
કોરોનાની મહામારીમાં મેડિકલ સુવિધા પુરતા પ્રમાણ મળતી નથી, લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનો પ્રજાની સાથે રહેવાના બદલે દૂર ભાગી રહ્યા છે. પ્રજાની ચિંતા કરવાના બદલે નેતાઓ રાજકારણ ખેલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો પર હુમલા અંગે ધરણા યોજી રહ્યા છે. પોલીસ સહિતનું સરકારી તંત્ર પણ કઠપુતળી હોય તેમ તમાસો જોઇ રહ્યું છે. પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમના ભંગ અંગે કોઇ કાર્યવાહી કરતું નથી.

સુરતમાં ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને’ ધરણા કર્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમમાં જોડાવવા અપીલ કરાઇ હતી. પણ તેની અપીલ પણ માન્ય ન રાખીને શાસક પક્ષના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતાં એટલુ જ નહી પણ તૃણમુલ કોંગ્રેસ સામેના’ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં આવેલા મેયર હેમાલી બોધાવાલા સામે પણ હાય રે મેયર હાય ના નારા લગાવ્યા હતાં. તેના કારણે હેમાલી બોધાવાલા વિરોધ પ્રદર્શન કરવાનું છોડીને ચાલ્યા ગયા હતાં.
કોરોનાને દેશભરમાં અજગર ભરડો લીધો છે. તેના પગલે લોકડાઉન સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા, માસ્ક પહેરેવા, વારંવાર હાથ ધોવા, મોટી સંખ્યામાં એકત્ર ન થવુ સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પણ આ સૂચનાઓ માત્ર સામાન્ય માણસો માટે જ હોય તેમ પ્રજાની પરેશાનીમાં સાથે અપવાના બદલે પ્રજા મુશ્કેલીમાં મૂકાય તેવા કાર્યક્રમ ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા યોજાઇ રહ્યા છે.આ કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડ લાઇનનું’ ઉલ્લંઘન થતુ રહે છે પણ પગલાં લેવા કોઇ હિંમત બતાવતું નથી.

રાજકીય કઠપુતળી બનીને નાચતા સરકારી તંત્ર દ્વારા પણ અવારનવાર વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સત્તાધારી પક્ષના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનો છડે ચોક ભંગ થતો હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી પણ વિરોધપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો કાયદાના ભંગના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ધરણાના કાર્યક્રમ પરથી મળે છે.
બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હોય તેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધરણાના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ’ સહિતના નિયમોનો છડેચોક ભંગ થયો હતો. આમ છતાં કોઇ પગલાં લેવાયા ન હતાં.ધરણા યોજવા માટે ભાજપને પોલીસે મંજુરી આપી હતી. તેની સામે કોંગ્રેસ દ્વારા પણ ધરણાનો કાર્યક્રમ યોજાયા હતાં.પણ કોંગ્રેસને ધરણાનાકાર્યક્રમ માટે મંજુરી આપવામાં આવી ન હતી. એટલુ જ નહી પણ મંજુરી વગર ધરણાનો કાર્યક્રમ યોજનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. તેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભાજપના કાર્યક્રમને મંજુરી અને કોંગ્રેસને મંજુરી નહી આપીને પોલીસ સહિતના સરકારી તંત્રે વહાલા દવલાની નીતિ અપનાવી હોય તેવું સામે આવ્યું હતું.











