CIA ALERT

Blog - Page 348 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 20, 2020
rs_gujarat.jpg
2min5710

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણયે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, બીટીપીના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ જ મતદાનથી અળગા રહીને કૉંગ્રેસની જીત પર પાણી ફેરવી દીધું હતું, જ્યારે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે ક્રોસ વોટીંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ થતાં જ કૉંગ્રેસે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ધારાસભ્ય પદના પદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સબજ્યુડીશ તરીકે તેમનો મત અલગ રાખવાની અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બીમાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને ભાજપે શંકરસિંહ ચૌધરીને સાથે રાખીને વોટ અપાવ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને તેમનો મત પણ રદ કરવાની માંગણી કરતા ગણતરી વિલંબમાં પડી હતી.

રાજ્યમાં ત્રણ મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયાં બાદ ભાજપે તેના ૧૦૩ ના સંખ્યા બળને પ્રમાણે બે ઉમેદવારોને બદલે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ત્યારે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતના સંકેત આપ્યા હતા. તેમ છતાં કૉંગ્રેસને જીતની આશા હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણી મુલતવી રહ્યાં બાદ ચૂંટણીની નવી તારીખે જાહેર કર્યા બાદ બીજા ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જોકે આખરે એક અપક્ષ અને બે બીટીપીના ધારાસભ્યોના મતનો વિશ્ર્વાસ હતો.

આખરે શુક્રવારે યોજાયેલા મતદાનમાં બીટીપીના બન્ને ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સ મતાધિકારને કારણે સંખ્યા બળ પ્રમાણ જીત્યા હતા. કુલ ૧૭૦ મત પડ્યા હોવાથી દરેક ઉમેદવારે જીતવા માટે ૩૪ મતની જરૂર પડી હતી. આ પહેલા બીટીપીના બે ધારાસભ્યને ગણીને ૧૭૨ મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને ૩૪.૪૦ મતની જરૂર હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કૉંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટતા હતા.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની રાજ્યસભાની બે બેઠક પર કૉંગ્રેસનો તો એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીનો રાજ્યસભાની ચારેય બેઠક પર વિજય થયો હતો. તેના ઉમેદવાર સુભાષચંદ્ર બોઝ, મોપીદેવી વેંકટા રામન્ના, અલ્લા અયોધ્યારામી રેડ્ડી અને પરિમલ નટવાણી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

મેઘાલયની બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીપીનો વિજય થયો હતો. એનપીપીના ઉમેદવાર ડબ્લ્યુ. આર. ખારલુખીનો મેઘાલયની રાજ્યસભાની બેઠક પર વિજય થયો હતો. એનપીપીને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ એમડીેના તમામ ભાગીદારોનો આભાર માન્યો હતો.

મણિપુર રાજ્યસભાની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

વિધાનસભામાં પ્રવેશવા પર હાઈ કૉર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિધાનસભાના સ્પીકરે કૉંગ્રેસના ત્રણ બળવાખોર વિધાનસભ્યને મતદાનમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.

રાજીનામું આપનારા ભાજપના ત્રણ વિધાનસભ્યએ મતદાન નહોતું કર્યું.

ટેકો પાછો ખેંચી લેનાર એનપીપીના ચાર પ્રધાને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એઆઈટીસીના એકમાત્ર ધારાસભ્ય મતદાનની પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. અગાઉ, રાજ્યસભાની ૧૯ બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે શુક્રવારે સવારે નવ વાગે શરૂ થયું હતું અને સાંજે ચાર વાગે પૂરું થઈ ગયું હતું.

આઠ રાજ્ય (ગુજરાત-૦૪, આંધ્ર પ્રદેશ ૦૪, રાજસ્થાન ૦૩, ઝારખંડ ૦૨, મેઘાલય અને મિઝોરમ પ્રત્યેકમાં ૦૧ બેઠક) પર એકસાથે જ મતદાન યોજવામાં આવ્યું હતું.

કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નિયમિત તૈયારી ઉપરાંત સૅનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.

જુદા જુદા ઍન્ટ્રી અને ઍક્ઝિટ ગૅટની પણ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી હતી.

થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ધારાસભ્યોને મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજ્યસભાની પંચાવન બેઠકનો હિસ્સો એવી ૧૯માંથી ૧૮ બેઠક અગાઉ આ વરસે ખાલી પડી હતી.

