આજકાલ રસોઈમાં પ્લાસ્ટિકનાં વાસણોનો પ્રયોગ વધ્યો હોવાને કારણે તેની વિપરીત અસર આરોગ્ય પર પડી રહી છે. ખાવાનું ખાવા અને બનાવવા માટે યોગ્ય વાસણોનો ઉપયોગ કરી તો જુઓ.
માટી ધરતી સાથે સીધી રીતે સંકળાયેલી છે. પૃથ્વીનો સંબંધ કફ, દોષ સાથે હોય છે. આ ઉપરાંત માટીમાં કુદરતી મિનરલ્સ (ખનિજ) હોવાને કારણે એમાં બનાવવામાં આવેલું ખાવાનું પોષણથી ભરપૂર હોય છે. માટીના વાસણમાં ખાવાનું ધીમે ધીમે બને છે એ કારણે તેમાં તૈયાર કરવામાં આવેલા ભોજનની પૌષ્ટિકતામાં ઘટાડો નથી થતો.
દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ માટે માટીનું વાસણ ઉત્તમ મનાય છે
માટીના વાસણમાં બનાવેલું ભોજન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બીમારીઓ તમારી આસપાસ નથી ભટકતી. માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતું ભોજન ધીમે ધીમે તૈયાર થતું હોવાને કારણે તેમાંનાં પોષક તત્ત્વો નાશ નથી પામતાં.
માટીના ક્ષારીય ગુણોને કારણે માટલાના પાણીનું પીએચ સંતુલિત રહે છે. માટીના ઘડાના પાણીની તાસીર ઠંડી હોવા છતાં તેના કારણે શરીરમાં વાત નથી વધતો. ગરમીની મોસમમાં માટીના વાસણનું પાણી પીવાથી લૂથી બચી શકાય છે. માટીના ઘડાનું પાણી પીવાથી એસિડિટી નથી થતી. માટના વાસણ પાણીની અશુદ્ધિઓ પણ દૂર કરે છે. માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે
આયુર્વેદમાં તાંબાને અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલું દર્શાવવામાં આવ્યું છે, જે શરીરના મૅટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પાચનશક્તિ સારી રહે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરે છે. તાંબાનાં વાસણોનો ઉપયોગ કરવાથી રક્તકણોની માત્રા પણ વધે છે. સ્થૂળ શરીર ધરાવતા લોકો પણ જો તાંબાનાં વાસણોનો ઉપયોગ કરે તો તેમને અનેક લાભ થશે. તાંબાના વાસણમાં બનેલું ભોજન આરોગવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. ત્વચા માટે પણ તે લાભકારક છે.
તાંબાનાં વાસણોનો સૌથી વિશેષ ગુણ એ છે કે તે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે અને સાંધાના દરદમાં પણ રાહત પહોંચાડે છે. જેમને બ્લડપ્રેશરની સમસ્યા છે તેમણે સવારે ઊઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. શરીર પર તેની ખૂબ જ સારી અસર થાય છે. તાંબામાં શરીર પરના સોજા દૂર રાખવાના પણ ગુણ હોય છે અને એટલે જ તે આર્થ્રાઈટિસ કે સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે. તાંબાના વાસણને ચોખા રાંધવા માટે સૌથી સારું માનવામાં આવે છે. તાંબાને સૂરજ અને આગ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. તાંબું શરીરમાં અગ્નિતત્ત્વ વધારે છે. ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે.
પ્રાચીન સમયથી લોખંડની કડાઈ અને ચાકુનો ઘરમાં ઉપયોગ થતો આવ્યો છે. લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી શરીરની તાકાત વધે છે. તે ઊર્જા આપે છે. વાસણોના સ્વરૂપે લોખંડનો ઉપયોગ કરવાથી શરીરમાં લોહતત્ત્વની પૂર્તિ થતી રહે છે અને તેને કારણે એનિમિયા જેવી બીમારી દૂર રહે છે. ગર્ભવતી યુવતીઓ માટે પણ લોખંડના વાસણમાં બનાવેલું ભોજન લાભકારક હોય છે.
