદારયાદી બહાર પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની અંતિમ મતદારયાદીની સરખામણીએ ૧, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૯.૯૬ લાખનો વધારો જોવા મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીની સરખામણીએ ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.
મતદારયાદીમાંથી ૬૦૮૪૮ નામ કાઢી નાખવામાં આવ્યા હતા તો ૨૪૭૯૫૦ નામ ઉમેરવામાં આવ્યા હતા પરિણામે મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હતો, એમ તેમણે કહ્યું હતું.
વિવિધ શ્રેણીના મતદારોમાં વિદેશી (૪૮૯), સર્વિસ વૉટર (૧૧૫૫૬), ૧૮થી ૧૯ વર્ષના મતદાતા (૨૦૮૮૮૩), ૮૦ વર્ષથી વધુ વયના (૨૦૫૦૩૫), શારીરિક રીતે અક્ષમ (૫૫૮૨૩) મતદારોનો સમાવેશ થાય છે.
મતદારયાદીમાંથી નામ કાઢી નાખવા તેમ જ ઉમેદવારને મામલે ગીરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોઈપણ રાજકીય પક્ષ તરફથી ન મળી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના ઈશારે મતદારયાદીમાંથી જુદી જુદી કોમના લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ આમઆદમી પાર્ટીએ કરી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવશે અને તેમને અંતિમ મતદારયાદી સુપરત કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીની મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં અંદાજે ત્રણ લાખનો વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીની વૅબસાઈટ પર પણ આ મતદારયાદી ઉપલબ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીમાં ૨૬૮૯ સ્થળે કુલ ૧૩૭૫૦ મતદાન મથક ઊભા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી ‘આપ’ સરકારે કરેલા કામના મુદ્દે લડાશે.
અમારા પક્ષની પ્રચારઝુંબેશ હકારાત્મક હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે કોઈને ગાળો નહીં આપીએ કે કોઈના માટે ઘસાતું નહીં બોલીએ.
સોમવારે સાંજે પત્રકારોને આપેલી મુલાકાતમાં કેજરીવાલે મતદારોને અપીલ કરી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે સારું કામ કર્યું હોય એવું તમને લાગે તો જ અમને મત આપજો.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું જાહેરનામું ૧૪ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૨૪ જાન્યુઆરી હશે.
RTE, FRC જેવા સરકારી નિયમોથી ત્રસ્ત ખાનગી સ્કૂલોના સંચાલકો ‘ચોર’ હોય એવો સરકારનો વ્યવહાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલોની સરખામણીએ સારામાં સારું શાળાકીય શિક્ષણ આપી રહેલી ખાનગી, સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જાણે ચોર હોય એવો વ્યવહાર સરકાર કરી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં સાવ ખોટેખોટા પુરાવાઓ ઉભા કરીને પ્રવેશ લેનારા વાલીઓ સામે સરકારે કશું કર્યું નહીં, ફી નિર્ધારણ કમિટીઓના મનસ્વી પણાના પુરાવાઓ હોવા છતાં સરકારે પ્રાઇવેટ સ્કુલોને દોષી માનીને એક તરફા નિર્ણયો કર્યા. ગુજરાત સરકારની જોહુકમીઓથી ત્રસ્ત શાળા સંચાલકો પર જનોઇવઢ ઘા રાજ્ય સરકારે ગુજરાત બોર્ડ મારફતે કર્યો છે અને એ ઘા એવો છે કે આગામી માર્ચ 2020માં લેવામાં આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે પ્રાઇવેટ સ્કુલોના બિલ્ડીંગોમાં લેવાય, પરીક્ષા લેનાર સ્ટાફ પણ ભલે પ્રાઇવેટ-સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોનો હોય પરંતુ, ત્યાં પરીક્ષા સંચાલનની ઉપરી અધિકારીઓની નિમણૂંક સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલના સિનિયર શિક્ષકોમાંથી કરવામાં આવશે એ મતલબનો બોર્ડના સચિવે પરીપત્ર જારી કરતા સૂરત તેમજ રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો ઉકળી ઉઠ્યા છે.
તા.6 જાન્યુઆરી 2020ના રોજ સૂરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતો કરી એ પૂર્વે મિડીયાકર્મીઓ સાથે વાતચીત કરી રહેલા ડો.દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, દશરથભાઇ પટેલ સમેતના આગેવાનો દ્રશ્યમાન છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂરતના પ્રતિનિધિઓએ આજે સવારે 11.15 કલાકે નવા બહુમાળી ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપતા પૂર્વે પત્રકારોને જણાવ્યું કે સરકાર ખાનગી શાળા સંચાલકોને ચોર સમજી રહી છે. ખાનગી સ્કુલોની બોર્ડની પરીક્ષાઓમાં સરકારી વ્યક્તિ નિમવાનો પરીપત્ર દર્શાવે છે કે સરકારને ખાનગી સ્કુલના સ્ટાફ પર વિશ્વાસ નથી. ડો. દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, રાજેશભાઇ નાકરાણી વગેરે આગેવાનોએ જણાવ્યું કે ખાનગી સ્કુલોમાં બોર્ડની પરીક્ષા સરકારી માણસો લેશે એવો પરીપત્ર અમારા માટે કુઠરાઘાત સમાન છે. બોર્ડ આ પરીપત્ર સત્વરે પાછો ખેંચે અન્યથા રાજ્યભરની ખાનગી સ્કુલો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરશે.
અમેરીકા અને ઇરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવી દહેશતને પગલે જેની અપેક્ષા સેવાતી હતી એવું જ આજે સોમવાર તા.6 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં ઉઘડતા બજારે જોવા મળ્યું હતું. મુંબઈ શેરબજાર આજે સોમવારે સવારે પહેલા કલાકમાં જ 400 પોઈન્ટ્સથી વધુ ડાઉન ટ્રેડ કરી રહ્યો હતો.
સવારે 9.40 વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 450.89 પોઈન્ટ્સ અથવા 1.09 ટકા ઘટીને 41,013.72 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 139.40 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 12,087.25 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સવારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.74 ટકા અને 1.78 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા.
આજે સવારથી જ શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજે સવારથી જ મેટલ, પાવર, ઓઈલ-ગેસ, પાવર, ઓટો, બેન્ક અને રિયલ્ટી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.