પંચાવનમાંથી ૩૭ બેઠક ચૂંટણી વિના જ ભરાઈ ગઈ હતી.

બાદમાં ચૂંટણી પંચે કણાટકની ચાર, મિઝોરમ અને અરુણાચલ પ્રત્યેકની એક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.

તાજેતરમાં જ વિદેશથી પાછા ફરેલા કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભામાં કરેલા મતદાન અંગે ભાજપે શુક્રવારે એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે તેમણે ક્વૉરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો હતો.

મિઝોરમમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યએ મતદાન નહોતું કર્યું. આ બેઠક પર એનડીએનો સાથી પક્ષ એમએનએફ ત્રિકોણીય જંગમાં સંડોવાયેલો હતો જે બાબતે મુખ્ય પ્રધાન ઝોરામથાન્ગાને એમ કહેવા પ્રેર્યા હતા કે બંને પક્ષ વચ્ચેનું જોડાણ મુદ્દા આધારિત છે અને હાલની બાબતોને ધ્યાનમાં લઈને જવાબ ‘હા કે ના’ આપવાનો પક્ષને અધિકાર છે. પક્ષના રાજ્ય એકમના પ્રમુખ વાન્લાલ્હમુઆકાના જણાવ્યાનુસાર બુદ્ધધન ચકમા મતદાનમાં ગેરહાજર રહ્યા હતા કેમ કે ભગવા પક્ષનો કોઈ ઉમેદવાર જ નહોતો.

June 19, 2020
ril-1280x721.jpg
1min5350

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. 

કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 

June 19, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5120

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી મોરીસને આજરોજ તા.19 જુનને શુક્રવારે એક પત્રકાર પરીષદને સંબોધતા એ રહસ્ય પરથી પડદો ઉંચક્યો હતો કે ઓસ્ટ્રેલિયાના ડિજિટલ નેટવર્ક પર સિફતપૂર્વક છતાં મેસીવ કક્ષાનો સાઇબર એટેક કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારી, બિઝનેસ, પોલિટકલ સંસ્થાઓ વગેરેના ડિજિટલ નેટવર્કને ઠપ કરી દેવાના ઇરાદે સાઇબર હુમલો કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના સરકારી, બિનસરકારી, શૈક્ષણિક, રાજકીય સંસ્થાઓના ડિજિટલ નેટવર્ક પર સાઇબર એટેક કરવામાં આવ્યો હોવાની માહિતી ખુદ ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસને આપી છે.

ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસનના આ નિવેદન બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓસ્ટ્રેલિયાના વહીવટને ખોરવી નાંખવા તેમજ અંધાધૂંધી ફેલાવવા માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે વેબસાઇટ્સ તેમજ ડિજિટલ નેટવર્કને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસને એપણ જણાવ્યું હતું કે એક ચોક્કસ દેશ તરફથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

News in English

The Australian government is grappling with massive cyber attacks from what Prime Minister Scott Morrison has described as a “malicious” and “sophisticated” state-based actor.

Morrison revealed the existence of the attacks during a press conference on Friday, adding that a “state-based cyber actor” is “targeting Australian organizations across a range of sectors, including all levels of government, industry, political organizations, education, health, essential service providers and operators of other critical infrastructure.”

He did not specify which agencies or businesses are believed to be under attack, nor did he detail the exact nature of the attacks — though he did say that the government’s investigation has not uncovered any “large-scale personal data breaches.”

Morrison also did not say which state Australia believes to be behind the attack. But he told reporters that “there are not a large number of state-based actors that can engage in this type of activity.”

“It is clear … that this has been done by a state-based actor with very, very significant capabilities,” Morrison added.

The attacks are also not new, and Morrison made clear that such threats are a “constant issue for Australia to deal with.” But he added that he was prompted to speak Friday because the “frequency has been increasing” over “many months.”

https://www.abc.net.au/news/2020-06-19/foreign-cyber-hack-targets-australian-government-and-business/12372470

June 19, 2020
BJP-leader-Pabubha-Manek-rushes-to-beat-Morari-Bapu-MP-interceded.jpg
1min6150

શ્રી કૃષ્ણના યાદવ કુળ અને બલરામજી વિશે વિવાદાસ્પદ ટીપ્પણી સામે આહીર સમાજ દ્વારા થઈ રહેલા વિરોધને પગલે દ્વારકામાં માફી માગવા ગયેલા કથાકાર મોરારિબાપુ પર દ્વારકાના ભાજપના માજી ધારસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કરીને અશોભનીય શબ્દો કહેતા ચકચાર મચી ગઇ હતી.