લોખંડનાં વાસણોની એક ખાસિયત એ પણ છે કે તે કમળા જેવી બીમારીને દૂર રાખે છે. ત્વચા સંબંધિત સમસ્યામાં પણ લોખંડનાં વાસણોનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. આ વાસણોનો ઉપયોગ કરવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ચાંદીમાં શીતળતા પ્રદાન કરવાના ગુણ હોય છે. ચાંદી શરીરમાં પિત્તનો પ્રભાવ ઓછો કરે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને ચાંદીનાં વાસણોનો ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. ચાંદીને મસ્તિષ્ક માટે સારી માનવામાં આવે છે. ચાંદીના ઉપયોગથી સ્વભાવનું ચીડિયાપણું ઓછું થાય છે.
જેમની દૃષ્ટિ નબળી પડી ગઈ છે તેમને ચાંદીના વાસણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જે યુવતીઓને માસિક સંબંધિત સમસ્યા હોય છે તેમના માટે ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે. ગુસ્સાવાળા સ્વભાવના લોકો માટે પણ ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે.
ચાંદીના વાસણમાં રાખેલું પાણી દરરોજ સવારે ખાલી પેટે પીવામાં આવે તો પેટને લગતી સમસ્યાઓ દૂર રહે છે. આ ધાતુ લિવર અને કિડની જેવાં શરીરનાં અન્ય અંગોને પણ ઠીક રાખે છે. એકંદરે આ ધાતુ શરીરને બીમારીથી દૂર રાખવામાં અસરકારક રહે છે.
કાચનાં વાસણોને લઈને આયુર્વેદમાં કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ પ્લાસ્ટિકની સરખામણીએ કાચની બાટલી અને ગ્લાસને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
ફળોનો રસ કાચના ગ્લાસમાં પીઓ
ઘરમાં પિત્તળની પરાંતનો ઉપયોગ ખૂબ થાય છે. પિત્તળનાં વાસણોમાં રાખેલું
પાણી પીવાથી શરીરને તાકાત મળે છે.
રોગ સામે લડવામાં પણ તે મદદ કરે છે. પિત્તળની થાળીમાં ભોજન કરવાથી અનેક લાભ થાય છે.
આ વાસણોનો ઉપયોગ કરો છો તો તેની સાથે સંકળાયેલી અમુક ખાસ
વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો શરીરને નુકસાન થઈ શકે છે
* તાંબાના વાસણમાં દૂધ, દૂધની બનાવટની વસ્તુઓ તેમ જ ખાટી વસ્તુ ન રાખવી જોઈએ.
* તાંબાનાં વાસણ વજનદાર અને ભેળસેળયુક્ત ન હોવાં જોઈએ. તાંબાનાં વાસણ કોઈ વિશ્ર્વાસુ દુકાનમાંથી જ ખરીદો.
* તાંબાના ગ્લાસ કે વાસણ પર લોહચુંબક લગાડવામાં આવે અને જો તે ચીટકી જાય તો સમજી લેવું કે વાસણમાં ભેળસેળ છે.
* જો તાંબાના ગ્લાસને લીંબુથી ધોવામાં આવે અને તેનો રંગ ગુલાબી થઈ જાય અને ચમકવા લાગે તો સમજી લેવું આ ગ્લાસ શુદ્ધ તાંબાનો બનેલો છે.
* તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક રાખ્યા બાદ પાણી પીવાથી જ શરીરને વધુમાં વધુ લાભ થશે.
* દિવસમાં બેથી ત્રણ વાર પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવામાં આવે તો તે પૂરતું છે.
* ચાદીનાં વાસણોનો ભોજન માટે ઉપયોગ કરવો આજે શક્ય નથી જણાઈ રહ્યો એટલે વધુ સારું તો એ હશે કે ચાંદીના વાસણને બદલે શુદ્ધ ચાંદીનો સિક્કો કે ચમચી પાણીના પાત્રમાં રાખી મૂકો. તેનો થોડોક અંશ પણ પાણીની ગુણવત્તામાં સુધારો કરશે.
* માટીના વાસણમાં ખાવાનું બનાવતી વખતે તેને ધીરે ધીરે ગરમ થવા દેવું.
* જે લોકોને ભૂખ ઓછી લાગે છે તે જો પતરાળાની થાળીમાં ભોજન કરે તો તેમની ભૂખ વધશે. પેટમાં થતી બળતરાથી પણ છુટકારો મળશે.