મોરારિબાપુ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ ઉઠયો છે અને આહીર સમાજ તેમજ કૃષ્ણ ભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારિબાપુ માફી માગેની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે ત્યારે રાજકોટમાં આહિર સમાજના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સાથે મોરચો ખોલી કલેકટરને આવેદન પાઠવીને બાપૂ દ્વારકાધિશને ચરણે શીશ ઝૂકાવી માફી માંગે નહિતર આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી. આ દરમિયાન મોરારી બાપૂ આજે દ્વારકા પહોંચ્યા હતા જ્યાં ભાજપના પૂર્વધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા મારોરી બાપૂ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન પૂનમ માડમ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા.

આ પહેલા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, ભૂતપૂર્વ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા તેમજ અન્ય આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અર્જૂનભાઈ ખાટરીયા વિગેરે આજે સયુક્ત રીતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા અને મોરારી બાપૂને માફી માંગવા જણાવ્યું હતું. અગાઉ પણ મોરારી બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી વિવાદ વહોર્યો હતો. જેમાં પાછળથી તેમણે સજળનેત્રે માફી પણ માગી હતી.

June 19, 2020
corona-gujarat.jpg
1min8180

ગુજરાતમાં કોરોના વાઈસરનો પોઝિટિવ દરદીઓના કુલ કેસ ૨૫ હજારને પાર થઇ ચૂક્યા છે. જ્યારે કુલ ૧,૫૬૧ના મોત નોંધાયા હતા. ચાર દિવસથી રોજ ૫૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

રાજ્યમાં બુધવારની સાંજ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે ૩૪૮ દર્દીને રજા આપવામાં આવી છે. બુધવારની સાંજ સુધીના જિલ્લા દીઠ આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૧૭,૬૨૯ કેસ અને ૧૨૫૩ મોત, સુરતમાં ૨૭૭૯ કેસ અને ૧૦૬ના મોત, વડોદરામાં ૧૬૮૨ કેસ અને ૪૭મોત, ગાંધીનગર ૫૨૦ કેસ અને ૨૨ના મોત, ભાવનગરમાં ૧૭૪ કેસ અને ૧૩ના મોત, બનાસકાંઠામાં ૧૫૬ કેસ અને ૮ના મોત, આણંદમાં ૧૩૫ કેસ અને ૧૩ના મોત, અરવલ્લીમાં ૧૫૨ કેસ અને ૧૪ના મોત, રાજકોટમાં ૧૭૧ કેસ પાંચના મોત, મહેસાણામાં ૧૯૩ કેસ અને નવના મોત, પંચમહાલ ૧૩૧ કેસ અને ૧૫ના મોત સહિત રાજ્યના તમામ જિલ્લામાં કુલ ૨૫,૧૪૮ કેસ અને ૧૫૬૧ મોત થઇ ચૂક્યાં છે.

June 19, 2020
narmada.jpg
1min6860

નર્મદા બંધની જળ સપાટી ૧૨૭.૪૬ મીટરની ઉપર પહોંચી ગઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્ય પ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮,૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમ જ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોંધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે.

સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યૂબીક મીટર છે.

June 19, 2020
nepal-mapjpg.jpg
1min5240

નેપાળની સંસદના ઉપલા ગૃહે પણ ગુરુવારે ભારતના ત્રણ પ્રદેશ પર નેપાળનો દાવો રજૂ કરતા નવા નકશા સંબંધિત બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

આ ત્રણ પ્રદેશમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાનો સમાવેશ છે. કે. પી. શર્મા ઓલી નેપાળના વડા પ્રધાન છે અને ચીન સાથે બહુ નજીકની દોસ્તી ધરાવે છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે તેઓ ત્રણેય પ્રદેશ ભારત પાસેથી પાછા લેશે.

ગુરુવારે ઉપલા ગૃહમાં બધા ૫૭ મેમ્બર હાજર હતા અને તેમણે નકશા સંબંધિત સુધારા ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું. ખરડાની વિરુદ્ધમાં એક પણ વોટ નહોતો પડ્યો.

ભારતે અગાઉ જ નેપાળના આ દાવાને ‘અસમર્થનીય’ અને ‘કૃત્રિમ વિસ્તરણ’ તરીકે ઓળખાવ્યો હતો. શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહે સર્વાનુમતે નવા ભૌગોલિક નકશાને બહાલી આપી હતી અને હવે નેશનલ ઍસેમ્બ્લી તરીકે ઓળખાતા ઉપલા ગૃહે પણ બહાલી આપતા સંસદની પૂર્ણપણે મંજૂરી નેપાળ સરકારને મળી ગઈ છે.

નેપાળે ગયા મહિને પોતાનો આ નવા રાજકીય નકશો બહાર પાડ્યો હતો. નવેમ્બર, ૨૦૧૯માં ભારતે નવો નકશો બહાર પાડ્યો એના છ મહિના બાદ (મે મહિનામાં) નેપાળે ત્રણેય પ્રદેશને પોતાનામાં સમાવતો નકશો બહાર પાડીને વિવાદ શરૂ કર્યો હતો. ૧૮મી મેએ નેપાળના પ્રધાનમંડળે નવા નકશાને સમર્થન આપ્યું હતું.

ગુરુવારે ઉપલા ગૃહે મંજૂર કરેલો ખરડો અધિકૃત બનાવવા હવે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને મોકલવામાં આવશે અને એ પછી ખરડો બંધારણમાં સમાવવામાં આવશે. ત્યાર બાદ નવો નકશો નેપાળના સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાશે.

૮મી મેએ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લિપુલેખ પાસને ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા સાથે જોડતા ૮૦ કિલોમીટર લાંબા રોડના બાંધકામનું ઉદ્ઘાટન કર્યું એ પછી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તંગ થયા છે.

નેપાળે આ ઉદ્ઘાટનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આ રોડ બનશે તો એના પ્રદેશમાંથી પસાર થયો કહેવાશે. એવું કહીને નેપાળે નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે ઓળખાવ્યા હતા.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5410

Surat Cityની હદમાંથી સચીન GIDC બાકાત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા.18મી જુન 2020ના રોજ જાહેર કરવામાં આવેલા સુરત શહેરના હદ વિસ્તરણમાંથી સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને બાકાત રાખવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસીને સુરત શહેરની હદમાંથી બાકાત રાખવાના કારણે હાલ તુરત તો સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના કરવેરામાંથી બચી ગયા છે. કેમ કે જો સચીન જીઆઇડીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સુરત શહેરની હદમાં સામેલ કરવામાં આવ્યા હોત તો સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોની આકારણી કરીને તેમની પાસેથી વેરા વસુલાત શરૂ કરી શકે અને જાણકારો કહે છે કે સચીનના એકએક ઇન્ડસ્ટ્રીયલ યુનિટને તેના વિસ્તાર પ્રમાણે લાખથી બે લાખ જેટલો વેરો ભરપાઇ કરવાનો આવે એમ છે.

Surat City Limit Expansion Notification

અહીં નિર્દેશ કરાયો છે કે સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયા એક્સક્લુડીંગ

પરંતુ, હાલ તુરત તો સુરત શહેરની હદમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સામેલ કરવામાં આવ્યો ન હોઇ, સચીનના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના તોતીંગ વેરામાંથી બચી ગયા છે પરંતુ, એ ક્યાં સુધી બચી શકે છે એ જોવાનું રહે છે.

કેમકે ભૂતકાળમાં જ્યારે સુરતનું હદ વિસ્તરણ થયું હતું ત્યારે ઉધના, પાંડેસરા વગેરે જીઆઇડીસીનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ, સુરત મહાનગરપાલિકાએ સ્વબળે જ વેરો ઉઘરાવવાનું શરૂ કરી દેતા આખરે એ વિસ્તારોને સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ કરીને તેમને ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે ડીનોટીફાઇડ જાહેર કરવામાં આવ્યા હતા.

પાંડેસરા જીઆઇડીસી સુરત શહેરની હદમાં ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જ પાંડેસરાના ઉધોગો ચાલી રહ્યા હોઇ, સુરત મહાનગરપાલિકા ઉદ્યોગો પાસેથી વેરો ઉઘરાવી શકે. હવે સચીન જીઆઇડીસી ક્યાં સુધી પાલિકાના વેરામાંથી બચી શકે છે એ જોવું રહ્યું.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12120

SMC હદ વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કરતું નોટિફિકેશન આજરોજ તા.18મી જુન 2020ના રોજ જાહેર કર્યું છે. જાણકારો કહે છે કે સુરત સમેત રાજ્યની મહાનગરપાલિકાઓની હદના વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી, લાંબા ગાળે ફાયદો મળશે પરંતુ, ટૂંકા ગાળામાં તો સિટી લિમિટનું વિસ્તરણ મોટા પ્રશ્નો સર્જશે.

  • સુરત મહાનગરપાલિકા પર માળખાગત સુવિધાઓ વિકસાવવાનું ભારણ વધી જશે
  • સુરત મહાનગરપાલિકા પર વધુ 4થી 5 લાખની વસતિને પાયાની સુવિધાઓ પહોંચાડવાનું ભારણ વધશે
  • શહેરના હદ વધારવા સાથે ચૂંટણી પંચે નવા વિસ્તારોને સુરત મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળે એ માટે મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન નવેસરથી હાથ ધરવું પડશે તેના વગર ચૂંટણી યોજી શકાય નહીં.
  • લાંબા ગાળાનો ફાયદો એ થશે કે ગ્રામ પંચાયતોમાં બિનઆયોજનબદ્ધ રીતે થતા બાંધકામો ખાસ કરીને પહોળા માર્ગોની જોગવાઇ લાભકર્તા બનશે

સિટી લિમીટ વિસ્તરણની સૌથી માઠી અસર આગામી વર્ષે રાજ્યની મહાનગરપાલિકાઓમાં યોજનારી સામાન્ય ચૂંટણી પર પડશે એમાં બે મત નથી. નિષ્ણાંતો કહે છે કે અર્બન ડેવલપમેન્ટ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ હવે તંત્ર દ્વારા શહેર હદ વિસ્તરણની કામગીરી કાગળ પર હાથ ધરવામાં આવશે. એક વર્ષના સમયગાળામાં સુરત સમેત જે મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યાં ચૂંટણી યોજવી હોય તો એ પહેલા શહેરની હદમાં સામેલ કરવામાં આવેલા વિસ્તારને આવરી લેતું વોર્ડ સીમાંકન કરવું પડશે. ચૂંટણી પંચ માટે વોર્ડ સીમાંકન કરવું એટલે એક વર્ષ જેટલી લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ સુરત મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન થઇ શકે.

નવા વિસ્તારોનું મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન વગર ચૂંટણી યોજી શકાશે નહીં

જાણકારો કહે છે કે રાજ્ય સરકારે આધિકારીક રીતે મહાનગરપાલિકાઓની હદનું વિસ્તરણ કરી દીધું છે હવે શહેરમાં નવા સામેલ કરવામાં આવેલા ગામડાઓના વિસ્તારોના પ્રતિનિધિઓને પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખમાં સ્થાન આપવું પડશે. આમ, હવે સુરત શહેરની હદ વિસ્તરણ બાદ જો ચૂંટણી પંચ નવા વિસ્તારોને આવરી લેતું વોર્ડ સીમાંકન યુદ્ધના ધોરણે હાથ નહીં ધરે તો આગામી વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજવી મુશ્કેલ થઇ પડશે.

Latest on this Web

June 18, 2020
mumbai-rains-3.jpg
1min5390

મુંબઇ શહેર, થાણે અને નવી મુંબઇમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સાથે પવન પણ ફૂંકાયો અને વીજળી પણ થઇ હતી. જો કે ચોમાસું લગભગ આખા મહારાષ્ટ્ર અને મુંબઇ પર ફરી વળ્યું છે અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.

Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

IMDએ કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક વાતાવરણ વાદળીયું રહેશે અને હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી દ્વારા જણાવ્યા અનુસાર 32.6 ડિગ્રી  સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 27 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહેશે. કોલાબા ઓબ્ઝર્વેટરી દ્વારા નોંધાયેલા મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે તથા 26.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન રહ્યું છે.

ગુરૂવારે પડેલો ધોધમાર વરસાદ એ શહેર અને આસપાસનાં વિસ્તારો માટે રાહત આપનારો રહ્યો છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમ વેધર એજન્સી સ્કાયમેટે કહ્યું છે.